Monday, November 18, 2013

                                         દેશળ ભગત.

હમણાં નારાયણ બાપુની તિથિ નિમીતે જે કાર્યક્રમ રાખવામાં આવેલો તેમાં શ્રી મેરાણ ગઢવીએ દેશળ ભગતનો  એક પ્રસંગ રજૂ કર્યો જે મારા માતુશ્રી મને ઘણી વખત કહેતા, જે આજે તાજો થતાં અહીં રજૂ કરું છું, જેના માટે ભગવાન દ્વારકાનાથ ને ધ્રાંગધ્રાના મહારાજા શ્રી અજીતસિંહજીની જેલનો પહેરો ભરવો પડેલો.

મારા માતુશ્રીના ફૈબા સાહેબ એટલે ધ્રાંગધ્રા રાજ્યના મહારાણી સાહેબા બાજીરાજબા, મારા માતુશ્રી બે બહેનો, સગો કોઈ ભાઇ નહીં, નાની વયમાં માતા પિતાની છત્ર છાંયા ગુમાવી ચૂકેલા, તેથી ફૈબા સાહેબે તેમને ધ્રાંગધ્રા બોલાવી લીધેલાં, લાડકોડ સાથે ભક્તિનું સિંચન કરેલું તેથી ઈશ્વર મય જીવન. મને પણ ધર્મ અને સંતો મહંતોની વાતો કરતા. તેમાંનો એક પ્રસંગ અહીં રજૂ કરું છું.

એ વખતે ધ્રાંગધ્રા માં રા.રા.શ્રી અજીતસિંહજી સાહેબ ગાદી પર બિરાજમાન, અડાબીડ વ્યક્તિત્વ, કંઈ પણ ખોટું સહન કરે નહીં, અન્ય રાજ્યોના રાજા મહારાજાઓ તેમનું માન જાળવે. આવા રાજાના રાજ્યમાં એક દેશળભાઈ રાજ્યની જેલના સામાન્ય સિપાહી જે "દેશળ ભગત" તરીકે ઓળખાય, ભજન પરાયણ જીવ, અવિરત ભક્તિ મય જીવન, જ્યાં પણ ભજન ગાવા બોલાવે વિના વિલંબ પહોંચી જાય.પણ ભક્તિ હોય ત્યાં ભીડ પણ સાથેજ હોય. અનેક ખણ ખોદિયા લોકો મહારાજાને ફરિયાદ કરતા કે બાપુ, આપ દેશળને જાણતા નથી, તે ઘણી વખત ચાલુ નોકરીએ આડો અવળો થઈ જાય છે, જેલમાં કેવા કેવા ઘાતકી લોકો આવતા હોય, આપના નામથી ચોર લૂંટારા ભય પામે છે, આપના રાજ્યની જેલમાં જવાના નામ માત્રથી કેટલાક તો ગુનો કરતાં ગભરાય છે, પણ બાપુ, આ દેશળના પ્રતાપે જો કોઈ કેદી જેલમાંથી ભાગી જશે તો આપની બદનામી થશે, માટે આપ તેના પર જરૂરી નિયંત્રણ રાખો તો સારું રહેશે.

નારાયણ બાપુએ એક વખત એક ટુચકો કહેલો તે આ જગ્યા પર સુ સંગત હોઈને મુકુંછું. એક વખત લક્ષ્મીજીએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ આપતો ત્રિદેવો માંહેના એક છો, જેમ આપ મહાદેવ અને બ્રહ્માજીનું માન રાખેછે, તેમ તેઓ પણ આપનું માન રાખેછે, પણ હું ઘણીવાર જોંવછું કે આપ ઊંડા ધ્યાનમાં લાગી જાવ છો. શિવજી પણ ધ્યાનસ્થ થઈ જાય છે, તો આપ કોનું ધ્યાન ધરો છો? આપનાથી મોટું કોણછે? ત્યારે ભગવાને કહ્યું કે દેવી મારા ભક્તો જ્યારે મને અંતરથી યાદ કરેછે ત્યારે મારે તેની પ્રાર્થના સાંભળવી પડેછે. ક્યારેક તેમની પાસે પણ જવું પડેછે, મરાથી મારા ભક્તો મારા માટે મોટાછે.

આ સાંભળીને લક્ષ્મીજીને થયું કે જો ભગવાનના ભક્તો ભગવાન કરતાં મોટા હોય તો મારે તેમનું માન જાળવવું જોઇએં અને લાજ પણ કાઢવી જોઈએં, ત્યારથી માતાજી ભક્તોના ઘરે જવાનું ટાળેછે, અને ભક્તો મોટા ભાગે નિર્ધનજ હોયછે.

ભજન પરંપરામાં એક નિયમછે કે જો ભજનનું "વાયક" સ્વિકારવામાં આવે તો તેને કોઈ પણ ભોગે પાળવું પડે, તેથી દેશળ ભગત વાયક આવે તો વચન આપવાને બદલે કહેતા કે ભાઈ દ્વારકા વાળો મહેર કરશે તો આવી જાશું.
પણ જ્યારે જ્યારે પેલા ખણખોદિયા લોકોને ખબર પડે કે આજે વાયક આવ્યુંછે, તેઓ તુરંત મહારાજાને ખબર આપીદે, પણ બાપુ ખાસ ધ્યાન ન આપે.
એક વખત શહેરના કુંભારવાડામાં ભજનનું વાયક આવ્યું, ભગતે જવાબ આપ્યો કે ભાઈ જેવી દ્વારિકા વાળાની મરજી. જેલમાં નોકરીની ત્રણ પાળી ચાલે, આઠ આઠ કલાક પાળી બદલે, ભગતની નોકરી તે દિવસે રાતના આઠ થી સવારના ચાર વાગ્યા સુધીની હતી, ભગતે સાથી સિપાહીને કહ્યું કે ભાઈ, ભજનનું વાયક છે, વચન તો નથી આપ્યું પણ જીવ ત્યાંજ બાજ્યોછે, આપ જો થોડીવાર નજર રાખો તો એક ચોહર (ચાર ભજન) કરી આવું, સાથી કહ્યું કે ભગત તમને ખબર છે? તમારા દુશ્મનો તમારા વિરુદ્ધ બાપુને કાન ભંભેરતા રહેછે, માટે તમે ધ્યાન રાખજો. ભગતે જવાબ આપ્યો કે ભાઈ ધ્યાનતો રાખશે દ્વારિકા વાળો, આપણે શું ધ્યાન રાખવાના? 
પેલા ખણખોદિયાઓ ને પણ ખબર પડી ગયેલી કે આજે ભગતને આમંત્રણ છે તેથી જરૂર જશેજ, તેણે મહારાજાને આ બાબતની જાણ કરી ને વિનંતી કરી કે રાજન આજ અપ પોતેજ ધ્યાન આપો તો દેશળની પોલ ખૂલી જાય.
ઘણા સમયની ભંભેરણીથી રાજન ને પણ ખાતરી કરવા વિચાર આવ્યો, તેમણે આ લોકોને કહ્યું કે આજે જ્યારે ભગત બહાર જાય મને જાણ કરજો, હું પોતે આવીને તપાસ કરીશ.

રાત્રિના દશ વાગ્યા એટલે ભગવાનનું નામ લઈને દેશળ ભગત સાથી સિપાહીને ભલામણ કરીને ભજન ગાવા ચાલી નીકળ્યા. લાગ જોઇને પેલા ખણખોદિયાઓ એ મહારાજાને ખબર આપ્યા, ભરોંસો ન આવતો હોવા છતાં ખાતરી કરવા બાપુ જેલમાં પધાર્યા અને દેશળને હજર થવા કહ્યું. રાજ્યની જેલનો પહેરવેશ પહેરેલા દેશળ ભગત આવીને બાપુને સલામ મારીને વંદન કરતાં ઉભા રહ્યા, બાપુએ જેલની હાજરી ભરવાની ચોપડી મંગાવીને તેમાં સહી કરીને સબ સલામત ની ખતરી કરતાં મહેલમાં પધાર્યા.
પેલા લોકોને નવાઈ લાગી કે આ ભગતડાને જતો તો જોયેલો, તે પાછો કેમ આવી ગયો? શું કોઈએ આપણી યોજનાની જાણ તેને કરી દીધી? પણ ભગત આમંત્રણ આવ્યા પછી જરૂર જાયજ એમ વિચારીને તેઓએ ફરીને થોડા સમય પછી જોયું તો ભગત ન હતા, ફરી બાપુને જાણ કરી, બાપુ પધાર્યા પણ ખરા, પણ પહેલાની જેમજ દેશળ ભગત આવીને ઉભા રહ્યા, ફરી બાપુએ ચોપડીમાં નોંધ કરી અને પાછા ફર્યા. હવે પેલા લોકોને થયું કે નક્કી કોઈક આપણી વાત જાણી ગયુંછે જે દેશળને જાણ કરીદેછે તેથી તે ભજન છોડીને આવી જાયછે, આ વખતે એવું કરો કે બે માણસો કુંભારવાડે જઈને ખાતરી કરે અને સમાચાર આપ્યા પછી પાછા ત્યાંજ ઉભા રહે, અને બે જણા જેલના દ્વાર પાસે રહે જેથી કોઈ પણ સંજોગોમાં એ ભગતડો જેલમાં આવી ન શકે, અને બે જણા બાપુને આ બધું સમજાવીને લઈ આવે જેથી બાપુને ખાતરી થાય.આવી સંપૂર્ણ યોજના સાથે બાપુને બોલાવવામાં આવ્યા, પણ જેવા બાપુએ ભગતને હાજર થવા કહ્યું કે તરત ભગત એજ પ્રમાણે આવિને બાપુને નમન કરીને ઉભા રહ્યા, ફરી બાપુએ ચોપડીમાં નોંધ કરીને પેલા લોકોને ઠપકો આપ્યો કે આવા જૂઠાણા ચલાવીને કોઈને બદનામ કરવાની વ્રતી બાબત સખત ઠપકો પણ આપ્યો.
અહીં દેશળ ભગતને તો આ બાબતની ખબરજ નહતી,સવારના ચાર વાગવાની તૈયારી હતી ત્યારે ભગતને ધ્યાન આવ્યું કે ભારે કરી આજે જરૂર નોકરી જશે, ડરતાં ડરતાં જેલના દરવાજે પહોંચ્યા ત્યારે પળી બદલવાની તૈયારી ચાલતી હતી, પેલા સાથી સિપાહીએ વાત કરતાં કહ્યું ભગત સારું થયું તમે ભજનમાં ન ગયા નહીંતો આજે મહારાજા ત્રણ વખત પધારીને જે મુલાકાત લઈ ગયા તેમાં ક્યારેક તો પકડાઇજ જાત. ભગતતો અચંબામાં પડી ગયા, વિગતે વાત જાણતા ત્યાંથી સિધ્ધાજ રાજ દરબારમાં પહોંચીને મહારાજાને પગે લાગીને સિપાહીનો ગણવેશ અને પટ્ટો બાપુના પગમાં મૂકીને કહ્યું કે બાપુ, મારા માટે મારી પરીક્ષા લેવા આપને ત્રણ ત્રણ વખત આપના મહેલથી કે જે ફક્ત પંદર મિનિટ ના રસ્તા પર છે ત્યાં પધારવું પડે એ સારું ન લાગતું હોય ત્યાં મારા વહાલાને છેક દ્વારિકાથી આપના સિપાહીનો ગણવેશ પહેરીને આપને સલામ મારવી પડે એવી નોકરી હવે મારે નથી કરવી, હવેતો બસ મારા નાથની નોકરી કરીને જીવન વ્યતીત કરીશ.      
જય દ્વારિકેશ.

Tuesday, November 12, 2013


ઝૂંપડીએ જંગ


ઝૂંપડીએ જંગ લાગ્યો, જીવડા તારી....

કાયાને કદી કાટ ન લાગે આતો, અકળ અચંબો આવ્યો
ઘાસ ફૂસ જેવું ભાતું ભર્યું તેં, દેહમાં દવ છે લગાવ્યો...

દેવો ને પણ દુર્લભ એવો, મનખો માનવનો લાધ્યો
પરખી શક્યો નહીં પ્રભુની કૃપાને, મોહ માયા વશ ભાગ્યો...

ભૂધર કેરી ભક્તિ કરી નહીં, સમરણ સ્વાદ ન ચાખ્યો
કામ ક્રોધ મદ મોહ તજ્યા નહીં, મારગ અવળે રાચ્યો...

વાગ્યા જ્યારે ગેબી નગારાં, અવસર અંતનો ભાસ્યો
યમ દૂતો જ્યારે દ્વારે દરશાયા ત્યારે, ભય ભયંકર લાગ્યો..

ગજને બચાવ્યો ગરુડ ચડીને, ગણિકા પોપટ પઢ્યો  
ટિટોડી ના ઈંડા ઉગાર્યા, "કેદાર" ભરોંસો કેમ ના’વ્યો...
   
  સાર;-આપણા શાસ્ત્રો મુજબ જીવ ચોરાસી લાખ યોનિમાં ભટકી ભટકીને અંતે મોક્ષ પામવાનું છેલ્લું દ્વાર માનવ શરીર પામેછે. માનવ દેહ દેવોને પણ દુર્લભ છે એમ કહેવામાં આવે છે, અનેક ઉપકારો પછી જીવને માનવ દેહ મળે છે, પણ જીવ જન્મ પછી એ બધું યાદ રાખી શકતો ન હોઇને ક્યારેક અવળા રસ્તે ચાલવા લાગે છે.

હાડ ચામની બનેલી કાયાને ક’દિ કાટ ન લાગે પણ અહીં કલ્પના કરવામાં આવી છે કે આ કેવો અચંબો છે કે ઈશ્વરે આ જીવને મંદીર સમાન માનવ દેહ આપ્યો કે જેમાં વસવાટ કરીને જીવ સત કર્મો કરે તો શિવત્વ પામી શકેછે.પણ તેં અકર્મો કરીને ઘાસ ફૂસ જેવો કચરો કાયામાં ભરીને કાયાને એવી ભ્રષ્ટ કરીછે કે તેમાં જાણે કાટ લાગવા માંડ્યો છે.

તને આ અમૂલ્ય અવસર સંસાર સાગરને પાર કરવા માટે આપેલો પણ તેં એ મોકો ગુમાવી દીધો અને અવળા રસ્તે ચાલ્યો. પણ જ્યારે ઉમર થવા લાગી, દર્દોએ ઘેરો ઘાલ્યો અને મૃત્યુ નજીક દેખાવા લાગ્યું ત્યારે હવે ડર લાગવા માંડ્યો.
હે જીવ હાથીની છેલ્લી ઘડીની એકજ પોકાર કે પોપટને રામ નામ પઢાવતી ગણિકા અગરતો યુદ્ધના મેદાનમાં પડેલા ટિટોડીના ઈંડાને ઉગારનાર હજાર હાથ વાળો હજાર હાથે રખેવાળી કરે છે પણ છતાં તને ભરોંસો કેમ ન અવ્યો?
જો જીવ એક ક્ષણ પણ અંતરના ઊંડાણથી આર્તનાદ સાથે ઉપર વાળાને ભજે તો તે ક્યારેય સહાય કરવાનું ચૂકતો નથી.
જય નારાયણ.

Saturday, November 2, 2013

માનવ ધારે તો ક્યાં થી ક્યાં પહોંચી શકે છે.
                      કવી "દાદ" નો દીવડો (જીતુદાન ગઢવી)

હમણાંથી તા. ૨૧.૯.૧૩ ના રોજ પ. પૂ. બ્રહ્મ લીન નારાયણ સ્વામીજીની નિર્વાણ તિથિ નિમિત્તે બાપુના આશ્રમ ના કાર્યક્રમની ઝલક આપ સમક્ષ રજૂ કરતો રહુંછું, આજે મારા ગુરુ સમાન કવી શ્રી "દાદ" ના સુપુત્ર શ્રી જીતુદાન ગઢવીને રજૂ કરવા માંગુછું. એક આડ વાત, હું દરેક વખતે શ્રી "દાદ"નો ઉલ્લેખ મારા ગુરુ સમાન તરીકે કરુંછું, એક મિત્રે મને કહ્યું કે ભાઈ આ ગુરુ સમાન કેમ? ગુરુ કેમ નહીં? ત્યારે મેં જવાબ આપેલો કે ભાઈ મેં તો તેમને ગુરુજ માન્યા છે પણ તેઓ મને શિષ્ય માને છે કે નહીં તે ચોખવટ થઈ નથી...

જો ગાડીનો ડ્રાઇવર બરાબર ન હોય તો ગાડી ચીલો ચાતરિ જાય, અને ક્યારેક બળદ ગાડાં આગળ નીકળી જાય, એવુંજ કંઈક આ કાર્યક્રમમાં થયેલું, સંચાલક મહોદયને કોઇ કારણસર કાર્યક્રમ છોડીને જવું પડેલું, એમાં આવા દીવડાને રજૂ કરવામાં મોડું થઈ ગયું. પણ પછી જીતુદાને જે જમાવટ કરી, કવિ "દાદ" ના લક્ષ્મણાયન ની વાતો અને અન્ય રજૂઆત સાંભળીને તેને મોડો સમય ફાળવાયો તે બાબત માટે મોટા ભાગે બધા શ્રોતાઓએ નારાજગી વ્યક્ત કરી પણ પછી શું થઈ શકે? બસ હૂંતો એટલુંજ કહીશ કે વાહ દાદ વાહ શું સંસ્કારનું સિંચન કર્યુંછે, તોજ આવા દીવડા પાકે બાકી કેટલાએ કવિઓ/સાહિત્યકારો કે મોટા ગજાના ભજનિકોના દીકરા ક્યાં રખડેછે કોઈને ખબર નથી, કે બાપના પગલે પા પા પગલી પણ ભરી શકતા નથી, અમુક તો બાપના નામે તરવા માટે ફાંફાં મારે છે પણ પોતાનું અજ્ઞાન આડું આવે છે, અને કોઇ કોઇ તો નામ રોશન કરવાને બદલે ડૂબાવે છે.
એક વડીલ તરીકે ઈશ્વરને એકજ અભ્યર્થના કે ભાઈ સદાએ સાચા અર્થમાં સાહિત્યકાર કે ભજનિક બનીને પિતાનું નામ રોશન કરજે એવી પ્રાર્થના.
જય નારાયણ.
૨.૧૧.૧૩

Friday, November 1, 2013

છોટે નારાયણ ?

                     
                              છોટે નારાયણ ?
તા. ૨૧.૯.૧૩ ના રોજ પ. પૂ. બ્રહ્મ લીન નારાયણ સ્વામીજીની નિર્વાણ તિથિ નિમિત્તે બાપુના આશ્રમ ના કાર્યક્રમની એક ઝલક આપને કાલે મેં બતાવી, આજે નારાયણ બાપુના મોટા પુત્ર હરેશભાઈને આપની સમક્ષ આ માધ્યમ દ્વારા રજૂ કરુછું, જો કે વીડીઓની લંબાઈની મર્યાદા હોઈને નાનો ભાગજ મુકુછું.
હરેશભાઈએ બાપુ જે માળા બોલાવતા તે માળાથી શરૂઆત કરી ત્યારે તેમને સાંભળનારા ઘડીભરતો સ્તબ્ધ બની ગયા, કેમકે તેમના ગળામાં બિલકુલ જાણે બાપુનો જવાનીનો અવાજ હોય અથવાતો બાપુ ખુદ તેમના દ્વારા લોકોને સંભળાવતા હોય એવું લાગતું હતું. આજ કાલ "છોટે"નો મહિમા ખૂબજ ચાલેછે, શું આપણે આમને છોટે નારાયણ કહેવું?...આપજ નક્કી કરજો. બાકી નારાયણના પુત્રને આવી જરૂર ન પડે.
જય નારાયણ. 
 ૧.૧૧.૧૩

Tuesday, October 29, 2013


એવા મંદિરે નથી જાવું.

સાખી_ પ્રેમ વશ ભાજી જમે, સુલભા સ્નેહ ને કાજ
           દુર્યોધનના ભોગ તજી, છાલ જમે રસ રાજ
           
           સ્નેહ કાજ તાંદુલ જમે, પગ ધોવે દ્વારિકેશ
          પટરાણી ઢોળે વીંજણો, નહીં મોટપ મન લેશ..     
           
પૂજારી મારે એવા મંદિરે નથી જાવું.
ભાવે ભજન કરી પ્રેમે પલાળે એના, અણમોલ આંસુડે નહાવું રે પૂજારી મારે...  

અરબો ને ખરબો કાળા નાણાનું જ્યાં, વરવું રૂપ પથરાતું.
સોના સિંહાસનમાં હીરા જડાવે એમાં, અઢળક ધન ઉભરાતું રે પૂજારી મારે......

અમૂલખ કારમાં આવી અભડાવે મને, કાળું ને ધોળું ત્યાં કરાતું
મોટા મહંત બની ભરે ખજાના એવા, પાખંડીને હાથે ના પૂજાવું રે પૂજારી મારે......

છપ્પન ભાતના ભોજન ધરાવે કે, મોંઘાં વાઘા માં વીંટળાવું
ટાઢે ઠૂઠવતાને ઓઢાડે ગોદડી, એવા દાનીને દરશાવું રે પૂજારી મારે...
                                                           એવાને આંગણે જાવું... 
ભૂખ્યા દુખિયાને જ્યાં મળી રહે રોટલો, એની ઝોંપડીએ આવું
મળે મફતમાં સેવા ગરીબને,  એવા ઉપચાર ખંડ જાવું રે પૂજારી મારે...
                          
દિલથી નાનો એવો દીવડો પ્રગટાવે, હેતે ભજન જ્યાં ગવાતું
ખોરડે ખૂણામાં મારો ફોટો પધરાવીને, આખું ઘર એકઠું થાતું રે પૂજારી મારે 

"કેદાર" કનૈયો એમ કપટે મળે નહીં,  હેતે હરી ગીત ગાવું
પ્રેમને વશ થઈ પ્રભુજી પધારે માટે, ભાવ વિભોર બની જાવું રે પૂજારી મારે...

 સાર- મારા ગુરુ સમાન કવી "દાદ" ની એક રચનાછે, "ઠાકોરજી નથી થાવું". એવાજ કોઈ વિચાર સાથે મને આ રચના સ્ફુરતાં અહીં રજૂ કરુંછું.
આજ કાલ આપણે સમાચારો કે ટી વી પર મોટા મોટા મંદિરો બનતા હોય તેના પ્રચાર થતા રહેતા હોય તેમ ખબરો આવતી રહેછે, ત્યારે મને વિચાર આવે કે શું ભગવાન આવા આલીશાન મંદિરોમાં રહેવાનું વધારે પસંદ કરતો હશે કે પછી જ્યાં ભાવ સાથે ભજન થતું હોય કે સાદાઈથી પૂજા થતી હોય ત્યાં વસવાનું વધારે પસંદ કરતો હશે?. ઈશ્વરને ધન દોલત કે વૈભવ લોભાવી શકતો નથી, ફક્ત પ્રેમ પ્રેમ અને પ્રેમજ ઈશ્વરને પામવાનો માર્ગછે, તેથી મને લાગે કે....
ભારતમાં ચાર ધામ, દ્વાદશ જ્યોતિર્લિંગ, શક્તિ પિઠ જેવા સ્થાનો એટલે બાકીના દરેક ધાર્મિક સ્થાનોમાં ઉચ્ચતમ સ્થાન. આ મંદિરોની તોલે બીજા કોઈ પણ સ્થાને ઈશ્વરીય શક્તિ નું ઐશ્વર્ય વધારે હોઈ ન શકે એમ મારું માનવુંછે. પણ આજ કાલ ભવ્યાતી ભવ્ય મંદિરો નિર્માણ પામેછે ત્યારે ઈશ્વર ક્યાં વસવાટ કરતો હશે? જેની મેં કલ્પના કરીછે કે તે પૂજારીને શું કહેછે?.

હે પૂજારી મોટા મોટા મહેલો જેવા ભવ્ય મંદિર બનાવી, મૂલ્યવાન હીરા જડિત સોના ના સિંહાસન પર અમૂલ્ય મુકુટ પહેરાવે, મને કિંમતી આભૂષણ પહેરાવે કે કોઈ પણ રીતે લક્ષ્મીજીનું અપમાન થાય તેવું વર્તન થતું હોય ત્યાં મને કેમ ફાવે?
પાછાં એ મંદિરના કહેવાતા મારા સેવકો, પૂજારી, કે ટ્રસ્ટીઓ કીમતી ગાડીઓમાં આવીને મારા પૂજનના બહાને મારી સમક્ષ કાળા ધોળા કર્મો કરતા હોય, અને મંદિરમાં મારા નામે ધરાતા ધનને કોઈ પણ રીતે ઘર ભેગું કરતા હોય એવા પાખંડી ના હાથે મારે પૂજાવું નથી, પણ ભૂખ્યા લોકોને જ્યાં અન્ન મળતું હોય, કોઈ ગરીબ ઠંડીમાં ઠૂઠવાતો હોય તેને ઓઢવાનું અપાતું હોય કે કોઈ દવાખાનામાં ગરીબને પ્રેમથી મફતમાં સારવાર મળતી હોય, ભલે નાની એવી ઝૂંપડીમાં રહેતો હોય અને એક ખૂણામાં મારો ફોટો પધરાવીને આખું ઘર એકઠું મળીને ભાવથી મારા ભજન કરતા હોય, એવા લોકોને હું સ્વયં ગોતીને ત્યાં પહોંચી ને આનંદ પામું છું. એવા લોકોના આમંત્રણની હું પ્રતીક્ષા નથી કરતો, હું ત્યાં દોડતો પહોંચુ છુ.
માટે કોઈ પણ કપટ વિના ભાવ સહિત ભજન કરો, હરી દોડતો આવશે.
જય શ્રી રામ.  

Friday, October 25, 2013



નારાયણ સ્વામિની નિર્વાણ તિથિ

મિત્રો,
હમણાં મારી થોડી વ્યસ્તતાને લીધે આપનાથી થોડું અંતર પડી ગયું જેથી એક અગત્યની રજૂઆત કરવામાં વિલંબ થયો.

તા. ૨૧.૯.૧૩ ના રોજ પ. પૂ. બ્રહ્મ લીન નારાયણ સ્વામીજીની નિર્વાણ તિથિ નિમિત્તે બાપુના આશ્રમ માંડવી મુકામે એક ભવ્ય સંત વાણીનો કાર્યક્રમ યોજાયો હતો, આમતો આ પ્રસંગનું દર વર્ષે તારીખ પ્રમાણે આશ્રમના ટ્રસ્ટીઓ તરફથી આયોજન થતું પણ મારા સાંભળવા પ્રમાણે તેમાં ભજન ના ભાવ કરતાં રાજ કારણ વધારે મહત્વ ધરાવતું, અને આ વખતે ટ્રસ્ટીઓએ કોઈ સહકાર આપ્યો ન હતો કે કોઈ ફાળો પણ આપ્યો ન હતો. જે હશે તે પણ ચાપાણી અને જમવાની વ્યવસ્થા ખૂબજ સારી હતી, અને સેવાભાવી સેવકો આગ્રહ કરી કરીને જમાડતા હતા. આ વખતે બાપુના પૂર્વાશ્રમના નાના પુત્ર શ્રી હિતેષભાઇ, કે જેઓ દર વર્ષે આ પ્રસંગે ભૂજ મુકામે ભજનનો પ્રોગ્રામ રાખતા તેમણે આશ્રમના મહંત શ્રી બ્રહ્માનંદ બાપુના આશીર્વાદ સાથે આ વખતે તિથિ પ્રમાણે માંડવી આશ્રમમાં આયોજન કરવાનું નક્કી કર્યું.

મારા અહોભાગ્ય કે આ પ્રસંગે મને પણ ખાસ આમંત્રણ આપવામાં આવેલું અને મને માન સહિત પ્રસ્તુત કરવામાં આવ્યો શ્રોતાઓ તરફથી પણ સારું પ્રોત્સાહન પ્રાપ્ત થયું. મને ભજન ગાવા માટે ખૂબ આગ્રહ કરવામાં આવ્યો પણ મને જાણ થઈ ગયેલી કે ધાર્યા કરતાં વધારે કલાકારો પધારેલાછે તેથી સમયનો અભાવ રહેશે અને સારા સારા ગાયકોને પણ સમયની મર્યાદામાં રહેવાનું હોઈને મેં આ અમૂલ્ય તક જતી કરી, પણ મને જે માન મળ્યું તે મારા માટે મોટી સોગાત હતી. હું તો ઘણા સમય પછી માંડવી ગયેલો, પણ છતાં બાપુના સાથીઓ સાથે મુલાકાત થતાં જુની યાદો તાજી થઈ, મારા સહ કર્મી શ્રી દેવજીભાઈ ખાસ મહેસાણાથી પધારેલા તેમને પણ આ આનંદ મય પ્રસંગની મજા માણી, તેમજ જોગણીનારના પૂજારી શ્રી શ્યામગિરી બાપુ, કે જે હાલમાં અમારી સોસાયટીના મંદિરમાં પણ સેવા આપેછે તે પણ પધારેલા અને આ અનેરાં પ્રસંગની મોજ માણી.  લોકોને મળીને જે જાણકારી મેળવી તેનું શબ્દચિત્ર અહીં આપની સમક્ષ રજૂ કરુંછું.

કાર્યક્રમના સંચાલક શ્રી કર્ણીદાનભાઇએ બાપુ સાથે વિદેશની ધરતી ખૂંદનારા પ્રોફેસર શ્રી ઠક્કર સાહેબને રજૂ કરીને આ ભવ્ય પ્રસંગની શરૂઆત કરી, ઠક્કર સાહેબે બાપુ સાથે માણેલા દિવસોને યાદ કર્યા, ત્યાર બાદ બાપુના પૂર્વાશ્રમના મોટા પુત્ર શ્રી હરે્સભાઇ"માળા" ગવડાવીને ભજનની શરૂઆત કરી ત્યારે તેમનો અવાજ/હલક અને લહેકો સાંભળીને જાણે નારાયણ બાપુ ફરીને તેમના ખોળિયામાં પ્રવેશીને ગાતા હોય તેવું દરેક શ્રોતાઓને લાગ્યું અને સૌ ભાવ વિભોર બની ગયા. માળા તો માળાજ હોય, જેના મણકા વડે હરિનું સ્મરણ કરવામાં આવે પણ તેમાં માળાના મેરનું સ્થાન સર્વોપરી હોયછે (મેર એટલે જ્યાં માળાના બન્ને છેડા મળેછે અને ત્યાં એક અલગ પ્રકારનો મણકો આવેલો હોયછે.) તેમ આ સંપૂર્ણ પ્રોગ્રામના માળાના મેર સમાન કોઈ હોય તો તે હતા શ્રી ગફૂરભાઇ, ન ઓળખ્યાને? હા જી ગફૂરભાઇ એટલે નારાયણ બાપુ જેના રચેલા ભજનો ખૂબજ પ્રેમથી ગાતા તે મુસ્લિમ સંત કવી શ્રી "સતારશા"(દાસ સતાર)ના પુત્ર, જે આ અવસરે ખાસ પધારેલા, જ્યારે તેમને બે શબ્દો બોલવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેઓ પોતા માટે લોકોનો અહોભાવ જોઈને ગદ ગદ થઈ ગયા અને ખરેખર બે શબ્દો બોલતાંજ રડી પડ્યા. 

 હિતેષભાઇના અથાગ પ્રયત્નોને માન આપીને બાપુના ચાહકો અને સેવકો તેમજ બાપુના ખાસ વાદકો હુસેનભાઈ પોતાના ઊભરતા કલાકાર પૌત્ર જેને લોકો છોટા ઉસ્તાદથી વધારે ઓળખેછે, મેં કોઈ પાસેથી તેનું નામ જાણવાની કોસીશ કરી પણ તેમને ખબર ન હતી, હુસેનભાઇ તેને સાથે લાવેલા અને આ કાર્યક્રમમાં તેણેજ સંગત કરી, જોકે વાદકોના હાથ હાલ્યા વિના રહે નહીં, વચ્ચે વચ્ચે હુસેનભાઇ પણ સાથ આપતા રહ્યા. બેન્જો વાદક અરુણભાઇ, મંજીરાંના સાચા અર્થમાં માણીગર વિજયપુરી તેમજ અનેક બાપુનો સાથ માણનારા ચાહકો મળીને સરસ આયોજન ગોઠવ્યું, પણ આ પ્રસંગે એક વાત મને જરૂર ખટકી, હિતેષભાઇના કહેવા પ્રમાણે બાપુના ભજનો સાંભળીને અને બાપુના આશીર્વાદ મેળવીને આજે નામ કમાયેલા અમુક કહેવાતા કલાકારો આમંત્રણ હોવા છતાં ઉપસ્થિત રહ્યા ન હતા. ત્યારે મેં એક દાખલો આપ્યો કે હમણાં ટી વી ના એક રેકોર્ડેડ પ્રોગ્રામમાં મહાન હાસ્ય કલાકાર સ્વ.મહેમુદ પોતાની વ્યથા ઠાલવતો હતો કે "જ્યારે અમિતને કોઈ કામ ન’તું આપતું ત્યારે "બોમ્બે ટુ ગોવા"માં મોકો આપીને  અમિતાભ બચ્ચન મેં બનાવેલો પણ મારી બિમારી વખતે આજ હોસ્પિટલમાં આવ્યો હોવા છતાં મને જોવા પણ ન આવ્યો." જો મહા નાયક આવું કરી શકે તો આવા અગુણજ્ઞ લોકોનો શો અફસોસ કરવો?   

 ભજન ગાયકીના સાચા અર્થમાં કલાકારો જેવા કે સમરથસિંહભાઇ સોઢા જે બાપુના આશ્રમે જ્યારે પણ કાર્યક્રમ આપવા પધારેછે ત્યારે એક પણ પાઈનો ઉપહાર સ્વીકારતા નથી, જો કે અન્ય કલાકારો પણ કોઈ આશા વિનાજ પધારેલા છતાં હિતેષભાઈએ યથા યોગ્ય પુરસ્કાર આપ્યા હોય એમ લાગતું હતું, કારણ કે કલાકારો ને ના પાડવા છતાં તેમને કવર અપાતા મેં જોયા હતા. અન્ય કલાકારોમાં ખેતસીભાઇ ભજનીકના પુત્ર નિલેસભાઇ, વિજયભાઇ ગઢવી કે જે જૂનાગઢથી પધારેલા, મેરાણ ગઢવી અને મારા ગુરુ સમાન કવી શ્રી "દાદ" દાદુદાન ગઢવીના પુત્ર શ્રી જીતુદાન ગઢવી પણ પધારેલા જેણે આ પ્રોગ્રામમાં અનેરી ભાત પાડીને રંગત જમાવી દીધી, જીતુદાનને અહીં સમય મર્યાદામાં રહેવું પડ્યું તે શ્રોતાઓને ખટક્યું, કેમકે જીતુદાનની રજૂઆત ખૂબજ સરસ રહી. કેમ ન હોય? મોરના ઈંડા ચીતરવા ન પડે, અને એ વખતે મેં ન ગાવાનો નિર્ણય કરેલો તે મને યોગ્યજ લાગ્યો.

બાપુના અન્ય ચાહકો માં ભુજના લહેરીકાંત સોની કે જે બાપુની ગાડી ચલાવતા તેઓએ પણ ખૂબ મહેનત કરેલી.

દિનેશભાઇ પટણી, મોળવદરના શ્રી ભિખાભાઇ કે જે બાપુના ખૂબજ ચાહક અને દરેક પ્રકારે સહયોગ આપનાર આ ભજન ગંગામાં પ્રસાદ લેવા પધારેલા. ગાંધીધામની પ્રખ્યાત બિન હરીફ દાબેલી વાળા હિતેશ ભાઈ કોઈ કારણસર પહોંચી શક્યા ન હતા. વવાર ગામના બાપુના ચાહક અને પોતાનું નામજ જય નારાયણ હોય તેમ તેજ નામથી પંકાયેલા ખાસ પગે ચાલીને આ લહાવો લેવા આવેલા. એચ વી સાઉન્ડ અને મંગળ ગઢવીની વીડીઓ સર્વિસ ની ગોઠવણ મને સારી લાગી. બાપુ જે એમ્બેસેડર ગાડીમાં વિચરતા તે ગાડીને સજાવીને આશ્રમમાં એક યોગ્ય સ્થાન આપવામાં આવ્યુંછે, જેનો નંબરછે G J X 6781,બાપુએ આ ગાડીનું નામ "બીજલી" પાડેલું, તેને આ રીતે સજાવેલી જોઇને મને ખૂબજ સરસ લાગ્યું.

બાપુના એક તબલા વાદક ધીરૂભાઇએ એક વખત વાત કરેલી કે તેઓ આશા ભોંસલેના પોતીકા ગામમાં ગયેલા જ્યાં નારાયણ બાપુની કેસેટ વાગતી સાંભળીને તેમને ખૂબજ નવાઈ લાગી, ત્યાંના લોકોને તેમણે પૂછ્યું કે ભાઇ આ મારા ગુરુની કેસેટ આપ સાંભળોછો તો તેમને જાણોછો? ત્યારે જવાબ મળ્યો કે बहोत तो नहीं जानते पर इतना जानतेहें की भगवानने क्या गला दीयाहे? અને આ બાપુ મારા ગુરુછે જાણીને મારી પણ આગતા સ્વાગતા થઈ.

હિતેષભાઇના જણાવ્યા પ્રમાણે બાપુએ સંન્યાસ લીધા પછી કુટુંબ સાથેનો નાતો સદંતર કાપી નાખેલો, ત્યાં સુધી કે તેમને આશ્રમમાં આવવા માટે પણ મંજૂરી ન હતી, બાપુનું કહેવાનું હતું કે આમને જોઇને ક્યારેકતો પૂર્વાશ્રમ યાદ આવેને? પણ ગોંડલની બાજુમાં મોવૈયા પાસે કુંડલા ગામ છે ત્યાં બાજુમાં માંડણ આશ્રમછે અને તે માંડણ કુંડલાજ કહેવાયછે, ત્યાં લોક વાયકા મુજબ ૫૦૦૦, વર્ષ પુરાણું સ્વયં પ્રગટેલા મણીધર હનુમાનજીનું મંદીરછે, ત્યાં બ્રાહ્મણ કુળમાં જન્મેલા બચુ અદા કે જે બ્રહ્મર્ષિ કહેવાતા અને ત્યાં સેવા કરતા અને જયોતિષ ખુબજ સારું જાણતા, બાપુ તેમનું ખૂબ માન રાખતા, તેમની અથાગ સમજાવટ પછી આ કુટુંબને ધીરે ધીરે ત્યાં જવાની છૂટ મળી. 

જય નારાયણ.  


Thursday, October 24, 2013


માં
                                                  
જેનો જગમાં જડે નહિ જોટો..
ઉપકાર કર્યો બહુ મોટો, કેવી મીઠડી માં તેં બનાવી....

નવ માસ તેં ભારને માણ્યો, સહિ પીડ અતિ જગ આણ્યો
                                  પય પાન કાજ ઉર તાણ્યો....કેવી...

મને પાપા પગલી ભરાવી, પડિ આખડી મુજ ને બચાવી
                                       જીવનની રાહ બતાવી....કેવી..

જ્યાં હું આવું રોતો રોતો,   થોડો સાચો થોડો ખોટો
                                        ત્યાં તો આવે દેતી દોટો..કેવી...

જ્યારે યૌવન મદ ભરી આવ્યું, ધિંગા મસ્તી તોફાન લાવ્યું
                                   પ્યારી ટપલી મારી ટપાર્યો...કેવી...

ભલે માનવ બનું હું મોટો, ધન ધાન્ય રહે નહિ તોટો
                                 તો એ માને મન ઘાણી ખોટો...કેવી..

પ્રભુ "કેદાર" કરુણા તારી, બસ એક જ અરજી મારી
                                  ભવે ભવ હું બનું એનો બેટો...કેવી..



પ્રાર્થના


ઢાળ:-મારો હાથ જાલી ને લઈ જશે..જેવો

મને આપજે મહેતલ પ્રભુ, સંસાર માં થોડા શ્વાસ ની
કરી ને હજુ કર તવ ભણી, આરાધના કરૂં આપ ની...

આવી ને યમ દળ આંગણે, ઓઢાડે દર્દો ની ઓઢણી
સમજાવે સઘળું સાન માં,  સેવા કરી શિ શ્યામ ની...

મને ડર નથી કંઈ મોત નો, પણ બીક છે યમરાજ ની
પકડી ને મુજ ને પૂછશે,   રટણા કરી શિ રામ ની...

જો તું રાખ આશા અમ કને, સદા પ્રાર્થીએ પ્રભુ આપને
તો સંભાળ રાખો શામળા, તારા ભક્ત ના સૌ ભાર ની..

સદા સ્મરણ હો સરકાર નું, એ છે અરજ એક "કેદાર" ની
બસ એટલી છે અભ્યર્થના,    કરૂં પ્રાર્થના પ્રભુ આપની...


Tuesday, October 22, 2013


ડોશી શાસ્ત્ર ?

                                                 
થોડા સમય પહેલાં અમારા મિત્ર મંડળમાં મૃત્યુ થયા પછી થતી ક્રિયા વિષે ચર્ચા ચાલી, (જે મોટે ભાગે એક બીજાને ઊકસાવીને જ્ઞાનમાં વધારો કરવાના હેતુથી થતી હોય છે, બાકી સર્વે મિત્રો સમજદાર અને ધાર્મિક વૃતી ધરાવનારા જ છે.) જેમકે શબ ને નવડાવવું કપડા બદલવા વગેરે વગેરે..આ બધી ક્રિયાઓ ફાલતુ છે, પ્રાણ ગયા પછી શું નહાવું ને શું કપડા બદલવા ? શબ ને દફનાવો કે અગ્ની દાહ દો શો ફરક પડે? આબધું ડોશી શાસ્ત્ર છે એવી દલીલો થઈ, અને અંતે ફરી ફરીને મારી પાસે જવાબ મેળવવા પર આવી, મેં મારી બુદ્ધિ પ્રમાણે આ જવાબ આપ્યો, જો આપ કોઈને યોગ્ય કે અયોગ્ય લાગે તો આપનું મંતવ્ય જરૂરથી આપવા આશા રાખું છું.

પહેલાંના સમયમાં આજના જેવા સમાચાર માધ્યમો ન હતાં, રાજા રજવાડાના કોઈ ફરમાનો બહાર પડતા તે પણ નગરના ચોકમાં ઢોલ વગાડીને ઢંઢેરો પીટવામાં આવતો. કોઈ બીમારી આવતી તો વૈદ્ય કે હકીમો પાસે જવું પડતું,  એ જમાનામાં સમાચાર પત્રો/રેડીઓ કે ટી વી જેવા સાધનો ન હતાં એવું તો સાવ નથી, પણ તે સીમિત હતું, મહાભારત ના યુદ્ધનો આંખે જોયો અહેવાલ સંજય હસ્તિનાપુરમાં બેઠાં બેઠાં રજૂ કરી શકતો હતો, તે દૂર દર્શનજ હતુંને ? પણ આવી શક્તિ જે લોકો વિદ્યા શીખે તેજ જોઈ શકતા, પણ આપણા વડવાઓ ખૂબજ સમજદાર અને સ્વપ્નદ્રષ્ટા હતા, તેથી એ જમાનામાં જે કંઈ અગત્યની સમજ આપવા જેવી લાગતી તે ધર્મના નામે પ્રચલિત કરી દેવાતી, જેથી તેનો ફેલાવો ઝડપથી થવા લાગતો અને લગભગ ફરજિયાત થઈ જતો. અને તેનું પાલન કરવું લગભગ અનિવાર્ય થવા લાગ્યું, કારણ કે એવી વાતો પણ સાથે સાથે ફેલાવાતી કે આ નિયમનું પાલન ન કરવાથી પાપ લાગે, અને તેનું ફળ ભયંકર હોઈ શકેછે, આવા ડરથી લોકો તે નિયમો પાળતા. 

એક દાખલો આપું તો શાસ્ત્ર કે ડોશી શાસ્ત્ર મુજબ જ્યારે પ્રાણ શરીર નો ત્યાગ કરે ત્યારે તેને સર્વ પ્રથમ ગાયના છાણથી લીપેલી ભૂમી પર રાખવામાં આવે છે, ત્યાર બાદ ત્યાં ગાય ના ઘી નો દીવો અને અગરબત્તી કે સગવડ ધરાવતા લોકો કોઇ અન્ય સાધનો કે પર્ફ્યૂમ નો છંટકાવ કરે છે. ત્યાર બાદ સ્નાન કરાવીને નવા અથવા ધોયેલા-સગવડ પ્રમાણે- વસ્ત્રો પહેરાવે છે, ત્યાર બાદ સફેદ વસ્ત્ર/ચૂંદડી કે જ્ઞાતિના રિવાજ મુજબનું વસ્ત્ર ઓઢાડીને એક દોણીમાં અગ્નિ પ્રગટાવવાનો પ્રયત્ન કરી ને શ્મશાન માં દાહ આપી દેવામાં આવે છે. શ્મશાનમાં ગયેલા દરેક લોકો યોગ્ય સ્થળે કે ઘેર આવીને સ્નાન કરેછે, અને ત્યાર બાદ ઉઠમણું કે બેસણું યોગ્ય સમયે રાખવામાં આવે છે. મોટા ભાગે થોડા ઘણા ફેરફાર સાથે આજ રિવાજ બધે હોય છે.
  
દરેક શરીર માં કરોડોની સંખ્યામાં જીવ જંતુ આપણા શ્વાસોચ્છ્વાસ માંથી પ્રાણ વાયુ અને આપણા શરીર માંથીજ પોષણ પામે છે, જ્યારે શરીર માંથી પ્રાણ નીકળે ત્યારે આ બધા જંતુઓને હવા પાણી અને ખોરાક મળતો બંધ થાય છે, તેથી તે બધા આ શરીરમાંથી બહાર નીકળવા લાગે છે, આપણે શાસ્ત્ર કે ડોશી શાસ્ત્ર મુજબ સર્વ પ્રથમ જીવ નીકળે ત્યારે શબ ને પવિત્ર ગણાતા ગાયના છાણથી લેપન કરેલી ભોંય પર રાખીએ છીએ, મૃત દેહ ના નાક અને કાન માં રૂ ભરાવી દેવામાં આવે છે, જેથી ઓછા માં ઓછા જંતુઓ બહાર ફેલાય, અને જો ફેલાય તો મોટા ભાગના જંતુઓ એ છાણમાં  ચોટી જાય અને હવામાં ફેલાતા નથી,  છતાં કોઈ બચે તો તે ઘીનો દીવો-ઘી નો દીવો કે અગરબત્તી આપણે ભગવાનને ખુશ કરવા માટે પ્રગટાવીએ છીએ પણ ખરે ખરતો તે પ્રદૂષણ ફેલાવે છે, વડવાઓ માનેછે કે ઘી નો દીવો કરવાથી નાગ દાદા નીકળ્યા હોય તો જતાં રહે છે, પણ નાગ દાદાને ઘીના દીવાથી ફેલાતા વાયુ થી ગભરામણ થાય છે તેથી જતા રહે છે.  કેજે ખરેખર તો આ જીવો માટે ઝેરી છે,-  અથવા અગરબત્તી ના ધુમાડાથી મરણ પામે છે. પણ અસંખ્ય જીવો આટલાં થી ન મરે, તો દેહ ને સ્નાન કરાવાય છે જેથી તે પાણી માં વહી જાય, છતાં પણ છેલ્લા ઉપાય પ્રમાણે નવા કે સ્વચ્છ વસ્ત્રનું આવરણ ઓઢાડીદે અને અંતે અગ્નિ દાહ આપી દેવામાં આવે છે. દોણી માં અર્ધ સળગતો અગ્નિ ધુમાડો કરે છે જે જંતુને દૂર ભગાડે છે કે મારે છે, ત્યાર બાદ શ્મશાન માં અગ્નિ દાહ આપી દેવાય છે જેથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ એ દેહ થકી ફેલાતું ટળે છે. જે લોકો શ્મશાન માં ગયા હોય તેને કદાચ આ દેહ બળતો હોય ત્યારે કોઈ એવા તત્વો કે ગેસ નીકળે કે જે તેમને નુકસાન કરે તેવા હોય તો તેની કાળજી લેવા માટે નહાવાનું જરૂરી ગણવામાં આવ્યું છે.
મારા મતે પહેલાના જમાનામાં એવા કોઈ સાધનો ન હતાં, સમાચાર પત્ર કે ટી વી જેવી સુવિધા ન હતી, તેથી આવી બધી સમજણ સમસ્ત સમાજને પહોંચાડી શકાતી નહિ, તેથી ધર્મ કે ડોશી શાસ્ત્ર જે કહો તેના નામે આવા બધા નિયમો બનાવી ને અમલમાં મુકાતા. અને જો કોઇ તેનું ઉલ્લંઘન કરે તો તે પાપી કે નાસ્તિક છે એવું ઠરાવી દેવાતું, અને તેને એ અપરાધ ની સજા મૃત્યુ બાદ પણ ભોગવવી પડશે એવી બિક બતાવાતી જેથી વધારે માં વધારે લોકો એ અપરાધ કરતા ડરતા અને એ બહાને આ વૈજ્ઞાનિક કારણ નું પાલન થતું.

જેના કુટુંબમાં આવો બનાવ બન્યો હોય ત્યાં પરિચિત કે સગા સંબંધી લોકો સ્મશાન યાત્રામાં પહોંચાય કે ન પહોંચાય પણ ઘેર મળવા આવે, અને જેવા જેના રિવાજ મુજબ લગભગ બાર દિવસ સુધી દર રોજ બેસવા આવે, જેથી શોકનું વાતાવરણ ધીરે ધીરે હળવું બને અને શોકમગ્ન કુટુંબી જનોનું દુ:ખ ભુલાવા માંડે.

ત્યાર બાદ જેવી શક્તિ હોય તે મુજબ એક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવે જેથી શોકનો માહોલ પ્રસંગની ધમાલમાં હળવો બને. જોકે મારા મતે આ રિવાજ બંધ કરવા જેવો છે. કેમ કે ઘણાં લોકો ને આ ખર્ચ શક્તિ ન હોવા છતાં કે ઇચ્છા ન હોવા છતાં ફક્ત સમાજના ડરથી કરજ લઈને પણ કરવો પડતો હોય છે. આમ પણ જે રિવાજ કુરિવાજ બનતો હોય અને જેની જરૂર ન હોય તેને તજવો એજ સમજદાર લોકોની સમજદારી છે.    

મારા મતે જેને ડોશી શાસ્ત્ર કહેછે તેને શું હજુ પણ આપણે ડોશી શાસ્ત્ર કહેશું? કે કોઈ મહાન ચિંતકો ની સમજણ ગણશું તે આપે નક્કી કરવાનું છે.
સમય સમય પર મારી બુદ્ધિ પ્રમાણે આવા આવા દાખલાઓ અહીં ટાંકતો રહીશ.

ફોટો સૌજન્ય : ગૂગલ ઈમેજીસ



Saturday, October 19, 2013

 પ્રીતમ નો પ્રેમ

ઢાળ- માલકોશ જેવો

પ્રેમ પ્રીતમ ને રિઝાવે
                           નાણે નજર ના લગાવે...

કરમાબાઇ નો ખીચડો ખાધો, મેવા ગણી ને માવે
એઠાં ફળ અણમોલ ગણી ને, મોહન મુખ પધરાવે..

ભક્ત વિદુર ની ભાજી ખાધી, છોતરાં છબીલો ચાવે
રંક જનો ની રાબડી ખાતો, પણ-કૌરવ ભોગ ન ભાવે...

ઝેર મીરાં ના પી જનારો, તાંદુલ મન લલચાવે
સ્નેહ થકી સખુબાઇ બની ને, માર ખાધો બહુ માવે...

સુર તણો સથવારો કરતો, તુલસી લાડ લડાવે
નરસિંહ કાજે નટખટ નંદન, વિધ વિધ વેશ બનાવે...

દીન "કેદાર" પર દયા દરશાવો, સેવક શરણે આવે
અંત સમય પ્રભુ અળગાં ન રહેશો, મોહન મુખ પર આવે...

Friday, October 18, 2013


                                  ગરબો




                                                                હૃદયે રહેજો

અંબિકા મારે હૃદયે રાત દિન રહેજો, માડી મારાં દોષ ન દિલ માં ધરજો.....

મેલો ને ધેલો તારે મંદિરે આવું તો, સેવક જાણી સહી લેજો
બાલુડો તારો માંગુ હું માવડી,    ચાકર ને ચરણો માં લેજો...

ભાવ ન જાણું ભક્તિ ન જાણું જાણું નહિ વેદ ના વિચારો
બ્રહ્મ ની વાતો હું શું જાણું,        અંબા અધમ ને ઉગારો...

દેવી દયાળ તું બેઠી જઈ ડુંગરે, ભક્ત ને ભુલાવી ન દેજો
સાદ કરૂં ત્યારે સાંભળ્જે માવડી, દોડી દર્શન મને આપજો...

આશરો અંબા એક તમારો અગણિત કર્યાં છે ઉપકારો
દીન "કેદાર" પર દયા દર્શાવી, પુત્ર પોતાનો કરી પાળજો... 

ફોટો સૌજન્ય : ગૂગલ ઈમેજીસ

Thursday, October 17, 2013


જગ જનની

ઢાળ:- રાગ દુર્ગા જેવો

જગ જનનિ જગદંબા ભવાની,         હું બાલુડો તારો
આવ્યો તારે શરણે અંબા,       શરણાગત ને સ્વીકારો...

તું કરૂણા ની કરનારી,        દુખિયા ના દુ:ખ હર નારી
                         તારી મૂર્તિ મંગલકારી ભવાની...

તારી શોભે સિંહ ની સવારી, તને ભજતાં ભૂપ ને ભિખારી
                        માં સમદ્ગષ્ટિ છે તમારી ભવાની...

તારી ભક્તિ જે ભાવ થી કરતાં, એના પાપ સમૂળાં ટળતાં
                      એને યમ કિંકર ના નડતાં ભવાની...

ના હું ભાવ ભક્તિ કંઈ જાણું,    તારો મહિમા કેમ પિછાણું
                     મને આપો ઠરવા ઠેકાણું ભવાની...

તારું નામ રહે નિત મન માં, વીતે જીવન સમરણ સુખ માં
                    ના હું પડું ચોરાસી ના દુ:ખ માં ભવાની ...

માં દીન "કેદાર" ઊગારો,        મારી બેડલી પાર ઉતારો
                          મને આશરો એક તમારો ભવાની...
ફોટો ગુગલના સહયોગથી સાભાર


સંભારણું



મિત્રો ઘણા સમયથી મારા બ્લોગમાં કોઈ કારણસર મારી રચનાઓ પોસ્ટ થતી ન હતી, આજે એક મિત્રના સહયોગથી શરૂ થઈછે, કોઈ ગરબડ જણાયતો માફ કરજો ધીરે ધીરે સેટ થઈ જશે.
હમણાંજ બ્રહ્મ લીન નારાયણ બાપુની તિથિ પર એક ભાઇએ બાપુ વિષે પૂછેલું. તો હવે એ પ્રસંગો જે હું અહિં મૂકી શક્યો નહતો તે મૂકતો રહીશ.સાથો સાથ પ. પૂ. નારાયણ સ્વામીજીના સ્વ હસ્તે લિખિત આશીર્વાદ, એક અલૌકિક સંભારણું. જે બાપુના પુત્ર હરેશભાઇના કહેવા મુજબ બીજા કોઈ પાસે ભાગ્યેજ હશે.

વિરહિણી



ઢાળ-કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો,  જેવો       

એક દિ’ રજની રડવા લાગી, ચાંદની પાસે જઈ
ઘોર અંધારાં ખૂબ ઉલેચ્યા, પણ- ભાનુ ને ભાળ્યો નઈ...

સાંભળ્યું છે મેં સાયબો મારો, સોનલા રથડો લઈ
જગ બધાને દે અજવાળું,     હુંજ અંધારી રઇ...

રોજ સજાવું આંગણું મારું, આકાશ ગંગા લઈ
તારા મંડળ ના સાથિયા પુરૂં, તોય ડોકાતો નઈ...

દુખીયારી એવો દિન ન ભાળ્યો, કે સૂરજ સાથે રઇ
વધે ઘટે પણ વાલમો તારો, તને-વેગળી રાખે નઈ...

એક અમાસે અળગો રહે ત્યાં, હાંફળો ફાંફળો થઈ
આગલી સાંજે દોડતો આવે,   કેળથી બેવડ થઈ...

હારી થાકીને સાહેલી સાથે, સોમ ને શરણે ગઈ              
આશરો લઈ ને આંખમાં એની, કાજળ થઈ ને રઇ...

આભ તણી અટારીએ બેઠી,  ઓલી "કેદાર" કાળી જઈ
અરુણોદય ની આશ જાગી ત્યાં, આખિ એ ઓગળી ગઈ


સાર- રજની {રાત} પોતાના પ્રેમી ભાનુ {સૂરજ} ને મળવા માટે હંમેશ આતુરતા પૂર્વક રાહ જોતી હોવા છતાં મળી શકતી નથી, ત્યારે તેની સાહેલી ચાંદની પાસે જઈ ને બળાપો કાઢે છે, કે હું દરરોજ અંધારાં ઉલેચી, તારા મંડળ ના સાથિયા પુરી, આકાશ ગંગા લઈ ને  મારા આંગણા માં શણગાર કરૂં છું, છતાં એ આવતો નથી, મેં સાંભળ્યું છે મારો સાયબો સોનાના રથ પર સવાર થઈ ને આખા જગત ને અજવાળે છે, પણ હું એક અભાગી જ એના વિરહમાં અંધારે રહું છું. તારો સાયબો {ચંદ્ર} ભલે વધઘટ કરે,  ફક્ત એક અમાસ ના જ  તારાથી અળગો રહે ત્યાં તો હાંફળો ફાંફળો થતો કેડ થી બેવડ વળી ને દોડતો દોડતો આવી જાય છે. 
  ચાંદની એ એક રસ્તો બતાવ્યો કે તે કદાચ તને મળવા નહિ માંગતો હોય, તારે સૂર્ય ના દર્શન જ કરવા હોય તો એક રસ્તો છે એને ખબર ન પડે એમ તું મારા સોમ {ચંદ્ર} ની આંખ નું કાજળ બની ને બેસી જા તને જરૂર દર્શન થઈ જશે.

   પણ જ્યાં અરુણોદય {સૂર્યોદય} થવા લાગ્યો અને જેમ જેમ પ્રકાશ રેલાવા લાગ્યો તેમ તેમ રાત ઓગળવા લાગી અને જ્યાં પૂર્ણ કલાથી સૂર્ય ખીલ્યો ત્યાં તો રજની પોતેજ ઓગળી ગઈ. એવી કલ્પના આ કાવ્ય માં કરવા માં આવી છે.

ફોટો ગુગલના સૌજન્યથી સાભાર.

કન્યા વિદાય ની વેળા



એક દિવસ સુંદર સરિતાસી, આવી ગૂડિયા હસતી રમતી
જીવન મારું ધન્ય થયું જાણે,   ઊઠી આનંદની ભરતી
હરખે હૈયું ચડ્યું હિલોળે,    આનંદ અનહદ રહે
પણ-વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૧

પા પા પગલી ભરતાં ભરતાં,   દોડવા લાગી દ્વારે
ખબર પડી નહીં હરખ હરખમાં, યૌવન આવ્યું ક્યારે
પડી ફાળ અંતરમાં એકદિ,   માંગું આવ્યું કોઈ કહે
વહાલ કેરો દરિયો આજે,      નિજ ઘર વાટે વહે...ટેક..૨

આવ્યો એક બાંકો નર બંકો, સજી ધજી માંડવડે
ઝાલ્યો હાથ જીવનભર માટે,  ફર્યા ફેરા સજોડે
ચોર્યું રતન ભલે હતાં હજારો, કોઈ કશું ના કહે
વહાલ કેરો દરિયો આજે,  નિજ ઘર વાટે વહે...ટેક..૩
   
ઘરથી નીકળી ઘૂંઘટ તાણી, પર ઘર કરવા વહાલું
જ્યાં વિતાવી અણમોલ જવાની, સૌને લાગ્યું ઠાલું
અનહદ વેદના છતાં ઉમંગે, વળાવવા સૌ ચહે,
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૪

સખીઓ જોતી સજ્જડ નેત્રે,  કેમ કર્યા મોં અવળાં
ચંચળતા જ્યાં હરદમ રહેતી, ગાંભીર્ય ન દેવું કળવા
જો ભાળે તાત મુજ આંસુ,   હૈયું હાથ ન રહે
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૫

આશા એકજ ઉજળા કરજે,     ખોરડાં ખમતીધર ના
આંચ ન આવે ઇજ્જત પર કદી, મહેણાં મળે નહીં પરના 
"કેદાર" કામના ઈશ્વર પાસે, તેને દુખ ન દ્વારે રહે
વહાલ કેરો દરિયો આજે,   નિજ ઘર વાટે વહે...ટેક..૬
સાર-
૧-ઈશ્વરે દયા કરીને મારા ઘરે સુંદર પુત્રી રત્ન આપીને મને ધન્ય ધન્ય કરી દીધો, જાણે મને નવું બચપણ મળ્યું હોય તેમ આ રમકડું રમવા મળતાં હું ઘેલો ઘેલો થઈ ગયો, મારુંતો જાણે જીવનજ બદલાઈ ગયું, બસ ભગવાનના આ વરદાનને રમાડતાં રમાડતાં સમયનું ભાનજ રહેતું નહીં.

૨-નાની એવી ઢીંગલી પડતાં આખળતાં ચલતા શીખી, અને ધીરે ધીરે આંગણામાં અને પછી ત્યાંથી આજુ બાજુ સખીઓ ની સાથે રમતાં રમતાં મોટી થવા લાગી, જેનો મનેતો ખ્યાલજ ન આવ્યો. મારા માટેતો હજુ એજ ઢીંગલી હતી, ત્યાં અચાનક એક સમાચાર મારા મનને એવું હચમચાવી ગયા કે રડવું કે હસવું તે સમઝમાં ન આવ્યું, મારા એક સ્નેહી તરફથી મારી ઢીંગલીની માગણી કરવામાં આવી, કોઈ બાળકનું પ્રિય રમકડું છીનવી લેવામાં આવતું હોય અને જે લાગણી એ બાળક ના મનમાં થાય તેવીજ લાગણી ત્યારે મને પણ થઈ, પણ હું પણ કોઈની લાડકવાઇ ને મારે ઘેર લાવ્યો છું તો મારે પણ મારી લાડકવાઈ ને આપવી પડેને?    

૩-એક બાંકો નવજવાન ઘોડાપર બેસીને આવ્યો અને હજ્જારો લોકોની હાજરીમાં મારું અણમોલ રતન મારાથી લગભગ છીનવીને જતો રહ્યો, આટ આટલા સગા સંબંધીઓ મારા ઘરમાંથી થતી આ ઘરેણાની ઉચાપત જોતારહ્યા, કોઈએ રોકવાની જરાએ કોશિશ ન કરી.

૪-જ્યારે આ દીકરી ઘૂંઘટ તાણીને જ્યાં પોતાનું બચપણ મુગ્ધા અવસ્થા તેમજ યૌવન વિતાવ્યું હતું તે ઘરથી સાસરી તરફ જવા નીકળી ત્યારે ઘરનાતો ઘરના પણ અડોશી પડોશિ ને પણ તેની ખોટ જાણે આજથીજ વર્તાવા લાગી, પણ આતો એક અનિવાર્ય પ્રસંગ હતો તેમ સમજીને ભારે હૈયે અને સાથો સાથ ઉમંગ સાથે વળાવવા માટે ઊમટી પડ્યા. 

૫-મોટા ભાગે બધી દીકરીઓ જ્યારે સાસરે જવા વિદાય લેતી હોય ત્યારે બધાને ભેટી ભેટી ને મળતી હોયછે, અને એમાં પણ સાહેલીઓને તો ખાસ મળતી હોય છે પણ આ દીકરી જાણે બધાથી મોં છુપાવતી હતી, ત્યારે સખીઓએ કારણ પુછું તો કહે કે જ્યાં હંમેશાં મારા મુખપર ચંચળતા રહેતી હતી  પણ આજે બધાને છોડી જવાનો રંજ છે, આંસુ છે, અને એક નવું પાત્ર ભજવવાનું છે. જેનું ગાંભીર્ય છે, મારા પિતાએ કોઈ દિવસ મારા મુખ પર આવો ભાવ જોયો નથી, જો તેઓ મને આ ભાવ સાથે જોવે તો તેઓ સહન ન કરી શકે તેથી હું મુખ છુપાવી રહીછું. 

૬-પણ બાપની તો એકજ શિખામણ હોય, કે બેટા મોટા ઘરે જાશ, આબરૂદાર ખાનદાન છે, કોઇ એવું કામ ભૂલે ચૂકે પણ ન કરજે કે જેથી કોઈ મેણું મારી જાય. બસ ઈશ્વર પાસે એકજ અરજ છે કે મારી લાડલીના દ્વારની આસ પાસ પણ કોઈ દુખ ડોકાય નહીં. 





Wednesday, August 21, 2013

નારાયણ સ્વામી.


                                                         નારાયણ સ્વામી.
                                       
                                   
મારી પ્રથમ મુલાકાત

નારાયણ બાપુ સાથેની મારી પ્રથમ મુલાકાત ઘણા સમય પહેલાં ગાંધીધામમાં મોહન ધારશીભાઈએ બાપુના ભજનનો એક કાર્યક્રમ રાખેલો ત્યારે થઈ હતી.
મારા બનેવી સાહેબ શ્રી હરપાલસિંહજી ઝાલાનું મિત્રમંડળ વિશાળ, પ્રમાણમાં, ધનાઢ્ય અને સારા સંસ્કાર સાથો સાથ સારા કાર્યોમાં અગ્રેસર, આવા યોગ્ય લોકોના સહવાસમાં મને પણ રહેવાનો મોકો મળ્યો. પ.પૂ. મોરારી બાપુની પ્રથમ કથા ગાંધીધામમાં સ્વતંત્ર સેનાની  સ્વ. શ્રી કાંતીલાલ શુકલાના અથાગ પ્રયત્નોથી થયેલી, ત્યારથી ઘણા લોકોના જીવનમાં માની ન શકાય તેવા પરિવર્તનો આવેલા. આ બધા લોકોના કારણે મને પણ સારા સારા લોકો સાથે પરિચય થતો અને ઓસ્લો સોસાયટીમાં યોજાતી ગાંધીધામની એક પ્રતિષ્ઠિત નવદુર્ગા ચોકની ગરબીમાં પાંચ વર્ષ સુધી માનદ ગરબા ગાવાનો  મોકો પણ મળ્યો, અને સાથો સાથ નારાયણ બાપુના ભજન વખતે બાપુના મંચ પર બેસવાનો લાભ પણ પહેલી વાર મળ્યો.

ભજનના મધ્યાન્તર વેળાએ અહીંના પ્રતિષ્ઠિત અને જ્ઞાન ના ભંડાર સમા માનનીય શ્રી સ્વ.નારસંગજી અયાચીભાઇ નારાયણ બાપુને મળવા પધાર્યા. અયાચી પરીવાર સાથે મારા પિતાશ્રીના વખતથી ઘનિષ્ઠ પરિચય, તેથી શ્રી નારસંગજીભાઇએ  બાપુ સાથે મારો પરિચય આપતાં મારા પરિવારની પણ માન સહિત પ્રશંસા કરી અને હું ઈશ્વર કૃપાથી સારું ગાવા લાયક અવાજ પામ્યોછું એવી વાત પણ કરી. સારો અવાજ અને સારા પરીવાર અને સાથોસાથ શ્રી નારસંગભાઇની વાતથી પ્રેરાઇને બાપુએ મને બે ભજન બોલવા આગ્રહ કર્યો, પણ મેં બે હાથ જોડીને કહ્યું બાપુ મારી લાયકાત બીજા બધા કાર્યો માટે કદાચ ઠીક હશે પણ આપના મંચ પર ગાવા લાયક મારી પાસે કોઈ લાયકાત નથી, આપના મંચ પર બેસવા મળ્યું તે પણ મારા માટે અહોભાગ્યછે, બાકી હું આપના મંચપરથી ગાઈ ન શકું.

બાપુ બે ક્ષણ મારા સામે જોઈને મારા ખભે હાથ મુકીને બોલ્યા કે "વાહ દરબાર, ક્યારેક ભૂલથી જો કોઈને બોલવાનું કહેવાય જાય તો તેને બંધ કરાવવા માટે આયોજકોએ ભૂંગરા બંધ કરાવવા પડે, ભજન ગરબા ગાવ તોછો, પણ પચાવી પણ જાણ્યાછે તે બદલ ધન્યવાદ." આ શબ્દો બાપુના મુખથી સાંભળીને મને જાણે કરોડો ભજનાનંદીના આશીર્વાદ મળી ગયા.

બાપુને એક ચીડ હતી કે તમો ડાયરા કે ભજનના કાર્યક્રમમાં ગાતાહો તો તેના શબ્દો અને અર્થોનો પૂરે પૂરો ખ્યાલ રાખવો જોઈએ, એક વખત એક કલાકાર બાપુ સાથેજ ભજન ગાતા હતા, તેમાં તેણે ગાયું કે "શ્યામ વિના વ્રજ સૂના લાગે." બાપુએ કહ્યું ભાઈ, સૂના અને સૂનુ, બન્નેમાં તમને કંઈ ફરક નથી લાગતો? કેટલાં વ્રજ હતાં? ખાલી ગાવાથી રાગડા તાણી શકાય ગાયક ન બનાય, ભજન પ્રેમની વાણીછે તેને કોઈ બંધન નડતા નથી પણ તમે જાહેરમાં ગાતા હો અને તમારી જાતને કલાકાર સમજતા હો તો બધો અભ્યાસ કરવો પડે, સૌથી પહેલાં તમે શું ગાવાનાછો/ કેની રચનાછે/કવિની ભાવના શુંછે? શું કહેવા માંગેછે? ભજનમાં પ્રાસ મેળ કેવો જાળવ્યોછે? તે બધું જાણ્યા પછી તમારી ગાયકીમાં ભાવ જાગે.
કાલે રાત્રે એક ડાયરાનો કાર્યક્રમ મેં ટી.વીમાં જોયો, એક સારી ડિગ્રી ધરાવનાર કલાકર(?)ગાતા હતા 
                          "થાળ ભરી નીકળી નંદ રાણી,      કંચન થાળ ભરાઈ.
                           લ્યો ભિક્ષા જોગી જાવ આસન પર, મેરો બાલક ડરાયો." 
હવે જો આ મહાન કલાકાર બાપુ સાથે હોત તો જરૂર કંઈક શીખ મળત બાકી અત્યારેતો હવે બહુ ઓછા કલાકારો આવું ધ્યાન રાખેછે. અત્યારેતો અનેક જાતના નખરા કરે,લટકા કરે,ડાકલા વગાડે, ભૂવા ધુણાવે અને લોકોને અનેક જાતની શિખામણ આપે, અરે એક વખત મેં સમાચાર પત્રમાં વાંચેલુ કે કોઈ જગ્યાએ એક કાર્યક્રમ રાખેલો જેમાં જે રકમ ઘોળ દ્વારા આવે તે ગાયોના ચારા માટે વાપરવાની હતી, ત્યાં અમુક કલાકાર એ રૂપિયા છુપાવીને ચોરતા પકડાયેલા, પરાકાષ્ઠા તો ત્યારે હતી કે જ્યારે મહિલા કલાકારો તેમના undergarment માં રૂપિયાની થોકડીઓ છુપાવીને લઈ જવા માંગતી હતી જેને મહિલા કાર્યકરોએ પકડેલી. આવા કલાકારો..હાજી આ પણ એક કલાજ છેને?..હોય ત્યાં ભજનનો ભાવ કેમ જાગે?
બાપુએ એક જગ્યાએ પ્રોગ્રામ શરુ કરતી વખતે કહેલું કે આજેતો કોયલ બોલાવવીછે, અને ખરેખર જ્યારે જમાવટ થઈ ત્યારે કોયલ બોલવા લાગી જે રેકર્ડિંગમાં પણ સાફ સાફ સંભળાયછે. 

નારાયણ બાપુને એકવાર ખ્યાતનામ સંગીતકાર કલ્યાણજી આણંદજી ભાઈ માંહેનાં કલ્યાણજીભાઇ સાથે ભારતની કોકિલ કંઠી લત્તા મંગેશકરને પણ મળવાનું થયેલું, એ પ્રસંગ અને એવા બીજા પ્રસંગો ફરી ક્યારેક લખીશ.
જય નારાયણ.
૨૧.૮.૧૩ 

Monday, August 19, 2013

મારો શિવ


             ભજન



               
                 મારો શિવ

જગત દાતા જટા ધારી, મને તું પ્યારો લાગે છે
સદા શિવ ભોળા ભંડારી, મને તું મારો લાગે છે...

વસે વૈકુંઠ માં વિષ્ણુ, અવર આકાશ જઈ બેઠાં
કમળ નાભિ વસે બ્રહ્મા, શ્મશાને વાસ તારો છે..

કરે ઉચ્ચાર મંત્રો ના, કરે તપ પામવા ઈશ્વર
શરીરે રાફડા ખડકે, છતાં ક્યાં પાર પામે છે..

ભલે હો રંક કે રાજા, ભલે હો ચોર સિપાઈ
ભજે પલ ચાર જો ભાવે, પ્રસન્ન થઈ દાન આપે છે..

જીવન ભર ના કરે પૂજા, ઉમર ભર ઈશ ના ભજતો
છતાંએ અંત કાળે તું,         મસાણે સ્થાન આપે છે..

સમય હો આખરી મારો, મુકામે પહોંચવા આવું
કરે "કેદાર" તું સ્વાગત, અરજ બસ એક રાખે છે..

સાર:-ઈશ્વર ની બનાવેલી વ્યવસ્થા માં બ્રહ્મા સર્જન કરે છે, ભગવાન વિષ્ણુ પાલન કરે છે અને મહાદેવ શિવ સંહાર કરે છે. અને આ ત્રણે કાર્ય અનિવાર્ય છે, પણ આપણને સહજ શિવજી નું કાર્ય ગમે નહીં, કારણ કે બ્રહ્માજીએ આપણને બનાવ્યા પછી કદાચ વિષ્ણુ ભગવાન રૂઠે અને પોષણ કરવામાં વિલંબ કરે તો પણ થોડા દિવસો ભૂખ્યા તરસ્યા કાઢી શકાય, પણ શિવજીનું કાર્ય એવું છે કે એક પળ માટે પણ વિલંબ ન કરે, તેથી આપણને શિવજી બીજા દેવો કરતાં જરા ઓછા ગમે તે સહજ છે, પણ છતાં લોકો શિવજીને વધારે માં વધારે પૂજે છે. એમાં પણ શ્રાવણ અને પુરુષોત્તમ માસ એટલે જાણે સતત શિવ સાધના માટે ના માસ. બીજા કોઈ દેવો માટે આવા કોઈ ખાસ મહિનાઓ છે નહીં.
છતાં પણ ધર્મમાં વ્રતી રાખનાર દરેક માનવી શિવને પોતાથી વધારે નજીક માને છે, વિષ્ણુ ભગવાન નું સ્થાન વૈકુંઠ છે, બ્રહ્માજી વિષ્ણુ ભગવાન ની નાભી માંથી જે કમળ પ્રગટ થયું છે તેના પર બિરાજમાન છે, બાકીના બધા દેવો આકાશ માં ઈંદ્ર લોક માં વસે છે, જ્યાં પહોંચવું મુશ્કેલ છે, જ્યારે શિવ? શિવજી મહારાજ તો આપણા આખરી મુકામ શ્મશાન માં બિરાજમાન છે, તેથી તે આપણને પોતાના વતની અને આપણા પોતાના લાગે છે, અને પહેલો સગો પાડોશી ના નાતે લાગે છે કે આટલાં નજદીક હોવાથી બોલાવવા ની સાથેજ હાજર થઈ જશે, તેથી પ્યારા પણ વધારે લાગે છે.
બીજા દેવોને પામવા માટે તપ કરવું પડે, મંત્ર જાપ કરવા પડે, અરે ઘણા તપસ્વીઓ એ તો શરીર પર રાફડા બની જાય ત્યાં સુધી સાધના કરવા છતાં પણ પામી ન શક્યા હોય એવું પણ બને છે, પણ શિવ ?  એક દંતકથા સાંભળેલી કે, એક ચોર ચોરી કરવા નીકળેલો, ખૂબ મહેનત કરવા છતાં કંઈ હાથ ન લાગ્યું, છેવટે થાકી હારીને રસ્તામાં આવતા એક અવાવરુ શિવ મંદિર માં થાક ઊતારવા બેઠો, ત્યાં શિવજી ની લિંગ પર લટકતી ગળતી (જલાધારી) જોઈને વિચાર્યું કે ખાલી હાથે જવા કરતાં આ ગળતી ચોરી લવ તો કંઈક તો મળશે? પણ ગળતી થોડી વધારે ઊંચાઈ પર હતી, તેથી તેનો હાથ ત્યાં પહોંચી શક્યો નહીં, તેથી તે ચોર ભગવાન શિવ ની લીંગ પર ચડી ગયો, ચોર માટે એ લિંગ તો એક સાધન માત્ર હતું તેથી તેણે જોડા પણ કાઢવાની જરૂર લાગી નહીં, પણ જેવો ચોર લિંગ પર ચડ્યો કે તુરંત ભગવાન શિવજી પ્રગટ થયા અને કહે "માંગ માંગ શું આપું?" ચોરતો આ દ્ગશ્ય જોઈ ને બેભાન થઈ ગયો, પણ નારદ મુનિ પ્રગટ થઈ ને શિવજી ને પૂછવા લાગ્યા, "અરે પ્રભુ આ શું? સાધકો કેવી કેવી સાધનાઓ કરે છે છતાં આપ આટલી જલદી દર્શન આપતા નથી અને આ?" ત્યારે શિવજી કહે "નારદ, કોઈ મને જલ ચડાવે, કોઈ ફૂલ ચડાવે, બીલીપત્ર પણ ચડાવે, કોઈ તો વળી પોતાની અતિ મૂલ્યવાન ભેટ ચડાવે, આજ સુધી મારી પૂજામાં રાવણે પોતાના દશ શીશ ચડાવ્યા છે જેનાથી વધારે કોઈ મૂલ્યવાન ભેટ મને ચડાવી નથી, પણ આ ચોર તો આખે આખો, અને તે પણ જોડા સહિત મારા પર ચડી ગયો, તેના માટે તો મારે પ્રગટ થવુંજ પડે ને?" આ છે મારા ભોળાનું ભોળપણ, કેમ મારો ન લાગે? કોઈ જીવ જીવનભર કોઈ ભક્તિ નકરે, કોઈ પણ સદ-કાર્ય ન કર્યું હોય, અરે ભલે અધમ કર્મો કરી ને રાક્ષસો જેવું જીવન જીવ્યો હોય, પણ તેના મ્રુત્યુ પછી જ્યારે શ્મશાને લઈ જવામાં આવે ત્યારે મારો ભોળો નાથ સહર્ષ તેને સ્વીકારી ને સ્મશાન માં સ્થાન આપે છે.
હે ભોળા નાથ મારી પણ આપને એકજ વિનંતી છે કે જ્યારે મને આપના શરણ માં ડાઘુઓ લાવશે ત્યારે કદાચ મને બોલવાનો મોકો નહીં મળે, તો અત્યારથીજ એક અરજ કરું કે ત્યારે પ્રભુ મને સહર્ષ સ્વીકારી લેજો અને મારા કર્મોના હિસાબો ન માંગતા. 
જય ભોળે નાથ.

નંદ દુલારો

                                                  નંદ દુલારો
                                       

મૈયા તારો નટખટ નંદ દુલારો
                          કરતો ફરે કેર કાળો......

ગોપ ગોવાળ ની ટોળી બનાવી, ચોર નો બન્યો સરદારો
મહી માખણ વહાલો ચોરી ચોરી ખાતો, મોહન મોરલી વાળો...

મથુરા વાટે દાણલા માટે, ગોપીઓ ને દેતો બહુ ગાળો
મારગ રોકે પાલવ પકડે,   છેડે છે છબીલો છોગાળો...

રાજા કંસ નું કરજ વધ્યું છે,  દિન દિન કરે છે દેકારો
કાન્હાને કેદની ક્યાં છે નવાયું, પણ-ગરીબ થી થાશે નહિં ગુજારો...

યશોમતી કોપી લાવો એને ગોતી, દુર્ કરી દંવ દેકારો
બાંધુ એને તાણી હવે ખૂબ મૂંઝાણી, સોટી નો લઉં સથવારો...

રાવ કરી પસ્તાણી ગોપી,  મોહન તો મન હરનારો
માર સોટી નો કેમ કરી ખમશે, "કેદાર" કોમળ છે બાળો... 

Saturday, August 17, 2013

बहुनामी शिव

                                           बहुनामी शिव

                       

साखी
कर त्रिशूल शशी शीश, गल मुंडन की माला
कंठ हला हल विष भर्यो, बॆठे जा के हिमाला..

त्रि नेत्र सर्प कंठ, त्रिपुंड भाल सोहाय,
संग गिरिजा जटा गंग, सब जन लागे पाय...


शिव शंकर सुख कारी, भोले..
महा देव सोमेश्वर शंभु, विश्वेश्वर विष धारी..भोले...

गिरि कैलासे गिरिजा के संग, शोभे शिव त्रिप्य्रारी
डम डम डम डम डमरु बाजे, भूत पिशाच से यारी.....

गंगा गहेना शिर पर पहेना, भुजंग भूषण भारी
बांको सोहे सोम शूलपाणि, भस्म लगावत भारी....

वाघंबर का जामा पहेना, लोचन भाल लगारी
वृषभ वाहन विश्वनाथ का, भूमि समशान विहारी...

मुख मंडल तेरा मन ललचावे, छब लागत हे न्यारी
मृत्युंजय प्रभु मुजे बनादो, बैठे जो मृग चर्म धारी...

चरन धुलका प्यासा पिनाक में, भूतेश भक्त हित कारी
दास "केदार" केदार नाथ तुं,   बैजनाथ बलिहारी...

એક અરજી


એક અરજી

નંદ લાલા એક અરજ તું સાંભળ મારી
નિશ દિન તારાં નામ જપું હું સેવા કરૂં તમારી..

પ્રાત:સમય જ્યાં જાગું નીંદરથી, લેજો શરણ લગાડી
ગોવિંદ ગોવિંદ ગાન કરૂં હું,   પ્રીતમ પાય પખાળી...

માયા માં મન રહે ભટકતું,    રાગ દ્વેષ લત લાગી
મોહ વશ મારી મતિ મૂંઝાણી, લેજો હવે તો ઉગારી... 

દીન દુ:ખી ને આપું દિલાસા, સમજુ પીડ પરાઈ
જાણે અજાણે કોઈના દિલ ના દુભાવું, રાખો શુભ મતિ મારી...

સાચું ખોટું તું જ સુઝાડે, ભય લાગે તો એ ભારી
સર્વે કર્મો મારાં અર્પણ તુજ ને, માટે-કરજો વાત વિચારી...

અંત સમય જ્યારે મારો આવે, મનમાં નાચે મોરારી 
વિઠ્ઠલ વિઠ્ઠલ જપતાં પડજો, કાયા "કેદાર" મારી...

સાર-હે ઈશ્વર, સવાર સવારમાં મારી આંખ ખૂલે, ત્યાં આપ મારા મનને આપના સ્મરણમાં લીન કરીને આપના ભજનમાં પરોવી દેજો. પ્રભુ આપે એવી મોહ માયા સંસારમાં બનાવી છે કે મારું મન સદા તેમાં ભટકતું રહે છે, પણ મારી મતિને સદ માર્ગે વાળજો. કોઈ દીન દુખિયાની તકલીફ સમજીને તેને કામ આવું, અજાણતાં પણ કોઈના દિલને ઠેંસ ન પહોંચાડું, એવી સદ્બુદ્ધિ આપજો. જોકે પ્રભુ માનવ જે કંઈ પણ કરે છે, તે તો આપનીજ ઈચ્છા થી થાય છે, આપજ બધું કરાવો છો, આપની ઇચ્છા વિનાતો પાંદડું પણ હલતું નથી, માટે હે ઈશ્વર હવે આપ મારા દ્વારા જે કંઈ કરાવો તેની જવાબદારી પણ આપેજ લેવી પડશે, માટે સમજી વિચારીને મને કર્મો કરાવજો પ્રભુ.
પણ એક ખાસ વિનંતી, જ્યારે મારો અંત સમય આવે ત્યારે હું અવિરત આપના જાપ કરતો કરતો આ જન્મ પૂરો કરું અને ફરીને માનવ અવતાર મેળવું, ફરી ને તારો ભક્ત બનું એજ અભ્યર્થના.  
ફોટો ગુગલના સહ્યોગથી સાભાર.

ડોશી શાસ્ત્ર ?


                                            ડોશી શાસ્ત્ર ?


થોડા સમય પહેલાં અમારા મિત્ર મંડળમાં મૃત્યુ થયા પછી થતી ક્રિયા વિષે ચર્ચા ચાલી, (જે મોટે ભાગે એક બીજાને ઊકસાવીને જ્ઞાનમાં વધારો કરવાના હેતુથી થતી હોય છે, બાકી સર્વે મિત્રો સમજદાર અને ધાર્મિક વૃતી ધરાવનારા જ છે.) જેમકે શબ ને નવડાવવું કપડા બદલવા વગેરે વગેરે..આ બધી ક્રિયાઓ ફાલતુ છે, પ્રાણ ગયા પછી શું નહાવું ને શું કપડા બદલવા ? શબ ને દફનાવો કે અગ્ની દાહ દો શો ફરક પડે? આબધું ડોશી શાસ્ત્ર છે એવી દલીલો થઈ, અને અંતે ફરી ફરીને મારી પાસે જવાબ મેળવવા પર આવી, મેં મારી બુદ્ધિ પ્રમાણે આ જવાબ આપ્યો, જો આપ કોઈને યોગ્ય કે અયોગ્ય લાગે તો આપનું મંતવ્ય જરૂરથી આપવા આશા રાખું છું.

પહેલાંના સમયમાં આજના જેવા સમાચાર માધ્યમો ન હતાં, રાજા રજવાડાના કોઈ ફરમાનો બહાર પડતા તે પણ નગરના ચોકમાં ઢોલ વગાડીને ઢંઢેરો પીટવામાં આવતો. કોઈ બીમારી આવતી તો વૈદ્ય કે હકીમો પાસે જવું પડતું,  એ જમાનામાં સમાચાર પત્રો/રેડીઓ કે ટી વી જેવા સાધનો ન હતાં એવું તો સાવ નથી, પણ તે સીમિત હતું, મહાભારત ના યુદ્ધનો આંખે જોયો અહેવાલ સંજય હસ્તિનાપુરમાં બેઠાં બેઠાં રજૂ કરી શકતો હતો, તે દૂર દર્શનજ હતુંને ? પણ આવી શક્તિ જે લોકો વિદ્યા શીખે તેજ જોઈ શકતા, પણ આપણા વડવાઓ ખૂબજ સમજદાર અને સ્વપ્નદ્રષ્ટા હતા, તેથી એ જમાનામાં જે કંઈ અગત્યની સમજ આપવા જેવી લાગતી તે ધર્મના નામે પ્રચલિત કરી દેવાતી, જેથી તેનો ફેલાવો ઝડપથી થવા લાગતો અને લગભગ ફરજિયાત થઈ જતો. અને તેનું પાલન કરવું લગભગ અનિવાર્ય થવા લાગ્યું, કારણ કે એવી વાતો પણ સાથે સાથે ફેલાવાતી કે આ નિયમનું પાલન ન કરવાથી પાપ લાગે, અને તેનું ફળ ભયંકર હોઈ શકેછે, આવા ડરથી લોકો તે નિયમો પાળતા. 

એક દાખલો આપું તો શાસ્ત્ર કે ડોશી શાસ્ત્ર મુજબ જ્યારે પ્રાણ શરીર નો ત્યાગ કરે ત્યારે તેને સર્વ પ્રથમ ગાયના છાણથી લીપેલી ભૂમી પર રાખવામાં આવે છે, ત્યાર બાદ ત્યાં ગાય ના ઘી નો દીવો અને અગરબત્તી કે સગવડ ધરાવતા લોકો કોઇ અન્ય સાધનો કે પર્ફ્યૂમ નો છંટકાવ કરે છે. ત્યાર બાદ સ્નાન કરાવીને નવા અથવા ધોયેલા-સગવડ પ્રમાણે- વસ્ત્રો પહેરાવે છે, ત્યાર બાદ સફેદ વસ્ત્ર/ચૂંદડી કે જ્ઞાતિના રિવાજ મુજબનું વસ્ત્ર ઓઢાડીને એક દોણીમાં અગ્નિ પ્રગટાવવાનો પ્રયત્ન કરી ને શ્મશાન માં દાહ આપી દેવામાં આવે છે. શ્મશાનમાં ગયેલા દરેક લોકો યોગ્ય સ્થળે કે ઘેર આવીને સ્નાન કરેછે, અને ત્યાર બાદ ઉઠમણું કે બેસણું યોગ્ય સમયે રાખવામાં આવે છે. મોટા ભાગે થોડા ઘણા ફેરફાર સાથે આજ રિવાજ બધે હોય છે.
  
દરેક શરીર માં કરોડોની સંખ્યામાં જીવ જંતુ આપણા શ્વાસોચ્છ્વાસ માંથી પ્રાણ વાયુ અને આપણા શરીર માંથીજ પોષણ પામે છે, જ્યારે શરીર માંથી પ્રાણ નીકળે ત્યારે આ બધા જંતુઓને હવા પાણી અને ખોરાક મળતો બંધ થાય છે, તેથી તે બધા આ શરીરમાંથી બહાર નીકળવા લાગે છે, આપણે શાસ્ત્ર કે ડોશી શાસ્ત્ર મુજબ સર્વ પ્રથમ જીવ નીકળે ત્યારે શબ ને પવિત્ર ગણાતા ગાયના છાણથી લેપન કરેલી ભોંય પર રાખીએ છીએ, મૃત દેહ ના નાક અને કાન માં રૂ ભરાવી દેવામાં આવે છે, જેથી ઓછા માં ઓછા જંતુઓ બહાર ફેલાય, અને જો ફેલાય તો મોટા ભાગના જંતુઓ એ છાણમાં  ચોટી જાય અને હવામાં ફેલાતા નથી,  છતાં કોઈ બચે તો તે ઘીનો દીવો-ઘી નો દીવો કે અગરબત્તી આપણે ભગવાનને ખુશ કરવા માટે પ્રગટાવીએ છીએ પણ ખરે ખરતો તે પ્રદૂષણ ફેલાવે છે, વડવાઓ માનેછે કે ઘી નો દીવો કરવાથી નાગ દાદા નીકળ્યા હોય તો જતાં રહે છે, પણ નાગ દાદાને ઘીના દીવાથી ફેલાતા વાયુ થી ગભરામણ થાય છે તેથી જતા રહે છે.  કેજે ખરેખર તો આ જીવો માટે ઝેરી છે,-  અથવા અગરબત્તી ના ધુમાડાથી મરણ પામે છે. પણ અસંખ્ય જીવો આટલાં થી ન મરે, તો દેહ ને સ્નાન કરાવાય છે જેથી તે પાણી માં વહી જાય, છતાં પણ છેલ્લા ઉપાય પ્રમાણે નવા કે સ્વચ્છ વસ્ત્રનું આવરણ ઓઢાડીદે અને અંતે અગ્નિ દાહ આપી દેવામાં આવે છે. દોણી માં અર્ધ સળગતો અગ્નિ ધુમાડો કરે છે જે જંતુને દૂર ભગાડે છે કે મારે છે, ત્યાર બાદ શ્મશાન માં અગ્નિ દાહ આપી દેવાય છે જેથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ એ દેહ થકી ફેલાતું ટળે છે. જે લોકો શ્મશાન માં ગયા હોય તેને કદાચ આ દેહ બળતો હોય ત્યારે કોઈ એવા તત્વો કે ગેસ નીકળે કે જે તેમને નુકસાન કરે તેવા હોય તો તેની કાળજી લેવા માટે નહાવાનું જરૂરી ગણવામાં આવ્યું છે.
મારા મતે પહેલાના જમાનામાં એવા કોઈ સાધનો ન હતાં, સમાચાર પત્ર કે ટી વી જેવી સુવિધા ન હતી, તેથી આવી બધી સમજણ સમસ્ત સમાજને પહોંચાડી શકાતી નહિ, તેથી ધર્મ કે ડોશી શાસ્ત્ર જે કહો તેના નામે આવા બધા નિયમો બનાવી ને અમલમાં મુકાતા. અને જો કોઇ તેનું ઉલ્લંઘન કરે તો તે પાપી કે નાસ્તિક છે એવું ઠરાવી દેવાતું, અને તેને એ અપરાધ ની સજા મૃત્યુ બાદ પણ ભોગવવી પડશે એવી બિક બતાવાતી જેથી વધારે માં વધારે લોકો એ અપરાધ કરતા ડરતા અને એ બહાને આ વૈજ્ઞાનિક કારણ નું પાલન થતું.

જેના કુટુંબમાં આવો બનાવ બન્યો હોય ત્યાં પરિચિત કે સગા સંબંધી લોકો સ્મશાન યાત્રામાં પહોંચાય કે ન પહોંચાય પણ ઘેર મળવા આવે, અને જેવા જેના રિવાજ મુજબ લગભગ બાર દિવસ સુધી દર રોજ બેસવા આવે, જેથી શોકનું વાતાવરણ ધીરે ધીરે હળવું બને અને શોકમગ્ન કુટુંબી જનોનું દુ:ખ ભુલાવા માંડે.

ત્યાર બાદ જેવી શક્તિ હોય તે મુજબ એક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવે જેથી શોકનો માહોલ પ્રસંગની ધમાલમાં હળવો બને. જોકે મારા મતે આ રિવાજ બંધ કરવા જેવો છે. કેમ કે ઘણાં લોકો ને આ ખર્ચ શક્તિ ન હોવા છતાં કે ઇચ્છા ન હોવા છતાં ફક્ત સમાજના ડરથી કરજ લઈને પણ કરવો પડતો હોય છે. આમ પણ જે રિવાજ કુરિવાજ બનતો હોય અને જેની જરૂર ન હોય તેને તજવો એજ સમજદાર લોકોની સમજદારી છે.    

મારા મતે જેને ડોશી શાસ્ત્ર કહેછે તેને શું હજુ પણ આપણે ડોશી શાસ્ત્ર કહેશું? કે કોઈ મહાન ચિંતકો ની સમજણ ગણશું તે આપે નક્કી કરવાનું છે.
સમય સમય પર મારી બુદ્ધિ પ્રમાણે આવા આવા દાખલાઓ અહીં ટાંકતો રહીશ.

ફોટો સૌજન્ય : ગૂગલ ઈમેજીસ

Fwd: મનસુખરામ માસ્તર



મનસુખરામ માસ્તર  
                                           (એક સત્ય ઘટના)
    
[ રામ કથા માં પૂ.મોરારિબાપુ એ વર્ણવેલી એક સત્ય ઘટના, કદાચ કોઇએ સાંભળી ન હોય તો આજે અહિં મને યાદ છે તે રીતે સાભાર રજૂ કરું છું.]

થોડા વર્ષો પહેલાની આ સત્ય ઘટના છે. વડોદરાથી થોડે દૂર વસેલું નાનું એવું છાણી ગામ. આ ગામમાં એક મનસુખરામ માસ્તર અને તેમના ધર્મપત્ની ઉજમબા રહે. ખૂબ જ પ્રમાણિક, કર્તવ્યનિષ્ઠ અને ભક્તિભાવ ભર્યું કુટુંબ. સરળ અને સાદું એવું જીવન તથા ડાકોરના રણછોડરાય ના ચરણોમાં અપાર શ્રદ્ધા. દર પૂનમે વડોદરાથી ગ્રેઈન માં ડાકોર જાય અને વર્ષોથી નિયમિત પૂનમના દર્શન કરે.
વ્યવસાયે મનખુખરામ છાણી ની નાની એવી સરકારી સ્કૂલમાં માસ્તર. પોતાનું કાર્ય દિલથી કરે. છોકરાઓને સરસ રીતે ભણાવે, સંસ્કારની વાતો કરે અને પોતાનું કર્તવ્ય પૂરે પૂરી નિષ્ઠાથી બજાવે. સત્કુલનો મોટા ભાગે બધો ભાર અને જવાબદારી તેમના માથે. એ સમયે સ્કુલ માં રજાઓ ના મળે અને નાની સ્કુલ અને નાનું ગામ હોવાથી બીજા કોઈ શિક્ષક પણ નહીં. છોકરાઓને પ્રાર્થના કરાવવાથી માંડીને હાજરી લેવાનું અને ભણાવવાનું તમામ કામ મનસુખરામ નું. શરૂઆતમાં મનસુખરામ ને આ બધું ગમે પણ મનમાં એક જ વસ્તુ ખટકે કે દર પૂનમે ડાકોર પહોંચવું  કેવી રીતે ? રણછોડરાય ના દર્શન કર્યાં વગર હૈયું ઝાલ્યું ન રહે.

પણ કહેવાય છે ને કે ભક્તો ભગવાન ને જેટલા ચાહે છે ભગવાન તેમના ભક્તો ને તેનાથી અનેક ગણો ચાહે છે. પૂનમના દિવસે મનસુખરામ માસ્તર સવારે વહેલા ટ્રેનમાં જઈને બપોરે ત્રણ-ચાર વાગ્યા સુધીમાં પાછા આવી જાય. સ્કુલ નો સમય બપોરે બાર વાગ્યાનો. વર્ગની હાજરી લેવાનું કાર્ય તેમજ પ્રાર્થના વગેરે વર્ગનો મોનિટર સંભાળી ને. આમ મહીને એકાદ વાર પૂનમનો દિવસ હોમવર્ક અને બીજી ઇતર પ્રવૃતિ ઓ માં નીકળી જાય.

મનસુખરામ માસ્તર ખૂબ જ નીતિમાન. છોકરાઓને પૂનમના દિવસે જે ભણવાના કલાકો બગડે એના બદલે બાકીના દિવસોમાં એ સમય વધારે ભણાવીને સરભર કરી દે. આમ તેમના કોઈ પણ કાર્યમાં કોઈ કચાશ નહિ.
સમય વીતતો ચાલ્યો. ગામ હોય ત્યાં ગંદકી પણ હોય એ ન્યાયે ગામના કેટલાક પંચાતીયા લોકોથી મનસુખલાલ ની કર્તવ્યનિષ્ઠા સહન ન થઈ. તે તેમાં ખામીઓ શોધવા લાગ્યા. મનસુખલાલ શું કરે છે, છોકરાઓને શું ભણાવે છે તેના પર વૉચ ગોઠવી. એકથી બીજા કાને વાત ફેલાઈ. ઓટલા પરિષદો થઈ. મનસુખલાલ માસ્તર બરાબર ભણાવતા નથી માટે તાલુકા સરકારી સ્કુલો ના અધિકારીઓને અરજી કરવી એવું બધાએ નક્કી કર્યું. કાગળ તૈયાર થયો, બધા એ સહીઓ કરી અને અધિકારી શ્રીને રવાના કર્યો. તાલુકા લેવલના અધિકારી શ્રી એ તપાસ માટે પોતે જાતે સ્કુલ ની વિઝિટ લેવાનું નક્કી કર્યું.

બપોરનો સમય. સ્કૂલ ચાલુ થવાની તૈયારી અને આ બાજુ અધિકારીઓ પેલા કાનભંભેરણી કરનારાઓ ને સાથે લઈને શાળા એ પહોંચ્યા. અને માસ્તરને કહ્યું કે 'તમારી વિરુદ્ધ આ ગામના લોકોની ફરિયાદ છે કે તમે વિદ્યાર્થીઓને બરાબર ભણાવતા નથી આથી અમારે તમારું કડક ચેકિંગ કરવું છે.'
માસ્તર તો નમ્રતાની મૂર્તિ. એમણે કહ્યું, 'જરૂર સાહેબ, પણ હમણાં પ્રાર્થનાનો સમય છે માટે આપ થોડીવાર બેસો હું આપને બધી વિગતો અને હાજરીપત્રકો ના ચોપડાઓ આપું છું.'

અધિકારી શ્રી બોલ્યા : 'ઠીક છે. એમ રાખો.' આમ, કહી બધા પ્રાર્થનામાં સાથે બેઠાં.

એ પછી માસ્તરે જે ઓતપ્રોત થઈને 'મા સરસ્વતી વંદના અને વૈશ્નવ જન તો તેને રે કહીએ…' ગાયું છે, અધિકારીઓ તો રીતસર એમાં ડૂબી ગયા. એ પછી વિદ્યાર્થીઓની શિસ્ત, તેમની ભણાવવાની રીત અને પત્રકો જોઈ ને રાજીના રેડ થઈ ગયા. એ સમય પ્રમાણે તેમના પગારમાં ત્રણ રૂપિયાનો વધારો કરતા ગયા. અને આ બાજુ ફરિયાદ કરનારાઓનાં મોં વિલાઈ ગયા.

પોતાનો પ્લાન ઊંધો વળેલો જોઈ ને ફરિયાદીઓ વધારે ખિજાયા. અને મનસુખરામ ને બરાબર પાઠ ભણાવવાનું વિચાર્યું. તેમણે આ વખતે જિલ્લા શિક્ષણ અધિકારીના મુખ્ય ઑફિસરને અરજી કરી. અને બે-ચાર જણના મંતવ્ય સાથે નો મસ મોટો લાંબો કાગળ લખ્યો. અધિકારીશ્રી એ નીચલાં અધિકારીઓ એ બરાબર તપાસ નહીં કરી હોય એમ માનીને પોતાના ખાસ નિષ્ણાત ઑફિસરને મોકલ્યા. આ ઘટનાક્રમ ફરીથી ચાલ્યો. ચેકિંગમાં આવનાર બધા અધિકારીઓ મનસુખરામ ની કર્તવ્યનિષ્ઠા અને ભણાવવાની રીત જોઈ ને તેમની પર ખુશ ખુશ થઈ જતા. આ વખતે તેઓ પાંચ રૂપિયાનો પગાર વધારો કરતા ગયા. અને આ બાજુ પેલા ફરિયાદીઓ મનમાં અને મનમાં ખૂબ બળ્યાં. પણ કરવું શું ?
એવામાં આ વિઘ્નસંતોષીઓ ને ક્યાંક થી ખબર પડી કે મનસુખરામ પૂનમના દિવસે શાળામાં હોતા નથી. બસ, એમને મનસુખરામ સામે વેર વાળવાની અને મનસુખરામ માસ્તરને રંગે હાથ પકડવાની તક મળી ગઈ. આ વખતે તેમણે બધું પાકે પાયે નક્કી કર્યું. જિલ્લા શિક્ષણ અધિકારીથી પણ ઉપરના મુખ્ય શિક્ષણ અધિકારીને એમણે વિગતવાર કાગળ લખ્યો અને પૂનમના દિવસે જ ચેકિંગમાં આવવાનું જણાવ્યું. અધિકારીશ્રી એ પહેલા તો ના કહી કારણકે ચેકિંગના રિપોર્ટ તો પહેલેથી જ સારા આવતા હતા. પરંતુ આ વિરોધી લોકો એ એમને ગમે તેમ કરીને મનાવી લીધા. છેવટે મુખ્ય શિક્ષણ અધિકારી આગ્રહવશ થઈને કહ્યું કે 'સારું. ચલો. ગામના લોકોની આટલી ઇચ્છા છે તો હું પૂનમના દિવસે ચોક્કસ આવીશ.'

પૂનમનો દિવસ આવ્યો. મનસુખરામ માસ્તર તો વહેલા પરવારીને સવારની ટ્રેઇનથી ડાકોર જવા રવાના થયા. તેમની પાછળ શું ષડ્યંત્ર ચાલતું હતું એનાથી તેઓ અજાણ હતા. ગામના અમુક લોકો જાણતા હતા, પરંતુ નાત બહાર જવાની બીકે કોઈ તેમને સાથ આપતું નહીં. સત્કુલ નો સમય શરૂ થવાને કલાકેક ની વાર હતી ત્યાં શાળાનો એક વિદ્યાર્થી મનસુખરામ માસ્તરના ધર્મપત્ની ઉજમબા ને કહેવા આવ્યો કે 'બા, આજે મોટા સાહેબ ચેકિંગમાં આવવાના છે.' ઉજમબા થી નિસાસો નંખાઈ ગયો. 'અરે ! આ ગામના લોકો. બિચારાં માસ્તરની આજે નોકરી જતી રહેશે. શું થશે ?' ધરમાં દેવમંદિર પાસે જઈને રણછોડરાય સામે સાલ્લો પસારીને ખોળો પાથર્યો અને આર્તસ્વરે અને દીનભાવે ડાકોરના નાથ ને પ્રાર્થના કરી.

બીજી બાજુ અધિકારીઓ નિયત કરેલા સમયે પેલા ફરિયાદી ગામવાળાઓ ની ઘરે પહોંચ્યા. ચા, પાણી અને નાસ્તો કર્યો. સત્કુલ નો સમય થયો જાણીને સ્કૂલ તરફ જવા માટે સહુ ભેગાં થઈને સાથે નીકળ્યા. અને ત્યાં તો ડાકોરમાં રણછોડરાય ધ્રૂજ્યા. ભક્તવત્સલ ભગવાનથી રહેવાયું નહીં. એમણે મનસુખરામ માસ્તરનું રૂપ ધારણ કર્યું. ખાદીના કપડાં….. પગમાં ચંપલ…… અને ખભે ખેસ…… અખિલ બ્રહ્માંડના નાયક, પરાત્પર બ્રહ્મ આજે મનસુખરામ માસ્તરનું રૂપ લઈને એ શાળા પાસે અધિકારીઓ પહોંચે એ પહેલા પહોંચી ગયા.

આ બાજુ ડાકોરમાં મનસુખરામ માસ્તર દર્શન ખૂલ્યા એટલે પગે લાગ્યા પણ એમને આજે મૂર્તિમાં તેજ દેખાયું નહિ. મૂર્તિ ખૂબ જ નિર્જીવ અને પ્રાણવિહીન લાગી. તેમણે પૂજારીઓને પૂછયું, 'કેમ આજે શું થયું છે ? ભગવાન આટલાં ચિંતિત અને તેજ વિહીન કેમ દેખાય છે ?' પૂજારીઓ કહ્યું, 'ખબર નહીં. અમને પણ આજે પહેલી વાર જ આવો અનુભવ થાય છે. આટલાં વર્ષો અમે પ્રભુની સેવા કરી પરંતુ આટલાં તેજ વિહીન પ્રભુ ક્યારેય દેખાયા નથી.'

સ્કૂલનો સમય થયો. છોકરાઓને માસ્તર આવ્યા એમ જાણીને થયું કે આજે માસ્તરને પૂનમ કદાચ નહીં જવાનું હોય. એટલે એ તો પ્રાર્થના માટે તૈયાર થઈ ગયા. એટલામાં અધિકારીઓ સ્કૂલમાં પ્રવેશ્યા. આજે મનસુખરામ માસ્તરના રૂપમાં રહેલા ભગવાને અધિકારીઓને પ્રણામ કર્યા. પેલાં ચાડી ખાનારાંઓ મનસુખરામ ને ત્યાં હાજર જોઈ ને વધારે અકળાયા. 'નક્કી આ માસ્તરને કોઈ એ અધિકારીઓ આવવાનાં છે એમ કહી દીધું લાગે છે. પણ તોયે આજે એને છોડીશું નહિ.' ક્ષણભર તો અધિકારીઓ માસ્તરના ચહેરાને જોઈ જ રહ્યા. તેમને તો ન વર્ણવાય એવા સ્પંદનો થવા લાગ્યા.
મનસુખરામે કહ્યું : 'મોટા સાહેબ, હમણાં પ્રાર્થનાનો સમય છે માટે આપ થોડીવાર બિરાજો હું આપને બધી વિગતો જણાવું છું.'
અધિકારી કહે 'ભલે, માસ્તર. તમ તમારે પ્રાર્થના કરાવી લો પછી આપણે ચેકિંગ કરીશું.'
ગામના લોકો કહે 'ના સાહેબ, તમે પહેલા જ ચેકિંગ કરો. આ પ્રાર્થનાનું બહાનું કરીને આપનો કિંમતી સમય બગાડે છે.'
અધિકારી કહે 'તમે લોકો શાંતિ રાખો. ચેકિંગ કરવાને લીધે છોકરાઓને ભણાવવાનો નિત્યક્રમ આપણાથી ના બગાડાય. માસ્તરને એમનું કામ કરવા દો.' ગામના લોકો ચૂપ થઈ ગયા.

આજે તો સાક્ષાત્ ભગવાને ભગવાનની પ્રાર્થના કરી પછી એમાં શું કચાશ હોય?  અડધો કલાક પ્રાર્થના અને બધો નિત્યક્રમ ચાલ્યો. વિરોધીઓનો વિરોધ હજી શમ્યો નહોતો. એમણે અધિકારીઓને ફરી ઉશ્કેરણી શરૂ કરી : 'આજે તો સાહેબ તમે આ બાળકોને બરાબર અઘરા સવાલ પૂછો. એવા સવાલ પૂછો કે મનસુખરામ માસ્તરે શું શીખવ્યું છે એ બધું ખબર પડી જાય.' ગામવાળાઓ એ બરાબર ઊલટી સીધી વાતો શિખવાડીને અધિકારીને બરાબર તૈયાર કર્યા. તેમણે પોતાના મનઘડંત સવાલો તૈયાર કરીને અધિકારી પાસે એક ઉટપટાંગ સવાલ પૂછાવડાવ્યો કે : 'બોલો બાળકો, ભગવાન રામે કંસને કેવી રીતે માર્યો ?'

પ્રાથમિક શાળામાં ત્રીજા-ચોથા ધોરણમાં ભણતા બાળકો આવો સવાલ સાંભળીને સ્તબ્ધ બની ગયા. બધા બાળકો તો એક સાથે કેવી રીતે બોલે ? તેથી અધિકારીએ કહ્યું કે 'આપણે કોઈ એકાદ બાળકને પૂછી લઈએ.'
મનસુખરામે કહ્યું, 'જી સાહેબ, આપને યોગ્ય લાગે તે બાળકને પૂછી લો.'
અધિકારી બીજી લાઈનમાં બેઠેલા બાળકને ઉદ્દેશીને કહ્યું કે,'બોલ તો બેટા, ભગવાન રામે કંસને કેવી રીતે માર્યો ?'

ભગવાનના રૂપમાં રહેલા મનસુખરામ માસ્તર એ છોકરા પાસે ગયા. તેના માથે વહાલથી હાથ મૂકીને કહ્યું, 'બેટા, મોટા સાહેબ પૂછે છે એનો યોગ્ય જવાબ આપ.' આમ કહી ભગવાને તેના ગાલે હળવેથી સ્પર્શ કર્યો અને એમ કરતાં બાળકના જીભને પ્રભુની ટચલી આંગળી અડકી ગઈ અને ત્યાં તો સાક્ષાત્ સરસ્વતી બાળકની જીભ પર આવીને વિદ્યમાન થઈ ગયા. બાળકના મગજમાં જાણે જ્ઞાન નું ઝરણું ફૂટયું, એના મોંમાંથી વેદ મંત્રો નીકળવા માંડ્યા અને બધા આભા બની ને જોતા જ રહી ગયા. બાળકે અધિકારીને કહ્યું, 'સાહેબ તમે સવાલ કરવામાં ભૂલ્યા છો. ભગવાન રામે તો રાવણને માર્યો. અને કંસનો સંહાર તો ભગવાન શ્રી કૃષ્ણે કર્યો.'

અધિકારીઓ પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા. ફરિયાદીઓનું કંઈ ચાલ્યું નહીં. ઘણી તપાસને અંતે કશું જ હાથ લાગ્યું નહિ અને ઉપરથી સાહેબ મનસુખરામ માસ્તરના કામથી અત્યંત સંતુષ્ટ થઈ ગયા અને આટલી સુંદર કેળવણી બદલ મનસુખરામ ના પગારમાં પચીસ રૂપિયાનો પગાર વધારો કર્યો. ગામના લોકો છોભીલાં પડી ગયા.

હવે બન્યું એવું કે આ બધું કામ પતાવીને ગામના લોકો અધિકારીશ્રી ને સ્ટવને મૂકવા ગયા. અને એજ સમયે એ જે ગ્રેઈન માં જવાના હતા એજ ટ્રેઈનમાં થી મનસુખલાલ માસ્તર ડાકોરથી પરત આવી વડોદરા સ્ટેશને નીચે ઊતર્યા. મનસુખલાલ માસ્તર તો જોઈ ને જ ઓળખી ગયા કે આજે તો મારી નોકરી ગઈ. ત્યાં ને ત્યાં અધિકારીઓના પગે પડ્યા. 'સાહેબ મને માફ કરી દો. મેં આ બધું જાણી જોઈ ને નથી કર્યું. હું વિદ્યાર્થીઓને બાકીના સમયે વધારે ભણાવીને તેમનું પૂરેપૂરું ધ્યાન આપુ છું. સાહેબ, મને માફ કરી દો.' અધિકારીઓ જોતા જ રહી ગયા અને બોલ્યા : 'અરે માસ્તર, તમે શું આજે મજાક કરો છો.'
માસ્તર : 'અરે સાહેબ, મજાક નથી કરતો હું સાચું કહું છું. મેં કોઈ દિવસ કોઈ વિદ્યાર્થીનું ભણવાનું બગાડ્યું નથી. આપ મારા વિદ્યાર્થીઓને પૂછી જુઓ.'
અધિકારી : 'અરે પણ માસ્તર, હમણાં અડધા કલાક પહેલા તો તમે સ્કૂલમાં હતાં અને હમણાં સ્ટેશને ક્યાંથી આવી ગયા ? તમે કયા રસ્તે આવ્યા ? અને આ સીધા ટ્રેનના ડબ્બામાંથી કેવી રીતે નીકળ્યા ?'
માસ્તર : 'હું શાળામાં હતો ? ના સાહેબ. હું તો ડાકોર ગયો હતો.'
અધિકારી : 'શું વાત કરો છો ? તો શાળામાં કોણ હતું જે પ્રાર્થના કરાવતું હતું ? અમારી સાથે વાતો કરતું હતું ? તમે અમારી સાથે ત્રણ કલાક તો શાળામાં ગાળ્યા.'
માસ્તરના આંખમાંથી આંસુ ટપકી પડ્યા અને એ માત્ર એટલું જ બોલી શક્યા કે 'એ હું નહોતો'. હવે એમને સમજાયું કે આજે રણછોડરાય ની મૂર્તિમાં તેજ કેમ નહોતું દેખાતું.

એ પછી કહેવાય છે કે ગામના લોકો માસ્તરના પગે પડ્યા. બધાએ એમની માફી માગી. એમની પ્રગતિ થાય એ માટે પ્રાર્થના કરી પરંતુ માસ્તરે એ શાળાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું. તેમને થયું કે જેનાથી મારા હરિને દોડવું પડે એવી નોકરી મારે શું કામની? તેમણે પોતાનું શેષ જીવન પ્રભુ ભક્તિ અને ભગવદ્ સ્મરણમાં વિતાવ્યું.

આજે પણ તમે વડોદરા પાસેના છાણી ગામમાં જાઓ તો ત્યાં મનસુખરામ માસ્તરનું સ્મારક એ ઘટનાની યાદ તાજી કરાવતું એમનું એમ ઊભું છે. કોઈએ લખ્યું છે ને? શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની શી જરૂર છે….. ?

કેદારસિંહજી એમ જાડેજા
ગાંધીધામ.૯૪૨૬૧૪૦૩૬૫