Sunday, May 14, 2023

પરમાત્મા સાથે ભક્તનો સીધો સંવાદ એટલે ભજન

                                   

                       પરમાત્મા સાથે ભક્તનો સીધો સંવાદ એટલે ભજન                   આત્માનો પરમાત્મા સાથે ભજન ભક્તિના માધ્યમે જે સંબંધ જોડે એ ભજનિક છે , તે ભણેલો હોય ,કે અભણ  હોઈ શકે , ભજન લેખન અને ગયેલી ઈશ્વરદત્ત ભેટ છે ,વ્યક્તિની તે સ્વયં સાધના પણ ગણી શકાય. ભજન ,ભજનિક અને ભક્ત શ્રોતા  ત્રણેય પરમાત્માને વ્હાલા છે .


          સંસારી  વ્યાધિમાંથી મુક્ત થવા ઈચ્છતો માનવી કોઈપણ પ્રકાર અજમાવવા તૈયાર હોય છે. જેમાં દેવ દર્શન,ભક્તિ અને સંતોની સત્સંગવાણી  મહત્વનો  ભાગ ભજવે છે. બાળક જેમ પોતાની ફરિયાદ પોતાના પિતાને કરે છે તેમ માનવી પણ જગતપિતા પરમેશ્વરને  આત્મનિવેદન સાથે અરજ કરે છે , જેમાં  ભજન ,જપ ,કે માત્ર હૃદય દ્રાવક કાકલુદી  નો સમાવેશ છે  તેની  અભિવ્યક્તિ તે  ભાવ વિભોર થઈને  કરે છે. ભાવિક ભજનના માધ્યમે  પોતાની સ્તુતિ ,ગુણગાન અને દર્શન  કરે છે  તેને ભજનિક કહેવાય  શ્રીમદ્દ ભાગવતમાં ભગવાનની ભક્તિ કરવા માટે સમજ આપેલી છે કળિયુગમાં જપ  ,ભજન અને  સંકીર્તનનો મહિમા વધુ છે . ભજનિક તેથી પોતાનો મોટાભાગનો સમય પોતાના  ભજનો દ્વારા  ઈશ્વરના  સાનિધ્યમાં  વિતાવે છે .

   ભગવાન શ્રી રામજી એ શબરી ને "નવધા ભક્તિ" વિષે સમજાવ્યું, એટલે કે ભક્તિ નવ પ્રકારે થઈ શકે છે, જેમાંનો એક પ્રકાર છે "ભજન". સામાન્ય લાગતી ભક્તિની ઘણીજ કઠિન છે. કથા, આખ્યાન, કે ભજન એકાંતમાં કરવા ઘણાં જ  કપરાં  છે, ભક્ત શ્રી નરસિંહ મહેતા કે મીરાંબાઈ, સંત કબીર, કવિ સુરદાસ જેવા બહુ ઓછા ભક્તો પોતાના આરાધ્ય દેવ ને મૂર્તિમાં સાક્ષાત્ નીરખી ભજન કરી શકે, જે  દરેક  માટે  શક્ય નથી, હાલના જમાનામાં ભજન કરતાં ઈશ્વર સાથે ની તન્મયતા શબ્દ, સુર અને તાલ અને ભક્તિ ભાવના સુમેળ થકી રસિકોના શ્રોતા, પ્રેક્ષક ની હાજરીથી તે શક્ય બને અહીં પણ એક જાતનો સત્સંગ થાય છે. ભક્તિનાદ નું વાતાવરણ હર કોઈ ને ભગવાનના ગુણગાન રસ તરબોળ કરી શકે છે, પરંતુ તે માટે ભજનિક પણ પોતે યોગ્યતા પ્રાપ્ત અને સાચો શ્રદ્ધાવાન જોઈ એ બાકી દંભ કરનારાઓ નો અહીં તોટો નથી.  ભજનિક, ભજન અને ગાયકી માં  લય કે સંગીત, સુર ન બેસે તેમ છતાં હળદળ ના ગાંઠીયે ગાંધી બનનારા જેમ હવે ગલીએ ગલી ભજનિકો ફૂટી નીકળ્યા છે, જેને ખોટી વાહ વાહ વાહ અને આત્મ પ્રસંશા પ્યારી હોય છે.
                 સાત્વિક શુદ્ધ ભક્તિથી તરબોળ થયેલા તાલીમ સહીત ગાનારા ભજનિકો માં પણ સ્વયં પ્રતિભા હોવાની આવા કાર્યક્રમો થાય ત્યાં  વાતાવરણમાં ભક્તિના ગુંજનમાં ભાવવાહિતા વહેતી હોય છે, જે ભગવાનને સદા ગમેછે, આવા અવસરે ભગવાન ખુદ વાતાવરણમાં પ્રસન્નતા વેરે છે, તેવો મારો જાત અનુભવ છે. ભજનિક સાચો હશે તો જયારે અને જે ઘડીએ ભજનની સ્ફુરણા જાગશે ત્યારે એકાંતમાં પણ પોતાના પ્રભુ ને રિઝવા મંડી પડે, સુરદાસ પાસે ક્યાં શ્રોતા હતા માત્ર કાનુડાનું બંધ આંખે ધ્યાન હતું, કિયાં કોઈ મોટા વાંજીત્રો હતાં, એકતારો બસ હતો, અમને યાદ છે દુલા ભગત પણ એકતારાથી ભજન કરતાં, આજ પણ એવાં ભજનિકો છે જે એકતારાના સંગાથે શ્રોતા હોય કે ન હોય તો પણ આનંદથી એકલાં એકલાં ગાઈને પોતાના પ્રભુ ને મનાવે છે. ભજન, ભજનિક ને જરૂર છે માત્ર ભક્તિ અને આસ્થાની, તેમાં ભાષા પણ ઘણી વાર ગૌણ બની જાય - જે શબ્દો અંતરમાંથી જાગે તે સાચો આત્માનો અવાજ હોય છે, તેથી કહેવાય કે ભક્ત પોતાના ભાવ દ્વારા પરમાત્મા સાથે સીધો સંવાદ કરે છે ભક્તિ માં શુદ્ધતા હોય તો આપ મેળે તે લોકપ્રિય બને છે અને શ્રોતાને રસમય કરે છે .

       બ્રહ્મ લીન નારાયણ બાપુ તેમજ ઉચ્ચ કક્ષાએ પહોંચેલા સાધક ભજનિકો ની નકલ કરી ને અથવા રચયિતા ના નામનો ઉલેખ્ખ કરવાની સૌજન્યતા વિસરી ને, આપવડાઈ કરતા અમે નજરે જોયા ત્યારે અમને દુઃખ સહિત વેદના ખમવી પડી, તો સામે પક્ષે નાના કલાકારોને બિરદાવનારા સંતો પણ જગ માં છે, હું પ્રાથમિક અવસ્થામાં હતો અને થોડા ભજનો રચતો હતો ત્યારે પણ ગાયકી અને સ્વ રચનામાં કૌવત  નીરખી મને બિરદાવનારા પૂજ્ય નારાયણ બાપુ અને હાલના સમયે શ્રીમાન યોગેશપુરી ગોશ્વામિજી ને ભૂલી ના શકાય; જેમણે જાહેર કાર્યક્રમમાં બિરદાવી મને  આશીર્વાદ આપી મારામાં નવી ચેતના જગાડી હતી.  
               આજે દુઃખ એ વાતનું છે કે મેં આગળ કહ્યું તેમ ભજનિક અને ગાયક ધંધો બનાવી બેઠેલા પાખંડીઓ વચ્ચે ભજન પોતાની અસલિયત ગુમાવીતો નહિ બેસે ને ? આ મોટો ચિંતાનો વિષય છે; તુલસીદાસજી ની એક સાખી છે "તુલસી અપને રામ કો રીઝ ભજો કે ખીજ, ઊલટા સુલટા બોઈએં, સીધા ઊગે બીજ." એ નાતે ભજન નો ભાવ જાણનારા ભજનિક ને ભૂલી ને ભસ્ક્તિ નો લાભ તો પામે જ છે.  
            રામાયણ ના રચયિતા પ્રસિદ્ધ ઋષિ વાલ્મીકિ મહારાજે રામાયણ ની રચના કરી, પણ  સંતોષ ન થયો, ત્યારે તેમણે ઈશ્વર પાસે એક વધારે જન્મ માનવ કુળમાં માંગ્યો અને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મને આ રચનાથી સંતોષ નથી થયો માટે હું સરળ ભાષામાં રામાયણ લખીને જગતને આપવા માંગુ છું જેથી તેનો યોગ્ય પ્રચાર થાય અને આપનું ગાન સરળ ભાષામાં સર્વે લોકો ના મન સુધી પહોંચે. ત્યારે તેમનું તુલસીદાસ તરીકે પ્રાગત્ય થયું, અને તુલસીદાસજીએ સરળ ભાષામાં "રામ ચરિત માનસ" ની રચના કરી. સાચો ભજનિક સત્સંગીઓના દિલમાં પ્રવેશ કરવા પોતાની રચનામાં વધુ ગુણવત્તા આવે માટે કાયમ ઈશ્વર સન્મુખ આદ્ર ભાવે એટલું જ માંગે છે કે હે પ્રભુ તું મારા શબ્દોમાં  ભાવ બની ને અવતર જેથી હું ભક્તોને તારા ગુણલા ગાવા પ્રેરિત કરી શકું અને તેનામાં ભક્તિ ની ઉર્જા જગાડવા હું નિમિત્ત બનું , જેથી હિન્દૂ  સંસ્કૃતિઅને ધર્મ ની ધ્વજાઓ ફરકતી રહે.  
                    અત્રે ખાસ ઉલેખ્ખ કરવાનો કે  ભચાઉમાં પાલુભાઈ ગઢવીનો ભજન અને ભજનિકો અને સંસ્કૃતિ સાચવવાનો ઉત્તમ પ્રયાસ સાથે ભક્તિ ધામ ઉભું કર્યું છે, સાથો સાથ આધુનિક ટેક્નોલોજી થી સમૃદ્ધ સ્ટુડિયો પણ બનાવ્યો, એટલાથી સંતોષ ન પામતા ભજન ગ્રંથાવલી ના મોટા ચાર ગ્રંથો પણ જનતા જનાર્દને માટે તૈયાર કરેલાં છે, '' આ ત્રણેય કાર્ય જે એક યુગો સુધી ન ભુલાય તેવું અજર, અમર યોગદાન છે તેમ અમેરિકા બેઠેલાં મારા વરિષ્ઠ પત્રકાર મિત્ર શ્રી જીતેન્દ્ર પાઢ જણાવે છે ''  કહેવાનો અર્થ એ છેકે શુદ્ધ ભજનિક અને શુદ્ધ ભજનો હોય તે ગગનનાદ બની ગુંજે છે, તેથી અમેરિકા સુધી ભચાઉના કામ ને આદર સાથે બિરદાવવાની કૃતઘ્નતા એક સહૃદયી કરે છે. ભજન ધામનો લાભ મને મળેલો છે જેનો હું  સાક્ષી હોવાથી મારા મિત્રની ની વાત 100 % સત્ય છે.  ભજન, ભજનિક અને ભજન સંસ્કૃતિ કેવળ હૃદયનો શુદ્ધભાવ અને નિર્દોષ, નિખાલસ ભક્તિ ટકે છે, વિસ્તરે છે, ખોટા ને પારખતા આજના માનવી શ્રોતાને આવડે છે. હું પ્રાર્થું છું કે  ' હે પ્રભુ, આવા પાંખડી ભજનિકો ને સદ્ બુદ્ધિ આપ જેથી ભજનસંસ્કૃતિ ને કોઈ લાંછન ન લાગે'.

          આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે ભજનિક અને ભજન વચ્ચે ધાર્મિકતા સાથે ભક્તિ, સ્નેહનો નાતો જોડાયેલો હોવાથી, શાસ્ત્રો પણ  એમ કહે છે કે જ્યાં ભજનાનંદ થતો હોય ત્યાં આત્માનંદ અનુભવાય છે, જેનાથી માયાવી જગત વીસરી જવાય છે, વાતાવરણમાં પ્રસન્નતા ની લહેર ફેલાય છે, સામૂહિક ચેતના જાગે છે, તેમજ આત્મબળ ને જીવનને શક્તિવાન કરવાનું કામ ભજનો કરે છે - સત્સંગ કરે છે ઈશ્વર પ્રત્યે  માનવ જન્મનું જે ઋણ છે તે અદા કરવા આભારવશ થવા ભજન ભક્તિ મહત્વનું કામ કરે છે.

 વિશ્વ ભરમાં અનેક ધર્મો, સંપ્રદાયો પંથો માં એક યા બીજી રીતે ભજન ને સ્થાન અપાયું છે, સાદો, સરળ અને સીધો માર્ગ ભજન હોવાથી તે પ્રકારને લોકપ્રિયતા મળેલી છે, ઈશ્વર સ્મરણ એ દરેક ધર્મનો ઉદ્દેશ રહ્યો છે. સદીઓથી ચાલ્યો આવતો ભજન પ્રકાર સર્વ માન્ય સ્વીકૃતિ પામેલો ભક્તિ પ્રવાહ છે. દુન્યવી જગત ને ભૂલી જઈને થતી યોગસાધના ભક્તિ યોગ નો પ્રકાર છે એમ ભારતીય શાસ્ત્રોમાં અનેક જગ્યા એ ઉલ્લેખે છે.  "અવાજ સારો હોય તો શિક્ષા લઈ ને ગાયક બની શકાય, પણ બુદ્ધિ સારી હોય તો પણ કવિ/ સર્જક બનાતું નથી, જો  ભગવાન ની કૃપા થાય તોજ બની શકાય,''  એ પૂજય નારાયણ બાપુના શબ્દો હજુ કાનમાં ગુંજે છે.

કેદારસિંહજી એમ. જાડેજા
ગાંધીધામ. કચ્છ.(ગુજરાત )
૯૪૨૬૧૪૦૩૬૫/ ૮૧૬૦૬૩૦૪

  

No comments:

Post a Comment