Sunday, July 31, 2016

પ્રીતમ નો પ્રેમ

​પ્રીતમ નો પ્રેમ
ઢાળ- માલકોશ જેવો

પ્રેમ પ્રીતમ ને રિઝાવે, નાણે નજર ના લગાવે...

કરમાબાઇ નો ખીચડો ખાધો, મેવા ગણી ને માવે
એઠાં ફળ અણમોલ ગણી ને, મોહન મુખ પધરાવે..

ભક્ત વિદુર ની ભાજી ખાધી, છોતરાં છબીલો ચાવે
રંક જનો ની રાબડી ખાતો, પણ-કૌરવ ભોગ ન ભાવે...

ઝેર મીરાં ના પી જનારો, તાંદુલ મન લલચાવે
સ્નેહ થકી સખુબાઇ બની ને, માર ખાધો બહુ માવે...

સુર તણો સથવારો કરતો, તુલસી લાડ લડાવે
નરસિંહ કાજે નટખટ નંદન, વિધ વિધ વેશ બનાવે...

દીન " કેદાર " પર દયા દરશાવો, સેવક શરણે આવે
અંત સમય પ્રભુ અળગાં ન રહેશો, મોહન મુખ પર આવે...

Saturday, July 30, 2016

પ્રાર્થના

પ્રાર્થના
ઢાળ:-મારો હાથ જાલી ને લઈ જશે..જેવો

મને આપજે મહેતલ પ્રભુ, સંસાર માં થોડા શ્વાસ ની
કરી ને હજુ કર તવ ભણી, આરાધના કરૂં આપ ની...

આવી ને યમ દળ આંગણે, ઓઢાડે દર્દો ની ઓઢણી
સમજાવે સઘળું સાન માં,  સેવા કરી શિ શ્યામ ની...

મને ડર નથી કંઈ મોત નો, પણ બીક છે યમરાજ ની
પકડી ને મુજ ને પૂછશે,   રટણા કરી શિ રામ ની...

જો તું રાખ આશા અમ કને, સદા પ્રાર્થીએ પ્રભુ આપને
તો સંભાળ રાખો શામળા, તારા ભક્ત ના સૌ ભાર ની..

સદા સ્મરણ હો સરકાર નું, એ છે અરજ એક " કેદાર " ની
બસ એટલી છે અભ્યર્થના,    કરૂં પ્રાર્થના પ્રભુ આપની...

Friday, July 29, 2016

પ્રભુની મહેર

પ્રભુની મહેર

સાખી-સકળ આ સંસારમાં અમૂલખ માનુષ તન, મહેર કરી મુજને મળ્યું ધન્ય ધન્ય ભગવન્

સાખી-મહેર કરી મહારાજ તેં, આપ્યું અમને અન્ન, વાયુ જળ વસુંધરા આપી થઈને પ્રસન્ન 

પ્રભુજી તારી મુજ પર મહેર ઘણી,
માનવ કેરો દેહ  મળ્યો મને, ધન્ય ધન્ય ધરણિ ધણી...

ખબર નથી હું ક્યાં ક્યાં ભટક્યો, યોની ન જાય ગણી
જીવ જંતુ કે કીડી મકોડી,  અનહદ તુચ્છ ઘણી...

લખ ચોરાસી જીવ રગડાયો , સુખ નહીં સોઈ ની અણી
નારાયણ ની નજરું પડી ગઈ, મેં તો કદિ’એ ન ભક્તિ ભણી...

દેવો ને પણ દુર્લભ એવી, કાયા મળી મનખા તણી
અમૂલખ અવસર લાધ્યો આ મુજને,  આપ્યો ગરીબ ગણી... 

શ્વાસે શ્વાસે પ્રભુ સ્મરણ કરું હું, રટણા રામ તણી
સુમતિ આપો હરી સન્મુખ ભાળું,  ભટકું ન ભ્રમણા ભણી...

રંગે ચંગે હું આવું તારે દ્વારે, એવી આશા મનમાં ઘણી
"કેદાર" કરજો કૃપા કરુણાકર દેજો, રજ તવ ચરણો તણી...  

Thursday, July 28, 2016

પ્રભુજી ની રચના  

પ્રભુજી ની રચના  

સાખી-કૃપા કરી કિરતાર તેં, સરજ્યો આ સંસાર
જીવ જળ ચેતન રચ્યાં, શોભા અપરમ પાર..

સાખી-વ્યોમ ભોમ રવિ સોમ, ગિરિવર નો નહીં પાર
અગણિત ગૃહ નભમાં ભર્યા, સાગર સંપત અપાર.. 

સાખી-કુદરતની કરામાત નો, ચિંતવું કેમ ચિતાર
મથી મથી મંથન કરું, તો એ ન પામું પાર...

પ્રભુજી તારી રચના ન્યારી ન્યારી
કોઈ કોઈ લાગે અચરજ કારી, કોઈ સુંદર કોઈ પ્યારી...

અખિલ બ્રહ્માંડ ના સર્જન હારા, પૃથ્વી બનાવી બહુ સારી
સૂરજ ચાંદો નવલખ તારા,        શોભા સઘડી તમારી...

જનમ ભોમકા ભારત માતા, ગર્વિત ગરદન મારી.
હરી હર હરખે જન્મ ધરે જ્યાં, સંત મહંત અવતારી...

નગાધિરાજ હિમાલય શિખરો, પહોંચે ગગન અટારી
રત્નાકર નો તાગ મેળવવા માં, કોઈ ની ફાવી નહિ કારી...

માતંગ જેવા મહા કાય બનાવ્યા, સૂક્ષ્મ માં કિધી કલાકારી
જલચર સ્થલચર નભચર બનાવ્યાં તેં, કરતાં ફરે કિલકારી...

માનવ માં કોઈ સંત બનાવ્યા, ભક્તિ કરે જે તમારી
કોઈ દાની કોઈ છે અભિમાની, કોઈ અધમ વ્યભિચારી...

અણુ એ અણુ માં વાસ તમારો, કણે કણ મૂર્તિ તમારી
અણ સમજુ ને સમજ ન આવે, ભક્ત ને ભાસે છબી તારી...

એક કળા કિરતાર કરીદે, સાંભળ અરજી મારી
અધમા અધમ આ "કેદાર" છે તારો, બેડલી પાર કરો મારી..

Wednesday, July 27, 2016

પાંચાળી પોકાર

પાંચાળી પોકાર

સાખી-વિપદ પડી મુજ રંકને, વહેલી કરજે વાર
પાંચાળી પોકાર કરે, એકજ તું આધાર..

સાખી-વહારે આવો વિઠ્ઠલા, નટવર નંદ કિશોર
પાંડવ સૌ પરવશ બન્યા, કોઈ ન ચાલે જોર

સાખી-ગણેલા તાર જે ત્યારે, પૂર્યા સૌ વ્યાજ સાથે ના
બચાવી લાજ અબળાની, ચુકવીયા ઋણ માથેના.....

ગિરધારી ગોવિંદ કૃષ્ણ મોરારી
પાય પડી પાંચાળી પોકારી,  વિપત પડી ભારી...

કાંતો આજે રૂઠી વિધાતા, કાં કઠણાઈ અમારી
કાંતો પૂર્વે પાપો કીધાં, આવી ઘડી આ અકારી....

ધર્મ ધુરંધર ધનુર્ધર અર્જુન,  ભીમ ગદા ધારી
સહદેવ નકુળ સૌથી સવાયા, પણ-બેઠાં બળ ને વિસારી...

આશરો આજે એક તમારો,  લેજો નાથ ઊગારી
દુષ્ટ દુઃશાસન દૈત્ય બની ને,   લૂંટે લાજ અમારી...

ભાવ ધરી મેં ભૂધર ભજ્યા,  માંગુ આજ મોરારી
અંગ થી અળગું વસ્ત્ર થશે તો, જાશે લાજ તમારી...

સાદ સુણી દામોદર દોડ્યાં,  કૃષ્ણ કરુણા કારી
નવસો નવાણુ ચિર પુરી ને, " કેદાર " અબળા ઉગારી...

Monday, July 25, 2016

નર નારાયણ

નર નારાયણ

 નર નારાયણ હોવે,
યા તો કરલે સંત જન સેવા, યા હરિજન હોવે...

એક અપરાધી પાપી પારધી, સંત સમાગમ હોવે
છોડ કપટ મહા ગ્રંથ રચાયા, હરિ અનુરાગી હોવે...

બિલ્વમંગલ સુરદાસ કહાવે, જબ નિજ નજરેં ખોવે
રાસ વિહારી રાહ દિખાવે,    ઘટ ઘટ દર્શન હોવે..

તુલસીદાસ મન મોહ અનેરા, નારી વશ પત ખોવે
એક શબ્દ મેં સત્ય સમજ કર,   સંત શિરોમણી હોવે...

કામ ક્રોધ મદ છોડ દે બંદા, ક્યું માયા વશ હોવે
દીન " કેદાર " હરિ નામ સુમરલે, હોની હો સો હોવે...

સાર- ૧,- વાલિયો લુટારો, લૂંટ માર,શિકાર કરીને જીવન ગુજારતો, એક વખત નારદ મુનિનો સંપર્ક થયો ત્યારે નારદ મુનિએ પૂછ્યું કે તું જે આ કર્મો તારા પરિવાર માટે કરશ તે પરિવાર તારા પાપ ના ભાગીદાર છે? પણ પરિવાર આમાં  ભાગીદાર  ન હોવાનું જણાવતાં તે નારદજી ના ચરણોમાં પડી ગયો અને રસ્તો બતાવવા કહ્યું,બોધ મળતાં તે રામ નામમાં લીન બન્યો અને વાલ્મીકિ મુનિ બનીને રામાયણ જેવા મહા ગ્રન્થ ની રચના કરી.

૨, સુરદાસજી વિષે અલગ અલગ કથા મળે છે, એક જગ્યાએ તેમને જન્મથી જ અંધ છે એવો ઉલ્લેખ છે, જ્યારે મેં એક આધારભૂત સૂત્રો દ્વારા સાંભળવા મુજબ તેનું નામ બિલ્વમંગલ હતું, તેના કોઈ સારા કર્મો ના આધારે તેને વલ્લભાચાર્ય જેવા ગુરુ મળ્યા અને તેને સદ માર્ગે ચાલવા સમજાવ્યા. એક વખત એક ગામના પાદરે એક પાણી ભરી ને જતી સ્ત્રી પર તે મોહ પામ્યા અને તેની પાછળ પાછળ તેના ઘર સુધી ચાલ્યા ગયા, પણ સદ ભાગ્યે તેમને તેના ગુરુ ની યાદ આવતાં તેણે તે સ્ત્રી પાસે સોય મંગાવી ને પોતાની બન્ને આંખો ફોડી નાખી અને કૃષ્ણ ભજન માં લાગી ગયા.

એમની ભક્તિ એટલી પ્રબળ બની કે ખુદ કૃષ્ણ ભગવાન બાળક નું રૂપ લઈને તેમને માર્ગ બતાવતા. સુરદાસજી પણ સમજવા લાગેલા કે મને લાલો જ માર્ગ બતાવે છે, તેથી મન માં મનમાં હંસતા અને કહેતા "લાલા તું મને છેતરે છે પણ મને હવે બધી જ ખબર છે કે આ લાલો કોણ છે. હૂંતો મારા ઘટ ઘટ માં તારાં દર્શન કરૂં છું."

સુરદાસજી એ અમુક સંખ્યામાં પદો લખવાની ટેક રાખેલી, પણ એ પહેલાં જ તેમની જીવન યાત્રા સમાપ્ત થઈ જતાં ખુદ ભગવાને તેમના પદો પુરા કર્યા. સુરદાસજી પોતાના પદ ના અંતે "સુરદાસ" લખતાં જ્યારે જે પદો ભગવાને લખ્યા તેમાં " સુર શ્યામ" લખ્યું છે.

આ પ્રસંગે મને એક કોઈ સંત ના મુખથી સાંભળેલી એક સરસ વાત યાદ આવી જે લખવા નું મન થાય છે.

સુરદાસજી અને તુલસીદાસજી એક વખતે એક જંગલ માં થી પસાર થતા હતા ત્યારે કોઈ એ બૂમ પાડી કે રસ્તામાંથી હટી જાવ કોઈ હાથી ગાંડો થયો છે, તુલસીદાસજી તો પોતાની મસ્તી માં ચાલતા રહ્યા પણ સુરદાસજી લાલા ની મૂર્તિ લઈ ને એક બાજુ જતા રહ્યા. જ્યારે હાથી પસાર થઈ ગયો ત્યારે તુલસીદાસજી એ પૂછ્યું કે આપના જેવા સંત ને ભગવાન પર એટલો ભરોંસો નથી કે આપ એક બાજુ જતા રહ્યા, ત્યારે સુરદાસજીએ કહ્યું કે આપના આરાધ્ય તો ધનુષધારી છે એને હાથી નો શો ડર, પણ મારો લાલો તો હજુ નાનો છે એને તો મારેજ સાંચવવો પડે. આવી છે સંતો ની વાતો.

૩, તુલસીદાસજી ને  પોતાની સ્ત્રી માટેનો મોહ અનહદ હતો, ધોધમાર વરસાદ માં પિયર ગયેલી પત્ની ને મળવા એક મુડદા ને લાકડું   સમજી ને નદી પાર કરી,  પણ પત્ની એ ટકોર કરી કે જેટલી મરા પર પ્રીતિ છે તેટલી પ્રભુ પર હોત તો બેડો પાર થઈ જાત, બસ આ એક જ શબ્દે તુલસીદાસ રામ મય બન્યા વાલ્મીકિ ની જેમ સરળ શબ્દો માં લોકો આસાની થી સમજી શકે તેવા રામ ચરિત માનસ ની રચના કરી અને અનેક પદો પણ લખ્યા.તુલસીદાસજી ને વાલ્મીકિ મુનિ ના અવતાર ગણવામાં આવે છે.

ઉપર નું દરેક લખાણ મારું અંગત મંતવ્ય છે જે કદાચ ખોટું પણ હોઈ શકે, તો કોઈ એ આનો આધાર લઈ ને કોઈ કાર્ય ન કરવું. 

Sunday, July 24, 2016

નંદ દુલારો

નંદ દુલારો
મૈયા તારો નટખટ નંદ દુલારો
કરતો ફરે કેર કાળો......

ગોપ ગોવાળ ની ટોળી બનાવી, ચોર નો બન્યો સરદારો
મહી માખણ વહાલો ચોરી ચોરી ખાતો, મોહન મોરલી વાળો...

મથુરા વાટે દાણલા માટે, ગોપીઓ ને દેતો બહુ ગાળો
મારગ રોકે પાલવ પકડે,   છેડે છે છબીલો છોગાળો...

રાજા કંસ નું કરજ વધ્યું છે,  દિન દિન કરે છે દેકારો
કાન્હાને કેદની ક્યાં છે નવાયું, પણ-ગરીબ થી થાશે નહિં ગુજારો...

યશોમતી કોપી લાવો એને ગોતી, દુર્ કરી દંવ દેકારો
બાંધુ એને તાણી હવે ખૂબ મૂંઝાણી, સોટી નો લઉં સથવારો...

રાવ કરી પસ્તાણી ગોપી,  મોહન તો મન હરનારો
માર સોટી નો કેમ કરી ખમશે, " કેદાર " કોમળ છે બાળો... 

Thursday, July 21, 2016

ધન્ય એની જાત ને

ધન્ય એની જાત ને

જન્મ ધરી જેણે જાદવ જપિયા, ધન્ય એની જાત ને
હરિ ભજન જેને હૈયે રમતું, જપે સદા જે જગ તાત ને...

સુવાડે શ્યામ ને સમરી, કથા જે કૃષ્ણ ની કરતી, કરાવે પાન અમૃત નું, રટણ નિત રામ નું કરતી
ગળથૂથી માં જેણે ગોવિંદ ગવડાવ્યો, વંદન એવી માત ને...

ભણ્યો જે ભાવ થી ભૂધર, રચ્યો નિત રામ માં રહેતો, ન લાગ્યું મનડું માયા માં, કશી ના કામના કરતો                                      દીન દુખી ને દેતો દિલાસા, સાંભળી એની વાત ને...

કરે નિત સંત ની સેવા, ભળે જે ભક્ત ના ભેળો,   ભજન નો ભેખ પહેરી ને, લગાવે નામ નો નેડો
પરજન કેરી પીડ પિછાણી જે, જાણે દુખી નિજ જાત ને...

ન આવે યમ તણા તેડા, સિધાવે સ્વર્ગ માં સીધો,   રહે ના જન્મ ના ફેરા, સફળ અવતાર એ કીધો
" કેદાર " આવા કરમી જન તો, તારીદે સઘળી નાત ને...

Tuesday, July 19, 2016

દુવિધા

દુવિધા

કેમ રે ભરોંસો તારો આવે, દેવકી ના જાયા..કેમ રે...

ખોટાં ખોટાં વચનો તારાં, ખોટા તારા વાયદા
ખોટાં ખોટાં ખેલ કરાવે...

પાંચાળી કેરાં પ્રીતમ, પટ પૂરાં પૂરિયા
ગોપીઓ ના ચીર ને કાં ચોરાવે....

ગીતાના જ્ઞાન ગોવિંદ,  પાર્થ ને પઢાવ્યા
પણ-રણ છોડી રીતો કાં ભુલાવે...

ટિટોડી કેરાં કેશવ,  ઈંડા ને ઉગાર્યા
પણ-કાળ યવન કપટે કાં મરાવે....

સૃષ્ટિ ના સર્જન હારા, હાની મરણ [તારા] હાથમાં
તો- દ્વારિકા ને દરિયો કાં ડુબાવે...

" કેદાર " કનૈયા તારી,   લીલા ને શું જાણશે
મથી મથી મનડા ને મૂંઝાવે..

Monday, July 18, 2016

સદ ગુરુ  

સદ ગુરુ  
ઢાળ-ગુરુ કરોતો જ્ઞાન બતાવે..

સાખી-સદ ગુરુ સમજવો તેમને, જે ભરે ભક્તિ નો રંગ
કુપાત્રને સુપાત્ર કરે,
બદલે બધાય કઢંગ                 

સાખી-પાત્ર વિનાનું પીરસો,  ભલે છપ્પન ભોગ ધરાય
છલકે પણ છાજે નહીં,  
ભુખ ભાવઠ ના જાય..

સાખી-ઊલટો અમૃત કુંભ પણ, ઠીકરે ના ઠેરાય
સિંહણ કેરું દુધ તો,
કંચન પાત્ર ભરાય..

સાખી-સાજ તુરંગ ને શોભતો,  લગડું ગર્દભ સોય       
કુંજર બેઠો કર ધરે,    
માંગણ ટેવ ન ખોય  

સદ ગુરુ એજ કહાવે,
અવગુણ સઘળાં અળગાં કરીને જે  સત્યનો માર્ગ બતાવે..

નેકી ટેકી થી રહે સંસારે, સમતા સ્નેહ ધરાવે
સંત સમું સૌ વર્તન રાખે,
ઊર અભિમાન ન આવે...

અજ્ઞાની ને જ્ઞાન ની વાતો, સહજ કરી સમજાવે, 
રોમે રોમ જે ભક્તિ ભરીદે, મનનો મેલ મિટાવે... 

મૂંઢ મતી ને માર્ગ બતાવી, ભક્તિ રસ પિવડાવે
સમજણ આપે સ્નેહ સહિત ને, પ્રેમથી પથ જે બતાવે...

નાટક ચેટક નખરા કરે નહીં, ધન લાલચ ના ધરાવે
ભેદી કોઈ ભ્રમ જાળ બનાવી, ભક્ત ભોળા ના ફસાવે...

"કેદાર"મળે જો કૃપા રઘુવીર ની, ગુરુ ગોવિંદ બતાવે
જનમો જનમ ના ફેરા મિટાવી, શિવ માં જીવ ને મિલાવે... 

સાર-ગુરુ શબ્દનો અર્થ આજે ઘણાં લોકો શિક્ષક/ધર્મના વડા કે સાધુ સંત પુરતો મર્યાદિત સમજે છે, આમતો ગુરુ એટલે કોઈ પણ વ્યક્તિ સારી શિખામણ આપે તેને ગણવો જોઇએ એમ ભગવાન દતાત્રેય ના મત મુજબ કહેવાય, પણ સદ ગુરુ તો શિષ્યના ભાગ્ય હોય તોજ મળે, અને તોજ ૮૪ લાખ યોનિમાંથી ભટકી ભટકીને મળેલા માનવ દેહ દ્વારા ગુરુ વચને મુક્તિ પામે.

મારા મતે આ બધું ઈશ્વરનું બનાવેલુંજ ચક્રછે, જીવ ખબર નહીં ક્યારે કઈ યોનિમાં પ્રથમ જન્મ લેતો હશે? ત્યાં કયા કર્મો કરતો હશે? જેના પ્રતાપે બીજો અવતાર માનવ બનવાના લક્ષ તરફ પ્રયાણ કરતો હશે? બીજો જન્મ ક્યાં લેતો હશે? ત્યાં શું કર્મ કરતો હશે? આમ ક્યારે માનવ બનતો હશે કે જ્યાં તેને સદગુરુ મળે અને તે પાર થઈ જાય, આ બધું ઈશ્વરે બનાવેલુ એક એવું ચક્ર છે કે જે આજ દિવસ સુધી કોણ કોણ સમજી સક્યું છે તે ખબર નથી, જો ઈશ્વરની ઇચ્છા વિના પાંદડું પણ હલતું ન હોય તો પાપ શું અને પુણ્ય શું? આ બધું એક એવું ગુંચવાળા ભરેલું છે કે માનવ જેમ જેમ વિચારે તેમ તેમ અંદર અને અંદર ઉતરતો જાયછે.

ગુરુ મળે તો આ બધા તાણા વાણા ઉકેલીને સાચો માર્ગ બતાવે, પણ જો ભાગ્ય હોય અને સદગુરુ મળે તો એક એક તાણો એવો ઉકેલે કે જીવને શિવ સુધી પહોંચાડીદે, ગુરુ માર્ગ દર્શક છે તો સદગુરુ અપાર દર્શકછે, જે ગુરુ નથી બતાવી શકતા તે સદગુુરુ ક્યારેક એક ક્ષણમાં એવી સરળ રીતે બતાવી દેછે કે શિષ્યને પાર કરાવી શકેછે, વાલીયા લુટારા કે પ્રહ્રાદ જેવા ઘણાં શિષ્યોને નારદજીએ એકજ શબ્દમાં એવું જ્ઞાન આપી દીધું કે સાક્ષાત્ ઈશ્વરે દર્શન આપવા દોડવું પડ્યું. 
જય ગુુરુદેવ.

Sunday, July 17, 2016

ઝૂંપડીએ જંગ

ઝૂંપડીએ જંગ

ઝૂંપડીએ જંગ લાગ્યો, જીવડા તારી....

કાયાને કદી કાટ ન લાગે આતો, અકળ અચંબો આવ્યો
ઘાસ ફૂસ જેવું ભાતું ભર્યું તેં, દેહમાં દવ છે લગાવ્યો...

દેવો ને પણ દુર્લભ એવો, મનખો માનવનો લાધ્યો
પરખી શક્યો નહીં પ્રભુની કૃપાને, મોહ માયા વશ ભાગ્યો...

ભૂધર કેરી ભક્તિ કરી નહીં, સમરણ સ્વાદ ન ચાખ્યો
કામ ક્રોધ મદ મોહ તજ્યા નહીં, મારગ અવળે રાચ્યો...

વાગ્યા જ્યારે ગેબી નગારાં, અવસર અંતનો ભાસ્યો
યમ દૂતો જ્યારે દ્વારે દરશાયા ત્યારે, ભય ભયંકર લાગ્યો..

ગજને બચાવ્યો ગરુડ ચડીને, ગણિકા પોપટ પાઠ્યો  
ટિટોડી ના ઈંડા ઉગાર્યા, " કેદાર " ભરોંસો કેમ ના’વ્યો...

સાર;-આપણા શાસ્ત્રો મુજબ જીવ ચોરાસી લાખ યોનિમાં ભટકી ભટકીને અંતે મોક્ષ પામવાનું છેલ્લું દ્વાર માનવ શરીર પામેછે. માનવ દેહ દેવોને પણ દુર્લભ છે એમ કહેવામાં આવે છે, અનેક ઉપકારો પછી જીવને માનવ દેહ મળે છે, પણ જીવ જન્મ પછી એ બધું યાદ રાખી શકતો ન હોઇને ક્યારેક અવળા રસ્તે ચાલવા લાગે છે.

હાડ ચામની બનેલી કાયાને ક’દિ કાટ ન લાગે પણ અહીં કલ્પના કરવામાં આવી છે કે આ કેવો અચંબો છે કે ઈશ્વરે આ જીવને મંદીર સમાન માનવ દેહ આપ્યો કે જેમાં વસવાટ કરીને જીવ સત કર્મો કરે તો શિવત્વ પામી શકેછે.પણ તેં અકર્મો કરીને ઘાસ ફૂસ જેવો કચરો કાયામાં ભરીને કાયાને એવી ભ્રષ્ટ કરીછે કે તેમાં જાણે કાટ લાગવા માંડ્યો છે.

તને આ અમૂલ્ય અવસર સંસાર સાગરને પાર કરવા માટે આપેલો પણ તેં એ મોકો ગુમાવી દીધો અને અવળા રસ્તે ચાલ્યો. પણ જ્યારે ઉમર થવા લાગી, દર્દોએ ઘેરો ઘાલ્યો અને મૃત્યુ નજીક દેખાવા લાગ્યું ત્યારે હવે ડર લાગવા માંડ્યો.

હે જીવ હાથીની છેલ્લી ઘડીની એકજ પોકાર કે પોપટને રામ નામ પઢાવતી ગણિકા અગરતો યુદ્ધના મેદાનમાં પડેલા ટિટોડીના ઈંડાને ઉગારનાર હજાર હાથ વાળો હજાર હાથે રખેવાળી કરે છે પણ છતાં તને ભરોંસો કેમ ન અવ્યો?

જો જીવ એક ક્ષણ પણ અંતરના ઊંડાણથી આર્તનાદ સાથે ઉપર વાળાને ભજે તો તે ક્યારેય સહાય કરવાનું ચૂકતો નથી.

જય નારાયણ.

Saturday, July 16, 2016

જ્યોતિર્લિંગ

જ્યોતિર્લિંગ

સાખી-દિવ્ય તેજ દિવ્ય પુંજ, સ્તંભ બની નટરાજ  
વિષ્ણુ બ્રહ્મા મદ હર્યો,
દેવાધી દેવ મહારાજ...

સાખી-સ્તંભ પ્રતીક સમ લિંગ, જ્યોતિર્લિંગ સ્થપાય
નિજ તેજ અપાર ભર્યું,
જગ જન હિત સુખાય..

શિવજી તારો મહિમા અપરમ પાર,
જ્યોતિર્લિંગનું તેજ અનેરું,
હૂંતો વંદુ વારમ વાર, ...

પરથમ જ્યોતિ લિંગ તમારી, સોમનાથે સરકાર
ચંદ્ર તણા સૌ સંકટ કાપી,
શિર ધર્યો સર તાજ....

મલ્લિકાર્જુન મહેર ઘણેરી,
નંદી પર નટરાજ
મહાકાલેશ્વર ઓમકારેશ્વર, ઓમ પર્વત આકાર...

કેદારનાથ કરુણા ના સાગર, ભીમા શંકર ભવ તાર
વિશ્વનાથ કાશીમાં બેઠાં,  
સંતો સેવે અપાર...

ત્રંબકેશ્વર ત્રિદેવ સ્વરૂપે, બૈદ્યનાથ સિદ્ધ નાથ
નાગેશ્વર દાસ્કાસુર હંતા, દ્વારિકા વન મોજાર...

સમુંદર દ્વારે રામજી ના દ્વારા, રામેશ્વર નિરધાર 
ધૃશ્મેશ્વર પ્રભુ દયા દરશાવો , "કેદાર" કરજો પાર...શિવજી.

સાર:-
સોમનાથ:-(ગુજરાત) દક્ષ પ્રજાપતિની અનેક પુત્રીઓને પરણેલો ચન્દ્ર રોહિણી પર વધારે પ્રેમ રાખતો, તેથી બાકી ની પુત્રીઓએ દક્ષ ને  ફરીયાદ કરતાં દક્ષ રાજાએ ચન્દ્રને શ્રાપ આપ્યો કે તને ક્ષય થશે અને તું ક્ષીણ થતો જઈશ, પણ આવા શ્રાપથી આ પુત્રીઓ નારાજ થઇ અને ભગવાન શિવને પ્રાર્થના કરી અને ચન્દ્રએ પ્રભાસ ક્ષેત્ર માં મહા મ્રુત્યુંજયના જાપ થી શિવજી ને રિઝાવતાં શ્રાપ પામેલા ચન્દ્ર ને શિવજીએ દયા કરી ને શ્રાપમાંથી આંશિક મુક્તિ અપાવી, આ ક્ષેત્રની પ્રતિષ્ઠા વધારવા માટે ભગવાન શિવ પોતે સોમેશ્વર મહાદેવ ના નામે જ્યોતિર્લિંગ તરીકે બિરાજમાન થયા, અને સોમ (ચન્દ્ર ) ને પોતાની જટા માં ધારણ કર્યો.

મલ્લિકાર્જુન :-(આંધ્ર પ્રદેશ)મલ્લિકાર્જુન મંદિર વિશે એક પ્રાચીન કથા છે જેના અનુસાર શિવ ગણ નંદીએ અહીંયાં તપસ્યા કરી હતી. તેઓની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અને પાર્વતીએ તેમને મલ્લિકાર્જુન અને બ્રહ્મારંભના રૂપમાં દર્શન આપ્યા હતાં. આ જ્યોતિર્લિંગ નું વર્ણન મહાભારતમાં પણ છે. પાંડવોએ પાંચ પાંડવ લિંગની સ્થાપના અહીંયાં કરી હતી. ભગવાન રામે પણ આ મંદિરનાં દર્શન કર્યા હતાં. ભક્ત પ્રહલાદ ના પિતા હિરણ્યકશ્યપ પણ અહીંયાં પૂજા અર્ચના કરતાં હતાં.

મહાકાલેશ્વર:- ઉજ્જેન (મધ્યપ્રદેશ) માં આવેલુ આ સ્વંયંભૂ જ્યોતિર્લિંગ એકમાત્ર દક્ષિણામુખ જ્યોતિર્લિંગ છે. મહાકાલ જ્યોતિર્લિંગને દેવતાની સાથે સાથે ઉજ્જૈનના રાજાના સ્વરૂપે પણ પૂજાય છે. આને ઉદ્ધવની કથામાં અવંતિકાના રાજાના રૂપમાં પણ પ્રતિષ્ઠિત કરાયા છે.

ઓમકારેશ્વર:-( ઓમકારેશ્વરની ખાસિયત એ છે કે અહીંયાંનો પર્વત ॐ ના આકારમાં દેખાય છે. આ સાથે નર્મદા નદી પણ ॐ ના આકારે વહેતી દેખાય છે. ઓમકારેશ્વરની સાથે પણ ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે. કહેવામાં આવે છે કે શંકરાચાર્યના ગુરુ ઓમકારેશ્વરની એક ગુફામાં રહેતા હતાં. પૌરાણિક કથાઓ અનુસાર ઓમકારેશ્વરમાં વિધ્યાચલે પણ તપસ્યા કરી હતી.

કેદારનાથ : ઉત્તરાખંડમાં હિમાચલ પર્વતના ખોળામાં કેદારનાથ મંદિર પાંડવોએ સ્થાપ્યું છે, મહાભારતના યુધ્ધ પછી પાંડવો પોતાના પાપ ધોવા માટે શિવને મનાવવા આ સ્થળે પહોંચ્યા ત્યારે પાડાનું રૂપ ધરીને ભોળા નાથ પ્રુથ્વિમાં સમાવા લાગ્યા પણ પાંડવોએ તેમને મનાવીને અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાપીત કર્યા. 

ભીમશંકર:-સહ્યાદ્રી અને તેના આજુ બાજુનાં લોકોને ત્રિપુરાસુર નામનો રાક્ષસ તેની આસુરી શક્તિઓથી લોકોને હેરાન કરતો હતો. આ રાક્ષસથી મુક્તિ અપાવવા માટે ભગવાન શંકર અહીં ભીમકાય સ્વરૂપે પ્રગટ થયાં અને ત્રિપુરાસુરને યુદ્ધમાં હરાવ્યાં બાદ ભક્તોના આગ્રહને કારણે તેઓ ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થઇ ગયાં. એવી માન્યતા છે કે યુદ્ધ સમયે ભગવાન શંકરના શરીરમાંથી જે પરસેવો નીકળ્યો હતો તેનાથી ભીમવતી નદીનો જન્મ થયો હતો.

કાશી વિશ્વનાથ :-કાશી વિશ્વનાથનું હિન્દુ ધર્મમાં એક વિશિષ્ટ મહત્વ છે. એક વખત આ મંદિરના દર્શન કરવાથી અને પવિત્ર ગંગા નદીમાં નહાવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. દરેક માણસ જીવનમાં એક વખત અહીંયાં દર્શન કરવા માટે આવવા માંગે છે. આ મંદિરનાં દર્શન માટે શંકરાચાર્ય, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ, તુલસીદાસ વગેરેનું આગમન થયેલું છે.

ત્ર્યંબકેશ્વર :- નાસિક (મહારાષ્ટ્ર) માં આવેલ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો સમાવેશ છે આ જ આ જ્યોતિર્લિંગની મહાન વિશેષતા છે. અન્ય બધા જ જ્યોતિર્લિંગમાં ફક્ત ભગવાન શિવ જ બિરાજમાન છે.

બૈદ્યનાથ :-ઘણા લોકો આને બૈદ્યનાથ પણ કહે છે. દેવઘર એટલે દેવતાઓનું ઘર. બૈદ્યનાથ જ્યોતિર્લિંગ અહીં આવેલું છે તે કારણે આને દેવઘર નામ મળેલ છે. આ જ્યોતિર્લિંગ એક સિધ્ધપીઠ છે. તેથી સિદ્ધ નાથ કહેવામાં આવે છે.  અહીંયાં આવનાર દરેક વ્યક્તિની મનકામનાઓ પરિપૂર્ણ થાય છે. આ લિંગને કામના લિંગ પણ કહેવામાં આવે છે.

નાગેશ્વર:- દ્વારકામાં દાસ્કા નામના એક રાક્ષસે નિરપરાધ એક શિવ ભક્ત સુપ્રીયાને કારાવાસમાં કેદ કરી દીધો હતો. નિર્દોષ સુપ્રીયાએ પોતાની રક્ષા માટે ॐ નમ: શિવાય મંત્રનો જાપ કર્યો હતો. અવાજ સાંભળીને ભગવાન શિવ અહીંયાં પ્રગટ થયાં હતાં અને તેઓએ દાસ્કા રાક્ષસનો અંત કર્યો હતો. ત્યાર બાદ તેઓએ જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં જ નિવાસ કર્યો હતો.

રામેશ્વર :- આ જ્યોતિર્લિંગ સમુદ્રના કિનારે આવેલું છે. અહીંયાં શ્રીરામે ભગવાન શંકરની પુજા કરી હતી. રાવણ સાથે યુદ્ધમાં કોઇ પાપ ન થાય તે કારણે ભગવાન રામે મંદિરમાં શિવજીની આરાધના કરી હતી. રામેશ્વર હિન્દુ ધર્મના મહત્વના તીર્થ સ્થળોમાંનું એક છે.

ધૃષ્ણેશ્વર:- મહારાષ્ટ્રમાં ધૃષ્ણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર પણ બાર જ્યોતિર્લીંગમાંનું એક છે. ઘણા લોકો આને ધૃશ્મેશ્વરના નામથી પણ ઓળખે છે. બૌધ્ધ સાધુઓ દ્વારા નિર્માણ કરાયેલ ઇલોરાની પ્રસિદ્ધ ગુફાઓ પણ આ મંદિરની પાસે જ આવેલી છે. 

Friday, July 15, 2016

જલારામ બાપા

જલારામ બાપા

સાખી-સંત સેવક કે ભક્ત જન, ચોથા અન્ન દાતાર
હરિ હૈયે અવિરત વસે, નજર હટે ના લગાર...

સાખી-અન્નદાની વીરપુર વસે, એ ની ફોરમ જગ ફેલાય
હૈયે હરખની હેલી ચડે, જ્યાં નામ જલા નું લેવાય..

વીરપુર વાસી હરિગુણ પ્યાસી, ડંકો વગાડ્યો પૂરા દેશમાં 
દાતા તમે આવ્યા જલા ના વેશ માં....

માતા રાજબાઇ ખોળે જન્મ ધર્યોને, પિતા પ્રધાન પરખાણા
વીરબાઇ સરીખી મળી અર્ધાંગના. ભક્તિ તરબોળ દરશાણા 
સાધુ સંતોની સેવા કરતાં, અંતર ઉમંગ આવેશ માં.. 

અંગે અંગરખું હાથમાં બેરખો, ગાલે લાખું લાખેણું
ગળે રુદ્રાક્ષની માળા ઓપતી, શોભા તારી શું વખાણું
હાથમાં લાકડી માથે પાઘડી, ઓલિયો લાગે છે કેવો ખેસ માં. 

લાલા ભગત જેવા સખા તમારા, દળણા સૌ સાથમાં દળતાં
ભેગા મળી સંતો ભજનો લલકારે, આરાધ ઈશ નો કરતાં
ગંગા ને યમુના સરીખી સરિતા, આવે પનિહારી વેશમાં...

પ્રભુ એ આવી લીધી પરીક્ષા, વિરબાઇ માંગી લીધાં 
લેશ ન માયા ઉરમાં આણી, હરખે વળાવી દીધાં
ઝોળીને ધોકો દઈ છટકયા સીતા પતિ, ચાલ્યા સાધુના પહેરવેશમાં 

રામની ભકિત ભાળી પ્રગટ્યા પવનસુત,  મૂર્તિ રૂપ મંડાણા
હેતે ભગત ને આશિષ આપતાં, પ્રેમ ભાળીને પરખાણા
સદાએ સંતની સાથમાં રહેતા, બેસે કોઈ ભકતના વેશમાં.. 

રામના નામની ધૂણી ધખાવી, ભૂખ્યાને અન્નજલ આપતાં
દીન દુખિયાની કરતા ચાકરી, કષ્ટો ગરીબના કાપતાં 
અવળાં ઉત્પાત કોઈ અંતર ના આણતાં, બોલે ભલેને કોઈ દ્વેષ માં

દેશ વિદેશના ભકતોની ભીડ જામે, સેવા કરવામાં સૌ શુરો 
હેતે હરિજન દર્શન કરતાં, પામે સંતોષ પુરે પુરો
એક અધેલો ચડેના ચડાવો, કોઈ પણ દાણ ના પ્રવેશ માં...

દીન " કેદાર " પર દયા દરશાવો, આશિષ અવિરત આપજો
સદા રહે મારે હૃદયે હરજી, એવી મતી મારી રાખજો
હરિગુણ ગાતાં ઊડે પંખેરુ મારું, આવું તારે દ્વારે શુદ્ધ વેશ માં