૧૬૫, એક આધાર ભજન
૧૨.૧૨.૨૫.
ઢાળ-નારાયણ બાપુએ ગાયેલું ભજન "હૃદય માં વસ્તુ છે અણમોલી" જેવો.
સુખ આવે જો રામ ભજનમાં, સમજો બેડો પાર,
જીવનનો એક ભજન આધાર....
અંતર મનથી આરાધ કરો હરી, મનમાં મોહન સાકાર
હૃદય કમલ કમલાકર બિરાજે, રોમે રોમ સરકાર....
સુર તાલનો સંગ કરોતો, આનંદ આપે અપાર
સમજ શબ્દોની, લગની લાલની, બ્રહ્મથી એકાકાર...
સાચા મનથી સ્મરણ કરો ત્યારે, ફૂટે ભાવ ફૌવાર
દીન દયાળનું ધ્યાન લાગે તો, વહે અશ્રુની ધાર...
"કેદાર" કરૂણાનિધિ કરુણા કરીને, ખોલે હદયના દ્વાર
હર પલ હરિવર યાદ રાખે પછી, અળગો કદી ના કરનાર...
ભાવાર્થ:- સંગીત એક ઈશ્વરનીએવી બક્ષિસ છે કે જીવ માત્રને કે ઝાડ-પાનને પણ આનંદ આપે છે, પણ જો એમાં ભક્તિ ભળે તો એ ભજન બનીને ભવસાગર પાર કરાવી શકે છે, પણ ભક્તિનો દેખાવ નહીં ભાવ હોવો જરૂરી છે. સાથે શબ્દોની સમજ અને સંગીત-તાલ હોય તો વધારે આનંદ આપે, પણ જો અંતરમાં ભક્તિનો ઉમળકો ઊઠે તો આંખમાં ગંગા-યમુના વહેવા લાગે છે, અને આ પરાકાષ્ઠા છે જે ભક્તની ભક્તિનું ઊંડાણ બતાવે છે. સાચા મનથી જ્યારે ભજન થાય ત્યારે હ્રદયમાં ભક્તિના ફુવારા છૂટે અને આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગે, અને ત્યારે કરૂણાનિધિ પોતાના હ્દયમાં આવા ભક્તોને સ્થાન આપે છે, કદી ભૂલતો નથી, માટે ભાવથી ભજન કરો.
જય નારાયણ.