Thursday, October 18, 2018

હૃદય મારું ખંખોળી જો


                                  હૃદય મારું ખંખોળી જો

             
સાખીઓ-  કંઠમાં કૃષ્ણ ભક્તિ હો, અધર પર નામ અંબાનું,  
                                હૃદય માં રામ ની માળા, સદાએ સ્મરણ શંકરનું
            વિચારો માં સદા વિઠ્ઠલ, લોચનિયા લાલ ને નિરખે, 
                               ખયાલે ખલક નો ભરતા, ભજન ગાતાં હૈયું હરખે   

સકળ સંસાર રચનારા,    ભૂધર મુજ ભાળ તો લઈ જો
અંતર ઊંડાણમાં જઈને,       હૃદય મારું ખંખોળી જો.....

માનવનો જન્મ આપીને,     છે આપ્યું રંગ મંચ મુજને
કરું શુભ કાર્ય હું મારું, પ્રભૂતું        પાત્ર બતાવી જો..

કરું કોઇ કર્મ કાળા તો,      ટપારો ટાપલી મારી

બનીને રાહબર મારા,   ભરોસો તું કરી તો જો...
રહે તુજ ગાન ખુમારી,      પ્રભુ તું, આવીને પરખી જો...

કદીક કરુણા કરી કેશવ,         કહે જો માંગવા મુજને, 
અહર્નિશ આપના દર્શન,     અનુભવ તો કરીને જો...

અગર અવકાશ કાઢીને,     તું સમણામાં તો આવી જો,  
કરું બંધ દ્વાર નયનો ના,     કરી છળ ત્યાંથી છટકી જો..... 

કરી "કેદાર" પર કરુણા,       વસે જો મન મંદિર મારે,
ભુલાવું વાસ વૈકુંઠનો,            ભરોસો એ કરીતો જો....

ભાવાર્થ- હે ઈશ્વર, તેં આ સકળ સંસારની રચના કરી છે, એમાંનો એક હું પણ છું, ક્યારેક સમય કાઢીને મારા પર ધ્યાન તો દે! ક્યારેક મારા મન ની વાત પણ જાણી લે, 
        હે ઈશ્વર, મારી પાંસે કોઈ ધન ના ભંડાર નથી, કે કોઈ અન્ય મોટી સંપતી પણ નથી,  મને તો બસ અહર્નિશ તારા ભજન ગાવાની ખુમારી છે. કદાચ તને મારા પર પ્રેમ આવે અને તું જો મને માંગવાનું કહે, ને વચન આપે, તો હું તો બસ તારા દર્શનનો અભિલાષી છું, એક વાર મારી માંગણીનો અનુભવ તો કરી જો ! બસ મને તારા દર્શન થતા રહે, ભલે તે બંધ આંખે થતા હોય, અને જો એવું વચન ન આપી શકે તો એકવાર મારા સપનામાંતો આવી જા! અને પછી જો કે મારી આંખોમાં તને એવો કેદ કરી રાખું કે ત્યાંથી તું છટકીજ ના શકે. 
       હે ઈશ્વર, જો તું દયા કરે અને કદાચ મારા હૃદયમાં આવીને વસે તો હું તને ખાત્રી આપું છું કે તારા એવા લાલન પાલન કરું કે તને ફરી વૈકુંઠ જવાનું યાદજ ન આવે. 
જય દ્વારિકેશ.  

Monday, July 30, 2018

071, જલારામ બાપા


                         જલારામ બાપા
સાખીઓ-સંત સેવક કે ભક્ત જન, ચોથા અન્ન દાતાર
         હરિ હૈયે અવિરત વસે, નજર હટે ના લગાર...
         અન્નદાની વીરપુર વસે, એની ફોરમ જગ ફેલાય
         હૈયે હરખની હેલી ચડે, જ્યાં નામ જલાનું લેવાય.
                      
વીરપુર વાસી હરિગુણ પ્યાસી, ડંકો વગાડ્યો પૂરા દેશમાં 
દાતા તમે આવ્યા જલાના વેશ માં....

માતા રાજબાઇ ખોળે જન્મ ધર્યોને, પિતા પ્રધાન પરખાણા
વીરબાઇ સરીખી મળી અર્ધાંગના. ભક્તિ તરબોળ દરશાણા 
સાધુ સંતોની સેવા કરતાં, અંતર ઉમંગ આવેશમાં.. 

અંગે અંગરખું હાથમાં બેરખો, ગાલે લાખું લાખેણું
ગળે રુદ્રાક્ષની માળા ઓપતી, શોભા તારી શું વખાણું
હાથમાં લાકડી માથે પાઘડી, ઓલિયો લાગે છે કેવો ખેસમાં. 

લાલા ભગત જેવા સખા તમારા, દરણા સૌ સાથમાં દળતાં
ભેળા મળી સંતો ભજનો લલકારે, આરાધ ઈશનો કરતાં
ગંગા ને યમુના સરીખી સરિતા, આવે પનિહારી વેશમાં...

પ્રભુ એ આવીને લીધી પરીક્ષા, વિરબાઇ માંગી લીધાં 
લેશ ન માયા ઉરમાં આણી, હરખે વળાવી દીધાં
ઝોળીને ધોકો દઈ છટકયા સીતાપતિ, ચાલ્યા સાધુના પહેરવેશમાં.. 

રામની ભકિત ભાળી પ્રગટ્યા પવનસુત, મૂર્તિ રૂપ મંડાણા
હેતે ભગતને આશિષ આપતાં, પ્રેમ ભાળીને પરખાણા
સદાએ સંતની સાથમાં રહેતા, બેસે કોઈ ભકતના વેશમાં.. 

રામના નામની ધૂણી ધખાવી, ભૂખ્યાને અન્ન જલ આપતાં
દીન દુખિયાની કરતા ચાકરી, કષ્ટો ગરીબના કાપતાં 
અવળાં ઉત્પાત કોઈ અંતર ના આણતાં, બોલે ભલેને કોઈ દ્વેષમાં

દેશ વિદેશના ભકતોની ભીડ જામે, સેવા કરવામાં સૌ શૂરા
હેતે હરિજન દર્શન કરતાં, એકે અરમાન ના અધુરા
એક અધેલો ચડે ના ચડાવો, કોઈ પણ દાણ ના પ્રવેશમાં...

દીન "કેદાર" પર દયા દરશાવો, આશિષ અવિરત આપજો
સદા રહે મારે હૃદયે હરજી, એવી મતી મારી રાખજો
હરિગુણ ગાતાં ઊડે પંખેરુ મારું, આવું તારે દ્વારે શુદ્ધ વેશમાં

અધેલો= એક જમાનામાં અધેલા નામનું ચલણ અમલમાં હતું, જે ત્યારના ચલણનું અર્ધ ભાગ જેવું મૂલ્ય દર્શાવતું. જૂનો અરધો પૈસો; દોઢ પાઈની કિંમતનો સિક્કો.

Sunday, June 3, 2018

સંત સમાગમ


                                                              સંત સમાગમ

એક સમય ની વાત છે,
તુલસીદાસજી અને સુરદાસજી બન્ને સમકાલીન, તુલસીદાસજી રામ ના મહા ભક્ત, રામાયણ ના રચયિતા, કહેવાય છે કે ખુદ હનુમાનજી બેસીને રામાયણ લખાવતા હતા. સુરદાસજી કૃષ્ણ ભક્ત, અનેક પદો લખ્યા, તેમણે પણ લીધેલું કે તેઓ અમુક સંખ્યામાં પદો લખશે, પણ તે પહેલાં તેઓનું જીવન પૂર્ણ થતાં તેઓ આ ટેક પુરી ન કરી શક્યા. પણ ભગવાને તેમની ટેક પુરી કરવા પોતે બાકીના પદો લખ્યા અને તેમાં "સુર શ્યામ" નામે પોતાની શાખ પુરી. આજે સુરદાસજીના જે ભજનો ગવાય છે તેમાં નામામાં "સુરદાસ" ઉપરાંત "સુર શ્યામ" નો ઉલ્લેખ જોવા મળે છે, આ સુરશ્યામ એટલે ખુદ કૃષ્ણ ભગવાને લખેલા પદો. 

ઘણી વખત સુરદાસજી અને તુલસીદાસજી એક બીજાને મળતા ત્યારે પોત પોતાના આરાધ્ય દેવના નામે મીઠી નોકઝોંક કરીને આનંદ માણતા, બન્નેને પોત પોતાના ભગવાન ની પૂજા તો સાથેજ હોય, ગમે ત્યાં હોય પણ સમય પર પૂજા પાઠ કરવાનું ચૂકે નહીં.

એક વખતની વાત છે, બન્ને સંતો મળીને પોત પોતાના આરાધ્ય દેવની મૂર્તિઓ સાથે લઈ ને પ્રવાસ કરી રહ્યા હતા, અનેક પ્રકારનો સત સંગ ચાલી રહ્યો હતો, વાતોમાં અને વાતોમાં બન્ને એક જંગલના રસ્તે ચડી ગયા, ધીરે ધીરે જંગલ ગાઢ બનવા લાગ્યું, હવેતો ક્યારેક ક્યારેક જંગલી જાનવરો ના અવાજો પણ આવવા લાગ્યા, પણ તેઓ તો હરિ રસમાં એવા મશગૂલ હતા કે કંઈજ ધ્યાન ન રહ્યું, એવામાં અચાનક માનવીઓનો કોલાહલ સંભળાવા લાગ્યો, કદાચ નજીકમાં કોઈ વસ્તિ હશે, એમ માની બન્ને આગળ વધતા રહ્યા. થોડી વારમાં અવાજો સ્પષ્ટ થવા લાગ્યા કે " આઘા રહેજો એક હાથી ગાંડો થયો છે, આઘા રહેજો, માર્ગમાં હો તો માર્ગ છોડી દેજો." 
તુલસીદાસજી તો જાણે કંઈ બન્યુંજ ન હોય તેમ પોતાની મસ્તીમાં ચાલતા રહ્યા, પણ સુરદાસજીએ પોતાના લાલા (કૃષ્ણ)ને સંભાળ પૂર્વક લઈને દોડતા એક બાજુ જતા રહ્યા. મદ મસ્ત બનેલો હાથી ચિત્કાર કરતો અને વચ્ચે આવતા ઝાડી ઝાંખરાંને રગદોળતો તુલસીદાસજીની બાજુ માંથી પસાર થઈ ગયો. 
સુરદાસજી પોતાના ઇષ્ટને લઈને પાછા તુલસીદાસજી પાસે આવી ગયા અને જાણે મોટી આફત ટળી હોય તેમ તુલસીદાસજી ની ખબર પૂછવા લાગ્યા. તુલસીદાસજીને ખૂબ નવાઈ લાગી, આશ્ચર્ય ચકિત થઈને પૂછવા લાગ્યા કે "આપ તો સંત છો, વળી આપ કહોછો કે મારો લાલો તો હર પળ મારી સાથેજ હોય છે, તો પછી આપ હાથી ના ડરથી આમ ભયભીત બન્યા તે મને સમજાયું નહીં, આપને હાથીનો શો ડર? શું આપનો વિશ્વાસ ડગી ગયો? આપની આ ચેષ્ટા મને સમજાઈ નહીં, કૃપા કરી ને વાસ્તવિકતા બતાવો." ત્યારે સુરદાસજીએ કહ્યું કે " આપના ઇષ્ટ તો ધનુષધારી રામ છે, ખાલી ફણા વગરનું બાણ મારી ને મારીચને ગાઉના ગાઉ સુધી ફગાવી દીધો હતો, પણ મારો ઇષ્ટ તો મારો લાલો છે, બાળક છે, એની રક્ષા તો મારે કરવી પડે, મને મારી ચિંતા ન હતી, પણ મારા લાલાને વગાડી દે તો? એટલે મારે ભાગવું પડ્યું.
આ છે સંતોની લીલા, જે ઈશ્વરને સાક્ષાત્ હાજર સમજીને સેવા કરે છે, જ્યારે આપણે મંદિરોમાં ગોતવા નીકળીએ છીએ, પણ આપણા અંદર રહેલો કે અન્ય જીવમાં રહેલો લાલો શોધી તો નથી શકતા.

કેદારસિંહજી એમ. જાડેજા
ગાંધીધામ. કચ્છ.(ગુજરાત )
મેઈલ:-kedarsinhjim@gmail.com 
બ્લોગ-kedarsinhjim.blogspot.com
ફોન-વોટ્સએપ/મો. નં. ૯૪૨૬૧૪૦૩૬૫/ ૮૧૬૦૬૩૦૪

Thursday, May 10, 2018

અકસ્માત

                                     અકસ્માત

ગુજરાત સરકારે અકસ્માતમાં ઘાયલ થનાર ને સરકાર ૫૦, હજાર રૂપિયા આપશે, સારી વાત છે, પણ સરકારને અકસ્માત થાયજ નહીં એવું કરવાનું કેમ સુજતું નથી?
         હું થોડા કાયદાઓ અહીં જણાવવા માંગુછું, જેનો અમલ સખ્તાઈથી કરવામાં આવે તો આ સમસ્યા મોટા ભાગે હલ થઈ શકે, અને મહામૂલાં માનવ દેહને બચાવી શકીએ. શ્રી ગડકરીજીએ પણ આવા અકસ્માતને નિવારવા માટેના પગલાં કડકાઈ પૂર્વક લેવાનું નક્કી કર્યું છે, પણ અમલ તો નીચેના અમલદારો ને કરાવવાનો હોયછે.
       અકસ્માતમાં મોટા ભાગે ફક્ત અને ફક્ત ચાલકની બેદરકારી/ઝડપ અને નિયમોનું ખુલ્લે આમ ઉલ્લંઘન હોય છે.    
      કોઈ પણ સંજોગોમાં આગલાં વાહનની ડાબી બાજુથી આગળ નીકળી શકાય નહીં,(ઓવરટેક કરાય નહીં) આ નિયમતો જાણે પાલન કરાવનારાઓને પણ વિસરાઇ ગયો છે.
     ટ્રાફિક સિગ્નલની અવગણના, જેની ભયંકરતા અકસ્માત થાય ત્યારેજ સમજાય છે, ફરજ પરના અમલદારોની અપુરતી સંખ્યા, અથવા આંખ આડા કરાતા કાન, આવા નિયમોનું ઉલંઘન કરાવવામાં મહત્વનો ભાગ ભજવે છે, કેમકે જે ચાલક પોતાની લાઈન ખુલ્લિ હોય ત્યારે બીજો કોઈ વિચાર કર્યા વિના આગળ વધતો હોય છે, પણ આ નિયમનું ઉલ્લંઘન કરીને કોઈ આ ચાલકની વચ્ચે આવી જાય ત્યારે અકસ્માત સર્જાય છે, જેને ટ્રાફિક પોલીસ અટકાવી શકે છે, સિગ્નલ તો ફક્ત ચેતવણી આપી શકે, રોકી ન શકે. સી.સી. ટીવી કૅમેરા આ દૂષણને ડામવા માટે ખૂબજ ઉપયોગી થઈ પડેછે, પણ તે મોટા ભાગે બંધ હોય છે, જે ટ્રાફિક પોલિશે ચાલુ કરાવવા કડક કાર્યવાહી કરવી જોઈએં,  અને રોજે રોજ આવા રેકૉર્ડિંગ સત્તાવાળા સમક્ષ રજૂ કરવાની ફરજ પાડવી જોઈએ.
      એક મોટી સમસ્યા ગાડીઓની લાઈટોની છે, રાત્રિના સમયે ફુલ લાઈટ રાખીને ચાલવાથી સામેથી આવતા વાહન ચાલકને આંજીદે છે અને તેથી ક્યારેક અકસ્માત થવાનો સંભવ રહે છે, ગાડીઓની સિગ્નલ લાઈટોની પણ એટલીજ મોટી સમસ્યા છે, તેનો ખરો ઉપયોગજ જાણે ભુલાઈ ગયો છે, આગળ જતું વાહન જમણી બાજુની સિગ્નલ લાઈટો બતાવે ત્યારે તેના બે મતલબ સમજી લેવાય છે, તે કાંતો જમણી બાજુ જવા માગે છે અથવા પાછળ આવતા વાહનને આગળ જવા માટે રસ્તો આપે છે તે સ્પષ્ટ થતું નથી, આમાં ઘણી વખત ખોટો મતલબ સમજીને અકસ્માત થવાનો ભય રહે છે, ખરેખર આ સિગ્નલ શું સૂચવે છે તે બિલકુલ સાફ હોવું જોઈએ.
      સૌથી મોટી અને સર્વ સામાન્ય સમસ્યા છે અકસ્માત કે ટ્રાફિક જામ વખતે થતા બેફામ ધસારાની, મેં હમણાંજ  ટી વી પર વિદેશમાં એક બોગદામાં થએલા અકસ્માતના સમાચાર જોયા, પહેલાંતો વાહનો અટવાઈ ગયા, પરંતુ પાંચજ મીનીટમાં ચાલકો વાહનોમાંથી બહાર આવીને અન્ય વાહનોને એક સાઈડમાં લગાવવા માટે મદદ કરવા લાગ્યા, એક માર્ગી રસ્તો હોવા છતાં બન્ને બાજુ વાહનો એવી રીતે ગોઠવી દેવામાં આવ્યા કે વચ્ચે મદદ માટે આવતું વહન કે એમ્બ્યુલન્સ આરામથી આવી શકે. હવે આપજ વિચારો કે ભારત જેવા દેશમાં જન્મવાનો ગર્વ લેતા આપણે ક્યારેય આવી માનવતા બતાવી છે? બસ મારે ભલે કંઈ કામ ન હોય પણ વહેલાં પહોંચવાની લ્હાયમાં કેટલી માનવ જીંદગી વેડફી નાખીએ છીંએ?
   એક મહત્વની વાત કે અમુક પ્રકારના વાહન ચાલકો પોતાને આ બધા કાયદાથી પર ગણે છે, જાણે તેમને પીળો પરવાનો મળી ગયો હોય અને તેમના માટે જાણે અલગજ નિયમ છે, ગમે ત્યાં વાહન પાર્ક કરવું, ગમે ત્યાં રસ્તાની વચ્ચે ઉભા રહી જવું, ઉદ્ધત વર્તન, અવાજના પ્રદૂષણ માટે કેવા કેવા હંગામા કરેછે, જ્યારે અમુક વાહનોમાં એટલાં જોરથી ગીતો વાગતા હોય છે કેતે વાહનમાં વાગે છે કે કોઈ મોટા સમારંભમાં તે નક્કી કરવું ભારે પડે છે. અવાજ માટે પણ માત્રા નક્કી કરવામાં આવેલ છે, મારા ખ્યાલ મુજબ ૫૫, ડેસીબલની માત્રાથી વધારે અવાજ કરવો ગુનો છે, પણ આ વાહનો અનેક પ્રકારના એર હોર્ન વાપરીને કે બિન જરૂરી સતત હોર્ન વગાડીને પણ ભયંકર પ્રદૂષણ ફેલાવે છે, અને તેને કોઈ રોકતું નથી, દરેક વાહન માં કંપનીએ લગાવેલા સાધનો સિવાય કોઈ અલગ થી કંઈ લગાડવાની મનાઈ હોવી જોઈએં, વિજ્ઞાપનો પણ અકસ્માતમાં મોટો ભાગ ભજવે છે, રીતીક રોશન ને ધૂમ સ્ટાઇલમાં વાહન ચલાવતો જોઈને તેની દેખા દેખી કરતા યુવાનો પોતેતો અકસ્માતના ભોગ બને છે પણ ક્યારેક કોઈ નિર્દોષને પણ તેનો ભોગ બનવું પડે છે. વધારે પડતી ગતિ કોઈ અણ સંજોગોમાં ચલાવી લેવી ન જોઈએં. ચાલતા વાહને ફોન પર વાત કરવી ગુનો છે, કાનમાં ભુંગળીઓ ભરાવીને સંગીત સાંભળવું તે પણ તેનોજ એક પ્રકાર છે. પણ મોટા ભાગે વાત કરનારાતો કરે છે પણ ભુંગળી વાળાની સંખ્યા માપવી અશક્ય છે, હેલમેટ સલામત છે પણ સાથે સાથે તેના થોડા ગેરફાયદા પણ છે, આમાં અવાજ મર્યાદા અને દૃષ્ટિ મર્યાદા પણ સર્જાતી હોઇને ક્યારેક નાના મોટા ગેરફાયદા પણ અનુભવાય છે.
            એક અકસ્માતનો પ્રકાર છે આગળના વાહનની પાછળ ઘૂસી જવું, આવા અકસ્માતમાં મોટા ભાગે પાછળના વાહન ચાલકજ જવાબદાર હોય છે, કારણકે આગળ વાળા વાહનને કોઈ અવરોધ આવે તો તે બ્રેક મારેજ, પણ મોટા ભાગે પાછળનું વાહન યોગ્ય અંતર રાખ્યા વિના એટલી નજદીક હોય કે તેને રોકી ન શકે અને અકસ્માત થાય, આવા સંજોગોમાં આગળના ચાલકને દોષીત ન ગણવો જોઈએં ઊલટું મનેતો લાગે છે કે તેને નુકસાનનું વળતર પાછળ વાળાએ આપવું જોઈએં, હા તેની બ્રેક લાઈટ ચાલુ હોવી જોઈએં. આ ઉપરાંત એક મોટામાં મોટો ગુનો રાત્રિના રોડ પર ગમે ત્યાં વાહન ઊભું રાખવું અને તે પણ પાર્કિંગ લાઈટો ચાલુ રાખ્યા વિના, હેઝાર્ડ લાઈટ કે જે ચાલુ કરતાં સિગ્નલની ચાર લાઈટો ચાલુ થાય છે, તે ખતરો બતાવે છે, રાત્રિના વાહન પાર્ક કરતી વખતે આ લાઈટ ચાલુ કરવાની હોય છે, જેથી આવતા જતા વાહનોને દુરથીજ કોઈ વાહન રસ્તા પર છે તે ખ્યાલ આવે, પણ આ લાઈટ નો ઉપયોગ ભાગ્યેજ કોઇને ખબર હોય છે, એ તો જાણે રોશની માટે હોય તેમ ઘણી વાર વાપરવામાં આવે છે, ક્યારેક તો ગાડીઓમાં પાછળની લાઈટો કાંતો ચાલુ હોતી નથી કે પછી હોતીજ નથી, અને આવા વાહનોને કોઈ ભાગ્યેજ રોકીને યોગ્ય પગલા લેવા ફરજ પાડે છે, આ નાની એવી બેદરકારી ભયંકર અકસ્માત નોતરે છે, અને મહા મૂલી માનવ જીંદગી રગદોળી નાખે છે.
          અકસ્માત થયા પછી ઘણી વખત અન્ય લોકો દ્વારા વાહનોને કે માલ વાહક વાહન હોય તો માલ સામાનને  નુકસાન કરવામાં આવે છે. અકસ્માતની ગંભીરતા જોતાં ઉશ્કેરાટમાં આવું બને તે સ્વાભાવિક છે, પણ કોઈ પણ સંપતી આખરતો રાષ્ટ્રની સંપતી છે, વાહન માલિકને તેનું જે નુકસાન થાય છે તેમ દેશની પણ એ મિલકત નુકસાન પામે છે, માટે ચાલકને યોગ્ય સત્તા દ્વારા સજા થાય તે જરૂરી છે.
                 એક મોટામાં મોટી સમસ્યા છે અકસ્માત સમયે ત્યાંથી પસાર થતા લોકો મદદ કરવા કે પોલીસને જાણ કરતાં અચકાય છે, કારણ કે જો પોલીસ કેસ થાય તો તેમાં તેને પણ સાક્ષી બનવા અને કેસ ચાલે ત્યારે હાજર રહેવું પડે તે બીકે ભાગ્યેજ સામાન્ય લોકો ઇચ્છા હોવા છતાં આ ઝંઝટમાં પડતા નથી. ખરેખર આ એક ગંભીર બાબત છે, માનવતા ખાતર પણ આમાં મદદગાર થવું જોઈએ, જોકે હમણાં કાયદામાં સુધારા કરીને આવા સમયે મદદ કરનાર કે સારવાર આપનાર ચિકિત્સકને કોઈ પૂછ પરછ ન કરવા સૂચવવામાં આવ્યું છે, પણ છતાં હજુ અમુક ભ્રષ્ટ પોલીસોનો ડર માનસમાંથી ભૂસાતો નથી, અને એ વાત પણ એટલીજ સત્ય છે કે ક્યારેક આમાં હેરાન પણ થવાનો વારો આવતો હોય છે, આના માટે પણ કાયદામાં કોઈ એવી જોગવાઈ કરવી જોઈએ કે લોકો જરા પણ અચકાયા વિના મદદગાર બનવા તત્પર બને, અને જો કોઈ હેરાન કરવાની કોશિશ કરે તો તેને સજા થાય, પણ આવું સાબિત કરવું પણ મુશ્કેલ હોય છે.
     સામાન્ય રીતે એક નિયમ બની ગયો છે કે ટ્રક સાથે કોઈ પણ નાનું વાહન ટકરાય તો કંઈ પણ જોયા વિના દોષી ટ્રક ચાલક નેજ માનવામાં આવે છે, એજ રીતે કોઈ પણ અકસ્માતમાં મોટા વાહનનેજ દોષી ગણવામાં આવે તે યોગ્ય છે? શું નાના વાહન વાળો ભૂલ કરેજ નહીં ? 
આજે મોટાભાગે ૪, લાઈન કે ૬, લાઈન રોડ બનાવવામાં આવે છે, પણ ચાલકોને તેમાં કયું વાહન ક્યાં ચલાવવું તે જાણે ખબરજ નથી, મારી જાણ મુજબ હંમેશા ઓછી ગતિ વાળું વહન જેમ કે માલ વાહક રિક્ષા, ટ્રેક્ટર અથવા હાઈડ્રાને નામે ઓળખાતી ક્રેન કે જે મોટા ભાગે જમણી બાજુજ ચાલતી હોય છે, લાઈનોને ડાબી બાજુ થી ગણીએ તો તે બધા ડાબી બાજુ એક નં. ૧ લાઈનમાં ચલાવવા જોઈએં. ત્યાર બાદ મોટા વાહનો ૨, નંબરમાં અને ૩, નંબરમાં કાર જેવા વાહનો, ૪, નંબરમાં જેમણે આગળના વાહનને ઓવરટેક કરવાનું હોય કે જમણી બાજુ વળાંક લેવાનો હોય તે ચાલે તો અકસ્માત થવાનો કોઈ મોકો રહે નહીં, પણ આજે બધાજ મોટા ભાગે સર્પાકારે જ્યાં જગ્યા દેખાય ત્યાંથી આગળ નીકળવા માટે ભાગમ ભાગ કરે છે, એસ.ટી. ની બસો ના ચાલકોને તો સમય સમય પર ટ્રેનિંગ આપવામાં આવે છે, છતાં બસો જમણી બાજુ ચાલતી હોય છે, શું આ સમજાવાતું નથી? આ ઉપરાંત નાના રોડ પરથી મોટા કે હાઈવે પર આવતા વાહનોએ પહેલાં ઉભા રહીને બન્ને બાજુ જોયા બાદજ મુખ્ય માર્ગ પર આવવું જોઈએં જે આજકાલ જાણે કાયદામાંથી બહાર થઈ ગયું છે અને તેથી આ કારણસર ઘણા અકસ્માત થાય છે. 
આ બધામાં સૌથી ખતરનાક છે રોંગ સાઇડમાં વાહન ચલાવવું, આના માટેતો તખ્તમાં સખ્ત સજાની જોગવાઈ કરવી જોઈએં, અને તે ફક્ત વાહન ચાલકનેજ કરવી જોઈએં, કારણ કે જ્યારે વાહન નો ચાલક પગારદાર હોય અને તેને ચલાન દ્વારા દંડિત કરાય ત્યારે ખરેખર તો આ સજા વાહન માલિક ને થાય છે, ચાલક ને નહીં તેથી તે થોડો બે દરકાર બને છે, પણ જો ચાલકનેજ એવી સજા થાય કે જે તેણે પોતેજ ભોગવવી પડે તો કદાચ માલિક ના કહેવા છતાં તે ગુનો નહીં કરે.
    ઈશ્વર બધાને સદ્બુદ્ધિ આપે અને ભ્રષ્ટાચારી અધિકારીઓ ના દિલમાં માનવતા જગાવે એજ અપેક્ષા.

કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ. કચ્છ.
Email:-kedarsinhjim@gmail.com 
વોટ્સેપ મો. નં. ૯૪૨૬૧૪૦૩૬૫ 
                 ૮૧૬૦૬૩૦૪૪૯

Tuesday, December 5, 2017

"રાષ્ટ્ર દર્પણ"-ડિસેમ્બર

સુજ્ઞ મિત્રો,
અમેરિકાથી પ્રકાશિત થતા લોક પ્રિય મૅગેઝિન "રાષ્ટ્ર દર્પણ" કે જે અંગ્રેજી, ગુજરાતી અને હિંદી ભાષામાં છપાય છે, તેમાં ઘણાં સમય થી મારી ભજન રચનાઓ અને આર્ટિકલો ને સ્થાન આપવામાં આવે છે. ૨૦૧૭ ના ડિસેમ્બર માસના અંકમાં મારું એક ભજન કે જે રામાયણ ના પ્રસંગ પર આધારિત છે તે, અને બ્રહ્મ લીન સંત શ્રી ડોંગરેજી મહારાજ સાથેની મારી પહેલી મુલાકાત નો પ્રસંગ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જે આપ સૌને પણ માણવા માટે અહીં રજૂ કરૂં છું.
આ મૅગેઝિન આપ કોમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા ગુગલ પરથી rashtra darpan ટાઈપ કરીને ડાઉનલોડ કરી શકો છો. 
તા. ૬-૧૨-૨૦૧૭.

ભજન
(પ્રસંગ પટ.)     સંત ભરત
  
ઢાળ-આશાવરી જેવો

જેણે મારી માયા ને લાતો, ભરતજી, શાને ન સંત કે’વાતો..

રાજ રઘુ નું અભરે ભરેલું, યુગ સુવર્ણ નો જાતો
ઇંદ્ર જેવા ને પણ ઈર્ષા આવે, વૈકુંઠ થાતી જેની વાતો..

સ્વર્ગ સમું સૌ સુખ સવાયું, દ્વેષ ન દ્વાર ડોકાતો
એવા અવધ ની ગાદી માટે જે, લેશ ન દિલ લલચાતો..

માયા ત્યાગી મહેલો ત્યાગી, ઝૂંપડે વિતાવી રાતો
માતા માનુની મેવા ત્યાગી, વન ફળ વીણી વીણી ખાતો..

ચૌદ વરસ જેણે સાધુ બની ને, તોડ્યો જગ થી નાતો
પાદુકા કેરું પૂજન કરી ને, હૈયે અતિ હરખાતો..

ભક્ત ભરત થી મુનિ જન મોટાં, વેદ ની કરતાં વાતો
બ્રહ્માજી જેનો આદર કરતાં, " કેદાર " ગુણલા ગાતો..

ભાવાર્થ-મારા ગુરુ સમાન કવિ શ્રી "દાદ" શ્રી દાદુદાન ગઢવીએ  લક્ષ્મણ પર એક પુસ્તક લખ્યું છે. એ પુસ્તકમાં લક્ષ્મણ વિષે એટલી છણાવટ કરી છે કે ઘડીભર વિચારતા કરીદે કે, લક્ષ્મણ રામથી કોઈ પણ રીતે ઉતરતા જણાતા નથી એવું લાગે. એક મહા ભક્ત, મહા સંત,ત્યાગી,સેવાભાવી.
અયોધ્યા એક એવું રાજ્ય હતું કે જેની જાહોજલાલી, ઐશ્વર્ય ની ચર્ચા ઇંદ્ર સભામાં પણ થતી અને કદાચ ઇંદ્રને પણ તેની ઈર્ષા થતી હશે. અયોધ્યામાં રાગ દ્વેષ જેવા કોઈ પણ ખરાબ પરીબળો ને પ્રવેશ મળતોજ નહીં. ફક્ત સુખ.સંપતી અને ભક્તિનોજ વાસ રહેતો. એવા અવધ ની ગાદી ની લાલચ કોણ ન કરે? પણ ભરતજીએ  ફૂટબોલ ના દડાની જેમ એ લાલચ ને  લાત મારી દીધી. એટલુંજ નહીં, મહેલોનો પણ ત્યાગ કર્યો, સઘળા સુખ સાયબી, સાત્વિક ભોજન, અરે પત્ની ને પણ મહેલમાંજ મૂકીને નગર બહાર ઝૂંપડી બાંધીને રહ્યા. બસ એકજ વિચાર, કે  મારો રામ વનમાં કષ્ટો ભોગવતો હોય, વન ફળ વીણી વીણી ને પેટ ભરતો હોય, ત્યારે હું મહેલોમાં એશોઆરામ ન કરી શકું, 
ભરતજી જ્યારે રામજીને મળવા અને પાછા ફરવાની વિનંતી કરવા ચિત્રકૂટ પધારેલા, ત્યારે રામજીએ ખુબજ સમજાવેલા, પણ અંતે રામજીની પાદુકા સાથે લાવેલા. તે પાદુકાને રાજ ગાદી પર પધરાવીને તેની પૂજા કરીને, ચૌદ વરસ સાધુ જેવું જીવન વિતાવ્યું. એ દરમિયાન અનેક સંતો મહંતો અને ઋષિ મુનિઓ ભરતજી પાસે સત્સંગ કરવા પધારતા. અને બ્રહ્માજી જેવા પણ જેનો આદર કરતા હોય તેનાતો ગુણ ગાન કોણ ન ગાય?
જય શ્રી ભક્ત ભરતજી.
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

જીવનની ધન્યતા  -- અણમોલ ઘડી  -પાવનકારી સંત ના વાહન ચાલન નો અવસર 

                મારા લેખન કાર્યના માર્ગદર્શક  જીતેન્દ્ર પાઢ  મને સદા  કહે  છે -" પ્રેરણા જીવનનું સાચું ટૉનિક છે, જે જીવનને રમતું, ગાતું અને વહેતું રાખે છે, જીવનમાં જ્યાંથી અને જેની પાસે થી કશુંક પ્રાપ્ત થાય તે ગ્રહણ કરો, અપનાવો અને શીખો એ જીવન જીવવાની ખરી રીત છે"; મને આજે મારા જીવનનો અતિ મહત્ત્વનો પ્રસંગ યાદ આવે છે, જેનાથી મારી જીવન કહાની બદલાઈ ગઈ.      
                    
                    જીવન ના અવનવા રંગો છે, કોઈ વાર અચરજ પમાડે તેવા સ્મરણો જન્માવે, તો ક્યારેક દુઃખદ ક્ષણો ની વેદના અર્પે. પ્રસંગ અને આયોજન વખતે માનવંતા મહેમાન, અતિથિ વિશેષ કે કોઈ ખાસ અંગત મહાનુભાવો ને માટે વાહન મોકલી આમંત્રિત કરવાનો રિવાજ એક આદર છે. પણ આવા સમયે વાહન ચાલક કોને મોકલવો તે વ્યક્તિ ની પ્રતિભા જાણીને નક્કી કરાય કારણ કે જો વાહન ચાલક વધુ વાતોડિયો હોય તો મહેમાનને ન પણ ગમે; એટલેકે વાહન ચાલક પણ સંયમિતતા અને અનુભવી સજ્જન સમો શોધાય છે. ઘરનો વાહન ચાલક ઘણીવાર ન મળે તો વિશ્વાસુ સ્વજન જે નિકટતમ હોય એને પસંદ કરાય. મારું ડ્રાઇવિંગ સારું અને મારો શોખ પણ ખરો ! જીવન માં અનેક વેળાએ મારે વાહન ચલાવવાની તકો મળેલી, તેમાં યાદ ગાર સ્મરણ પણ ખરાં ! શુભ વેળા આવે અને હાથમાંથી તે ઘડી પસાર કર્યા બાદ, ઓંચિતા રહસ્ય નું પ્રાગટ્ય થાય ત્યારે કેટલી અચરજ થાય !
                       ઈશ્વર મહેરબાની ગણો કે અકસ્માત શું માનવું ?. આવો   જ એક અમૂલ્ય પ્રસંગ મારા જીવનમાં પણ અનાયાસ બની ગયેલ, આજે પણ જ્યારે જ્યારે એ વેળાની  સ્મૃતિપટ ઉપર છબી ઉભરાય છે  ત્યારે ત્યારે હું ધન્યતા અનુભવું છું.
                સાલ તો ચોક્કસ યાદ નથી પણ સ્મરણના સંભારણા મુજબ પણ લગભગ ૧૯૬૦ કે ૬૨ ની આસપાસ ની વાત હશે, કરજણ જંકશન પાસે મિયાં માતર ના સ્વ. ઠાકોર સાહેબ શ્રી અજીતસિંહજી મારા મામા થાય, અને વડોદરા માં તેમના પ્રતાપ નગર માં "માતર હાઉસ" નામક બંગલા માં કોઈ ધાર્મિક પ્રસંગ હતો, ત્યારે મને પુ. મામા સાહેબે કહ્યું કે "ભાણુ,  દાંડિયા બજાર માં ડોંગરેજી મહારાજ નામના ભુદેવ રહે છે તેને લેવા જવાનું છે, તું ત્યાં કોઈને પૂછી ને તેમનું મકાન ગોતી લેજે."
   ત્યારે આજના જેવી ભીડ ભાડ ન હતી, આપેલા સરનામે પહોંચી ગયો, જરાયે તકલીફ વિના ! નામ પૂછતાં જ ભુદેવનું મકાન મળી ગયું, મને યાદ છે ત્યાં સુધી પૂર્વાભિમુખ દ્વાર માં પ્રવેશતાંજ પ્રમાણ માં મોટો ઓરડો (બેઠક), સામે જાડી મોટી ગાદી પર ઢાળિયું ટેબલ, પાછળ તકિયો અને એક ગાદલા પર સાદી ચાદર, જમણી બાજુએ આગંતુકો માટે બેસવા પાથરણું, ઓરડા માં એકાદ બે ભીંત ચિત્રો,  માખણ ચોર લાલાના; એ સિવાય ખાસ કોઈ રાચ રચીલું ન હતું, ટેબલ પાછળ શાંત ચિત્તે બેઠેલા ભુદેવ, માથે મુંડન અને શિખા, ભવ્ય તેજીલો ભાલ પ્રદેશ, મારી એ ઉમરમાં પણ મને પ્રભાવિત કરતું મુખારવિંદ, અનાયાસ  સરળતાથી વંદન કરવાનું મન થાય એવો એમનો પ્રભાવ હતો, મેં બે હાથ જોડીને પ્રણામ કર્યા. મને આવકારી ને મારા આવવા નું પ્રયોજન પૂછ્યું. મેં સ્વ.ઠાકોર સાહેબ નું નામ આપતાં મને નમ્રતા થી કહ્યું, "ભાઈ, પાંચ દશ  મિનિટ બેસો હું આ કાર્ય પુરૂં કરી લઉં."  થોડો સમય તેઓ જે કર્મ કાંડ જેવું કાર્ય કરતા હતા તે પૂર્ણ કરીને અંદરના ખંડમાં પધારી થોડાજ સમયમાં એ ભુદેવ સાદાં ધોતિયા પર એક ઉપ વસ્ર પહેરી ને તૈયાર થઈ ગયા અને ગાડી માં મારી બાજુમાં એકદમ સહજ ભાવે બિરાજી ગયા.
                    પૂજા વિધી પૂર્ણ થતાં હું પાછો એ ભુદેવ ને દાંડિયા બજાર પહોંચાડવા ગયો, ત્યારે ભુદેવે નમ્રતાથી કહ્યું "ભાઈ ઉમરના પ્રમાણમાં ગાડી સારી ચલાવો છો." ત્યારે મને ખબર ન હતી કે મને આજે જેમના સારથી બનવાનો મોકો મળ્યો છે તે કોણ છે? બ્રહ્મદેવતાને બે હાથ જોડીને મેં પૂજ્ય ભાવે  વંદન કર્યા અને વિદાય લીધી.
                 આજે જ્યારે જ્યારે એ પ્રસંગ યાદ આવે છે સંત ભૂદેવ નું મુખારવિંદ, નમ્રતા ભાવ અને શાંત શીતળ  તેજસ્વી પ્રતિભા સતત નજરે ચડે છે; ત્યારે હું મારી જાતને ધન્ય ગણું છું કે જેમની ભગવત કથા સાંભળવા અને જેના દર્શન માત્ર કરવા લોકો દૂર દૂર થી આવતા, કંઈક નામાંકિત-અનામી સંતો મહંતો જેમની સેવા સ્વીકારવા પધારતા, એ મહાન સંતને આજની પેઢીએ નજરો નજર જોયેલા હોય એવા શ્રી શુકદેવજી નો કળિયુગી અવતાર સમા બ્રહ્મ લીન પ્રાત: વંદનીય શ્રી શ્રી-(કેટલા પણ શ્રી લગાડો તો મારા મતે ઓછા પડે)-ડોંગરેજી મહારાજ કે જે સાચા અર્થમાં સંત હતા તેમના સારથી બનવાનો મોકો મને મળ્યો એ વિચારે હું મારી જાતને ધન્ય ગણું છું, મારા માતુશ્રી ની અનન્ય ભક્તિ ના પ્રતાપે જ એ શક્ય બનેલું, પણ ત્યારે મને ખબર ન હતી કે આ મારા જીવન ની ધન્ય ઘડી કોઈક જન્મના પુણ્યના પ્રતાપે  ઝળકી ઊઠશે ! વિશાલ ભાલપ્રદેશે મોટું લાલ તિલક માત્ર બે વસ્ત્ર -ઉપવસ્ત્ર અને ધોતી, હાથમાં નાનકડી તુલસી માળા, લાલાના સ્મરણ જાપમાં લીન ,કોઈ મગજમારી કે વધુ વાર્તાલાપ નહિ, શાંત સૌમ્ય વ્યક્તિત્વ આજે પણ યાદ આવે ત્યારે વંદન કરી લઉં છું ,જન્મ જયંતી હોય કે પુણ્ય તિથિ હોય તે દિવસ સિવાય પણ નિત્ય સ્મરણમાં પૂજ્ય ડોંગરેજી મહારાજ  મારાં  સાચાં પ્રેરક વંદનીય સંત છે, એમનું સાન્નિધ્ય માણ્યાનો લહાવો મારા જીવનની ધન્ય પળ ગણું છું, યાદોના ઉપવનમાં કેટલો બધો ખજાનો છે -દોસ્તો ! તમારા જીવનની હાટડી ક્યારેક ખોલજો અને આવા સદ પ્રસંગ ની  મિત્રો સાથે ગોઠડી જરૂર કરજો, તેમાંથી કદાચ કોઈ જીવને પ્રેરણા મળી જાય !

             આ સંતના સાનિધ્યથી, તેમના તેજના પ્રતાપે મારા જીવનમાં મોટી પ્રેરણા મળી, અને મારા હ્રદયમાં જે ભક્તિ ભાવ હતો તેમાં નવી ચેતનાનો સંચાર થયો. જીવનમાં અનેક બનાવો અવાર નવાર બનતા હોય છે, પરંતુ કેટલાક બનાવો અનાયાસે માનવીનું જીવન પરિવર્તન કરે છે. પરિવર્તન સંસારનો નિયમ છે, જે કુદરત અને માણસ બન્નેને લાગુ પડે છે, જીવનમાં આવતો બદલાવ કે મોટી ઊથલપાથલ આવા પ્રેરક અને પ્રેરણાદાઈ બનાવોને આધીન છે, માનવી આવા સારા બનાવો કેમ નોંધી નહીં રાખતો હોય ! કે પછી પોતાના અહંકારમાં ડૂબીને જાણી જોઈને જો આંખ આડા કાન કરે તો તે ઘણું ગુમાવે છે.
----------------------------------------------------------------------------------------------------------------
કેદારસિંહજી એમ. જાડેજા
ગાંધીધામ. કચ્છ.(ગુજરાત )
મેઈલ:-kedarsinhjim@gmail.com 
બ્લોગ-kedarsinhjim.blogspot.com
ફોન-વોટ્સએપ/મો. નં. ૯૪૨૬૧૪૦૩૬૫ 
૮૧૬૦૬૩૦૪૪૯

Friday, March 10, 2017

રામાયણ પ્રસંગ પટ ખબર અંતર


                                રામાયણ પ્રસંગ પટ

                                  ખબર અંતર


ભજન
સાખી-નગર લંકા છે સોનાની, મનોહર વટિકા મધ્યે, 
          બિરાજ્યા માત સીતાજી શરીરે આગ વરસેછે.
         ભલે હો હેમની નગરી, નથી જ્યાં રામનું શરણું, 
         ભલે ને મોતીડાં વરશે, સીતાને રામનું સમણું 


કહો હનુમંતા બોલો બલવંતા, કહો મોહે કથની કૈસે ભગવંતા...

ભાઇ લક્ષ્મણ કી મૈને બાત ન માની, લોપી મૈને રેખા તો હર લાઇ લંકા...

મણિ મુદ્રિકા તુમને ગિરાઈ,  નાચા મન મોરા તુટ ગઈ શંકા...

નિશ દિન રામ રટન મોરે મન મેં, રોમ રોમ રઘુવીર જાપ જપંતા...

કૌન કરે સેવા, ચરન કૌન ચાંપે ?   બિન વૈદેહી, કૈસે મોરે કંથા...

દો આજ્ઞા મૈયા ક્ષુધા મોહે લાગી, મધુર ફલ ખાકે દેખું, નરપતિ લંકા...

બગીયાં ઉજાડી પૈડ ગીરાયે, અસુર ગણ રોળે મારે સૈન્ય બંકા...   

કેદ કિયો હનુમો લૌ લીપટાઇ, " કેદાર " કપિ ના જલીયો જલ ગઈ લંકા.. 

ભાવાર્થ:-રામાયણના બધા કાંડો માં સુંદર કાંડનેજ સુંદર કહેવામાં આવ્યો છે, કારણ સર્વ ગુણ સંપન્ન,મહા બલવાન, ગ્યાન ગુન સાગર હનુમાનજી રામ ને મલ્યા, રામે અનેક આશીર્વાદ આપ્યા, પણ જ્યારે માતા સીતાજી ને મલ્યા ત્યારેજ તેઓ "અષ્ટ સિદ્ધ નવ નિધિ કે દાતા" બન્યા, અને તેથી જ રામાયણ ના બધ્ધાજ  કાન્ડો માં એ સુંદર કાંડ બન્યો. જીવને રામ મળે તેતો અનેક અનેક જન્મોના પુણ્યો હોય, અને ઈશ્વર કૃપા હોય તોજ શક્ય બને, પણ જો ભક્તિ ન મળે તો તેની ઊણપ રહીજાય છે, તેથી જ્યારે હનુમાનજીને ભક્તિ(સીતા માતા) મળ્યા ત્યારે તેઓ પૂર્ણ બન્યા.  

 જ્યારે હનુમાનજી માતાજી ને અશોક વાટિકા માં  મલ્યા ત્યારે માતાજી બધા સમાચાર પૂછે છે અને કહે છે-મેં લક્ષ્મણ રેખા નું ઉલંઘન કર્યું તેથી મારું અપહરણ થયું.-મને શંકા હતી કે રાવણ મને ૪૦૦ ગાઉ પર લંકા માં લાવ્યો છે, મારો રામ મને કેમ શોધશે? પણ તમે મુદ્રિકા બતાવી તેથી એ શંકા ન રહી, મારે હરપળ રામ રટણ નું કવચ છે,તેથી હું તો બરાબર છું, પણ મારો રામ કેમ છે ? મારાવિના મારા રામની સેવા કોણ કરે છે ?  
હનુમાનજીએ બધા સમાચાર આપીને કહ્યું માં ચારસો ગાઉનો સમુદ્ર ઓળંગીને આવ્યોછું, ભૂખ લાગીછે, રજા આપો તો વનફળ ખાઈને લંકાનો રાજા કેવોછે એ પણ જોઈ આવું. માતાજીની આજ્ઞા થતાં હનુમાનજીએ બાગમાં તોડ ફોડ કરી, વૃક્ષો કાપ્યા, રાવણ ને ખબર પડી તો દરબારમાં બંદી બનાવીને લાવ્યા, ત્યાર બાદ હનુમાનજીની પુંછમાં આગ લગાવી. હનુમાનજીને તો કંઈ ન થયું પણ લંકા માં આગ લાગી.
ફોટો,- ગુગલના સૌજન્યથી

Saturday, March 4, 2017

રામાયણ પ્રસંગ પટ        કેમ સમજાવું ?

રામાયણ પ્રસંગ પટ  

     કેમ સમજાવું ?



                  ભજન

ભરત ને કેમ કરી સમજાવું ?

શા દુ:ખ સાથે વચનો વદી હું, જગ ને કેમ જણાવું..

હું નારી નરપતિ દશરથ ની, રઘુ કુળ લાજ ધરાવું,  

કૂબડી કેરો જો મર્મ ન જાણું તો, શાને ચતુર કહાવું..

જાણ હતી મુજ ભાગ્ય ભટકશે, જગ માં જુલમી કહાવું,  

છત્ર જશે રઘુ કુળ રઝળશે, ધિક્ ધિક્ ઘર ઘર થાવું..

અવધ સમાણી અનેકો  નગરી, રામ ચરણ માં ચડાવું 

ઇંદ્રાસન ની આશ ન રાખું, ધન કુબેર લૂંટાવું..

ભરત સરીખાં સો સો સૂત ને, વૈદેહી પર વારૂં,  

લક્ષ્મણ લાલો મને અતિ વહાલો, શા સુખ વન માં વળાવું..

એક દિલાસો ભક્ત ભરત નો, ત્યાગી તને બિરદાવું,  

કૈકેયી કેરી તેં કુખ અજવાળી, સંત સુત માત કહાવું..

દીન " કેદાર " કૈકેયી કર જોડું, સત સત શીશ નમાવું,  

રઘુવીર કાજે જીવન રોળ્યું, ગદ ગદ ગુણલા ગાઉ.. 

ભાવાર્થ-ભગવાન રામે રાક્ષસોનો નાશ કરવા માટે અવતાર તો ધારણ કર્યો, પણ જ્યારે દશરથ રાજાએ રામના રાજ્યાભિષેક ની ઘોષણા કરી ત્યારે ભગવાન ને પોતાના અવતાર કાર્ય માં બાધા આવતી જણાઈ. ત્યારે તેઓ માતા કૈકેયી પાસે એક વિનંતી કરી કે મા, આખા અયોધ્યાની અંદર એક આપજ છો જે મારી વાત સમજી શકશો, અને કોઈ પણ ભોગે મને મારા કાર્યમાં મદદરૂપ થશો. ત્યારે કૈકેયી માએ વિગતથી વાત કરવા જણાવ્યું. શ્રી રામે પોતાના સર્વ કાર્ય પૂર્ણ કરવામાં મદદ રૂપ થવાનું વચન માંગીને પોતાનો અવતાર કાર્યનો મર્મ સમજાવ્યો. અને તેના માટે રાજ્ય ભારને બદલે વન ગમન જરૂરી હતું. મહા મહેનતે કૈકેયી મા પરિણામ જાણતા હોવા છતાં, રામ કાર્ય કરવા માટે કોઈ પણ ભોગ આપવા તૈયાર થયા. એના ફળ સ્વરૂપ બે વચનો માંગ્યા, દશરથ રાજાનો દેહાંત થયો અને પોતે અનંત કાળ સુધી ન ભૂંસાય એવું કલંક રામ માટે વહોરી બેઠાં. 

જ્યારે ભરતજીને કૈકેયીએ કરેલાં કર્મોની જાણ થઈ ત્યારે ખુબજ કડવા વચનો બોલીને માંને અપમાનિત કર્યા. પણ વિવશ માં ભરતને શું સમજાવે? બસ મનમાં મનમાં વિચારે છે....

અરે ભાઇ ભરત, હું આ વચનો કેવા સંજોગોમાં બોલીછું, એ તને કહી પણ નથી શકતી, શું મંથરા ના કપટને સમજી ન શકું? અરે ભાઈ મને ખબરજ હતી કે રઘુકુળ ની લાજ મારા માથે હોય ત્યારે મારે કેવું વર્તન કરવું જોઈએં. અયોધ્યાના રાજા દશરથજીની હું માનીતી રાણી એમજ ન હતી. 

મને ખબર હતી, કે હું આવા કડવા વચનો માંગીશ એ રાજન સહન નહિ કરી શકે, કદાચ મારો સેંથાનો સિંદૂર પણ રોળાય જાય એવી મને બીક હતી, અને મને એ પણ ખાત્રીજ હતી કે હું આખા જગતમાં ધિક્કારને પાત્ર બની જઈશ.

હું ભરત માટે અવધની ગાદી માંગું ખરી? અરે મારા રામ ખાતર હું ઇંદ્રાસન ને પણ ઠુકરાવી નાખું, અરે કુબેરનો ભંડાર પણ રામના વિયોગમાં મળવાનો હોય તો તે પણ ન સ્વિકારું, અને અયોધ્યા જેવી અનેક નગરીને કુરબાન કરી નાંખું.

વૈદેહી તો મને એવી પ્રિય છે કે તેના માટે હું આવા સો સો ભરતને કુરબાન કરી નાંખું. તો લક્ષ્મણને કયા સુખ ખાતર વનમાં મોકલું?

હા પણ મને મારા ભરત પર આજે અભિમાન છે, મારા વચનોને અવગણીને તેણે રાજ્યનો ત્યાગ કર્યો, એણે તો મારી કુખ અજવાળી છે, મને ભરતની માતા હોવાનો ગર્વ છે.  

રામ ખાતર જેણે પોતાનું જીવન બરબાદ કરી નાંખ્યું, એવી માં કૈકેયી ને મારા હજારો હજારો વંદન. એના જેટલા ગુણ ગાઈએં એટલાં ઓછા છે. ધન્ય છે માતા કૈકેયીને.  

ફોટો-ગુગલના સહયોગ થી.