ઢાળ:-અવગુણ ચિત ના ધરો- જેવો
૮.૮.૨૨
સાખી-ભક્તો કરે ભલે ભૂલ પણ, રાખે મીઠી મહેર
સ્નેહ થકી સુકા સાગ જમે, પીતો મીરાં ના ઝેર..
વચનો કાજે ભક્ત ના, તોડે નિજ ની ટેક
હાથ ચક્ર રથ નું ગ્રહે, રાખે ભક્ત ની નેક... (નેક=મર્યાદા)
--------------------
અધમ ઉદ્ધારણ ભગવાન
તા. ૮.૮.૨૨
ઢાળ:-બ્રહ્મ લીન નારાયણ બાપુએ ગાયેલ ભજન. "અવગુણ ચિત ના ધરો"- જેવો
સાખીઓ-ભક્તો કરે ભલે ભૂલ પણ, રાખે મીઠી મહેર
સ્નેહ થકી સુકા સાગ જમે, પીતો મીરાંના ઝેર..
વચનો કાજે ભક્તના, તોડે નિજની ટેક
હાથ ચક્ર રથનું ગ્રહે, રાખે ભક્તની નેક... (નેક=મર્યાદા)
હરી અધમા અધમને ઉગારે
ભક્તિ કરે જો ભાવ ધરીને, અવગુણ સઘળા વિસારે..........
શબરીએ સેવ્યા ગુરુ પદ પંકજ, મીરાં મોહન મન ધારે
કરમા કે સુલભાને આંગણ, ભાળી ભાવ પધારે.........
જડ અહલ્યાને આપે ઉગારી, ગણિકા દોષ વિસારે
અજામિલના નામ રટણને, જાપ ગણીને સ્વીકારે.....
રોહીદાસ મુળદાસ સુર તુલસી, ગોરાના ગાન સંભારે
ગોવિંદ ગાતો ગજરાજ ઉગાર્યો, ગરુડ ચડીને પધારે.......
"કેદાર" તારો ગુણલા શું ગાશે, મન માં મેલ ભંડારે
અવગુણ મારા બધા માફ કરીદો, આવ્યો શરણ તમારે......
ભાવાર્થ ;-કોઈ પણ જન ભાવ ધરીને ભક્તિ કરે તો ઈશ્વર તેના સઘળા પાપો કે ખરાબ કર્મોને ભૂલીને તેનો ઉદ્ધાર કરે છે.
શબરીએ ગુરુની સેવા કરી અને હરિ મળશે એવું વચન મળ્યું, મીરાંબાઇએ મોહનને મનમાં ધારણ કર્યા, કરમાબાઇ કે સુલભાજીને આંગણે પ્રભુ ભાવ સમજીને પધાર્યા હતા.
અહલ્યાજીને શ્રાપ મળ્યો, તો તેઓ જડ બની ગયા, ગણિકાએ ભલે પોપટને શિખાડવા માટે રામ નામ રટ્યું, છતાં તેના દોષોને ભૂલીને સ્વીકારી, અજામિલ પોતાના પુત્રના નામના લીધે નારાયણ બોલતો, છતાં ભગવાને તારી દીધો.
ભક્ત રોહીદાસ, ભક્ત મુળદાસ, સૂરદાસ, તુલસીદાસ કે ગોરા કુંભારના ભજનો પ્રભુ સ્વીકારે, હાથીને જ્યારે મગર મચ્છે પકડ્યો ત્યારે અંત વેળાએ આરાધના કરી અને પ્રભુ ગરુડ પર સવાર થઈને પધાર્યા.
પ્રભુ, હું તો અધમ છું, મારા મનમાં મેલ ભર્યો છે, પણ તારે શરણે આવ્યો છું, તો મારા બધા અવગુણોને અવગણીને માફ કરી દે જે એજ પ્રાર્થના છે.
.jpg)
No comments:
Post a Comment