Friday, March 22, 2013

મનસુખરામ માસ્તર

મનસુખરામ માસ્તર  
                                           (એક સત્ય ઘટના)
    
[ રામ કથા માં પૂ.મોરારિબાપુ એ વર્ણવેલી એક સત્ય ઘટના, કદાચ કોઇએ સાંભળી ન હોય તો આજે અહિં મને યાદ છે તે રીતે સાભાર રજૂ કરું છું.]

થોડા વર્ષો પહેલાની આ સત્ય ઘટના છે. વડોદરાથી થોડે દૂર વસેલું નાનું એવું છાણી ગામ. આ ગામમાં એક મનસુખરામ માસ્તર અને તેમના ધર્મપત્ની ઉજમબા રહે. ખૂબ જ પ્રમાણિક, કર્તવ્યનિષ્ઠ અને ભક્તિભાવ ભર્યું કુટુંબ. સરળ અને સાદું એવું જીવન તથા ડાકોરના રણછોડરાય ના ચરણોમાં અપાર શ્રદ્ધા. દર પૂનમે વડોદરાથી ગ્રેઈન માં ડાકોર જાય અને વર્ષોથી નિયમિત પૂનમના દર્શન કરે.
વ્યવસાયે મનખુખરામ છાણી ની નાની એવી સરકારી સ્કૂલમાં માસ્તર. પોતાનું કાર્ય દિલથી કરે. છોકરાઓને સરસ રીતે ભણાવે, સંસ્કારની વાતો કરે અને પોતાનું કર્તવ્ય પૂરે પૂરી નિષ્ઠાથી બજાવે. સત્કુલનો મોટા ભાગે બધો ભાર અને જવાબદારી તેમના માથે. એ સમયે સ્કુલ માં રજાઓ ના મળે અને નાની સ્કુલ અને નાનું ગામ હોવાથી બીજા કોઈ શિક્ષક પણ નહીં. છોકરાઓને પ્રાર્થના કરાવવાથી માંડીને હાજરી લેવાનું અને ભણાવવાનું તમામ કામ મનસુખરામ નું. શરૂઆતમાં મનસુખરામ ને આ બધું ગમે પણ મનમાં એક જ વસ્તુ ખટકે કે દર પૂનમે ડાકોર પહોંચવું  કેવી રીતે ? રણછોડરાય ના દર્શન કર્યાં વગર હૈયું ઝાલ્યું ન રહે.

પણ કહેવાય છે ને કે ભક્તો ભગવાન ને જેટલા ચાહે છે ભગવાન તેમના ભક્તો ને તેનાથી અનેક ગણો ચાહે છે. પૂનમના દિવસે મનસુખરામ માસ્તર સવારે વહેલા ટ્રેનમાં જઈને બપોરે ત્રણ-ચાર વાગ્યા સુધીમાં પાછા આવી જાય. સ્કુલ નો સમય બપોરે બાર વાગ્યાનો. વર્ગની હાજરી લેવાનું કાર્ય તેમજ પ્રાર્થના વગેરે વર્ગનો મોનિટર સંભાળી ને. આમ મહીને એકાદ વાર પૂનમનો દિવસ હોમવર્ક અને બીજી ઇતર પ્રવૃતિ ઓ માં નીકળી જાય.

મનસુખરામ માસ્તર ખૂબ જ નીતિમાન. છોકરાઓને પૂનમના દિવસે જે ભણવાના કલાકો બગડે એના બદલે બાકીના દિવસોમાં એ સમય વધારે ભણાવીને સરભર કરી દે. આમ તેમના કોઈ પણ કાર્યમાં કોઈ કચાશ નહિ.
સમય વીતતો ચાલ્યો. ગામ હોય ત્યાં ગંદકી પણ હોય એ ન્યાયે ગામના કેટલાક પંચાતીયા લોકોથી મનસુખલાલ ની કર્તવ્યનિષ્ઠા સહન ન થઈ. તે તેમાં ખામીઓ શોધવા લાગ્યા. મનસુખલાલ શું કરે છે, છોકરાઓને શું ભણાવે છે તેના પર વૉચ ગોઠવી. એકથી બીજા કાને વાત ફેલાઈ. ઓટલા પરિષદો થઈ. મનસુખલાલ માસ્તર બરાબર ભણાવતા નથી માટે તાલુકા સરકારી સ્કુલો ના અધિકારીઓને અરજી કરવી એવું બધાએ નક્કી કર્યું. કાગળ તૈયાર થયો, બધા એ સહીઓ કરી અને અધિકારી શ્રીને રવાના કર્યો. તાલુકા લેવલના અધિકારી શ્રી એ તપાસ માટે પોતે જાતે સ્કુલ ની વિઝિટ લેવાનું નક્કી કર્યું.

બપોરનો સમય. સ્કૂલ ચાલુ થવાની તૈયારી અને આ બાજુ અધિકારીઓ પેલા કાનભંભેરણી કરનારાઓ ને સાથે લઈને શાળા એ પહોંચ્યા. અને માસ્તરને કહ્યું કે 'તમારી વિરુદ્ધ આ ગામના લોકોની ફરિયાદ છે કે તમે વિદ્યાર્થીઓને બરાબર ભણાવતા નથી આથી અમારે તમારું કડક ચેકિંગ કરવું છે.'
માસ્તર તો નમ્રતાની મૂર્તિ. એમણે કહ્યું, 'જરૂર સાહેબ, પણ હમણાં પ્રાર્થનાનો સમય છે માટે આપ થોડીવાર બેસો હું આપને બધી વિગતો અને હાજરીપત્રકો ના ચોપડાઓ આપું છું.'

અધિકારી શ્રી બોલ્યા : 'ઠીક છે. એમ રાખો.' આમ, કહી બધા પ્રાર્થનામાં સાથે બેઠાં.

એ પછી માસ્તરે જે ઓતપ્રોત થઈને 'મા સરસ્વતી વંદના અને વૈશ્નવ જન તો તેને રે કહીએ…' ગાયું છે, અધિકારીઓ તો રીતસર એમાં ડૂબી ગયા. એ પછી વિદ્યાર્થીઓની શિસ્ત, તેમની ભણાવવાની રીત અને પત્રકો જોઈ ને રાજીના રેડ થઈ ગયા. એ સમય પ્રમાણે તેમના પગારમાં ત્રણ રૂપિયાનો વધારો કરતા ગયા. અને આ બાજુ ફરિયાદ કરનારાઓનાં મોં વિલાઈ ગયા.

પોતાનો પ્લાન ઊંધો વળેલો જોઈ ને ફરિયાદીઓ વધારે ખિજાયા. અને મનસુખરામ ને બરાબર પાઠ ભણાવવાનું વિચાર્યું. તેમણે આ વખતે જિલ્લા શિક્ષણ અધિકારીના મુખ્ય ઑફિસરને અરજી કરી. અને બે-ચાર જણના મંતવ્ય સાથે નો મસ મોટો લાંબો કાગળ લખ્યો. અધિકારીશ્રી એ નીચલાં અધિકારીઓ એ બરાબર તપાસ નહીં કરી હોય એમ માનીને પોતાના ખાસ નિષ્ણાત ઑફિસરને મોકલ્યા. આ ઘટનાક્રમ ફરીથી ચાલ્યો. ચેકિંગમાં આવનાર બધા અધિકારીઓ મનસુખરામ ની કર્તવ્યનિષ્ઠા અને ભણાવવાની રીત જોઈ ને તેમની પર ખુશ ખુશ થઈ જતા. આ વખતે તેઓ પાંચ રૂપિયાનો પગાર વધારો કરતા ગયા. અને આ બાજુ પેલા ફરિયાદીઓ મનમાં અને મનમાં ખૂબ બળ્યાં. પણ કરવું શું ?
એવામાં આ વિઘ્નસંતોષીઓ ને ક્યાંક થી ખબર પડી કે મનસુખરામ પૂનમના દિવસે શાળામાં હોતા નથી. બસ, એમને મનસુખરામ સામે વેર વાળવાની અને મનસુખરામ માસ્તરને રંગે હાથ પકડવાની તક મળી ગઈ. આ વખતે તેમણે બધું પાકે પાયે નક્કી કર્યું. જિલ્લા શિક્ષણ અધિકારીથી પણ ઉપરના મુખ્ય શિક્ષણ અધિકારીને એમણે વિગતવાર કાગળ લખ્યો અને પૂનમના દિવસે જ ચેકિંગમાં આવવાનું જણાવ્યું. અધિકારીશ્રી એ પહેલા તો ના કહી કારણકે ચેકિંગના રિપોર્ટ તો પહેલેથી જ સારા આવતા હતા. પરંતુ આ વિરોધી લોકો એ એમને ગમે તેમ કરીને મનાવી લીધા. છેવટે મુખ્ય શિક્ષણ અધિકારી આગ્રહવશ થઈને કહ્યું કે 'સારું. ચલો. ગામના લોકોની આટલી ઇચ્છા છે તો હું પૂનમના દિવસે ચોક્કસ આવીશ.'

પૂનમનો દિવસ આવ્યો. મનસુખરામ માસ્તર તો વહેલા પરવારીને સવારની ટ્રેઇનથી ડાકોર જવા રવાના થયા. તેમની પાછળ શું ષડ્યંત્ર ચાલતું હતું એનાથી તેઓ અજાણ હતા. ગામના અમુક લોકો જાણતા હતા, પરંતુ નાત બહાર જવાની બીકે કોઈ તેમને સાથ આપતું નહીં. સત્કુલ નો સમય શરૂ થવાને કલાકેક ની વાર હતી ત્યાં શાળાનો એક વિદ્યાર્થી મનસુખરામ માસ્તરના ધર્મપત્ની ઉજમબા ને કહેવા આવ્યો કે 'બા, આજે મોટા સાહેબ ચેકિંગમાં આવવાના છે.' ઉજમબા થી નિસાસો નંખાઈ ગયો. 'અરે ! આ ગામના લોકો. બિચારાં માસ્તરની આજે નોકરી જતી રહેશે. શું થશે ?' ધરમાં દેવમંદિર પાસે જઈને રણછોડરાય સામે સાલ્લો પસારીને ખોળો પાથર્યો અને આર્તસ્વરે અને દીનભાવે ડાકોરના નાથ ને પ્રાર્થના કરી.

બીજી બાજુ અધિકારીઓ નિયત કરેલા સમયે પેલા ફરિયાદી ગામવાળાઓ ની ઘરે પહોંચ્યા. ચા, પાણી અને નાસ્તો કર્યો. સત્કુલ નો સમય થયો જાણીને સ્કૂલ તરફ જવા માટે સહુ ભેગાં થઈને સાથે નીકળ્યા. અને ત્યાં તો ડાકોરમાં રણછોડરાય ધ્રૂજ્યા. ભક્તવત્સલ ભગવાનથી રહેવાયું નહીં. એમણે મનસુખરામ માસ્તરનું રૂપ ધારણ કર્યું. ખાદીના કપડાં….. પગમાં ચંપલ…… અને ખભે ખેસ…… અખિલ બ્રહ્માંડના નાયક, પરાત્પર બ્રહ્મ આજે મનસુખરામ માસ્તરનું રૂપ લઈને એ શાળા પાસે અધિકારીઓ પહોંચે એ પહેલા પહોંચી ગયા.

આ બાજુ ડાકોરમાં મનસુખરામ માસ્તર દર્શન ખૂલ્યા એટલે પગે લાગ્યા પણ એમને આજે મૂર્તિમાં તેજ દેખાયું નહિ. મૂર્તિ ખૂબ જ નિર્જીવ અને પ્રાણવિહીન લાગી. તેમણે પૂજારીઓને પૂછયું, 'કેમ આજે શું થયું છે ? ભગવાન આટલાં ચિંતિત અને તેજ વિહીન કેમ દેખાય છે ?' પૂજારીઓ કહ્યું, 'ખબર નહીં. અમને પણ આજે પહેલી વાર જ આવો અનુભવ થાય છે. આટલાં વર્ષો અમે પ્રભુની સેવા કરી પરંતુ આટલાં તેજ વિહીન પ્રભુ ક્યારેય દેખાયા નથી.'

સ્કૂલનો સમય થયો. છોકરાઓને માસ્તર આવ્યા એમ જાણીને થયું કે આજે માસ્તરને પૂનમ કદાચ નહીં જવાનું હોય. એટલે એ તો પ્રાર્થના માટે તૈયાર થઈ ગયા. એટલામાં અધિકારીઓ સ્કૂલમાં પ્રવેશ્યા. આજે મનસુખરામ માસ્તરના રૂપમાં રહેલા ભગવાને અધિકારીઓને પ્રણામ કર્યા. પેલાં ચાડી ખાનારાંઓ મનસુખરામ ને ત્યાં હાજર જોઈ ને વધારે અકળાયા. 'નક્કી આ માસ્તરને કોઈ એ અધિકારીઓ આવવાનાં છે એમ કહી દીધું લાગે છે. પણ તોયે આજે એને છોડીશું નહિ.' ક્ષણભર તો અધિકારીઓ માસ્તરના ચહેરાને જોઈ જ રહ્યા. તેમને તો ન વર્ણવાય એવા સ્પંદનો થવા લાગ્યા.
મનસુખરામે કહ્યું : 'મોટા સાહેબ, હમણાં પ્રાર્થનાનો સમય છે માટે આપ થોડીવાર બિરાજો હું આપને બધી વિગતો જણાવું છું.'
અધિકારી કહે 'ભલે, માસ્તર. તમ તમારે પ્રાર્થના કરાવી લો પછી આપણે ચેકિંગ કરીશું.'
ગામના લોકો કહે 'ના સાહેબ, તમે પહેલા જ ચેકિંગ કરો. આ પ્રાર્થનાનું બહાનું કરીને આપનો કિંમતી સમય બગાડે છે.'
અધિકારી કહે 'તમે લોકો શાંતિ રાખો. ચેકિંગ કરવાને લીધે છોકરાઓને ભણાવવાનો નિત્યક્રમ આપણાથી ના બગાડાય. માસ્તરને એમનું કામ કરવા દો.' ગામના લોકો ચૂપ થઈ ગયા.

આજે તો સાક્ષાત્ ભગવાને ભગવાનની પ્રાર્થના કરી પછી એમાં શું કચાશ હોય?  અડધો કલાક પ્રાર્થના અને બધો નિત્યક્રમ ચાલ્યો. વિરોધીઓનો વિરોધ હજી શમ્યો નહોતો. એમણે અધિકારીઓને ફરી ઉશ્કેરણી શરૂ કરી : 'આજે તો સાહેબ તમે આ બાળકોને બરાબર અઘરા સવાલ પૂછો. એવા સવાલ પૂછો કે મનસુખરામ માસ્તરે શું શીખવ્યું છે એ બધું ખબર પડી જાય.' ગામવાળાઓ એ બરાબર ઊલટી સીધી વાતો શિખવાડીને અધિકારીને બરાબર તૈયાર કર્યા. તેમણે પોતાના મનઘડંત સવાલો તૈયાર કરીને અધિકારી પાસે એક ઉટપટાંગ સવાલ પૂછાવડાવ્યો કે : 'બોલો બાળકો, ભગવાન રામે કંસને કેવી રીતે માર્યો ?'

પ્રાથમિક શાળામાં ત્રીજા-ચોથા ધોરણમાં ભણતા બાળકો આવો સવાલ સાંભળીને સ્તબ્ધ બની ગયા. બધા બાળકો તો એક સાથે કેવી રીતે બોલે ? તેથી અધિકારીએ કહ્યું કે 'આપણે કોઈ એકાદ બાળકને પૂછી લઈએ.'
મનસુખરામે કહ્યું, 'જી સાહેબ, આપને યોગ્ય લાગે તે બાળકને પૂછી લો.'
અધિકારી બીજી લાઈનમાં બેઠેલા બાળકને ઉદ્દેશીને કહ્યું કે,'બોલ તો બેટા, ભગવાન રામે કંસને કેવી રીતે માર્યો ?'

ભગવાનના રૂપમાં રહેલા મનસુખરામ માસ્તર એ છોકરા પાસે ગયા. તેના માથે વહાલથી હાથ મૂકીને કહ્યું, 'બેટા, મોટા સાહેબ પૂછે છે એનો યોગ્ય જવાબ આપ.' આમ કહી ભગવાને તેના ગાલે હળવેથી સ્પર્શ કર્યો અને એમ કરતાં બાળકના જીભને પ્રભુની ટચલી આંગળી અડકી ગઈ અને ત્યાં તો સાક્ષાત્ સરસ્વતી બાળકની જીભ પર આવીને વિદ્યમાન થઈ ગયા. બાળકના મગજમાં જાણે જ્ઞાન નું ઝરણું ફૂટયું, એના મોંમાંથી વેદ મંત્રો નીકળવા માંડ્યા અને બધા આભા બની ને જોતા જ રહી ગયા. બાળકે અધિકારીને કહ્યું, 'સાહેબ તમે સવાલ કરવામાં ભૂલ્યા છો. ભગવાન રામે તો રાવણને માર્યો. અને કંસનો સંહાર તો ભગવાન શ્રી કૃષ્ણે કર્યો.'

અધિકારીઓ પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા. ફરિયાદીઓનું કંઈ ચાલ્યું નહીં. ઘણી તપાસને અંતે કશું જ હાથ લાગ્યું નહિ અને ઉપરથી સાહેબ મનસુખરામ માસ્તરના કામથી અત્યંત સંતુષ્ટ થઈ ગયા અને આટલી સુંદર કેળવણી બદલ મનસુખરામ ના પગારમાં પચીસ રૂપિયાનો પગાર વધારો કર્યો. ગામના લોકો છોભીલાં પડી ગયા.

હવે બન્યું એવું કે આ બધું કામ પતાવીને ગામના લોકો અધિકારીશ્રી ને સ્ટવને મૂકવા ગયા. અને એજ સમયે એ જે ગ્રેઈન માં જવાના હતા એજ ટ્રેઈનમાં થી મનસુખલાલ માસ્તર ડાકોરથી પરત આવી વડોદરા સ્ટેશને નીચે ઊતર્યા. મનસુખલાલ માસ્તર તો જોઈ ને જ ઓળખી ગયા કે આજે તો મારી નોકરી ગઈ. ત્યાં ને ત્યાં અધિકારીઓના પગે પડ્યા. 'સાહેબ મને માફ કરી દો. મેં આ બધું જાણી જોઈ ને નથી કર્યું. હું વિદ્યાર્થીઓને બાકીના સમયે વધારે ભણાવીને તેમનું પૂરેપૂરું ધ્યાન આપુ છું. સાહેબ, મને માફ કરી દો.' અધિકારીઓ જોતા જ રહી ગયા અને બોલ્યા : 'અરે માસ્તર, તમે શું આજે મજાક કરો છો.'
માસ્તર : 'અરે સાહેબ, મજાક નથી કરતો હું સાચું કહું છું. મેં કોઈ દિવસ કોઈ વિદ્યાર્થીનું ભણવાનું બગાડ્યું નથી. આપ મારા વિદ્યાર્થીઓને પૂછી જુઓ.'
અધિકારી : 'અરે પણ માસ્તર, હમણાં અડધા કલાક પહેલા તો તમે સ્કૂલમાં હતાં અને હમણાં સ્ટેશને ક્યાંથી આવી ગયા ? તમે કયા રસ્તે આવ્યા ? અને આ સીધા ટ્રેનના ડબ્બામાંથી કેવી રીતે નીકળ્યા ?'
માસ્તર : 'હું શાળામાં હતો ? ના સાહેબ. હું તો ડાકોર ગયો હતો.'
અધિકારી : 'શું વાત કરો છો ? તો શાળામાં કોણ હતું જે પ્રાર્થના કરાવતું હતું ? અમારી સાથે વાતો કરતું હતું ? તમે અમારી સાથે ત્રણ કલાક તો શાળામાં ગાળ્યા.'
માસ્તરના આંખમાંથી આંસુ ટપકી પડ્યા અને એ માત્ર એટલું જ બોલી શક્યા કે 'એ હું નહોતો'. હવે એમને સમજાયું કે આજે રણછોડરાય ની મૂર્તિમાં તેજ કેમ નહોતું દેખાતું.

એ પછી કહેવાય છે કે ગામના લોકો માસ્તરના પગે પડ્યા. બધાએ એમની માફી માગી. એમની પ્રગતિ થાય એ માટે પ્રાર્થના કરી પરંતુ માસ્તરે એ શાળાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું. તેમને થયું કે જેનાથી મારા હરિને દોડવું પડે એવી નોકરી મારે શું કામની? તેમણે પોતાનું શેષ જીવન પ્રભુ ભક્તિ અને ભગવદ્ સ્મરણમાં વિતાવ્યું.

આજે પણ તમે વડોદરા પાસેના છાણી ગામમાં જાઓ તો ત્યાં મનસુખરામ માસ્તરનું સ્મારક એ ઘટનાની યાદ તાજી કરાવતું એમનું એમ ઊભું છે. કોઈએ લખ્યું છે ને? શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની શી જરૂર છે….. ?

કેદારસિંહજી એમ જાડેજા
ગાંધીધામ.૯૪૨૬૧૪૦૩૬૫