Wednesday, December 8, 2021

રહેજો સદા હૃદય માં


                                                      રહેજો સદા હૃદય માં

૨૧.૯.૨૧

ઢાળ:-જીવનનાં સુર ચાલે, છે એક તાર દિલમાં-બ્રહ્મ લીન નારાયણ બાપુએ ગાયું છે એવો..


માંગું હરિ હું એવું, રહેજો સદા હૃદય માં, ભૂલો કરું ભલેને, આણો ન દોષ ઉર માં...


કેવી બનાવી દુનિયા, તારી માયા બધે ફેલાણી,  જકડાઈ જાતો જીવડો, ફોગટ આ તારા ફંદમાં...


મન લાગે નહીં મોહન માં, ચીતડું ચકરાવે ચડતું, ભક્તિ ન ભાવે ભૂધરા, ભટકું સદાએ ભ્રમ માં...


ધન દોલત દિલ ને ભાવે, મળે ભાવે કે કુભાવે, સંઘરું સદા સંદૂકમાં, દમડી ના બાંટું દીન(ગરીબ) માં... 


ચીતડું સદાએ મારું, માયા ના ઘોડે ચડતું, મને આપો લગામ એવી, રાઘવ રહે હૃદય માં


કેશવ "કેદાર" તારો, ભવ રણ માં રહે ભટકતો. હવે એવા વિચાર આપો, હર પલ રહું ભજન માં..


ભાવાર્થ:- હે ઈશ્વર હું તારી પાસે બસ એકજ માંગ કરુ છું કે તું સદા મારા હૃદય માં વાસ કરજે, અને હું કોઈ ભૂલ કરું તો એ તારી હાજરીમાં કરુ છું માટે મને કોઈ દોષ ન દેજે. હે ઈશ્વર તેં એવી માયાવી દુનિયા બનાવી છે કે જાણે અજાણે પણ હું એમાં ફસાઈ જાવ છું, મારું મન તારા ભજનમાં લાગતું નથી, તારી માયાના ચકરાવામાં હું ભ્રમિત થઈ ને ભમતો રહુ છું. મારું મન ધન દોલત પાછળ એવું દોડે છે કે તેને કોઈ પણ ભોગે પ્રાપ્ત કરવા મથતો રહુ છું અને સંગ્રહ કરતો રહુ છું, એમાં થી એક પણ પાઈ ગરીબ કે જરૂરત મંદ લોકો માટે વાપરતો નથી. તારા માયા રુપી અશ્વ પર સવાર થઈને ભાન ભૂલી જવાય છે, પણ મને એવી લગામ આપો કે હું એ અશ્વને કાબુમાં રાખી શકું અને આપ મારા મન મંદિરમાં બિરાજમાન રહો.

   હે નાથ હું તો તારો દાસ છું છતાં તારી માયામાં લપેટાતો રહું છું, પણ હવે મને એવા વિચારો આપો કે હું સદા તારા ભજન માં રાચતો રહું.  


રચયિતા-

કેદારસિંહજી મે. જાડેજા

ગાંધીધામ

૯૪૨૬૧૪૦૩૬૫

ફોટો-ગુગલ ના સહયોગ થી


No comments:

Post a Comment