Tuesday, March 10, 2026

૧૬૬,  મન મોહન માધવ

ઢાળ:-બ્રહ્મ લીન નારાયણ બાપુએ ગાયેલું ભજન "જબ ચાહ હમારે દિલમેં હે.." જેવો

મન મોહન માધવ બનવારી, બંસી બજાવત હે પ્યારી
જલચર સ્થલચર નભચર મન લોભા, ગોપ ગોપીયન ખોઈ સૂધ સારી....

બ્રિન્દાબનમેં બાંકે બિહારી, મોર મુકુટ કો શિર ધરી
ગલ બૈજન્તી માલા શોભતહે, નયનોમેં સ્નેહ ભંડાર ભરી
અધર કમલ પર મુરલી મનોહર, સુર બહે મંગલકારી......

કમલ નયન કાન્હા આનંદ સાગર, પીતાંબર અંગ અતિ ભાવન હે
સાંવરી સૂરત પર તિલક સજાયો, મંદ મંદ મુસ્કુરાવત હે 
બાજૂબંધ કમર કંદોરા, કાન કુંડલ શોભા ભારી........

અકાસુર બકાસુર હન્તા, પુતના કા ભી સંહાર કિયા
મથુરા નગરકો મોહ લગાયો, કુબજાકા રૂપ શૃંગાર કિયા
મામા કંસકો મુષ્ટિકા મારી,   માત પિતાકે કષ્ટ હારી......

"કેદાર" કન્હૈયા દાસ તુમ્હારો, ભજન ગાતે બીતે જન્મારો
માયા જગતકી મનમે રહે ના, મિટ જાયે સબ જંજારો
અંત સમય હરિ નામ રહે મુખ, નયનો નિરખે છબ પ્યારી...

Sunday, March 8, 2026

૧૬૫, એક આધાર ભજન

૧૬૫, એક આધાર ભજન 
૧૨.૧૨.૨૫.
ઢાળ-નારાયણ બાપુએ ગાયેલું ભજન "હૃદય માં વસ્તુ છે અણમોલી" જેવો.

સુખ આવે જો રામ ભજનમાં, સમજો બેડો પાર, 
                         જીવનનો એક ભજન આધાર....

અંતર મનથી આરાધ કરો હરી, મનમાં મોહન સાકાર
હૃદય કમલ કમલાકર બિરાજે, રોમે રોમ સરકાર....

સુર તાલનો સંગ કરોતો, આનંદ આપે અપાર
સમજ શબ્દોની, લગની લાલની, બ્રહ્મથી એકાકાર...

સાચા મનથી સ્મરણ કરો ત્યારે, ફૂટે ભાવ ફૌવાર
દીન દયાળનું ધ્યાન લાગે તો, વહે અશ્રુની ધાર...

"કેદાર" કરૂણાનિધિ કરુણા કરીને, ખોલે હદયના દ્વાર
હર પલ હરિવર યાદ રાખે પછી,  અળગો કદી ના કરનાર... 

ભાવાર્થ:- સંગીત એક ઈશ્વરનીએવી બક્ષિસ છે કે જીવ માત્રને કે ઝાડ-પાનને પણ આનંદ આપે છે, પણ જો એમાં ભક્તિ ભળે તો એ ભજન બનીને ભવસાગર પાર કરાવી શકે છે, પણ ભક્તિનો દેખાવ નહીં ભાવ હોવો જરૂરી છે. સાથે શબ્દોની સમજ અને સંગીત-તાલ હોય તો વધારે આનંદ આપે, પણ જો અંતરમાં ભક્તિનો ઉમળકો ઊઠે તો આંખમાં ગંગા-યમુના વહેવા લાગે છે, અને આ પરાકાષ્ઠા છે જે ભક્તની ભક્તિનું ઊંડાણ બતાવે છે. સાચા મનથી જ્યારે ભજન થાય ત્યારે હ્રદયમાં ભક્તિના ફુવારા છૂટે અને આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગે, અને ત્યારે કરૂણાનિધિ પોતાના હ્દયમાં આવા ભક્તોને સ્થાન આપે છે, કદી ભૂલતો નથી, માટે ભાવથી ભજન કરો.
જય નારાયણ. 


 

૧૬૪, કાયા પર કઠણાઈ

૧૬૪, કાયા પર કઠણાઈ

આવી હવે કાયા પર કઠણાઈ જી
કાયા પર કઠણાઈ, એનું ઓસડ મળે નહીં કાંય.. આવી કેવી....

આવ્યો બુઢાપો ભાગી જવાની-હવે-કમર કેવી બેવડાય
કંપે કાયા, છૂટે ન માયા, એનો કરવો શું મારે ઉપાય.... 

ફૂલ ગુલાબી ગાલે લાલી, ચહેરા પર ચમકાર
દાડમ કળીસા દાંત મુખમાં, એકે રહ્યા નહીં માંય..... 

હીરો જેવા જુલ્ફાં શિર પર, રાજકુમાર સી ચાલ
ગણ્યા ગાઠ્યા વાળ વધ્યા છે, રક્ત રહ્યું નહીં કાંય...

તેજ વિહોણી આંખો આજે, એનક એક આધાર
જીભલડી હવે ફગ ફગ થાતી, લવો વળે ના જરાય... 

માટે-ભજન કરીલે રામ રટીલે, આ તો ક્રમ કુદરતનો કહેવાય
"કેદાર" કાલે જાશે જુવાની, પછી પાછું કેમે ના વળાય...


 

૧૬૩, કાનુડાની કળા

૧૬૩, કાનુડાની કળા
૧૦.૧૨.૨૫
કાનુડાની કળા અનેરી રે, એ તો કોઈને સમજમાં ન આવ્યું
કાકા-બાપાના ચડ્યા ધીંગાણે, ઘરમાં ઘમસાણ મચાવ્યું...

અંધ રાજાનું કાંઈ ન ચાલે, ઓલા પુત્રોએ પોત પ્રકાશ્યું,
દેવકી નંદન ઘણું સમજાવે પણ, કૌરવે કોઠું ન આપ્યું....

દુર્યોધનની કેવી અવળાયું, માન માધવનું ન રાખ્યું 
સોઈના નાકામાં સમાય એટલી, ભૂમી ન આપું જણાવ્યું...
 
કુરુક્ષેત્રમાં કૌરવ પાંડવ, યુદ્ધ અનિવાર્ય જણાયું
અર્જુનને જ્યારે ભ્રમમાં ભાળ્યો ત્યારે, ગીતા જ્ઞાન ભણાવ્યું...

સુદર્શન ચક્રની આણ ફરે પણ, યાદવ કુળ રોળાયું
"કેદાર" કનૈયો કહે કર્મ બંધનમાં, આખું જગત અટવાયું.....  

ભાવાર્થ:-ભગવાન શ્રી રામ એટલે મર્યાદા પુરુષોત્તમ, જ્યારે શ્રી કૃષ્ણ? નટખટ નંદન ૧૬, કળાના, જગ ભલાઈ માટે ગમે તેવા કાવા-દાવા કરે, પણ જ્યારે કૌરવ-પાંડવો વચ્ચે યુદ્ધના ભણકારા વાગવા લાગ્યા ત્યારે સમાધાન કરાવવા માટે અનેક ઉપાયો કરવા છતાં દુર્યોધન માન્યો નહીં, છેલ્લા ઉપાય તરીકે ફક્ત પાંચ ગામ આપવાની ભગવાને માગણી કરી ત્યારે દુર્યોધને સાફ સાફ કહ્યું કે "પાંચ ગામ તો શું સોયના નાકામાંથી પસાર થઈ શકે એટલી પણ જમીન નહીં આપું". જેની "ભૃકુટી વિલાય સૃષ્ટિ લય હોઈ" જરા ભ્રમર વાંકી થાય તો જગત નાસ પામે, સુદર્શન ચક્ર જરા પણ હલન-ચલન કરે તો વિશ્વમાં ખળભળાટ મચી જાય, એવા જગદ્ગુરુ જગદીશનું યાદવ કુળ લગભગ નાસ પામ્યું. આ બધું શું છે? ઈશ્વર બતાવે છે કે જ્યારે હું માનવ અવતાર ધારણ કરું છું ત્યારે મારે પણ કરેલા કર્મના ફળ ભોગવવા પડે છે, માટે જીવ માત્રને સમજદારી પૂર્વક જીવન જીવવું જોઈએં અને પ્રભુ ભજન કરવું જોઈએં.  
જય શ્રી કૃષ્ણ.


 

૧૬૨, મારી લાડલી

૧૬૨, મારી લાડલી    
૭.૧૨.૨૫.
જ્યારે શરણાઈના સુર સંભળાય, ત્યારે તને યાદ કરું
ઓલા ઢોલ કેરાં ધબકારા થાય, ત્યારે તને યાદ કરું

ગળે વળગીને જ્યારે "ગોટો પોટો" નાચતો, આંગણીયે મારે જ્યારે રંગ ભરી રાચતો
હૈયું મારું હરખે ઘેરાય, ત્યારે તને યાદ કરું
 
ઝીણી ઝીણી ઝાલર વાગે લડ્ડુ ગોપાલની, પ્યારી પ્યારી આરતી ગુંજે પ્યારા "પેંડા"ની
મારી ઢીંગલીની યાદ ઊભરાય, ત્યારે તને યાદ કરું

બન્ને કુટુંબની બેટા મર્યાદા રાખજે, દાંપત્ય જીવનનો અમીરસ ચાખજે
જગમાં વાહ-વાહી તારી થાય, ત્યારે તને યાદ કરું
 
આશિસ કરોડો આ દાદા "કેદાર"ની, સઘળા પરીવાર વહે સરિતા સંતોષની
મારી લાડલીના ગુણલા ગવાય, ત્યારે તને યાદ કરું


 

૧૬૧, સમય પાક્યો જવાનો છે

૧૬૧, સમય પાક્યો જવાનો છે.
૯.૧૨.૨૫.
બની મહેમાન હું આવ્યો, સુખદ સહવાસ માણ્યો છે
અલવિદા આપથી કરવી, સમય પાક્યો જવાનો છે...

માં-બાપ કે પરિવારના, હશે અરમાન બહુ મોટા
પાછળથી સત્ય સૌ કહેશે, અનુભવ એ થવાનો છે...

જીવન પથ પર બહુ દોડ્યો, માર્ગ ભટકીને પણ ભાગ્યો 
સફર કેવી રહી મારી, વિઝિટ બુકમાં લખાયું છે...

કીધી છે ભૂલ પણ ભારી, કર્યો બકવાસ પણ બહોળો
કદીક મદમાં છકી જઈને, ઘણો અપરાધ કીધો છે....

ચોપડે ચિત્રગુપ્ત કેરા, હિસાબો કર્મના થાશે
અરજ બસ આપ પાસે તો, ક્ષમા કબુલાત લેવી છે...

ઘણાંએ સાથ દીધો છે, તો કોઈએ ત્રાસ પણ આપ્યો
હતા બહુ દોષ મારામાં, છતાં વિશ્વાસ કીધો છે...

કદી’ક જાણે અજાણે પણ, "કેદાર"ને યાદ તો કરજો
આપીને "દીન વાણી" મેં, હરિનો માર્ગ ચીંધ્યો છે...

ભાવાર્થ:- આ સંસારમાં હું મહેમાન બનીને આવ્યો, આપ બધા સાથે ખૂબ આનંદ માણ્યો, ૮૧, વર્ષ જીવન પથ પર મુસાફરી કરી છે, હવે સફર પુરી થવા આવી હોય એવું લાગે છે. અને ટિકિટ બધાની રિટર્ન જ હોય છે પણ ક્યારે કોની ટિકિટ કન્ફૉર્મ થઈ જશે એ કંઈ નક્કી ન કહેવાય, અને કન્ફૉર્મ થયા પછી રદ થતી નથી માટે પહેલાંથી સામાન પેક કરી લેવો સારો. કોઈ સ્થાન સારું લાગે તો કંઈ રોકાઈ થોડું રહેવાય? પાછું મુકામે પહોંચવું જ પડે છે. આ જીંદગીની સફર કેવી રહી, કેવા કર્મો કર્યા એ બધું તો ચિત્રગુપ્તના ચોપડે (વિઝિટ બુકમાં) લખાયું જ હશે, હિસાબ ત્યાં થશે, પણ મેં કરેલા કર્મો હું સાવ ભૂલ્યો નથી, પણ હવે આમાં Computerની જેમ "Undo" આવતું નથી.
  જ્યારે મારો જન્મ થયો હશે ત્યારે માં-બાપ કે અન્યને મારામાં ખૂબ આશા હશે, પણ એમાં હું કેટલો ખરો ઊતર્યો હોઈશ એ સત્ય તો પછી સૌ કહેશે. મેં અનેક ખોટા કાર્યો-પાપ કર્યા, અવગુણો પોસ્યા છે, પણ મારી કરેલી ભૂલોની દિલથી માફી વિદાય લેતાં પહેલાં લેવી છે, મને ખબર છે, આપવા જેવી હશે તો આપશો બાકીની સજા મળવાની જ છે. 
      મેં મારી સમજ મુજબ "દીન વાણી" નામક ભજનાવલી આપીને ભજન-ભક્તિરસ પીરસવાની કોસીશ કરી છે, એને માણીને ક્યારેક યાદ કરશો ને? અને બને એટલી ભાવિક ભક્તો સુધી પહોંચાડતા રહેજો.
જય માતાજી.



 

૧૬૦, ભવ સાગરની વાટે.

૧૬૦, ભવ સાગરની વાટે.
તા.૨૫.૧૦.૨૫.
ઢાળ:-નગરી નગરી દ્વારે દ્વારે..ફિલ્મી ગીત જેવો.

રાધા માધવ ભજતાં ભજતાં, ભવ સાગર તરી જાવું છે
મનમાં આશા એકજ મોહન, ગોવિંદ ગોવિંદ ગાવું છે....

મહેર કરી માધવ તેં મુજ પર, દેહ માનવનો આપ્યો છે,
માત પિતા કુળ મોટપ આપી, સમજણ પણ થોડી આપી છે
આપ્યું અધિક છે પ્રભુ મુજને પણ, ગજું ગોવિંદ ક્યાં મારું છે...

અરુણોદય સમે અંતર મનથી, અવિનાશીને યાદ કરું
આંખ ખૂલે ત્યાં રટણા રામની, મૂરતી મોહનની મનમાં ધરું
ભૂમી ભારતને ભાર ન લાગે, કરમો એવા કરવા છે..... 

સંતજનોની સેવા કરવી, ભક્તિ રસમાં નહાવું છે
કથા કીર્તન ધુન કાન ધરીને, પાવન થોડું થાવું છે
દીન-દુખિયાના દર્દને જાણી, સાચા સહાયક બનવું છે...

એક ઉપકાર પ્રભુ એટલો કરજે, અંત ઘડીને બગાડીશ ના
બોજ બનું નહીં ભૂધર ભૂલું નહીં, નારાયણને વિસારું ના
"કેદાર" કરુણાનિધિ કરુણા કરજો, ભવે ભવ ભક્તિ કરવી છે...

ભાવાર્થ:-  હે ઈશ્વર, આપે મને ભક્તિ સભર માતા-પિતાને ત્યાં સારા કુળમાં થોડી સમજણ સાથે માનવ તરીકે જન્મ આપ્યો છે, જે કદાચ મારા કર્મોથી પણ વધારે હોય, તો એક ઉપકાર પ્રભુ કરજે કે હું એવું કોઈ કામ ન કરું કે મારી જન્મ ભૂમી માટે શરમ જનક હોય. તારું ભજન ક્યારેય ભૂલું નહીં. મારી દિનચર્યા તારા ભજન-મનન અને દર્શનથી શરુ થાય, સાચા સંતોની સેવા કરવાનો લહાવો મળે, દિન-દુખિયાને કામ આવું એવું જીવન હો અને જ્યારે મારો અંત સમય આવે ત્યારે મારા મુખમાં સદા તારું ભજન હોય, કોઈને કષ્ટ ન આપું અને આવતા જન્મમાં પાછો તારો ભક્ત બનું એટલી મારી અરજી સ્વીકારી લેજે એજ અભ્યર્થના છે.