Wednesday, August 21, 2013

નારાયણ સ્વામી.


                                                         નારાયણ સ્વામી.
                                       
                                   
મારી પ્રથમ મુલાકાત

નારાયણ બાપુ સાથેની મારી પ્રથમ મુલાકાત ઘણા સમય પહેલાં ગાંધીધામમાં મોહન ધારશીભાઈએ બાપુના ભજનનો એક કાર્યક્રમ રાખેલો ત્યારે થઈ હતી.
મારા બનેવી સાહેબ શ્રી હરપાલસિંહજી ઝાલાનું મિત્રમંડળ વિશાળ, પ્રમાણમાં, ધનાઢ્ય અને સારા સંસ્કાર સાથો સાથ સારા કાર્યોમાં અગ્રેસર, આવા યોગ્ય લોકોના સહવાસમાં મને પણ રહેવાનો મોકો મળ્યો. પ.પૂ. મોરારી બાપુની પ્રથમ કથા ગાંધીધામમાં સ્વતંત્ર સેનાની  સ્વ. શ્રી કાંતીલાલ શુકલાના અથાગ પ્રયત્નોથી થયેલી, ત્યારથી ઘણા લોકોના જીવનમાં માની ન શકાય તેવા પરિવર્તનો આવેલા. આ બધા લોકોના કારણે મને પણ સારા સારા લોકો સાથે પરિચય થતો અને ઓસ્લો સોસાયટીમાં યોજાતી ગાંધીધામની એક પ્રતિષ્ઠિત નવદુર્ગા ચોકની ગરબીમાં પાંચ વર્ષ સુધી માનદ ગરબા ગાવાનો  મોકો પણ મળ્યો, અને સાથો સાથ નારાયણ બાપુના ભજન વખતે બાપુના મંચ પર બેસવાનો લાભ પણ પહેલી વાર મળ્યો.

ભજનના મધ્યાન્તર વેળાએ અહીંના પ્રતિષ્ઠિત અને જ્ઞાન ના ભંડાર સમા માનનીય શ્રી સ્વ.નારસંગજી અયાચીભાઇ નારાયણ બાપુને મળવા પધાર્યા. અયાચી પરીવાર સાથે મારા પિતાશ્રીના વખતથી ઘનિષ્ઠ પરિચય, તેથી શ્રી નારસંગજીભાઇએ  બાપુ સાથે મારો પરિચય આપતાં મારા પરિવારની પણ માન સહિત પ્રશંસા કરી અને હું ઈશ્વર કૃપાથી સારું ગાવા લાયક અવાજ પામ્યોછું એવી વાત પણ કરી. સારો અવાજ અને સારા પરીવાર અને સાથોસાથ શ્રી નારસંગભાઇની વાતથી પ્રેરાઇને બાપુએ મને બે ભજન બોલવા આગ્રહ કર્યો, પણ મેં બે હાથ જોડીને કહ્યું બાપુ મારી લાયકાત બીજા બધા કાર્યો માટે કદાચ ઠીક હશે પણ આપના મંચ પર ગાવા લાયક મારી પાસે કોઈ લાયકાત નથી, આપના મંચ પર બેસવા મળ્યું તે પણ મારા માટે અહોભાગ્યછે, બાકી હું આપના મંચપરથી ગાઈ ન શકું.

બાપુ બે ક્ષણ મારા સામે જોઈને મારા ખભે હાથ મુકીને બોલ્યા કે "વાહ દરબાર, ક્યારેક ભૂલથી જો કોઈને બોલવાનું કહેવાય જાય તો તેને બંધ કરાવવા માટે આયોજકોએ ભૂંગરા બંધ કરાવવા પડે, ભજન ગરબા ગાવ તોછો, પણ પચાવી પણ જાણ્યાછે તે બદલ ધન્યવાદ." આ શબ્દો બાપુના મુખથી સાંભળીને મને જાણે કરોડો ભજનાનંદીના આશીર્વાદ મળી ગયા.

બાપુને એક ચીડ હતી કે તમો ડાયરા કે ભજનના કાર્યક્રમમાં ગાતાહો તો તેના શબ્દો અને અર્થોનો પૂરે પૂરો ખ્યાલ રાખવો જોઈએ, એક વખત એક કલાકાર બાપુ સાથેજ ભજન ગાતા હતા, તેમાં તેણે ગાયું કે "શ્યામ વિના વ્રજ સૂના લાગે." બાપુએ કહ્યું ભાઈ, સૂના અને સૂનુ, બન્નેમાં તમને કંઈ ફરક નથી લાગતો? કેટલાં વ્રજ હતાં? ખાલી ગાવાથી રાગડા તાણી શકાય ગાયક ન બનાય, ભજન પ્રેમની વાણીછે તેને કોઈ બંધન નડતા નથી પણ તમે જાહેરમાં ગાતા હો અને તમારી જાતને કલાકાર સમજતા હો તો બધો અભ્યાસ કરવો પડે, સૌથી પહેલાં તમે શું ગાવાનાછો/ કેની રચનાછે/કવિની ભાવના શુંછે? શું કહેવા માંગેછે? ભજનમાં પ્રાસ મેળ કેવો જાળવ્યોછે? તે બધું જાણ્યા પછી તમારી ગાયકીમાં ભાવ જાગે.
કાલે રાત્રે એક ડાયરાનો કાર્યક્રમ મેં ટી.વીમાં જોયો, એક સારી ડિગ્રી ધરાવનાર કલાકર(?)ગાતા હતા 
                          "થાળ ભરી નીકળી નંદ રાણી,      કંચન થાળ ભરાઈ.
                           લ્યો ભિક્ષા જોગી જાવ આસન પર, મેરો બાલક ડરાયો." 
હવે જો આ મહાન કલાકાર બાપુ સાથે હોત તો જરૂર કંઈક શીખ મળત બાકી અત્યારેતો હવે બહુ ઓછા કલાકારો આવું ધ્યાન રાખેછે. અત્યારેતો અનેક જાતના નખરા કરે,લટકા કરે,ડાકલા વગાડે, ભૂવા ધુણાવે અને લોકોને અનેક જાતની શિખામણ આપે, અરે એક વખત મેં સમાચાર પત્રમાં વાંચેલુ કે કોઈ જગ્યાએ એક કાર્યક્રમ રાખેલો જેમાં જે રકમ ઘોળ દ્વારા આવે તે ગાયોના ચારા માટે વાપરવાની હતી, ત્યાં અમુક કલાકાર એ રૂપિયા છુપાવીને ચોરતા પકડાયેલા, પરાકાષ્ઠા તો ત્યારે હતી કે જ્યારે મહિલા કલાકારો તેમના undergarment માં રૂપિયાની થોકડીઓ છુપાવીને લઈ જવા માંગતી હતી જેને મહિલા કાર્યકરોએ પકડેલી. આવા કલાકારો..હાજી આ પણ એક કલાજ છેને?..હોય ત્યાં ભજનનો ભાવ કેમ જાગે?
બાપુએ એક જગ્યાએ પ્રોગ્રામ શરુ કરતી વખતે કહેલું કે આજેતો કોયલ બોલાવવીછે, અને ખરેખર જ્યારે જમાવટ થઈ ત્યારે કોયલ બોલવા લાગી જે રેકર્ડિંગમાં પણ સાફ સાફ સંભળાયછે. 

નારાયણ બાપુને એકવાર ખ્યાતનામ સંગીતકાર કલ્યાણજી આણંદજી ભાઈ માંહેનાં કલ્યાણજીભાઇ સાથે ભારતની કોકિલ કંઠી લત્તા મંગેશકરને પણ મળવાનું થયેલું, એ પ્રસંગ અને એવા બીજા પ્રસંગો ફરી ક્યારેક લખીશ.
જય નારાયણ.
૨૧.૮.૧૩ 

Monday, August 19, 2013

મારો શિવ


             ભજન



               
                 મારો શિવ

જગત દાતા જટા ધારી, મને તું પ્યારો લાગે છે
સદા શિવ ભોળા ભંડારી, મને તું મારો લાગે છે...

વસે વૈકુંઠ માં વિષ્ણુ, અવર આકાશ જઈ બેઠાં
કમળ નાભિ વસે બ્રહ્મા, શ્મશાને વાસ તારો છે..

કરે ઉચ્ચાર મંત્રો ના, કરે તપ પામવા ઈશ્વર
શરીરે રાફડા ખડકે, છતાં ક્યાં પાર પામે છે..

ભલે હો રંક કે રાજા, ભલે હો ચોર સિપાઈ
ભજે પલ ચાર જો ભાવે, પ્રસન્ન થઈ દાન આપે છે..

જીવન ભર ના કરે પૂજા, ઉમર ભર ઈશ ના ભજતો
છતાંએ અંત કાળે તું,         મસાણે સ્થાન આપે છે..

સમય હો આખરી મારો, મુકામે પહોંચવા આવું
કરે "કેદાર" તું સ્વાગત, અરજ બસ એક રાખે છે..

સાર:-ઈશ્વર ની બનાવેલી વ્યવસ્થા માં બ્રહ્મા સર્જન કરે છે, ભગવાન વિષ્ણુ પાલન કરે છે અને મહાદેવ શિવ સંહાર કરે છે. અને આ ત્રણે કાર્ય અનિવાર્ય છે, પણ આપણને સહજ શિવજી નું કાર્ય ગમે નહીં, કારણ કે બ્રહ્માજીએ આપણને બનાવ્યા પછી કદાચ વિષ્ણુ ભગવાન રૂઠે અને પોષણ કરવામાં વિલંબ કરે તો પણ થોડા દિવસો ભૂખ્યા તરસ્યા કાઢી શકાય, પણ શિવજીનું કાર્ય એવું છે કે એક પળ માટે પણ વિલંબ ન કરે, તેથી આપણને શિવજી બીજા દેવો કરતાં જરા ઓછા ગમે તે સહજ છે, પણ છતાં લોકો શિવજીને વધારે માં વધારે પૂજે છે. એમાં પણ શ્રાવણ અને પુરુષોત્તમ માસ એટલે જાણે સતત શિવ સાધના માટે ના માસ. બીજા કોઈ દેવો માટે આવા કોઈ ખાસ મહિનાઓ છે નહીં.
છતાં પણ ધર્મમાં વ્રતી રાખનાર દરેક માનવી શિવને પોતાથી વધારે નજીક માને છે, વિષ્ણુ ભગવાન નું સ્થાન વૈકુંઠ છે, બ્રહ્માજી વિષ્ણુ ભગવાન ની નાભી માંથી જે કમળ પ્રગટ થયું છે તેના પર બિરાજમાન છે, બાકીના બધા દેવો આકાશ માં ઈંદ્ર લોક માં વસે છે, જ્યાં પહોંચવું મુશ્કેલ છે, જ્યારે શિવ? શિવજી મહારાજ તો આપણા આખરી મુકામ શ્મશાન માં બિરાજમાન છે, તેથી તે આપણને પોતાના વતની અને આપણા પોતાના લાગે છે, અને પહેલો સગો પાડોશી ના નાતે લાગે છે કે આટલાં નજદીક હોવાથી બોલાવવા ની સાથેજ હાજર થઈ જશે, તેથી પ્યારા પણ વધારે લાગે છે.
બીજા દેવોને પામવા માટે તપ કરવું પડે, મંત્ર જાપ કરવા પડે, અરે ઘણા તપસ્વીઓ એ તો શરીર પર રાફડા બની જાય ત્યાં સુધી સાધના કરવા છતાં પણ પામી ન શક્યા હોય એવું પણ બને છે, પણ શિવ ?  એક દંતકથા સાંભળેલી કે, એક ચોર ચોરી કરવા નીકળેલો, ખૂબ મહેનત કરવા છતાં કંઈ હાથ ન લાગ્યું, છેવટે થાકી હારીને રસ્તામાં આવતા એક અવાવરુ શિવ મંદિર માં થાક ઊતારવા બેઠો, ત્યાં શિવજી ની લિંગ પર લટકતી ગળતી (જલાધારી) જોઈને વિચાર્યું કે ખાલી હાથે જવા કરતાં આ ગળતી ચોરી લવ તો કંઈક તો મળશે? પણ ગળતી થોડી વધારે ઊંચાઈ પર હતી, તેથી તેનો હાથ ત્યાં પહોંચી શક્યો નહીં, તેથી તે ચોર ભગવાન શિવ ની લીંગ પર ચડી ગયો, ચોર માટે એ લિંગ તો એક સાધન માત્ર હતું તેથી તેણે જોડા પણ કાઢવાની જરૂર લાગી નહીં, પણ જેવો ચોર લિંગ પર ચડ્યો કે તુરંત ભગવાન શિવજી પ્રગટ થયા અને કહે "માંગ માંગ શું આપું?" ચોરતો આ દ્ગશ્ય જોઈ ને બેભાન થઈ ગયો, પણ નારદ મુનિ પ્રગટ થઈ ને શિવજી ને પૂછવા લાગ્યા, "અરે પ્રભુ આ શું? સાધકો કેવી કેવી સાધનાઓ કરે છે છતાં આપ આટલી જલદી દર્શન આપતા નથી અને આ?" ત્યારે શિવજી કહે "નારદ, કોઈ મને જલ ચડાવે, કોઈ ફૂલ ચડાવે, બીલીપત્ર પણ ચડાવે, કોઈ તો વળી પોતાની અતિ મૂલ્યવાન ભેટ ચડાવે, આજ સુધી મારી પૂજામાં રાવણે પોતાના દશ શીશ ચડાવ્યા છે જેનાથી વધારે કોઈ મૂલ્યવાન ભેટ મને ચડાવી નથી, પણ આ ચોર તો આખે આખો, અને તે પણ જોડા સહિત મારા પર ચડી ગયો, તેના માટે તો મારે પ્રગટ થવુંજ પડે ને?" આ છે મારા ભોળાનું ભોળપણ, કેમ મારો ન લાગે? કોઈ જીવ જીવનભર કોઈ ભક્તિ નકરે, કોઈ પણ સદ-કાર્ય ન કર્યું હોય, અરે ભલે અધમ કર્મો કરી ને રાક્ષસો જેવું જીવન જીવ્યો હોય, પણ તેના મ્રુત્યુ પછી જ્યારે શ્મશાને લઈ જવામાં આવે ત્યારે મારો ભોળો નાથ સહર્ષ તેને સ્વીકારી ને સ્મશાન માં સ્થાન આપે છે.
હે ભોળા નાથ મારી પણ આપને એકજ વિનંતી છે કે જ્યારે મને આપના શરણ માં ડાઘુઓ લાવશે ત્યારે કદાચ મને બોલવાનો મોકો નહીં મળે, તો અત્યારથીજ એક અરજ કરું કે ત્યારે પ્રભુ મને સહર્ષ સ્વીકારી લેજો અને મારા કર્મોના હિસાબો ન માંગતા. 
જય ભોળે નાથ.

નંદ દુલારો

                                                  નંદ દુલારો
                                       

મૈયા તારો નટખટ નંદ દુલારો
                          કરતો ફરે કેર કાળો......

ગોપ ગોવાળ ની ટોળી બનાવી, ચોર નો બન્યો સરદારો
મહી માખણ વહાલો ચોરી ચોરી ખાતો, મોહન મોરલી વાળો...

મથુરા વાટે દાણલા માટે, ગોપીઓ ને દેતો બહુ ગાળો
મારગ રોકે પાલવ પકડે,   છેડે છે છબીલો છોગાળો...

રાજા કંસ નું કરજ વધ્યું છે,  દિન દિન કરે છે દેકારો
કાન્હાને કેદની ક્યાં છે નવાયું, પણ-ગરીબ થી થાશે નહિં ગુજારો...

યશોમતી કોપી લાવો એને ગોતી, દુર્ કરી દંવ દેકારો
બાંધુ એને તાણી હવે ખૂબ મૂંઝાણી, સોટી નો લઉં સથવારો...

રાવ કરી પસ્તાણી ગોપી,  મોહન તો મન હરનારો
માર સોટી નો કેમ કરી ખમશે, "કેદાર" કોમળ છે બાળો... 

Saturday, August 17, 2013

बहुनामी शिव

                                           बहुनामी शिव

                       

साखी
कर त्रिशूल शशी शीश, गल मुंडन की माला
कंठ हला हल विष भर्यो, बॆठे जा के हिमाला..

त्रि नेत्र सर्प कंठ, त्रिपुंड भाल सोहाय,
संग गिरिजा जटा गंग, सब जन लागे पाय...


शिव शंकर सुख कारी, भोले..
महा देव सोमेश्वर शंभु, विश्वेश्वर विष धारी..भोले...

गिरि कैलासे गिरिजा के संग, शोभे शिव त्रिप्य्रारी
डम डम डम डम डमरु बाजे, भूत पिशाच से यारी.....

गंगा गहेना शिर पर पहेना, भुजंग भूषण भारी
बांको सोहे सोम शूलपाणि, भस्म लगावत भारी....

वाघंबर का जामा पहेना, लोचन भाल लगारी
वृषभ वाहन विश्वनाथ का, भूमि समशान विहारी...

मुख मंडल तेरा मन ललचावे, छब लागत हे न्यारी
मृत्युंजय प्रभु मुजे बनादो, बैठे जो मृग चर्म धारी...

चरन धुलका प्यासा पिनाक में, भूतेश भक्त हित कारी
दास "केदार" केदार नाथ तुं,   बैजनाथ बलिहारी...

એક અરજી


એક અરજી

નંદ લાલા એક અરજ તું સાંભળ મારી
નિશ દિન તારાં નામ જપું હું સેવા કરૂં તમારી..

પ્રાત:સમય જ્યાં જાગું નીંદરથી, લેજો શરણ લગાડી
ગોવિંદ ગોવિંદ ગાન કરૂં હું,   પ્રીતમ પાય પખાળી...

માયા માં મન રહે ભટકતું,    રાગ દ્વેષ લત લાગી
મોહ વશ મારી મતિ મૂંઝાણી, લેજો હવે તો ઉગારી... 

દીન દુ:ખી ને આપું દિલાસા, સમજુ પીડ પરાઈ
જાણે અજાણે કોઈના દિલ ના દુભાવું, રાખો શુભ મતિ મારી...

સાચું ખોટું તું જ સુઝાડે, ભય લાગે તો એ ભારી
સર્વે કર્મો મારાં અર્પણ તુજ ને, માટે-કરજો વાત વિચારી...

અંત સમય જ્યારે મારો આવે, મનમાં નાચે મોરારી 
વિઠ્ઠલ વિઠ્ઠલ જપતાં પડજો, કાયા "કેદાર" મારી...

સાર-હે ઈશ્વર, સવાર સવારમાં મારી આંખ ખૂલે, ત્યાં આપ મારા મનને આપના સ્મરણમાં લીન કરીને આપના ભજનમાં પરોવી દેજો. પ્રભુ આપે એવી મોહ માયા સંસારમાં બનાવી છે કે મારું મન સદા તેમાં ભટકતું રહે છે, પણ મારી મતિને સદ માર્ગે વાળજો. કોઈ દીન દુખિયાની તકલીફ સમજીને તેને કામ આવું, અજાણતાં પણ કોઈના દિલને ઠેંસ ન પહોંચાડું, એવી સદ્બુદ્ધિ આપજો. જોકે પ્રભુ માનવ જે કંઈ પણ કરે છે, તે તો આપનીજ ઈચ્છા થી થાય છે, આપજ બધું કરાવો છો, આપની ઇચ્છા વિનાતો પાંદડું પણ હલતું નથી, માટે હે ઈશ્વર હવે આપ મારા દ્વારા જે કંઈ કરાવો તેની જવાબદારી પણ આપેજ લેવી પડશે, માટે સમજી વિચારીને મને કર્મો કરાવજો પ્રભુ.
પણ એક ખાસ વિનંતી, જ્યારે મારો અંત સમય આવે ત્યારે હું અવિરત આપના જાપ કરતો કરતો આ જન્મ પૂરો કરું અને ફરીને માનવ અવતાર મેળવું, ફરી ને તારો ભક્ત બનું એજ અભ્યર્થના.  
ફોટો ગુગલના સહ્યોગથી સાભાર.

ડોશી શાસ્ત્ર ?


                                            ડોશી શાસ્ત્ર ?


થોડા સમય પહેલાં અમારા મિત્ર મંડળમાં મૃત્યુ થયા પછી થતી ક્રિયા વિષે ચર્ચા ચાલી, (જે મોટે ભાગે એક બીજાને ઊકસાવીને જ્ઞાનમાં વધારો કરવાના હેતુથી થતી હોય છે, બાકી સર્વે મિત્રો સમજદાર અને ધાર્મિક વૃતી ધરાવનારા જ છે.) જેમકે શબ ને નવડાવવું કપડા બદલવા વગેરે વગેરે..આ બધી ક્રિયાઓ ફાલતુ છે, પ્રાણ ગયા પછી શું નહાવું ને શું કપડા બદલવા ? શબ ને દફનાવો કે અગ્ની દાહ દો શો ફરક પડે? આબધું ડોશી શાસ્ત્ર છે એવી દલીલો થઈ, અને અંતે ફરી ફરીને મારી પાસે જવાબ મેળવવા પર આવી, મેં મારી બુદ્ધિ પ્રમાણે આ જવાબ આપ્યો, જો આપ કોઈને યોગ્ય કે અયોગ્ય લાગે તો આપનું મંતવ્ય જરૂરથી આપવા આશા રાખું છું.

પહેલાંના સમયમાં આજના જેવા સમાચાર માધ્યમો ન હતાં, રાજા રજવાડાના કોઈ ફરમાનો બહાર પડતા તે પણ નગરના ચોકમાં ઢોલ વગાડીને ઢંઢેરો પીટવામાં આવતો. કોઈ બીમારી આવતી તો વૈદ્ય કે હકીમો પાસે જવું પડતું,  એ જમાનામાં સમાચાર પત્રો/રેડીઓ કે ટી વી જેવા સાધનો ન હતાં એવું તો સાવ નથી, પણ તે સીમિત હતું, મહાભારત ના યુદ્ધનો આંખે જોયો અહેવાલ સંજય હસ્તિનાપુરમાં બેઠાં બેઠાં રજૂ કરી શકતો હતો, તે દૂર દર્શનજ હતુંને ? પણ આવી શક્તિ જે લોકો વિદ્યા શીખે તેજ જોઈ શકતા, પણ આપણા વડવાઓ ખૂબજ સમજદાર અને સ્વપ્નદ્રષ્ટા હતા, તેથી એ જમાનામાં જે કંઈ અગત્યની સમજ આપવા જેવી લાગતી તે ધર્મના નામે પ્રચલિત કરી દેવાતી, જેથી તેનો ફેલાવો ઝડપથી થવા લાગતો અને લગભગ ફરજિયાત થઈ જતો. અને તેનું પાલન કરવું લગભગ અનિવાર્ય થવા લાગ્યું, કારણ કે એવી વાતો પણ સાથે સાથે ફેલાવાતી કે આ નિયમનું પાલન ન કરવાથી પાપ લાગે, અને તેનું ફળ ભયંકર હોઈ શકેછે, આવા ડરથી લોકો તે નિયમો પાળતા. 

એક દાખલો આપું તો શાસ્ત્ર કે ડોશી શાસ્ત્ર મુજબ જ્યારે પ્રાણ શરીર નો ત્યાગ કરે ત્યારે તેને સર્વ પ્રથમ ગાયના છાણથી લીપેલી ભૂમી પર રાખવામાં આવે છે, ત્યાર બાદ ત્યાં ગાય ના ઘી નો દીવો અને અગરબત્તી કે સગવડ ધરાવતા લોકો કોઇ અન્ય સાધનો કે પર્ફ્યૂમ નો છંટકાવ કરે છે. ત્યાર બાદ સ્નાન કરાવીને નવા અથવા ધોયેલા-સગવડ પ્રમાણે- વસ્ત્રો પહેરાવે છે, ત્યાર બાદ સફેદ વસ્ત્ર/ચૂંદડી કે જ્ઞાતિના રિવાજ મુજબનું વસ્ત્ર ઓઢાડીને એક દોણીમાં અગ્નિ પ્રગટાવવાનો પ્રયત્ન કરી ને શ્મશાન માં દાહ આપી દેવામાં આવે છે. શ્મશાનમાં ગયેલા દરેક લોકો યોગ્ય સ્થળે કે ઘેર આવીને સ્નાન કરેછે, અને ત્યાર બાદ ઉઠમણું કે બેસણું યોગ્ય સમયે રાખવામાં આવે છે. મોટા ભાગે થોડા ઘણા ફેરફાર સાથે આજ રિવાજ બધે હોય છે.
  
દરેક શરીર માં કરોડોની સંખ્યામાં જીવ જંતુ આપણા શ્વાસોચ્છ્વાસ માંથી પ્રાણ વાયુ અને આપણા શરીર માંથીજ પોષણ પામે છે, જ્યારે શરીર માંથી પ્રાણ નીકળે ત્યારે આ બધા જંતુઓને હવા પાણી અને ખોરાક મળતો બંધ થાય છે, તેથી તે બધા આ શરીરમાંથી બહાર નીકળવા લાગે છે, આપણે શાસ્ત્ર કે ડોશી શાસ્ત્ર મુજબ સર્વ પ્રથમ જીવ નીકળે ત્યારે શબ ને પવિત્ર ગણાતા ગાયના છાણથી લેપન કરેલી ભોંય પર રાખીએ છીએ, મૃત દેહ ના નાક અને કાન માં રૂ ભરાવી દેવામાં આવે છે, જેથી ઓછા માં ઓછા જંતુઓ બહાર ફેલાય, અને જો ફેલાય તો મોટા ભાગના જંતુઓ એ છાણમાં  ચોટી જાય અને હવામાં ફેલાતા નથી,  છતાં કોઈ બચે તો તે ઘીનો દીવો-ઘી નો દીવો કે અગરબત્તી આપણે ભગવાનને ખુશ કરવા માટે પ્રગટાવીએ છીએ પણ ખરે ખરતો તે પ્રદૂષણ ફેલાવે છે, વડવાઓ માનેછે કે ઘી નો દીવો કરવાથી નાગ દાદા નીકળ્યા હોય તો જતાં રહે છે, પણ નાગ દાદાને ઘીના દીવાથી ફેલાતા વાયુ થી ગભરામણ થાય છે તેથી જતા રહે છે.  કેજે ખરેખર તો આ જીવો માટે ઝેરી છે,-  અથવા અગરબત્તી ના ધુમાડાથી મરણ પામે છે. પણ અસંખ્ય જીવો આટલાં થી ન મરે, તો દેહ ને સ્નાન કરાવાય છે જેથી તે પાણી માં વહી જાય, છતાં પણ છેલ્લા ઉપાય પ્રમાણે નવા કે સ્વચ્છ વસ્ત્રનું આવરણ ઓઢાડીદે અને અંતે અગ્નિ દાહ આપી દેવામાં આવે છે. દોણી માં અર્ધ સળગતો અગ્નિ ધુમાડો કરે છે જે જંતુને દૂર ભગાડે છે કે મારે છે, ત્યાર બાદ શ્મશાન માં અગ્નિ દાહ આપી દેવાય છે જેથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ એ દેહ થકી ફેલાતું ટળે છે. જે લોકો શ્મશાન માં ગયા હોય તેને કદાચ આ દેહ બળતો હોય ત્યારે કોઈ એવા તત્વો કે ગેસ નીકળે કે જે તેમને નુકસાન કરે તેવા હોય તો તેની કાળજી લેવા માટે નહાવાનું જરૂરી ગણવામાં આવ્યું છે.
મારા મતે પહેલાના જમાનામાં એવા કોઈ સાધનો ન હતાં, સમાચાર પત્ર કે ટી વી જેવી સુવિધા ન હતી, તેથી આવી બધી સમજણ સમસ્ત સમાજને પહોંચાડી શકાતી નહિ, તેથી ધર્મ કે ડોશી શાસ્ત્ર જે કહો તેના નામે આવા બધા નિયમો બનાવી ને અમલમાં મુકાતા. અને જો કોઇ તેનું ઉલ્લંઘન કરે તો તે પાપી કે નાસ્તિક છે એવું ઠરાવી દેવાતું, અને તેને એ અપરાધ ની સજા મૃત્યુ બાદ પણ ભોગવવી પડશે એવી બિક બતાવાતી જેથી વધારે માં વધારે લોકો એ અપરાધ કરતા ડરતા અને એ બહાને આ વૈજ્ઞાનિક કારણ નું પાલન થતું.

જેના કુટુંબમાં આવો બનાવ બન્યો હોય ત્યાં પરિચિત કે સગા સંબંધી લોકો સ્મશાન યાત્રામાં પહોંચાય કે ન પહોંચાય પણ ઘેર મળવા આવે, અને જેવા જેના રિવાજ મુજબ લગભગ બાર દિવસ સુધી દર રોજ બેસવા આવે, જેથી શોકનું વાતાવરણ ધીરે ધીરે હળવું બને અને શોકમગ્ન કુટુંબી જનોનું દુ:ખ ભુલાવા માંડે.

ત્યાર બાદ જેવી શક્તિ હોય તે મુજબ એક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવે જેથી શોકનો માહોલ પ્રસંગની ધમાલમાં હળવો બને. જોકે મારા મતે આ રિવાજ બંધ કરવા જેવો છે. કેમ કે ઘણાં લોકો ને આ ખર્ચ શક્તિ ન હોવા છતાં કે ઇચ્છા ન હોવા છતાં ફક્ત સમાજના ડરથી કરજ લઈને પણ કરવો પડતો હોય છે. આમ પણ જે રિવાજ કુરિવાજ બનતો હોય અને જેની જરૂર ન હોય તેને તજવો એજ સમજદાર લોકોની સમજદારી છે.    

મારા મતે જેને ડોશી શાસ્ત્ર કહેછે તેને શું હજુ પણ આપણે ડોશી શાસ્ત્ર કહેશું? કે કોઈ મહાન ચિંતકો ની સમજણ ગણશું તે આપે નક્કી કરવાનું છે.
સમય સમય પર મારી બુદ્ધિ પ્રમાણે આવા આવા દાખલાઓ અહીં ટાંકતો રહીશ.

ફોટો સૌજન્ય : ગૂગલ ઈમેજીસ

Fwd: મનસુખરામ માસ્તર



મનસુખરામ માસ્તર  
                                           (એક સત્ય ઘટના)
    
[ રામ કથા માં પૂ.મોરારિબાપુ એ વર્ણવેલી એક સત્ય ઘટના, કદાચ કોઇએ સાંભળી ન હોય તો આજે અહિં મને યાદ છે તે રીતે સાભાર રજૂ કરું છું.]

થોડા વર્ષો પહેલાની આ સત્ય ઘટના છે. વડોદરાથી થોડે દૂર વસેલું નાનું એવું છાણી ગામ. આ ગામમાં એક મનસુખરામ માસ્તર અને તેમના ધર્મપત્ની ઉજમબા રહે. ખૂબ જ પ્રમાણિક, કર્તવ્યનિષ્ઠ અને ભક્તિભાવ ભર્યું કુટુંબ. સરળ અને સાદું એવું જીવન તથા ડાકોરના રણછોડરાય ના ચરણોમાં અપાર શ્રદ્ધા. દર પૂનમે વડોદરાથી ગ્રેઈન માં ડાકોર જાય અને વર્ષોથી નિયમિત પૂનમના દર્શન કરે.
વ્યવસાયે મનખુખરામ છાણી ની નાની એવી સરકારી સ્કૂલમાં માસ્તર. પોતાનું કાર્ય દિલથી કરે. છોકરાઓને સરસ રીતે ભણાવે, સંસ્કારની વાતો કરે અને પોતાનું કર્તવ્ય પૂરે પૂરી નિષ્ઠાથી બજાવે. સત્કુલનો મોટા ભાગે બધો ભાર અને જવાબદારી તેમના માથે. એ સમયે સ્કુલ માં રજાઓ ના મળે અને નાની સ્કુલ અને નાનું ગામ હોવાથી બીજા કોઈ શિક્ષક પણ નહીં. છોકરાઓને પ્રાર્થના કરાવવાથી માંડીને હાજરી લેવાનું અને ભણાવવાનું તમામ કામ મનસુખરામ નું. શરૂઆતમાં મનસુખરામ ને આ બધું ગમે પણ મનમાં એક જ વસ્તુ ખટકે કે દર પૂનમે ડાકોર પહોંચવું  કેવી રીતે ? રણછોડરાય ના દર્શન કર્યાં વગર હૈયું ઝાલ્યું ન રહે.

પણ કહેવાય છે ને કે ભક્તો ભગવાન ને જેટલા ચાહે છે ભગવાન તેમના ભક્તો ને તેનાથી અનેક ગણો ચાહે છે. પૂનમના દિવસે મનસુખરામ માસ્તર સવારે વહેલા ટ્રેનમાં જઈને બપોરે ત્રણ-ચાર વાગ્યા સુધીમાં પાછા આવી જાય. સ્કુલ નો સમય બપોરે બાર વાગ્યાનો. વર્ગની હાજરી લેવાનું કાર્ય તેમજ પ્રાર્થના વગેરે વર્ગનો મોનિટર સંભાળી ને. આમ મહીને એકાદ વાર પૂનમનો દિવસ હોમવર્ક અને બીજી ઇતર પ્રવૃતિ ઓ માં નીકળી જાય.

મનસુખરામ માસ્તર ખૂબ જ નીતિમાન. છોકરાઓને પૂનમના દિવસે જે ભણવાના કલાકો બગડે એના બદલે બાકીના દિવસોમાં એ સમય વધારે ભણાવીને સરભર કરી દે. આમ તેમના કોઈ પણ કાર્યમાં કોઈ કચાશ નહિ.
સમય વીતતો ચાલ્યો. ગામ હોય ત્યાં ગંદકી પણ હોય એ ન્યાયે ગામના કેટલાક પંચાતીયા લોકોથી મનસુખલાલ ની કર્તવ્યનિષ્ઠા સહન ન થઈ. તે તેમાં ખામીઓ શોધવા લાગ્યા. મનસુખલાલ શું કરે છે, છોકરાઓને શું ભણાવે છે તેના પર વૉચ ગોઠવી. એકથી બીજા કાને વાત ફેલાઈ. ઓટલા પરિષદો થઈ. મનસુખલાલ માસ્તર બરાબર ભણાવતા નથી માટે તાલુકા સરકારી સ્કુલો ના અધિકારીઓને અરજી કરવી એવું બધાએ નક્કી કર્યું. કાગળ તૈયાર થયો, બધા એ સહીઓ કરી અને અધિકારી શ્રીને રવાના કર્યો. તાલુકા લેવલના અધિકારી શ્રી એ તપાસ માટે પોતે જાતે સ્કુલ ની વિઝિટ લેવાનું નક્કી કર્યું.

બપોરનો સમય. સ્કૂલ ચાલુ થવાની તૈયારી અને આ બાજુ અધિકારીઓ પેલા કાનભંભેરણી કરનારાઓ ને સાથે લઈને શાળા એ પહોંચ્યા. અને માસ્તરને કહ્યું કે 'તમારી વિરુદ્ધ આ ગામના લોકોની ફરિયાદ છે કે તમે વિદ્યાર્થીઓને બરાબર ભણાવતા નથી આથી અમારે તમારું કડક ચેકિંગ કરવું છે.'
માસ્તર તો નમ્રતાની મૂર્તિ. એમણે કહ્યું, 'જરૂર સાહેબ, પણ હમણાં પ્રાર્થનાનો સમય છે માટે આપ થોડીવાર બેસો હું આપને બધી વિગતો અને હાજરીપત્રકો ના ચોપડાઓ આપું છું.'

અધિકારી શ્રી બોલ્યા : 'ઠીક છે. એમ રાખો.' આમ, કહી બધા પ્રાર્થનામાં સાથે બેઠાં.

એ પછી માસ્તરે જે ઓતપ્રોત થઈને 'મા સરસ્વતી વંદના અને વૈશ્નવ જન તો તેને રે કહીએ…' ગાયું છે, અધિકારીઓ તો રીતસર એમાં ડૂબી ગયા. એ પછી વિદ્યાર્થીઓની શિસ્ત, તેમની ભણાવવાની રીત અને પત્રકો જોઈ ને રાજીના રેડ થઈ ગયા. એ સમય પ્રમાણે તેમના પગારમાં ત્રણ રૂપિયાનો વધારો કરતા ગયા. અને આ બાજુ ફરિયાદ કરનારાઓનાં મોં વિલાઈ ગયા.

પોતાનો પ્લાન ઊંધો વળેલો જોઈ ને ફરિયાદીઓ વધારે ખિજાયા. અને મનસુખરામ ને બરાબર પાઠ ભણાવવાનું વિચાર્યું. તેમણે આ વખતે જિલ્લા શિક્ષણ અધિકારીના મુખ્ય ઑફિસરને અરજી કરી. અને બે-ચાર જણના મંતવ્ય સાથે નો મસ મોટો લાંબો કાગળ લખ્યો. અધિકારીશ્રી એ નીચલાં અધિકારીઓ એ બરાબર તપાસ નહીં કરી હોય એમ માનીને પોતાના ખાસ નિષ્ણાત ઑફિસરને મોકલ્યા. આ ઘટનાક્રમ ફરીથી ચાલ્યો. ચેકિંગમાં આવનાર બધા અધિકારીઓ મનસુખરામ ની કર્તવ્યનિષ્ઠા અને ભણાવવાની રીત જોઈ ને તેમની પર ખુશ ખુશ થઈ જતા. આ વખતે તેઓ પાંચ રૂપિયાનો પગાર વધારો કરતા ગયા. અને આ બાજુ પેલા ફરિયાદીઓ મનમાં અને મનમાં ખૂબ બળ્યાં. પણ કરવું શું ?
એવામાં આ વિઘ્નસંતોષીઓ ને ક્યાંક થી ખબર પડી કે મનસુખરામ પૂનમના દિવસે શાળામાં હોતા નથી. બસ, એમને મનસુખરામ સામે વેર વાળવાની અને મનસુખરામ માસ્તરને રંગે હાથ પકડવાની તક મળી ગઈ. આ વખતે તેમણે બધું પાકે પાયે નક્કી કર્યું. જિલ્લા શિક્ષણ અધિકારીથી પણ ઉપરના મુખ્ય શિક્ષણ અધિકારીને એમણે વિગતવાર કાગળ લખ્યો અને પૂનમના દિવસે જ ચેકિંગમાં આવવાનું જણાવ્યું. અધિકારીશ્રી એ પહેલા તો ના કહી કારણકે ચેકિંગના રિપોર્ટ તો પહેલેથી જ સારા આવતા હતા. પરંતુ આ વિરોધી લોકો એ એમને ગમે તેમ કરીને મનાવી લીધા. છેવટે મુખ્ય શિક્ષણ અધિકારી આગ્રહવશ થઈને કહ્યું કે 'સારું. ચલો. ગામના લોકોની આટલી ઇચ્છા છે તો હું પૂનમના દિવસે ચોક્કસ આવીશ.'

પૂનમનો દિવસ આવ્યો. મનસુખરામ માસ્તર તો વહેલા પરવારીને સવારની ટ્રેઇનથી ડાકોર જવા રવાના થયા. તેમની પાછળ શું ષડ્યંત્ર ચાલતું હતું એનાથી તેઓ અજાણ હતા. ગામના અમુક લોકો જાણતા હતા, પરંતુ નાત બહાર જવાની બીકે કોઈ તેમને સાથ આપતું નહીં. સત્કુલ નો સમય શરૂ થવાને કલાકેક ની વાર હતી ત્યાં શાળાનો એક વિદ્યાર્થી મનસુખરામ માસ્તરના ધર્મપત્ની ઉજમબા ને કહેવા આવ્યો કે 'બા, આજે મોટા સાહેબ ચેકિંગમાં આવવાના છે.' ઉજમબા થી નિસાસો નંખાઈ ગયો. 'અરે ! આ ગામના લોકો. બિચારાં માસ્તરની આજે નોકરી જતી રહેશે. શું થશે ?' ધરમાં દેવમંદિર પાસે જઈને રણછોડરાય સામે સાલ્લો પસારીને ખોળો પાથર્યો અને આર્તસ્વરે અને દીનભાવે ડાકોરના નાથ ને પ્રાર્થના કરી.

બીજી બાજુ અધિકારીઓ નિયત કરેલા સમયે પેલા ફરિયાદી ગામવાળાઓ ની ઘરે પહોંચ્યા. ચા, પાણી અને નાસ્તો કર્યો. સત્કુલ નો સમય થયો જાણીને સ્કૂલ તરફ જવા માટે સહુ ભેગાં થઈને સાથે નીકળ્યા. અને ત્યાં તો ડાકોરમાં રણછોડરાય ધ્રૂજ્યા. ભક્તવત્સલ ભગવાનથી રહેવાયું નહીં. એમણે મનસુખરામ માસ્તરનું રૂપ ધારણ કર્યું. ખાદીના કપડાં….. પગમાં ચંપલ…… અને ખભે ખેસ…… અખિલ બ્રહ્માંડના નાયક, પરાત્પર બ્રહ્મ આજે મનસુખરામ માસ્તરનું રૂપ લઈને એ શાળા પાસે અધિકારીઓ પહોંચે એ પહેલા પહોંચી ગયા.

આ બાજુ ડાકોરમાં મનસુખરામ માસ્તર દર્શન ખૂલ્યા એટલે પગે લાગ્યા પણ એમને આજે મૂર્તિમાં તેજ દેખાયું નહિ. મૂર્તિ ખૂબ જ નિર્જીવ અને પ્રાણવિહીન લાગી. તેમણે પૂજારીઓને પૂછયું, 'કેમ આજે શું થયું છે ? ભગવાન આટલાં ચિંતિત અને તેજ વિહીન કેમ દેખાય છે ?' પૂજારીઓ કહ્યું, 'ખબર નહીં. અમને પણ આજે પહેલી વાર જ આવો અનુભવ થાય છે. આટલાં વર્ષો અમે પ્રભુની સેવા કરી પરંતુ આટલાં તેજ વિહીન પ્રભુ ક્યારેય દેખાયા નથી.'

સ્કૂલનો સમય થયો. છોકરાઓને માસ્તર આવ્યા એમ જાણીને થયું કે આજે માસ્તરને પૂનમ કદાચ નહીં જવાનું હોય. એટલે એ તો પ્રાર્થના માટે તૈયાર થઈ ગયા. એટલામાં અધિકારીઓ સ્કૂલમાં પ્રવેશ્યા. આજે મનસુખરામ માસ્તરના રૂપમાં રહેલા ભગવાને અધિકારીઓને પ્રણામ કર્યા. પેલાં ચાડી ખાનારાંઓ મનસુખરામ ને ત્યાં હાજર જોઈ ને વધારે અકળાયા. 'નક્કી આ માસ્તરને કોઈ એ અધિકારીઓ આવવાનાં છે એમ કહી દીધું લાગે છે. પણ તોયે આજે એને છોડીશું નહિ.' ક્ષણભર તો અધિકારીઓ માસ્તરના ચહેરાને જોઈ જ રહ્યા. તેમને તો ન વર્ણવાય એવા સ્પંદનો થવા લાગ્યા.
મનસુખરામે કહ્યું : 'મોટા સાહેબ, હમણાં પ્રાર્થનાનો સમય છે માટે આપ થોડીવાર બિરાજો હું આપને બધી વિગતો જણાવું છું.'
અધિકારી કહે 'ભલે, માસ્તર. તમ તમારે પ્રાર્થના કરાવી લો પછી આપણે ચેકિંગ કરીશું.'
ગામના લોકો કહે 'ના સાહેબ, તમે પહેલા જ ચેકિંગ કરો. આ પ્રાર્થનાનું બહાનું કરીને આપનો કિંમતી સમય બગાડે છે.'
અધિકારી કહે 'તમે લોકો શાંતિ રાખો. ચેકિંગ કરવાને લીધે છોકરાઓને ભણાવવાનો નિત્યક્રમ આપણાથી ના બગાડાય. માસ્તરને એમનું કામ કરવા દો.' ગામના લોકો ચૂપ થઈ ગયા.

આજે તો સાક્ષાત્ ભગવાને ભગવાનની પ્રાર્થના કરી પછી એમાં શું કચાશ હોય?  અડધો કલાક પ્રાર્થના અને બધો નિત્યક્રમ ચાલ્યો. વિરોધીઓનો વિરોધ હજી શમ્યો નહોતો. એમણે અધિકારીઓને ફરી ઉશ્કેરણી શરૂ કરી : 'આજે તો સાહેબ તમે આ બાળકોને બરાબર અઘરા સવાલ પૂછો. એવા સવાલ પૂછો કે મનસુખરામ માસ્તરે શું શીખવ્યું છે એ બધું ખબર પડી જાય.' ગામવાળાઓ એ બરાબર ઊલટી સીધી વાતો શિખવાડીને અધિકારીને બરાબર તૈયાર કર્યા. તેમણે પોતાના મનઘડંત સવાલો તૈયાર કરીને અધિકારી પાસે એક ઉટપટાંગ સવાલ પૂછાવડાવ્યો કે : 'બોલો બાળકો, ભગવાન રામે કંસને કેવી રીતે માર્યો ?'

પ્રાથમિક શાળામાં ત્રીજા-ચોથા ધોરણમાં ભણતા બાળકો આવો સવાલ સાંભળીને સ્તબ્ધ બની ગયા. બધા બાળકો તો એક સાથે કેવી રીતે બોલે ? તેથી અધિકારીએ કહ્યું કે 'આપણે કોઈ એકાદ બાળકને પૂછી લઈએ.'
મનસુખરામે કહ્યું, 'જી સાહેબ, આપને યોગ્ય લાગે તે બાળકને પૂછી લો.'
અધિકારી બીજી લાઈનમાં બેઠેલા બાળકને ઉદ્દેશીને કહ્યું કે,'બોલ તો બેટા, ભગવાન રામે કંસને કેવી રીતે માર્યો ?'

ભગવાનના રૂપમાં રહેલા મનસુખરામ માસ્તર એ છોકરા પાસે ગયા. તેના માથે વહાલથી હાથ મૂકીને કહ્યું, 'બેટા, મોટા સાહેબ પૂછે છે એનો યોગ્ય જવાબ આપ.' આમ કહી ભગવાને તેના ગાલે હળવેથી સ્પર્શ કર્યો અને એમ કરતાં બાળકના જીભને પ્રભુની ટચલી આંગળી અડકી ગઈ અને ત્યાં તો સાક્ષાત્ સરસ્વતી બાળકની જીભ પર આવીને વિદ્યમાન થઈ ગયા. બાળકના મગજમાં જાણે જ્ઞાન નું ઝરણું ફૂટયું, એના મોંમાંથી વેદ મંત્રો નીકળવા માંડ્યા અને બધા આભા બની ને જોતા જ રહી ગયા. બાળકે અધિકારીને કહ્યું, 'સાહેબ તમે સવાલ કરવામાં ભૂલ્યા છો. ભગવાન રામે તો રાવણને માર્યો. અને કંસનો સંહાર તો ભગવાન શ્રી કૃષ્ણે કર્યો.'

અધિકારીઓ પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા. ફરિયાદીઓનું કંઈ ચાલ્યું નહીં. ઘણી તપાસને અંતે કશું જ હાથ લાગ્યું નહિ અને ઉપરથી સાહેબ મનસુખરામ માસ્તરના કામથી અત્યંત સંતુષ્ટ થઈ ગયા અને આટલી સુંદર કેળવણી બદલ મનસુખરામ ના પગારમાં પચીસ રૂપિયાનો પગાર વધારો કર્યો. ગામના લોકો છોભીલાં પડી ગયા.

હવે બન્યું એવું કે આ બધું કામ પતાવીને ગામના લોકો અધિકારીશ્રી ને સ્ટવને મૂકવા ગયા. અને એજ સમયે એ જે ગ્રેઈન માં જવાના હતા એજ ટ્રેઈનમાં થી મનસુખલાલ માસ્તર ડાકોરથી પરત આવી વડોદરા સ્ટેશને નીચે ઊતર્યા. મનસુખલાલ માસ્તર તો જોઈ ને જ ઓળખી ગયા કે આજે તો મારી નોકરી ગઈ. ત્યાં ને ત્યાં અધિકારીઓના પગે પડ્યા. 'સાહેબ મને માફ કરી દો. મેં આ બધું જાણી જોઈ ને નથી કર્યું. હું વિદ્યાર્થીઓને બાકીના સમયે વધારે ભણાવીને તેમનું પૂરેપૂરું ધ્યાન આપુ છું. સાહેબ, મને માફ કરી દો.' અધિકારીઓ જોતા જ રહી ગયા અને બોલ્યા : 'અરે માસ્તર, તમે શું આજે મજાક કરો છો.'
માસ્તર : 'અરે સાહેબ, મજાક નથી કરતો હું સાચું કહું છું. મેં કોઈ દિવસ કોઈ વિદ્યાર્થીનું ભણવાનું બગાડ્યું નથી. આપ મારા વિદ્યાર્થીઓને પૂછી જુઓ.'
અધિકારી : 'અરે પણ માસ્તર, હમણાં અડધા કલાક પહેલા તો તમે સ્કૂલમાં હતાં અને હમણાં સ્ટેશને ક્યાંથી આવી ગયા ? તમે કયા રસ્તે આવ્યા ? અને આ સીધા ટ્રેનના ડબ્બામાંથી કેવી રીતે નીકળ્યા ?'
માસ્તર : 'હું શાળામાં હતો ? ના સાહેબ. હું તો ડાકોર ગયો હતો.'
અધિકારી : 'શું વાત કરો છો ? તો શાળામાં કોણ હતું જે પ્રાર્થના કરાવતું હતું ? અમારી સાથે વાતો કરતું હતું ? તમે અમારી સાથે ત્રણ કલાક તો શાળામાં ગાળ્યા.'
માસ્તરના આંખમાંથી આંસુ ટપકી પડ્યા અને એ માત્ર એટલું જ બોલી શક્યા કે 'એ હું નહોતો'. હવે એમને સમજાયું કે આજે રણછોડરાય ની મૂર્તિમાં તેજ કેમ નહોતું દેખાતું.

એ પછી કહેવાય છે કે ગામના લોકો માસ્તરના પગે પડ્યા. બધાએ એમની માફી માગી. એમની પ્રગતિ થાય એ માટે પ્રાર્થના કરી પરંતુ માસ્તરે એ શાળાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું. તેમને થયું કે જેનાથી મારા હરિને દોડવું પડે એવી નોકરી મારે શું કામની? તેમણે પોતાનું શેષ જીવન પ્રભુ ભક્તિ અને ભગવદ્ સ્મરણમાં વિતાવ્યું.

આજે પણ તમે વડોદરા પાસેના છાણી ગામમાં જાઓ તો ત્યાં મનસુખરામ માસ્તરનું સ્મારક એ ઘટનાની યાદ તાજી કરાવતું એમનું એમ ઊભું છે. કોઈએ લખ્યું છે ને? શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની શી જરૂર છે….. ?

કેદારસિંહજી એમ જાડેજા
ગાંધીધામ.૯૪૨૬૧૪૦૩૬૫


કોને પડી છે ?


                          કોને પડી છે ?

હે માત મારી, ગુજરાત તારી, કરી શી દશા છે કેવા કારભારી ?
જ્યાં ભૂમિનો ભર્તા વસ્યો વિશ્વ કર્તા, એ ભોમકા ને કાં ભીડું પડી છે..

વસે માત મઢમાં રવેચી છે રવ માં, શિવ સોમનાથે ને આબુ અંબા છે
જ્યાં સત ના સરોવર કોટેશ્વર માં હર હર, પીરો ફકીરો ની ફોજું ફરી છે.. 

તુજ ખોળે તો ખુંદ્યાતા નરસિ સુદામા, જલારામ જેવા જ્યાં સંતો થયાં છે
તારા ગાંધી ની આંધીએ આપી આઝાદી, પણ આજ નર્મદ ની ક્યાં ગુર્જરી છે..

ખૂબ પાક્યાં કપૂતો બહુ થોડા સપૂતો, વસુંધરા ના શું વક પણ ગયાં છે ?
જે કરતાં પોતાનું ન જોતાં બીજાનું,  માં ભોમ ની આજ કોને પડી છે...

બની બેઠાં છે મોટાં કરે ખેલ ખોટાં, રડાવે અમોને ને ખુદ તો રળે છે
કરે કૌભાંડ કાળા ધુતારા ના ધાડાં, મારી મચેડી ધન ભેળું કરે છે...

કોઈ વરદી માં પારધી કોઈ ઉદ્વડ અપરાધી, મડદાં ઊપર પણ માતમ કરે છે
હર ખાતા માં ખાતા ખાતેદાર ખાતા, પૈસા કમાતા ક્યાં પર ની પડી છે...

ચાલે યંત્ર મોટાં રચે તંત્ર ખોટાં, રડે ગુજરાતી પર પટારા ભરે છે
આવે હાકેમ હમાલો પર પ્રાંતિ દલાલો, વતન ની વિદ્યામાં શું કંઈ કમી છે...

નથી ત્રાસ અમને ગણું ભાઇ તમને, પણ કાં મુજ ભ્રાતાઓ ભૂખે મરે છે
ચાટે છે પડ આજ પુત્રો અમારાં, પાડોશી કેરાં કાં મેવા જમે છે...

મહા બંદર સમંદર કાપડ કમાણી, જઈ રાજધાની ના ફડચે સમાણી
વહે દુધ નદીઓ ન ખનીજો ની કમીઓ, પણ અમ અભાગી ને ક્યાં કંઈ મળે છે...

સહ્યાં ત્રાસ બો'રા એ અરમાને ગોરા, છે પરદેશી કદી'ક તો જવાના
પણ કરવી હવે રાવ ક્યાં જઈ અમારે, વાડો જ ખુદ આજ ચીભડાં ગળે છે...

હતી સાંભળી એક બચપણ માં ગાથા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા
મને ભાસે છે એ કોઈ ભાખી'તી વાણી, મુજ ભોમ ની અવગતિ એ મળે છે...

"કેદાર" ગીતા ના ગાનાર આવો,  આપેલ વચનો ને શીદને ભુલાવો
કાં તો ભાળી કાબાઓ ને મોહન મૂંઝાણો, કાં લાંચ રિશ્વત માં તું પણ ભાળ્યો છે ?...


સાર:-એક સમય હતો જ્યારે મારા ગુજરાત ની અવદશા જોઇ ને જીવ બળતો, અનાયાસ પ્રભુને પ્રાર્થના થઈ જતી કે નાથ શું આ એજ ગુજરાત છે ? જેના પર તેં મથુરા છોડી ને દ્વારિકા માં રાજધાની બનાવી ? કોઈ આકરાં સમયે મારાથી એક રચના બની ગઈ હતી, જે આજના દિવસે રજૂ કરવા માંગું છું. કારણ કે આજે ગુજરાત કંઈક અલગજ છે,પણ નજીકના સમયમાં ચૂંટણી આવેછે, જો મતદાન કરતી વખતે કોઈ પણ લાલચમાં આવીને યોગ્ય મત નહીં અપાય તો તકલીફ પડશે.(હું કોઈ પક્ષ તરફથી લખતો નથી, યોગ્ય નેતા માટે લખુંછું).
 
જ્યાં માતા રવેચી અને માં આશાપૂરા બિરાજમાન હોય, કોટેશ્વર અને સોમનાથ જેવા સ્થળો માં શિવજી બિરાજમાન હોય, આબુમાં અંબામાં અને રવ માં મા રવેચી, કે ચોટીલામાં મા ચામુંડા બિરાજતી હોય, તેમજ મેકરણ દાદા,નરસિંહ મહેતા,સુદામા જલારામ બાપા અને આપા ગીગા તેમજ બજરંગદાસજી જેવા અનેક સંતો મહંતો આ ધરતી પર જનમ્યા હોય, કે આવી ને વસ્યા હોય, અરે જ્યાં ચેલૈયા જેવા પુત્રો કે જે ભગવાન ને પણ ભોંઠા પાડતા હોય, અને ગિરનારમાં અલૌકિક વેશ ધારી અઘોરીઓ, અને કહેવાય છે કે નવ ચિરંજીવી જેવાકે અશ્વત્થામા,બલિરાજા,વ્યાસજી,હનુમાનજી,વિભીષણ,પરશુરામજી,કૃપાચાર્યજી,નારદજી અને શુકદેવજી જેવા ને પણ લટાર મારવાનું મન થતું હોય, અનેક ધુરંધરો ના ધુણા ધખતા હોય. કેટલા કેટલા નામ ગણાવું ? તો શું આ મા ભોમ પર આપની કૃપા દ્રષ્ટી ઓસરવા લાગી છે કે આજે મારી ગુજરાત નો પ્રભાવ ઘટવા લાગ્યો છે ? એવી એવી ઘણી જ કાકલૂદી બાદ આજે  પ્રભુએ થોડી શાંતિ આપી છે, અહિં પણ કોઈ અણ્ણા જાગે અને પ્રજા સાથ આપે અને જો ભ્રષ્ટાચાર નો ભોરિંગ ને કાળીનાગ ની જેમ નાથી લે તો બેડો પાર થઈ જાય.  હું કોઈ પક્ષ કે પદાધિકારી ની તરફેણ કરવા નથી લખતો, પણ જે મને દેખાય છે તેને કેમ બિરદાવી ન શકું ? આમાં કોઈ એ પોતાના પર ભળતી ટોપી પહેરી ન લેવી એવી મારી વિનંતી છે...આ ફક્ત મારુંજ મંતવ્ય છે.
ફોટો ગુગલના સૌજન્યથી.

નારાયણ સ્વામી ની થોડી જીવન ઝરમર


     

જ્યારે જ્યારે ટી વી પર ભજન કે ડાયરાના સારા કાર્યક્રમો આવતા હોય ત્યારે રસ પૂર્વક જોવા અને સાંભળવામાં મજા પડી જાય, ભીખુદાન ભાઈ જેવા મહાન કલાકારને જાણે સાંભળ્યાજ કરીએ, પણ આમાં તો બધું સમય મુજબ ચાલતું હોય, એમાં પણ જ્યારે નારાયણ બાપુને જોવા અને સાંભળવા મળે ત્યારે આ સમયની મર્યાદા ખૂબજ સાલે, છતાં આનંદ આવીજાય, આમતો જોકે અત્યારે અનેક કલાકારો ભજનો અને ડાયરા કરતા હોયછે, અને તેને સાંભળવા સેંકડોની સંખ્યામાં લોકો ઊમટતા હોયછે, પણ મને આમાં કંઈક ખૂંચતું હોય એવું સતત લાગ્યા કરે, કદાચ એ મારો ભ્રમ પણ હોઈ શકે, પણ નારાયણ બાપુને નજીકથી માણ્યા હોય ત્યારે આજનો ભજન ના ભાવ વિહોણો મજાકીયો માહોલ જ્યાં પણ હોય જરૂર ખટકે. અને જ્યારે રૂપિયાની ધોળ થતી હોય, ત્યારે નારાયણ બાપુનો એક પ્રસંગ મને ખાસ યાદ આવે. એક જગ્યાએ ભજન જામેલા, બાપુ પણ પુર બહારમાં ખીલેલા, ત્યારે શ્રોતાઓ પણ આનંદ માણી રહેલા, એમાં એક ઉત્સાહી ભાઈ ઊઠીને બાપુને ઘોળ કરવા લાગ્યા, થોડી વારતો બધું રાબેતા મુજબ ચાલ્યું પણ પછી બાપુએ એ ભાઈને બેસી જવા કહ્યું અને ભજન રોકીને શાંતિથી સમજાવ્યું કે દરેક લોકોએ આનંદનો અતિરેક કરતાં પહેલાં એક વાત સમજવી જોઇએ કે આપણે મર્યાદા ભંગ તો નથી કરતાને? આ લક્ષ્મીજીનું અપમાનછે, આમ રૂપિયા ફેંકાય નહીં અને બીજી વાત અમો ભજન કરવા આવ્યા છીંએ, ભીખ માંગવા નહીં, આવી રીતે તો ભિખારી પણ પૈસા ન લે.અને જો તમારે કોઈ લાભાર્થે આ ઘોળ આપવાની હોય તો મર્યાદાથી આપો, તમારા ધનનું પ્રદર્શન ન કરો, મારા ભજન નો કાર્યક્રમ રાખવો હોય તો મારા નિયમોનું પાલન કરવું પડશે, નહીંતો ભજનતો અનેક ગાનારાછે જે રૂપિયા ખાતર ગમે તેમ કરશો તો પણ ચલાવી લેશે.(ખાસ નોંધ-આ જગ્યાપર આવતા ઘોળના રૂપિયા બાપુનેજ મળવાના હતા.) 

બાપુના આવા સ્વભાવને લીધે ઘણી વાર વિવાદ થતા કે બાપુ તુંડ મિજાજી છે, શું આપને આમાં કંઈ ખોટું હોય તેમ લાગેછે?

આ હતી બાપુની ખુમારી, જે આજે ભાગ્યેજ કોઈમાં જોવા મળેછે. ભજન ના કાર્યક્રમમાં કાંતો સાહિત્યકાર અથવા હાસ્ય કલાકાર મુખ્ય કલાકારને આરામ આપવા માટે રાખવામાં આવેછે, જેમાં ભીખુદાનભાઈ જેવા મહાન વ્યક્તિ હોય તો સાહિત્ય સાથે જ્ઞાન અને થોડી ગમ્મત પણ મળે, પણ ક્યારેક તો હાસ્ય કાલાકારની જગ્યાએ જાણે કોઇ એવા મશ્કરા લોકો આવી જાય જે ભજન ના માહોલને અનુરૂપ નહોય, બોલવું ઘણુંજ સહેલું છે, પણ શું અને ક્યાં શું બોલવું તે જાણવું ઘણુંજ અઘરું છે, હા જેને આ વાતની ખબરજ નથી તેને શું કહેવું? તેના માટેતો આયોજકોએજ જવાબદાર વલણ રાખવું જોઈએં જે ભજન ના ભાવની મર્યાદા ન જાળવી શકે તેવા લોકોને લવાયજ નહીં, ભજન ના કાર્યક્રમની મર્યાદા હોવી જોઈએ, તેમાં હા હા હી હી ન હોય, હા પ્રેક્ષકોના મનોરંજન પૂરતું હાસ્ય રાખી શકાય. પણ આતો પાછા ત્યાં જે રૂપિયા વાળા હોય તેના ગુણગાન કરતા હોય, એક કહેવાતા આવા કલાકારતો એવા તાનમાં આવી ગયા કે એક સારા ભજનિક ખરા પણ નારાયણ સ્વામીની હરોળમાં કોઇ પણ રીતે ન આવી શકે તેને બાપુ પછી કોઇ બાપુનું સ્થાન લઈ શકે તેવા ગણાવી દીધા. એ તો ઠીક પણ પાછો પેલો કલાકાર પણ આવીને આરામથી ગોઠવાઈ ગયો, જાણે તે પણ બાપુનો વારસો જાળવી રાખવા સક્ષમ હોય. હવે આમાં કોને દોષ આપવો? કોઈ શ્રોતાએ પણ ટકોર ન કરી. દરેકે પોતાની મર્યાદા સમજીને ચાલવું જોઇએ. એક ગાયકાતો ત્યાં સુધી બોલી ગઈ કે "મને લોકો મીરાં બાઈનો અવતાર માનેછે." અરે બાઈ તું મીરાંબાઈ ના જોડા સાફ કરવાને લાયક પણ નથી, અને જો કોઈ આવું માનતા હોય તો તેનું પરીક્ષણ કરાવવું પડે, કોઈ માનસિક બીમારી તો નથીને? આજના હાઈ ફાઈ જમાનામાં આપણો ભૂતકાળ વધારે છાનો રહેતો નથી, વાણી સ્વતંત્રતાનો હક્ક છે પણ બધે નહીં. થોડા તો લાજો? અવાજ સારો હોય એટલે બધા ગુણ આવી ન જાય. ભજન માટેતો તપ કરવું પડે, બાકીતો રાગડા કહેવાય.
માફ કરજો, પણ ભજનની મર્યાદાનો અમર્યાદ ભંગ થતો લાગે ત્યારે લખાઈ જાયછે.

બાપુની ક્ષમતાની એક વાત મને યાદ આવેછે, બાપુના પૂર્વાશ્રમના પુત્ર ચી.હિતેષભાઇ સાથે મારે ખૂબજ સારા સંબંધ, જોકે હવેતો આખા કુટુંબ સાથે સારો પરિચય છે, એક કંપનીમાં અમો બન્ને સાથે નોકરી કરીએ, પરંતુ બાપુને આવી કોઈ વાત કરાય નહીં કારણ કે બાપુને પોતાના પૂર્વાશ્રમની કોઈ પણ વાત કરો તે ગમે નહીં, આ બાબતનો એક પ્રસંગ આપને હું આગળ જણાવીશ. અમદાવાદના શ્રીમાન પ્રદીપભાઇ કે જે બકાભાઇ ના હુલામણા નામે જાણીતા અને બાપુના અનહદ ચાહક, તેમના આગ્રહથી જ્યારે બાપુની "રોમ રોમ હર બોલે" કેસેટનું રેકૉર્ડિંગ પંકજભાઈ ના સંચાલનમાં ચાલતું હતું જેમાં ઈશ્વરની કૃપાથી મારા દ્વારા રચાયેલ એક "શિવ શંકર સુખ કારી" રચનાને તેમાં બાપુએ સ્થાન આપેલુ. તે વખતે  હિતેષભાઇ ત્યાં રેકોર્ડિંગ વખતે હાજર રહેતા અને દરરોજ બાપુ માટે ટીફીન લઈ ને આવે, એક દિવસે પંકજભાઇ બધા સાજ તૈયાર કરીને બાપુને ગાવા માટે પધારવા કહ્યું ત્યારે બાજુએ કહ્યું કે પંકજભાઇ મને કોઇ સાજમાં દોરાભાર ફરક લાગેછે, પંકજભાઇએ વારંવાર તપાસ્યા છતાં બાપુએ હજુ કંઈક ગરબડ છે એવો આગ્રહ રાખ્યો, અંતે પંકજભાઈ જેવા સંગીતના મહારથીએ કહેવું પડ્યું કે બાપુ સુર તો આપની રગે રગમાં વ્યાપેલાછે, નહીંતો આટલો નાનો ફરક ભાગ્યેજ ધ્યાનમાં આવે. છતાં આજે પણ આપ ધ્યાનથી એ મારું ભજન સાંભળશો તો એક જગ્યાએ એક નાની એવી ભૂલ જરૂર ધ્યાને આવશે, જે કદાચ એ વખતે બાપુના ધ્યાન બહાર રહી ગઈ હોય એવુંતો નજ બને પણ ચલાવી લીધી હોય. આ હતા સંગીત નું શાસ્ત્ર ભણ્યા વિનાના સંગીત વિશારદો ના પણ વિશારદ આત્મ જ્ઞાની ભક્ત નારાયણ સ્વામી.  

બાપુના પૂર્વાશ્રમને યાદ ન કરવાનો એક દાખલો ટાંકું જે મને ખુદ હિતેષભાઇના મુખેથી સાંભળવા મળ્યોછે. ફકીરી લેવા માટે પહેલાં ત્રણ વર્ષ માટે કાળી કફની કે કામળી-જે હોય તે-પહેરવી પડે ત્યાર બાદ ભગવા વસ્ત્રો ધારણ કરી શકાય આવો કંઈક નિયમ છે જેની મને ખબર નથી. એ વખતે જ્યારે બાપુએ કાળી કફની પહેરેલી ત્યારે તેમના એક પરમ સ્નેહી જે બાપુના પુરા પરીવાર સાથે સારો નાતો અને સ્નેહ ધરાવતા તેવા મુંબઈ વસતા ડો.ગણાત્રા મુંબઈમાં બાપુને મળ્યા ત્યારે બાપુને તેમનો પરીવાર હજુ કમાવા માટે સક્ષમ ન હોઈને કે સારા રાહબર પણ ન હોઈને હમણાં સંસાર ન છોડવા સલાહ આપવા લાગ્યા. બાપુએ આ બાબત વાત ન કરવા વિનંતિ કરી પણ લાગણીવાળો માણસ ભાવ સભર બાપુને સમજાવતા રહ્યા, અનેક ઉપાયો છતાં બાપુ ટસ ના મસ ન થયા ત્યારે આ મહાનુભાવે સ્નેહ વશ બાપુને કહ્યું કે જો આપ આપના પરિવારનો ખ્યાલ કરીને સન્યાસી બનવાનો ખ્યાલ છોડીદો તો આજે આપણે જે બંગલામાં રહ્યા તે અને અત્યારે જે ગાડીમાં બેઠાં છીંએ તે આપને સદા માટે અર્પણ કરી દંવ.

બાપુ તો જાણે ખુશ ખુશાલ થઈ ગયા, હસતાં હસતાં ગાડી રોકાવી, ગણાત્રા સાહેબને ખૂબજ ધન્યવાદ કહીને ગાડીમાંથી ઊતરતા કહ્યું કે સાહેબ આપના પ્રેમ બદલ હું જે કંઈ કહું તે પૂરતું નહીં હોય, પણ હવે પછી મને સંન્યાસ છોડવા ક્યારેય ન કહેજો નહીંતો આપણો સંબંધ પૂરો થઈ જશે. મારે ગાડી કે બંગલો જોઇતો હોત તો બીજા અનેક રસ્તા હતા, પણ "फकीरी में मजा जीसको, अमीरी क्या बेचारी हे" જેવો જવાબ આપીને ચાલતી પકડી. 

નારાયણ બાપુની એક બીજી વાત લખવા પ્રેરણા થાયછે. ઘણા વખત પહેલાં કચ્છમાં એક જગ્યાએ કોઈ સંસ્થાના લાભાર્થે બાપુનો કાર્યક્રમ ગોઠવેલો, જ્યાં એ વખતના એક પ્રધાન પણ ઉદ્ઘાટન કરવા પધારવાનાં હતા, ભજન નો સમય થવામાં થોડી વાર હતી ત્યાં પ્રધાન શ્રી પધાર્યા, રિબન કાપવાની વિધી પુરી થયા બાદ બાપુને બે શબ્દો બોલવા કહ્યું, ત્યારે બાપુએ જવાબ આપ્યો કે ભાઈ તમે શું ઈચ્છો છો તે મને ખબર છે, પણ એવું બોલતા મને નથી આવડતું, હું કોઈને સારું લગાડવા માટે તમો કહો તેમ ન બોલું, તો તો મારા ભગવા લાજે, માટે મને આગ્રહ ન કરો, પણ જ્યારે બધાએ ખૂબજ આગ્રહ કર્યો ત્યારે બાપુ જે બોલ્યા તે સદંતર સત્ય અને પ્રાયોજકો ની ધારણાથી બિલકુલ વિપરીત હતું, કોઇએ બાપુને કહ્યું, બાપુ આ જાહેરમાં આમ ન બોલાય આતો કાયદાથી વિરુદ્ધ કહેવાય, ત્યારે બાપુએ જવાબ આપેલો કે ભાઇ મારો કાયદોતો મારા ઉપરવાળાએ ઘડેલોછે, તેનો ભંગ હું ક્યારેય નથાય તેનું પૂરે પૂરું ધ્યાન રાખુ છું, બાકી આ કાયદો શું કરશે? વધુમાં વધુ જેલમાં નાખશેને? તો ત્યાં ભજન કરશું, ત્યાંના લોકોને આવો લાભ ક્યારે મળશે?
આ પ્રધાનની વાત પરથી એક બીજો પ્રસંગ પણ યાદ આવી ગયો. એક ભક્તના આશ્રમમાં પણ બાપુનો કાર્યક્રમ ગોઠવાયેલો, તેમાં ત્યારના મુખ્ય પ્રધાન પધાર્યા ત્યારે એ આશ્રમના એ ભગવા ધારી ભક્ત સ્વાગત માટે દોડધામ કરવા લાગ્યા, થોડી વારતો નારાયણ બાપુ કંઈ ન બોલ્યા પણ પછી એ ભક્તને ચાલુ માઇકમાં કહ્યું કે બાબાજી આપ શાંતિથી બેસી જાવ, મુખ્ય પ્રધાન ભલે રાજ્યનો વડો હોય પણ ભગવા વેશ ધારી પાસે તેની કોઈ ગણતરી ન હોય, માટે આ ભગવા ન લજાવો.
હવે આ વાંચ્યા પછી આપજ નક્કી કરો કે છે કોઈ આજે નારાયણ સ્વામીની હરોળમાં પણ ઊભો રહી શકે તેવો ભજનિક? કોઈ હાસ્ય કલાકાર કોઈ કલાકરને સારું લગાડવા આવું બોલતા હોય તો પહેલાં સરખામણી કરી લેજો.

મારા ઘણા મિત્રો શ્રીમાન અશોકભાઇ દાસ, શ્રી ડો. ખેઇની સાહેબ અને એવાતો અનેક બ્રહ્મલીન નારાયણ સ્વામી બાપુના ચાહકો મને બાપુ વિષે વધારે માં વધારે અથવાતો બને તો પુરી જીવન યાત્રા માટે લખવા કહેછે. પણ મારી પણ થોડી સમયની મર્યાદા અને સત્યતા જળવાય તેમજ હિતેષભાઇની સહમતી-જે મળતી રહેછે- પણ એટલીજ આવશ્યક હોવાથી લખવામાં વિલંબ થતો હોયછે, પણ અમો બન્ને મળીને જેમ બને તેમ જલદી બાપુ વિષેની વધારેમાં વધારે માહિતી અહીં લખતા રહેશું જેને આપે એક ત્રાગડામાં પરોવીને સંપૂર્ણ માળા બનાવવાનો શ્રમ કરવો પડશે જેથી તે એક જીવન ઝરમર બની જાય.

જય નારાયણ.