Wednesday, April 24, 2024

૧૪૬, હું શાણો નથી

              હું શાણો નથી
તા. ૧૦.૪.૨૪.
ઢાળ-નારાયણ બાપુએ ગાયેલું ભજન "શું પુછો છો મુજને કે હું શું કરૂં છું. જેવો

સાખીઓ;-ભજન કરો તો ભાવથી, મનમાં રાખી રામ. અંતર થી અરજી કરો, સાંભળશે ઘનશ્યામ.
         મુખ પધરાવો રામને, મનમાં મોહન હોય. રાગ દ્વેષ અળગાં કરો, અવર ભજન નહીં કોય  

ગોવિંદનું ગાન ગાવા યત્નો કરૂં છું 
                         સમજો નહીં કે બહુ શાણો થઈ ફરું છું....

વદું હું તો વાણી, હરિ હરને ભજવા, કર્મો કર્યા નથી ભવ સાગરને તરવા
કાંઠે બેસીને છબછબિયાં કરૂં છું, સમજો નહીં કે બહુ શાણો થઈ ફરું છું....

કહે કોઈ મુજને કે બોલ્યા કરૂં છું, સારા નરસાનું જ્ઞાન આપ્યા કરૂં છું
સંતોની વાણી હું તો કહેતો ફરું છું, સમજો નહીં કે બહુ શાણો થઈ ફરું છું....

ગજું શું છે મારું કે સમજ આપું કોઈને, દુર્ગુણો દેખાડું પ્રભુ તને રોઈ રોઈને
મન ના સૌ મેલ ધોવા યત્નો કરૂં છું, સમજો નહીં કે બહુ શાણો થઈ ફરું છું....

ભવરણે ભુલ્યાને થોડી આશ હું જતાવું, ઘણું ભટક્યો છું કોઈને રાહ જો બતાવું  
મૃગજલનો મર્મ હું તો કહેતો ફરૂં છું, સમજો નહીં કે બહુ શાણો થઈ ફરું છું....

દીન "કેદાર" પ્રભુ દાસ તમારો, અવગણી અપરાધ હરિ હાથ જાલો મારો
કર બદ્ધ કરુણા સાગર પ્રાર્થના કરૂં છું, સમજો નહીં કે બહુ શાણો થઈ ફરું છું....


 

No comments:

Post a Comment