Tuesday, October 22, 2013


ડોશી શાસ્ત્ર ?

                                                 
થોડા સમય પહેલાં અમારા મિત્ર મંડળમાં મૃત્યુ થયા પછી થતી ક્રિયા વિષે ચર્ચા ચાલી, (જે મોટે ભાગે એક બીજાને ઊકસાવીને જ્ઞાનમાં વધારો કરવાના હેતુથી થતી હોય છે, બાકી સર્વે મિત્રો સમજદાર અને ધાર્મિક વૃતી ધરાવનારા જ છે.) જેમકે શબ ને નવડાવવું કપડા બદલવા વગેરે વગેરે..આ બધી ક્રિયાઓ ફાલતુ છે, પ્રાણ ગયા પછી શું નહાવું ને શું કપડા બદલવા ? શબ ને દફનાવો કે અગ્ની દાહ દો શો ફરક પડે? આબધું ડોશી શાસ્ત્ર છે એવી દલીલો થઈ, અને અંતે ફરી ફરીને મારી પાસે જવાબ મેળવવા પર આવી, મેં મારી બુદ્ધિ પ્રમાણે આ જવાબ આપ્યો, જો આપ કોઈને યોગ્ય કે અયોગ્ય લાગે તો આપનું મંતવ્ય જરૂરથી આપવા આશા રાખું છું.

પહેલાંના સમયમાં આજના જેવા સમાચાર માધ્યમો ન હતાં, રાજા રજવાડાના કોઈ ફરમાનો બહાર પડતા તે પણ નગરના ચોકમાં ઢોલ વગાડીને ઢંઢેરો પીટવામાં આવતો. કોઈ બીમારી આવતી તો વૈદ્ય કે હકીમો પાસે જવું પડતું,  એ જમાનામાં સમાચાર પત્રો/રેડીઓ કે ટી વી જેવા સાધનો ન હતાં એવું તો સાવ નથી, પણ તે સીમિત હતું, મહાભારત ના યુદ્ધનો આંખે જોયો અહેવાલ સંજય હસ્તિનાપુરમાં બેઠાં બેઠાં રજૂ કરી શકતો હતો, તે દૂર દર્શનજ હતુંને ? પણ આવી શક્તિ જે લોકો વિદ્યા શીખે તેજ જોઈ શકતા, પણ આપણા વડવાઓ ખૂબજ સમજદાર અને સ્વપ્નદ્રષ્ટા હતા, તેથી એ જમાનામાં જે કંઈ અગત્યની સમજ આપવા જેવી લાગતી તે ધર્મના નામે પ્રચલિત કરી દેવાતી, જેથી તેનો ફેલાવો ઝડપથી થવા લાગતો અને લગભગ ફરજિયાત થઈ જતો. અને તેનું પાલન કરવું લગભગ અનિવાર્ય થવા લાગ્યું, કારણ કે એવી વાતો પણ સાથે સાથે ફેલાવાતી કે આ નિયમનું પાલન ન કરવાથી પાપ લાગે, અને તેનું ફળ ભયંકર હોઈ શકેછે, આવા ડરથી લોકો તે નિયમો પાળતા. 

એક દાખલો આપું તો શાસ્ત્ર કે ડોશી શાસ્ત્ર મુજબ જ્યારે પ્રાણ શરીર નો ત્યાગ કરે ત્યારે તેને સર્વ પ્રથમ ગાયના છાણથી લીપેલી ભૂમી પર રાખવામાં આવે છે, ત્યાર બાદ ત્યાં ગાય ના ઘી નો દીવો અને અગરબત્તી કે સગવડ ધરાવતા લોકો કોઇ અન્ય સાધનો કે પર્ફ્યૂમ નો છંટકાવ કરે છે. ત્યાર બાદ સ્નાન કરાવીને નવા અથવા ધોયેલા-સગવડ પ્રમાણે- વસ્ત્રો પહેરાવે છે, ત્યાર બાદ સફેદ વસ્ત્ર/ચૂંદડી કે જ્ઞાતિના રિવાજ મુજબનું વસ્ત્ર ઓઢાડીને એક દોણીમાં અગ્નિ પ્રગટાવવાનો પ્રયત્ન કરી ને શ્મશાન માં દાહ આપી દેવામાં આવે છે. શ્મશાનમાં ગયેલા દરેક લોકો યોગ્ય સ્થળે કે ઘેર આવીને સ્નાન કરેછે, અને ત્યાર બાદ ઉઠમણું કે બેસણું યોગ્ય સમયે રાખવામાં આવે છે. મોટા ભાગે થોડા ઘણા ફેરફાર સાથે આજ રિવાજ બધે હોય છે.
  
દરેક શરીર માં કરોડોની સંખ્યામાં જીવ જંતુ આપણા શ્વાસોચ્છ્વાસ માંથી પ્રાણ વાયુ અને આપણા શરીર માંથીજ પોષણ પામે છે, જ્યારે શરીર માંથી પ્રાણ નીકળે ત્યારે આ બધા જંતુઓને હવા પાણી અને ખોરાક મળતો બંધ થાય છે, તેથી તે બધા આ શરીરમાંથી બહાર નીકળવા લાગે છે, આપણે શાસ્ત્ર કે ડોશી શાસ્ત્ર મુજબ સર્વ પ્રથમ જીવ નીકળે ત્યારે શબ ને પવિત્ર ગણાતા ગાયના છાણથી લેપન કરેલી ભોંય પર રાખીએ છીએ, મૃત દેહ ના નાક અને કાન માં રૂ ભરાવી દેવામાં આવે છે, જેથી ઓછા માં ઓછા જંતુઓ બહાર ફેલાય, અને જો ફેલાય તો મોટા ભાગના જંતુઓ એ છાણમાં  ચોટી જાય અને હવામાં ફેલાતા નથી,  છતાં કોઈ બચે તો તે ઘીનો દીવો-ઘી નો દીવો કે અગરબત્તી આપણે ભગવાનને ખુશ કરવા માટે પ્રગટાવીએ છીએ પણ ખરે ખરતો તે પ્રદૂષણ ફેલાવે છે, વડવાઓ માનેછે કે ઘી નો દીવો કરવાથી નાગ દાદા નીકળ્યા હોય તો જતાં રહે છે, પણ નાગ દાદાને ઘીના દીવાથી ફેલાતા વાયુ થી ગભરામણ થાય છે તેથી જતા રહે છે.  કેજે ખરેખર તો આ જીવો માટે ઝેરી છે,-  અથવા અગરબત્તી ના ધુમાડાથી મરણ પામે છે. પણ અસંખ્ય જીવો આટલાં થી ન મરે, તો દેહ ને સ્નાન કરાવાય છે જેથી તે પાણી માં વહી જાય, છતાં પણ છેલ્લા ઉપાય પ્રમાણે નવા કે સ્વચ્છ વસ્ત્રનું આવરણ ઓઢાડીદે અને અંતે અગ્નિ દાહ આપી દેવામાં આવે છે. દોણી માં અર્ધ સળગતો અગ્નિ ધુમાડો કરે છે જે જંતુને દૂર ભગાડે છે કે મારે છે, ત્યાર બાદ શ્મશાન માં અગ્નિ દાહ આપી દેવાય છે જેથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ એ દેહ થકી ફેલાતું ટળે છે. જે લોકો શ્મશાન માં ગયા હોય તેને કદાચ આ દેહ બળતો હોય ત્યારે કોઈ એવા તત્વો કે ગેસ નીકળે કે જે તેમને નુકસાન કરે તેવા હોય તો તેની કાળજી લેવા માટે નહાવાનું જરૂરી ગણવામાં આવ્યું છે.
મારા મતે પહેલાના જમાનામાં એવા કોઈ સાધનો ન હતાં, સમાચાર પત્ર કે ટી વી જેવી સુવિધા ન હતી, તેથી આવી બધી સમજણ સમસ્ત સમાજને પહોંચાડી શકાતી નહિ, તેથી ધર્મ કે ડોશી શાસ્ત્ર જે કહો તેના નામે આવા બધા નિયમો બનાવી ને અમલમાં મુકાતા. અને જો કોઇ તેનું ઉલ્લંઘન કરે તો તે પાપી કે નાસ્તિક છે એવું ઠરાવી દેવાતું, અને તેને એ અપરાધ ની સજા મૃત્યુ બાદ પણ ભોગવવી પડશે એવી બિક બતાવાતી જેથી વધારે માં વધારે લોકો એ અપરાધ કરતા ડરતા અને એ બહાને આ વૈજ્ઞાનિક કારણ નું પાલન થતું.

જેના કુટુંબમાં આવો બનાવ બન્યો હોય ત્યાં પરિચિત કે સગા સંબંધી લોકો સ્મશાન યાત્રામાં પહોંચાય કે ન પહોંચાય પણ ઘેર મળવા આવે, અને જેવા જેના રિવાજ મુજબ લગભગ બાર દિવસ સુધી દર રોજ બેસવા આવે, જેથી શોકનું વાતાવરણ ધીરે ધીરે હળવું બને અને શોકમગ્ન કુટુંબી જનોનું દુ:ખ ભુલાવા માંડે.

ત્યાર બાદ જેવી શક્તિ હોય તે મુજબ એક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવે જેથી શોકનો માહોલ પ્રસંગની ધમાલમાં હળવો બને. જોકે મારા મતે આ રિવાજ બંધ કરવા જેવો છે. કેમ કે ઘણાં લોકો ને આ ખર્ચ શક્તિ ન હોવા છતાં કે ઇચ્છા ન હોવા છતાં ફક્ત સમાજના ડરથી કરજ લઈને પણ કરવો પડતો હોય છે. આમ પણ જે રિવાજ કુરિવાજ બનતો હોય અને જેની જરૂર ન હોય તેને તજવો એજ સમજદાર લોકોની સમજદારી છે.    

મારા મતે જેને ડોશી શાસ્ત્ર કહેછે તેને શું હજુ પણ આપણે ડોશી શાસ્ત્ર કહેશું? કે કોઈ મહાન ચિંતકો ની સમજણ ગણશું તે આપે નક્કી કરવાનું છે.
સમય સમય પર મારી બુદ્ધિ પ્રમાણે આવા આવા દાખલાઓ અહીં ટાંકતો રહીશ.

ફોટો સૌજન્ય : ગૂગલ ઈમેજીસ



No comments:

Post a Comment