Wednesday, November 21, 2018

પ્રભુજી મને પાર કરો.


                 પ્રભુજી મને પાર કરો.


ઢાળ-ફિલ્મી ગીત ’મહેલો કા રાજા મિલા, રાની બેટી રાજ કરે.’ જેવો.

તારા શરણે હું આવી ગયો, પ્રભુજી મને પાર કરો.
હૂંતો ભવ રણમાં ભટકી ગયો,............

જન્મ આપ્યો તેં મને, માનવ કુળમાં, માર્ગ ભૂલીને મેં તો રોળ્યો છે ધૂળમાં
મોહ માયામાં લપસી ગયો.....પ્રભુજી મને પાર કરો.

કાશી મથુરા ગોકુળ ગયો નહિ, શબ્દ સંતોનો કોઈ કાને ધર્યો નહિ.
નીર ઝાંઝવા ને ઝપટે ચડ્યો....પ્રભુજી મને પાર કરો.

ગીતા રામાયણ ગાન કર્યું નહિ, હેતે હરી મેં તારું ધ્યાન ધર્યું નહિ.
તારા ભજનો પર ભાવ ના થયો.....પ્રભુજી મને પાર કરો.

પિંજર પીખાયું હવે પંખી ઊડી જાશે, શ્વાસમાં શરણાઈ વાગે, સુર ના સંધાશે
હવે સરગમ નો સાથ ગયો.... પ્રભુજી મને પાર કરો.

કઠપૂતળી બનીને રમુ હુંતો તારા તાલમાં, થીરકે "કેદાર"ખેંચે દોરી તારા હાથમાં
તું નચાવે તેમ નાચી રહ્યો.....પ્રભુજી મને પાર કરો.

ભાવાર્થ.= હે ઈશ્વર, મારા પર તેં અનેક ઉપકારો કર્યા, પણ મેં આ જીવન અમૂલ્ય જીવન નો લહાવો ન લીધો, પણ હવે હું તારા શરણે આવ્યો છું, માટે મને માફ કરી દેજે, અને આ ભવ સાગર માંથી પાર કરી દેજે. દેવોને પણ દુર્લભ એવું માનવ શરીર તેં મને આપ્યું, જેના વડે આ જીવ શિવ સુધી પહોંચી શકે, પણ હું સંસારના મોહમાં એવો ફસાયો કે અવસર ચૂકી ગયો.
     આ શરીર થકી પ્રવાસ તો મેં ઘણાં કર્યા, પણ જેમ તરસ્યા હરણાઓ ઝાંઝવાનાં નીરને જોઈને તેની પાછળ દોડે છે, તેમ હું આ સંસારના મોહ/ માયાના સપના જોતો તેને પામવા દોડતો રહ્યો, પણ પામ્યો કશું જ નહિ. ક્યારેક સારા મિત્રોના સંગમાં ધાર્મિક પ્રસંગોમાં જવાનો મોકો મળ્યો, અરે ભજનો પણ ગાયા, પણ તેમાં સંગીત સમજી ને રાગ, તાલનું ધ્યાન રાખ્યું, પણ તારા તરફ ધ્યાન ન ગયું, તેથી ભજનોના નામે ગીતો ગાયા, ભાવ ભર્યું ભજન ન થયું.  આસ્થા શ્રદ્ધા અને ભક્તિ તો સંગીત તાલ અને સુર સાથે  સંતાકૂકડી રમવા ચાલી  ગયાં.
             હે ઈશ્વર, હવે તો ઘડપણની છાયા હેઠળ આ શરીર રૂપી પિંજર જીર્ણ થઇ ગયું છે, ક્યારેક આ જીવડો તો ઊડી જશે ? શ્વાસ લેતાં મૂકતાં જાણે ફાટેલા -બેસૂરા રાગે હવે પીપુડી વાગે છે, ધૃજતી કાયા એ સુરનું ઠેકાણું રહેતું નથી, માત્ર પ્રાસ સાથ બની ને વહે છે ત્યાં સરગમ ની તો વાત જ ક્યાં કરવી, સૂર મેળ તો હોય જ ક્યાંથી ?
             હે  પ્રભુ, ભાવે કે કભાવે મને કે ક મને - માંહ્યલાએ કીધું એટલે મેં ધાર્મિક પ્રસંગોમાં ભાગ લીધો છે, અને એટલું તો સમજ્યો છું કે આ જીવન મંચમાં અમે બધા તો તારા પૂતળાં છીંએ, કઠપૂતળી સમા- તેથી જે પાત્ર ભજવવા માટે તું અમને મોકલે છે તે અમારે ભજવવાનું હોય છે, તું જેમ આંગળીમાં રાખેલી ડોરથી અમને નચાવે તેમ નાચવાનું- તેથી અમે તો નિમિત્ત અને કર્તા વિશ્વનિયંતા આપ છો! અમે જે કંઈ કરીએ તે તો નક્કી થયેલું પૂર્વ નિયોજિત હોય છે, અમે તો કંઈ કરતા જ નથી, છતાં અહંકાર, મદ અને મમત્વ ક્યાંથી આવી ને ટપકે છે?  સમજાતું નથી પ્રભુ, આમાં અમારો  શો દોષ?  આ તો તારી જ માયા અને તારી જ લીલા છે?, માટે એક જ આશા છે કે તારા શરણે લઈને મને આ જીવન થી પાર કરી દે.
ફોટો-ગુગલના સહયોગ થી.

પ્રભુની અકળ કળા


                  પ્રભુની અકળ કળા

પ્રભુજી તારી કળા કળાય નહિ કંઈ, 
મથી મથીને થાક્યા ધુરંધરો, એને આવે સમજમાં નઈં

નાગર નરસૈયો ભક્ત તમારો, બોલાવે બે માં નો કહી
રાસ લીલા રસ પ્રેમે પિવડાવ્યો, હાથ દાઝ્યાની શૂધ નઈં

શિશુપાલની ગાળો સહી તમે,   વચનો વિસાર્યા નઈં
રણ સંગ્રામે રથનું પૈડું, ઉઠાવ્યું કાં અધ વચ્ચે જઈ...

સૂરદાસના કાર્ય સુધારવા, લીધી કલમ કર જઈ            
સૂર શ્યામ બની, પદો પુરા કર્યા, એકે અધૂરું નઈં        

બોડાણાની અરજી સાંભળી,  બેઠો તું ડાકોર જઈ
મીરાંબાઈ પર મહેર કીધી તેં, મુખમાં સમાવી લઈ...

સાંદીપની ના શિષ્ય ઘણાં પણ, સુદામા સરીખાં બધા નઈં
ચપટી ચોખામાં એના મહેલ બનાવ્યા, ઊણપ ન રાખી કંઈ..... 

"કેદાર" કાનુડા મારું કામ કરી દે મને, રાખો હ્દયમાં લઈ
રોમે રોમ મારું ભજે ભૂધરને,       શ્વાસોમાં વસો સૂર થઈ

નોંધ="નઈં" નો એક અર્થ "નહિ" પણ થાય છે, તેથી કવિઓ પ્રાસ મેળવવા નહિ ના બદલે નઈં નો ઉપયોગ કરે છે. તેથી મેં પણ કર્યો છે

ભાવાર્થ- હે ઈશ્વર આપની કળા અપરમ પાર છે. અનેક અનેક ઋષિ મુનિઓ/ભક્તોએ આપની લીલાને સમજવા, જાણવા અનેક તપશ્ચર્યા કરી, પણ કોઈ સમજી શક્યા નથી.
નરસી મહેતા આપનો અનન્ય ભક્ત, પણ આપને કેવી કેવી ગાળો આપે, છતાં ગુસ્સે થવાને બદલે તેને અલૌકિક રાસ લીલા બતાવી, અને એ પણ કેવો ભાવ વિભોર બનીને જોતો રહ્યો કે  પોતે જે મશાલ પકડીને ઊભેલો તે મશાલ દ્વારા તેનો હાથ બળવા લાગ્યો છતાં તેને ખબરજ ન પડી.

શિશુપાલની માતાને આપે વચન આપેલું કે તે ૧૦૦, ભૂલ કરશે ત્યાં સુધી માફ કરશો, પણ તેણે ૧૦૦, ગાળો આપી, જે ક્ષમા આપી શકાય એવી ન હતી, છતાં વચન પાળ્યું, અને ૧૦૦, ગાળો પછીજ તેને માર્યો. જ્યારે મહાભારતના યુદ્ધમાં આપે વચન આપેલું કે આપ હથિયાર ઉપાડશો નહિ. જ્યારે ભિષ્મપિતાએ વચન લીધું કે હું કૃષ્ણના હાથમાં હથિયાર લેવડાવીશ. ભિષ્મપિતાએ ઘમાસાણ યુદ્ધ કર્યું, પણ જ્યારે તેઓ થાકવા લાગ્યા ત્યારે આપને તેમના વચનને પાળવા માટે એક તૂટેલા રથનું પૈડું ઉપાડીને મેદાનમાં આવ્યા ત્યારે ભિષ્મપિતાએ પોતાનું પણ પૂરું થયું કહીને હથિયાર મૂકી દીધા, પણ તેઓ સમજી ગયા કે ભક્તનું વચન તૂટે નહિ માટેજ આમ કર્યું છે.
સૂરદાસજી તારા પરમ ભક્ત, તેમણે પણ લીધેલું કે તેઓ સવા લાખ પદોની રચના કરશે, જેમાં સૂર, સૂરદાસ, સૂરસાગર, જેવા નામથી અનેક પદોની રચના કરી પણ એક લાખ પદો લખાયા પછી તેમની કાયા લથડી ત્યારે તેં પોતે ભક્તનું વચન પૂરું કરવા ૨૫૦૦૦, પદો લખ્યા, જેમાં તેં "સૂર શ્યામ" તરીકે સાખ પુરી છે. 

ડાકોરના ભક્ત બોડાણાની ટેક હતી કે દર કાર્તિકી પુનમે દ્વારકા જાય, પણ ઉમર થતાં હવે નહિ જવાય એમ જાણીને છેલ્લી વખત જઈ આવું એમ માનીને માફી માંગી, પણ ભગવાન પોતે ડાકોર પધાર્યા.

આપ સાંદીપની પાંસે ભણેલા, ત્યાં અન્ય સહપાઠી હતા, પણ આપે સુદામા સાથે ગાઢ મિત્રતા રાખી, મુઠ્ઠીભર તાંદુલના બદલામાં આપે તેની ગરીબી મટાડી દીધી.

હે ઈશ્વર આપે ભક્તોના આવા અનેક કાર્યો કર્યા છે, હું પણ તારા ગુણ ગાન કરું છું, તો મને બીજું કંઈ ન જોઈએં, બસ એટલી મહેર કર કે હું સતત તારા ગુણગાન કરતો રહું.

ફોટો-ગુગલના સહયોગ થી.