Thursday, August 13, 2020

ભાવે ભૂધર ભજું.

 

                              ભાવે ભૂધર ભજું.

ઢાળ- અબ સોંપ દીયા ઈસ જીવન કા... જેવો
પરમેશ્વર પ્રેમ પીયારા પ્રભુ,  ભજું ભાવ થકી ભૂધર હું તને.  
હર શ્વાસે શ્વાસ માં શ્યામ જપું,  અવસર આપો એવો શુભ મને...

સદા રામ ચરણ માં ધ્યાન રહે,  મારા મનમાં ગોવિંદ ગાન રહે.  
ભક્તિ રસ નો ભંડાર રહે,  અંતરમન થી કરું યાદ તને...

તારા સ્નેહ ની મુજ પર રહેમ રહે, રાધા વર રટણ નું નેમ રહે. 
વિઠ્ઠલજી વહાલો એમ રહે,  મીરાં ને મોહન જેમ મને...

નીલકંઠ સદા મારા કંઠે રહો, સદાશિવ સદા મારા હૈયે રહો.  
મૃત્યુંજય મારા મનમાં રહો, વિશ્વનાથ ન દેજો વિસારી મને...

નિત નિત અંતર માં જ્ઞાન રહે,  હરિ ભજવામાં સદા ધ્યાન રહે.  
અહર્નિશ આપનું ગાન રહે, અવળાં ઉત્પાત ન વળગે મને...

પ્રભુ અરજી "કેદાર" ની ઉરમાં ધરી, આપો અવસર મને ફરી રે ફરી, 
ભવે ભવ એવી ભક્તિ કરી, પરમ પદ આપો આપ મને...    
૨૬.૩.૨૦
રચયિતા-
કેદારસિંહજી મે. જાડેજા.
ગાંધીધામ. ૯૪૨૬૧૪૦૩૬૫.

વેરણ વાંસળી

 

                            વેરણ વાંસળી  

ઢાળ- બનવારી રે જીનેકા સહારા તેરા નામ રે- જેવો.

વનમાળી રે, વેરણ લાગે વાંસળી...                     
                       મન ભટકાવે મારું રે......

બંસીના બે ચાર જખમ તું,     હળવે હળવે પંપાળે        
અધર કમળ રસ ઘોળી ઘોળી, અમૃત કુંડમાં પલાળે    
                         શાને સમજે નહીં દુખ મારું રે....   

અંગે અંગ છે ઘાયલ મારું,     રોમે રોમ વીંધાયું
વિરહ વેદના એવી લાગી,    સુખ સંસાર ભુલાયું
                       મને લાગે નહીં કંઈ સારું રે...
     
હૈયું મારું હાથ રહે નહીં,         ચિત્ત ચકડોળે ચડતું
ધ્યાન રહે નહીં જગ મર્યાદા, ધીરજ ના મનડું ધરતું
                         તને તરસે અંગ અંગ મારું રે....

નયનો મારાં નટખટ નંદન,  દરશન કાજે તરસે
અંતર મનમાં ઊઠે ઉમંગો,  ક્યારે કાનુડો મળશે 
                        સદા તલખે મનડું મારું રે.....

સખીઓ સરવે સંગે મળીને,  વૃંદાવન માં ભટકતી
શોધે સઘળે વેલ લત્તામાં,  ક્યાંયે ભાળ ન મળતી 
                        ક્યારે ભાળું ભૂધર મુખ તારું રે....

"કેદાર" દાસી પ્રેમ ની પ્યાસી,   એક ભરોસો ધરાવે       
દામોદર દગા બાજ બને નહીં,  વચને વહેલો આવે,  
                           જોજે તૂટે નહીં પ્રણ તારું રે.... 
                         
ભાવાર્થ-હે કાના, મને તારી વાંસળી દુશ્મન જેવી લાગે છે, જે મારા મન ને સદા ભટકાવ્યા કરે છે.
      આ તારી વાંસળીમાં મને બે ચાર જખમો દેખાય છે, પણ તું એવો તો ઘેલો થયો છે કે જાણે તે કેટલી બઘી ઘવાઈ ગઈ હોય, તેના આ ઘાવ પર તું તારી કોમળ કોમળ આંગળીઓ ફેરવીને તેને પંપાળ્યા કરે છે, તારા કોમળ કોમળ હોઠો થી જાણે તેને અમૃત ના કુંડમાં નવડાવી રહ્યો છે, પણ મારા દુખ ને સમજી શકતો નથી.  
   મારા સામે તો જો, મારું અંગે અંગ ઘાયલ થયું છે, અને મારા રોમે રોમ માં છિદ્રો છે, મને એવી વિરહ ની વેદના ઊઠી છે કે આ જગત નું ભાન ભુલાવી દીધું છે, મને તારા વિના કંઈજ ગમતું નથી. 
   મારું હૈયું મારા હાથમાં રહેતું નથી, અને મારું ચિત્ત જાણે ચકડોળે ચડ્યું છે, મને આ જગત ની કોઈ મર્યાદા નું ભાન રહેતું નથી, મારું મન હવે ધીરજ ખોઈ બેઠું છે, બસ તારા દર્શન માટે મારું અંગે અંગ તરસી રહ્યું છે.
       હે કેશવ મારા નયનો તારા દર્શન માટે તરસી રહ્યા છે, મારા અંતરમાં એકજ આતુરતા છે કે મારો કાન મને ક્યારે મળશે ? મારું મન સદા તારા માટે તડપી રહ્યું છે.
          મારી બધી સખીઓ મળીને વૃંદાવન માં દરેક વેલ લતાઓમાં ઝાડવે ઝાડવે શોધી રહ્યા છીંએ કે ક્યાંયે તારા દર્શન થાય, પણ અમને તું મળતો નથી. હવે તો બસ એકજ આશા છે, તેં વચન આપ્યું હતું કે તું એકવાર ગોકુળ જરૂર આવશે, જોજે આ વચન તોડતો નહીં.

રચયિતા
કેદારસિહજી મે. જાડેજા
ગાંધીધામ
૯૪૨૬૧૪૦૩૬૫
ફોટો-ગુગલ ના સહયોગ થી.

ક્યાં ફસાયો કેશવ ?

 


                                                         ક્યાં ફસાયો કેશવ ?

વિશ્વ કર્તા જગત ભરતા, અમો પર શું ઉદાસી છે
આપદ છે આજ અવનિ પર, કેશવ ક્યાં ફંદે ફસાયો છે ?  ટેક. 

કોરોના કાળ ના રૂપે, ફેલાયો જગત આખામાં
અતિ વર્ષા, ધ્રૂજે ધરતી,  દામિની દર્દ આપે છે..

ગોવર્ધન કર ધરી કેશવ, બચાવ્યા બાળ ગોકુળ ના
દયા રાખો દયા સાગર,     ઊંચકવા ક્યાં પહાડો છે....

ગીતાનું ગાન કરનારા, તું વચનો યાદ તો કરી લે
ભૂમિ ભારત ભરખવા ને, ભીતરમાં પણ ભોરિંગો છે...

હણ્યા તેં કૈંક છોગાળા, નરાધમ નર પતિ મોટા
મગતરાં દેશ ના દ્રોહી, કશી ક્યાં વિસાત રાખે છે...

ગયા ક્યાં સંત કે સુરા, જતી સતી જોગી જટા ધારી
જે આપે ગોદ ગોવિંદ ને, સદા જ્યાં હેત વરસે છે..

કરી "કેદાર" પર કરુણા, ખબર લ્યો ખલક ના સ્વામી
જગત માં જન્મ ધરવા ને, બીજે ક્યાં ભૂમિ ભારત છે....


ભાવાર્થ- હે નાથ, જ્યારે જ્યારે ભારત પર કોઈ સમસ્યા આવી છે ત્યારે ત્યારે તું દોડીને આવી ગયો છે, પણ આજે તો આખા જગત પર ભય ફેલાયો છે, છતાં કેમ ધ્યાન આપતો નથી? શું કોઈ ફંદામાં તો નથી ફસાયો ને ?   
       
આજે આ કોરોના રૂપી રાક્ષસે આખા જગત પર ભરડો લીધો છે, વર્ષા જે ધરતીને નવ જીવન આપે છે, પણ આજે અતિ વર્ષાએ માજા મૂકી છે, ધરતીકંપ અને આકાશી વીજળીના પ્રકોપ થી લોકો ત્રાહિ મામ્ પોકારી ઊઠ્યા છે.
        
હે કેશવ ગોકુળ ના લોકો ને ઇંદ્ર ના કોપ થી બચાવવા માટે તેં ગોવર્ધન ને ઉઠાવી લીધો, આજે તો તારે ફક્ત અમી દૃષ્ટિ કરવાની છે, કોઈ પહાડ તો ઊંચકવાનો નથી! માટે દયા કર.

હે નાથ તેં ગીતામાં વચન આપ્યું છે કે "યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિઃ ભવતિ ભારત..." જ્યારે જ્યારે ભારત પર કોઈ સંકટ આવશે ત્યારે હું જન્મ લઈશ, આજે બહાર ના દુશ્મનો તો છે, પણ ભીતરમાં શ્વેત વસ્ત્રોમાં અશ્વેત મન ના માનવીઓ મારા દેશ ને ભરખી રહ્યા છે... 

આજે નરસી મહેતા જેવા સંતો, યોગીઓ, ધર્મ ધુરંધર વીર યોદ્ધાઓ જે ધર્મ સાંચવવા ખપી ગયા. મા યશોદા, દેવકી કે કૌશલ્યા જેવી માતાઓ ની ગોદ ક્યાં હશે? જે ભગવાન ને અવતાર ધારણ કરવા માટે મજબૂર કરી શકે.       

હે ઈશ્વર મારા પર દયા કરીને મારી માતૃભૂમિ ની પણ ખબર રાખતા રહો, અને આ એકજ ભારત ની ભૂમી છે, જેના પર આપને જન્મ ધરવા ની લાલસા કાયમ રહે છે, માટે હે દયાળુ દયા કરીને અમોને આપના ભજન કરવાની મતી અને આપના તરફ મન લગાવવાની ગતિ આપો એજ અભ્યર્થના.

રચયિતા- 
કેદારસિંહજી. મે જાડેજા
ગાંધીધામ- કચ્છ
૯૪૨૬૧૪૦૩૬૫
ફોટો-ગુગલ ના સહયોગ થી.


મારી પ્રાર્થના

 


                        મારી પ્રાર્થના

ઢાળ= હરિજન આવો હરી ગુણ ગવાય છે....જેવો

સાંભળો સરકાર મારું મનડું મુઝાય છે,  
                              વરસાવો વહાલ વાલા, અંતર ગભરાય છે...
લખ ચોરાસી ના ફેરા ફરીને, મળે મનુજ તન માંડ કરીને
                    બચપણ યુવાની માં અવળે અથડાય છે..  વરસાવો...૧
 
કરવા કમાણી વીતે વર્ષો જીવન ના, રહેવું વહેવારે એતો બંધન જગતના  
                    મળે અવકાશ ત્યાંતો વેળા વીતી જાય છે......વરસાવો...૨

ચોપડે તમારે જ્યારે લેખા લેવાય છે, પાપ ને પુણ્ય શાને સરખાં મૂલવાય છે
                        ભક્તિ તમારી જ્યારે અમૂલખ ગણાય છે......વરસાવો...૩
 
  સમદર્શી છો તોય આવો અન્યાય કાં!, પાપીને પ્રભુતા મળે ભક્તોને ભીડ કાં?
                              કાજી તમારો તોય ન્યાયી ગણાય છે....વરસાવો...૪

આવે કોઈ આતમા આશરે તમારે, કરવી પડે ન કોઈ પ્રાર્થના અમારે 
                                           મળશે "કેદાર" ન્યાય ધરપત ધરાય છે...૫ 
 

ભાવાર્થ- હે ઈશ્વર, મારું મન ખૂબ મુઝાય છે, આપ આપનો પ્રેમ મારા પર વરસાવો.

૧, ચોરાસી લાખ યોની માં જીવ ભટક્યા પછી માનવ શરીર પામે છે, જે ઈશ્વરને પામવા માટેનો ઉત્તમ અને આખરી ઉપાય છે. કારણ કે માનવ વિચારી શકે છે, પ્રાર્થી શકે છે, તેથી પામી શકે છે.

૨, માનવ જન્મ મળ્યા પછી જીવન ના અમૂલ્ય વર્ષો અર્થોપાર્જન અને દુન્યવી વહેવાર માં વીતી જાય છે, જ્યાં નિવૃત્ત થવાનો સમય આવે ત્યાં શરીર સાથ આપવા જેવું રહેતું નથી. તેથી હરી ભજન કરવા સામર્થ્ય રહેતું નથી.

૩, હે પ્રભુ, જ્યારે આત્મા પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને આપના ધામ માં આવે છે ત્યારે ચિત્રગુપ્ત ના ચોપડે પાપ અને પુણ્ય નો હિસાબ થાય છે. પણ એમાં પાપ અને પુણ્યનું મૂલ્ય એક સરખું લેખવામાં આવે છે, (જેમ કે એક કીલો સામે એક કીલો.) જ્યારે આપની ભક્તિનું મૂલ્ય અમૂલ્ય ગણવામાં આવે છે, તો પુણ્યનું પલ્લું ભારે રહેવું જોઇએ.

૪, આપતો સમદર્શી છો, પણ ઘણીવાર પાપી લોકો સુખ ભોગવતા હોય છે, અને ભક્તો ને અનેક પ્રકારના કષ્ટો નો સામનો કરવો પડે છે, તો પછી ચિત્રગુપ્તના ચોપડે જે લેખા જોખા લેવાય છે તેના પર સામાન્ય જન ને શંકા ઉત્પન્ન થાય છે.

૫, જ્યારે જીવ આ શરીર છોડીને તારા શરણે આવે ત્યારે તેના પાપ પુણ્યનો હિસાબ એવી રીતે થાય કે અમારે કોઈ પ્રાર્થના ન કરવી પડે, અને આ જીવે કરેલા પુણ્યો નું/ પ્રાર્થના નું કે ભજન નું પલ્લું હંમેશા ભારે રહે, એજ અભ્યર્થના.  
રચયિતા-
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ
૯૪૨૬૧૪૦૩૬૫