Monday, October 9, 2023

પીર રામદેવજી


               પીર રામદેવજી

તા. ૧૭.૯.૨૩. (રામદેવ પીર નવરાત્રી.)
ઢાળ;- હરિ જન આવો હરિ ગુન ગવાય છે....જેવો

સાખી:-રામ નામ અનેક પણ, પીર પોકરણ નો એક
       અજમલ ઘર અવતાર ધરી, તાર્યા દાસ અનેક..
દ્વારિકાથી દોડી ગયો, પોખરણ ગઢ મોજાર,
તંવર કુળ અવતાર ધર્યો, ધન્ય ધન્ય સરકાર......

પીર પોખરણ ના એક મનસા રહે મારી, રાત દિવસ કરૂં રટણા તમારી...

ભક્ત અજમલે આવી ઘાયલ કીધાં, તોયે દ્વારિકાના નાથે દર્શન દીધાં
ભક્તિ ભાળીને આપ્યા,  વચનો વિચારી....રાત દિવસ કરૂં રટણા તમારી...

માસ ભાદરવો, બીજ અજવાળી, તંવર કુળની નાત ઉજાળી
ધરા રણુજા ની બની, પાવન કારી...રાત દિવસ કરૂં રટણા તમારી...

નિજિયા ધર્મને ઉજાગર કીધો, અજ્ઞાનીઓ ને, આત્મ બોધ દીધો 
પરચા પૂર્યા છે પુરા, જગમાં બહુ ભારી...રાત દિવસ કરૂં રટણા તમારી...

મક્કા શહેર થી, આવ્યા કોઈ ઓલિયા, ભાળી પ્રતાપ તારો, વચનો ઉચાર્યા
પીર સ્થાપીને કરી, ભક્તિ બહુ ભારી...રાત દિવસ કરૂં રટણા તમારી...

દાસ "કેદાર" ની એકજ આશા, કદાપિ જીવનમાં ન આવે નિરાશા
નીરખે મનોહર મુરત, આંખડી અમારી..રાત દિવસ કરૂં રટણા તમારી...

રચયિતા:-
કેદારસિંહજી મે. જાડેજા
"દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ
૯૪૨૬૧૪૦૩૬૫
kedarsinhjim@gmail.com
kedarsinhjim.blogspot.com.   
ફોટો-ગુગલ ના સહયોગ થી


 

કળિયુગ ના કપૂતો.


                    કળિયુગ ના કપૂતો.

તા. ૨૫.૯.૨૩

ઢાળ;-સાધુ વો નર હમ કો ભાવે...જેવો


સાખી-નાટક ચેટક નખરા કરે, કળિયુગ ના સંતાન 

      એને ધર્મ તણું નહીં ધ્યાન, દિલ ની વ્યથા આ "દીન" ની...

     માતા થી નહીં મેળ, ભાઈ ભાગીદાર લાગતો

     પણ સાળા સાથે સ્નેહ, દિલ ની વ્યથા આ "દીન" ની...   

     પિતા થી નહીં પ્રેમ, સાસરી સગપણ રાખતો

     બહેની વલખે કેમ. દિલ ની વ્યથા આ "દીન" ની....


કળિયુગ આજે,  કેવા કેવા ખેલ કરાવે...ટેક.

સપૂત સંતાનો નજરે ચડે નહીં, કપૂતો નો પાર ન આવે...

 

માત પિતા બન્ને કરીને મજૂરી, પુત્ર ને ખૂબ ભણાવે

સાહેબ બન્યા પછી આવે શરમ એને, અભણ ને કેમ ઓળખાવે...     


બાપ બનીને ફરે બેટાજી, મા ને મજૂરી કરાવે

ભાઈ બહેન ની ભાળ ન લે પણ, મિત્રો મોજ મનાવે....


બેની બીચારી કદી આંગણે ન આવે, સાળી સંગે બહુ ફાવે

સગા ભાઈ નો સાથ ગમે નહીં,      સાળો મન લલચાવે ...

   

બાવડું ઝાલે નહીં બૂઢા પિતાનું,  પર દુખ પીડ બતાવે

માત-પિતાને પૂરું ખાવા મળે નહીં,  મંદિર ભોગ ધરાવે......


આવે બુઢાપો ત્યારે બેટો હડસેલે, ખૂણામાં ખાટલો ઢળાવે

"કેદાર" કાનુડો કોઈનું કરજ ન રાખે, ન્યાય ના ત્રાજવે તોળાવે.... 


ભાવાર્થ :- સાખી-આજના સંતાનો ધર્મ માં જરાએ ધ્યાન આપતા નથી, સિનેમા ને નાચ નખરામાં બધું ભૂલી ગયા છે. માતા-પિતા પર પ્રેમ નથી, ભાઈ મિલકત નો ભાગીદાર લાગે છે, બહેન ભાઈ ના પ્રેમ ને વલખે છે, પણ સાસરી પક્ષે બધુંજ સારું છે. આ મારા દિલ ની વેદના છે. (બધા સંતાનો આવા નથી હોતા, પણ એને શોધવા પડે એવો જમાનો આવી ગયો છે.)  

 આજે કળિયુગ ચાલી રહ્યો છે ત્યારે એનો પ્રભાવ એટલો બધો વર્તાઈ રહ્યો છે કે આજના ઘણાં સંતાનો પોતાની ફરજ ચૂકી રહ્યા છે. માતા પિતાએ પોતાના થી બનતી બધી મહેનત કરીને બાળકોનો ઉછેર કર્યો હોય, એને ભણાવ્યા હોય અને મોટા હોદ્દો અપાવ્યો હોય, પણ જ્યારે એ સાહેબ બની જાય પછી આવા માતા-પિતા ની ઓળખ આપતા એને શરમ આવે છે, પોતાના મિત્ર વર્ગ માં આવા અભણ લોકો એને જાણે ઓછપ લાગે છે. પોતે જ્યારે મોટા હોદ્દા પર બેસી જાય પછી માતા-પિતાને ઘર કામ કરાવે, એક ખૂણામાં ગોંધી રાખે, અને મિત્રો સાથે મોજ મજા માણે, પોતાના ભાઈ બહેન સાથે મન દુખ રાખે, પણ સાળો કે સાળી સાથે અનહદ પ્રેમ હોય. દેખાવ ખાતર બીજાના દુખમાં દુખી થાય પણ ઘરમાં મા-બાપ ની સેવા કરવા સમય ન હોય, કોઈ મંદિર માં જાય તો પોતાનું માન વધારવા મોટા મોટા દાન કરતો હોય, આમ મહારાજ રીઝે નહીં. 

   પણ પછી જ્યારે પોતાને બુઢાપો આવે ત્યારે એના સંતાનો પણ એજ રસ્તો અપનાવે, કારણ કે જેવું એણે જોયું હોય એવું વર્તન કરે એમાં કોઈ નવાઈ નથી, જેવું વાવો એવું લણો ! આ તો ઈશ્વર નો ન્યાય છે, એમાં કોઈ ફરક આવતો નથી. માટે સમજી વિચારીને જીવન જીવવું જોઇએં.


રચયિતા:-

કેદારસિંહજી મે. જાડેજા

"દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ

૯૪૨૬૧૪૦૩૬૫

kedarsinhjim@gmail.com

kedarsinhjim.blogspot.com.   

ફોટો-ગુગલ ના સહયોગ થી


કૃષ્ણ-સુદામા


                         કૃષ્ણ-સુદામા

તા.૨૬.૯.૨૩

ઢાળ:- અબ સોંપ દીયા ઈસ જીવન કા...જેવો (હીંચ માં)


બે બાળ સખા બહુ ટાણે મળ્યા, સુખ દુખ ની વાતો વિગતે કરે

વર્ષો ના વાણા વીતી ગયા,        સાંદીપની આશ્રમ યાદ કરે....

 

દેવી સુશીલા દ્રવિત ઘણી,   ફિકર કરે બહુ બાળ તણી

છે મિત્ર તમારા દ્વારિકાના ધણી, દામોદર દુખ ના કેમ હરે...


જો સમણામાં પણ શ્યામ મળે, ભવ ભવ ની ભાવટ પળમાં ટળે

પણ મિત્ર સુદામો ભુખ્યો ફરે,     સામળિયો શાને અન્યાય કરે...


તમે દ્વારિકા જઈ મુલાકાત કરો, અજાચી રહો ના માંગ કરો

મન મોહન નો વિશ્વાસ કરો,      શ્યામસુંદર સૌ નું સારું કરે....


એતો હેમ ના મહેલ માં રહેનારો, સુદર્શન ચક્ર નો ધરનારો

નંદીઘોષ જેવા રથ નો ચડનારો, મોરલી મધુરી અધર ધરે...

                 

પીતાંબર પહેરી ફરનારો,       મોર મુકુટ ધરી રમનારો

અક્ષૌહિણી સૈન્ય નો સરદારો, મુજ રંક પર નજરું ક્યારે કરે.....


સુશીલાના સંકટ સમજી કરી, મોહન ને મળવા હામ ધરી

દ્વારિકાને મારગ પગલી ભરી, ચપટી ચોખા લઈ કાંધે ધરે...


નારાયણ કદી ના નિરાસ કરે, દોસ્ત ને મળવા દોટ ભરે

બાથ માં જકડી વહાલ કરે, પટરાણીઓ અચરજ ઉરમાં ધરે...


સ્નાનાદિક પુષ્પ ની માળ ધરે, ભાલે ચંદન નું તિલક કરે

વિધ વિધ ભોજન ના થાળ ભરે, વિગતે બેસીને વાતો કરે...


વ્યવસાય માં હાલે શું ચાલી રહ્યું, નિર્વાહ કુટુંબ નું કેમ કર્યું

ચોરી ચપાટી શું હાથ ધર્યું !, દ્વારિકેશ એ દિવસો યાદ કરે... 


મિત્ર ની મનસા ધ્યાને ધરી, મૂઠી ભર તાંદુલ મુખમાં ભરી

ઝૂંપડીને ઠેકાણે મહેલ કરી, ભવે ભવ ની ભાવઠ દુર કરે... 


"કેદાર" કનૈયો કપટ કરે, પણ- ભક્તની અરજી ઉરમાં ધરે

વિઠ્ઠલ ના કદીએ વિલંબ કરે,  દામોદર દુખડાં સઘળા હરે...


ભાવાર્થ :-  દ્વારિકાનો નાથ બન્યા પછી અને સાંદીપની ઋષિનો આશ્રમ છોડ્યા પછી, શ્રી કૃષ્ણ અને બાળ સખા સુદામા વર્ષો બાદ પહેલી વખત મળ્યા ત્યારે જુની યાદો યાદ કરી કરીને વાતો કરે છે.

   સુદામાજી ગરીબ છે, તેમના પત્ની સુશીલાજી પોતાના બાળકોના પોષણ માટે ખૂબ દુખી રહે છે, તેથી સુદામાજીને વીનવે છે કે આપ કહો છો કે દ્વારિકાના નાથ આપના મિત્ર છે, તો આપ એકવાર એને મળવા તો પધારો ! એ આપણું દુખ જરૂર દૂર કરશે. કહેવાય છે કે ભગવાન સ્વપ્નમાં પણ મળે તો બેડો પાર થઈ જાય, આપ કહોછો કે કૃષ્ણ ભગવાન છે અને આપના મિત્ર છે, તો એ આપનું દુખ કેમ નહીં સમજે ? આપ દ્વારિકા પધારો અને કૃષ્ણને મળો, મને ખબર છે, આપ માંગતા નથી, તો હું આપને કંઈ માંગવાનું નથી કહેતી. એ બધું સમજી જશે, તમારે માંગવું નહીં પડે.

     સુદામાજી સમજાવે છે કે- એ દ્વારિકા જેવી સ્વર્ણ ની નગરી નો રાજા છે, જેની પાસે અક્ષૌહિણી સૈન્ય છે, સુદર્શન ચક્ર છે, નંદીઘોષ જેવો રથ છે, પીતાંબર વસ્ત્રો પહેરે છે, મોર પીંછ વાળો મુકુટ ધારણ કરે છે, એની પાસે મારા જેવા સામાન્ય બ્રાહ્મણ સામે જોવાનો પણ સમય ક્યાં થી હોય ? 

       સુશીલાજી ના દુખને સમજીને અને મિત્રને મળવાની આશાએ થોડા પૌવા ની ભેટ આપવા દ્વારિકા ના માર્ગ પર જેમ બાળક ચાલતા શીખતો હોય તેમ સંકોચ સાથે મળવા જવાની કે માંગવા જવાના સંકોચ સાથેની પહેલી પગલી ભરી. પણ આ તો નારાયણ, નામ સાંભળતાંજ દોટ દીધી, બાથ ભરીને એવા ભેટ્યા કે બધી રાણીઓ વિચારવા લાગી કે આ કેવો પરમ મિત્ર છે ? સ્નેહ થી સ્નાન કરાવ્યું, નવું પીતાંબર પહેરાવ્યું, ગળામાં પુષ્પ ની માળા પહેરાવી, કપાળમાં ચંદન નું તિલક કર્યું અને વિધ વિધ ભાત ના ભોજન જમાડ્યા પછી ખબર અંતર પૂછવા લાગ્યા. ટીખળ કરતાં ભગવાન પૂછે છે કે વ્યવસાય કેમ અને કેવો ચાલે છે ! આશ્રમ માં હતા ત્યારે તું આપણાં ભાગના ચણા ચોરીને એકલો ખાઈ ગયેલો, શું હજુ આવી ટેવ છે ખરી? તું આવો જ્ઞાની છો તો તારા પત્ની શાણાજ હશે, મારા માટે કોઈ ભેટ તો આપીજ હશે. આમ બધું જાણીને ભગવાને સુદામા લાવેલા તે પૌવા મુખમાં પધરાવ્યા અને સુદામાના બધા દુખ દૂર કર્યા. જ્યાં સુદામાજી ની ઝૂંપડી હતી ત્યાં મહેલ બનાવી દીધો, આ છે દ્વારિકા ના નાથ, બસ ભક્તિ કરો, કંઈ માંગો નહીં તો પણ ભંડાર ભરીદે, માટે નિષ્કામ રહીને ભજન કરો અને બધું એના પર છોડી દો. 

જય શ્રી કૃષ્ણ.

સ્નાનાદિક= નહાવું; ધોવું વગેરે. 


રચયિતા:-

કેદારસિંહજી મે. જાડેજા

"દીન વાણી" ગ્રૂપ, ગાંધીધામ

૯૪૨૬૧૪૦૩૬૫

kedarsinhjim@gmail.com

kedarsinhjim.blogspot.com.   

ફોટો-ગુગલ ના સહયોગ થી