Thursday, May 29, 2014

                           કહેવાતા કલાકાર. 

  પહેલાં ના જમાનામાં સંતો મહંતો, ભક્તો કે કોઈ પણ કલાના મહારથીઓ ને રાજ્ય તરફથી સ્વરક્ષણ અને વર્ષાસન મળતું, કોઈ પણ કલા ભક્તિ કે કાવ્ય રચયિતા ની ત્યારે કદર થતી, શબ્દોની સમજ હતી, વિદ્વાનો વચ્ચે તેની ચર્ચાઓ થતી અને એના અર્થો સમજી વિચારી પચાવી ને પછી ગાનારાઓ ગાતા, અને તેથી તાનસેન જેવા મહાન શાસ્ત્રીય સંગીત ગાનારાઓ ને પણ સાંભળનારા સમજી શકતા, અને મહા કવી કાલિદાસ ને પણ સમજવા વાળા હતા, રચયિતા પર વારી જનારા અને દાદ દેનારા આજે નથી એવું નથી, પણ તેમને સમજવા વાળા અને કાવ્ય ના મર્મને સમજનારા ખાસ રહ્યા હોય એવું લાગતું નથી. જેમકે ફિલ્મિ ગીતો છે "ભોર ભયે પનઘટ પે" કે પછી "મોહે પનઘટ પે નંદ લાલ.." આજે આ સાંભળનારા માં કેટલાને આમાં નંદ લાલ દેખાય છે? આમાં કેવી ઊંચી વાત કવીએ કહી છે? પણ કેટલાને ખબર છે કે આનો રચનારો કોણ છે? અરે આજના જમાના નું "પંછી નદીયાં હવા કે ઝોંકે.. કે પછી સાંવરીયો રે મારો...હૂંતો ખોબો માંગું ને દઈ દે દરિયો...કેવા ઊંચા શબ્દો છે ? .  મોરારી બાપુની એક મહાનતા છે કે તેઓ જેપણ કવિની રચના ગાય તેના રચયિતાને જરૂર બિરદાવે, અને બાપુ જેવા પણ જેની નોંધ લેતા હોય તો તે કવિતા કે ભજન કઈ કક્ષાનું હશે? ભલે ને તે ફિલ્મિ હોય, સંગીત સાંભળવા વાળાની સંખ્યા આજે ખુબજ વધી છે, મોબાઈલ ની ભુંગળી કાનમાં ભરાવીને ફરતા કે વાહનોમાં વાગતા આજુ બાજુ ના સમગ્ર વિસ્તારને પ્રદૂષિત કરતા ગીતો, જેમાં શબ્દો ઓછા સમજાતા હોય, પણ મોટા મોટા અવાજે ઢમા ઢમ થતું હોય, તેમાં ભાન ભૂલી ને અકસ્માત કરતા આજે અઢળક છે, પણ તેમાં સંગીત ની સમજ કે શબ્દોની ઊંડાઈ તો ઠીક રજ માત્ર પરખ હોતી નથી, ફક્ત દેખા દેખી સિવાય કશુજ હોતું નથી. 
  આજે કહેવાતા કલાકારો કે ડાયરામાં બીજાની નકલ કરનારા અકલ નું પ્રદર્શન કરી ને અર્થના અનર્થ કરનારા અનેક લોકો ઝભ્ભો અને સાલ-ભજન કે સંગીત ની સમજ હોય કે ન હોય, આ બે વસ્તુ અચુક હોવી જોઈંએ- નો દુપટ્ટો કરીને પોતાને મહાન ગણાવતા કેટલા ગાયકો નારાયણ બાપુની તરજ અને હાર્મોનિયમ ની છટા થી દૂર રહી શકે છે? અરે નારાયણ બાપુએ તો ભજન ગાયકી ને એક એવી જગ્યા પર લાવી દીધી કે આજના કહેવાતા કલાકારો ને રોટલા રળવાનો રસ્તો મળી ગયો, બાકી સમજ નારા સમજે છે કે આ દીવામાં કેટલું તેલ છે.
 એક સત્ય ઘટના કહું તો એક ઉચ્ચ કોટીના રચયિતા એક ટીવી પ્રોગ્રામ માં ભાગ લેવા પધારેલા, ત્યારે કહેવાતા મહાન ગાયક આજ કલાકાર ની રચના ને એમની સામેજ એવીતો કઢંગી રીતે રજૂ કરી કે જો કોઈ બીજો રચયિતા હોત તો કદાચ ત્યારેજ ઊભો થઈ ને ચાલતો થાત, પણ આતો..... એ મર્યાદા ન ચૂકે, શાંત ચિત્તે આખો પ્રોગ્રામ નત મસ્તકે સાંભળતા રહી ને એ ઝેરનો કટોરો પી લીધો, આ છે મહાનતા, આની જગ્યાએ જો કોઈ જોડકા જેવા ગાયનો જોડી ને પોતાને મોટો ગીતકાર સમજનારો હોત તો જરૂર બબાલ કરત, કારણ કે આવા લોકો ને પાછા બે ચાર બોડી ગાર્ડ જેવા ચમચાઓ વાહ વાહ કરવા સાથેજ હોય છે, જે આવા કપરાં સમયે કામ આવે છે. 
    ઈશ્વર ગાનારાઓને જ્ઞાન અને સાંભળનારા ને સમજ આપે એજ અભ્યર્થના સાથ જય માતાજી.     

ફોટો સૌજન્ય : ગૂગલ ઈમેજીસ

Friday, May 23, 2014

મારી લખેલી સાખીઓ...


પ્રેમ ન ઊપજે જો પ્રાર્થતાં, ઈશ ન આવે યાદ, 
બસ વાણી વિલાસ કરે, કોઈ ન આપે દાદ.

ગમ વિનાનો ગાંગરે, ભીતર ભૂધર નઈ. 
આદર કંઈ ઊપજે નહીં, મોલ ટકો એ નઈ .

ગાય ભજન જો ભાવથી હરિવર હર્ષિત હોય, 
ભાવ વિના ભાવે નહી,  કાન ધરે ન કોય.

સદ ગુરુ સમજવો તેમને, જે ભરે ભક્તિ નો રંગ
કુપાત્રને સુપાત્ર કરે, બદલે બધાય કઢંગ

પાત્ર વિનાનું પીરસો,  ભલે છપ્પન ભોગ ધરાય
છલકે પણ છાજે નહીં,   ભુખ ભાવઠ ના જાય..

ઊલટો અમૃત કુંભ પણ, ઠીકરે ના ઠેરાય
સિંહણ કેરું દુધ તો,     કંચન પાત્ર ભરાય..

સાજ તુરંગ ને શોભતો,  લગડું ગર્દભ સોય       
કુંજર બેઠો કર ધરે,    માંગણ ટેવ ન ખોય  

સંત મહંત કે જ્ઞાની જન, ભક્ત, વિરક્ત, નિષ્કામ
ભાગ્ય વિણ મળતા નથી,  ભલે ભટકો ઠામો ઠામ.

હરિ નામ હૈયે રહે, પર દુખ પીળ અપાર
ભાવ સહિત ભક્તિ કરે, એ નરનો બેડો પાર

સંત સેવક કે ભક્ત જન, ચોથા અન્ન દાતાર
હરિ હૈયે અવિરત વસે, નજર હટે ના લગાર...

અન્નદાની વીરપુર વસે, એ ની ફોરમ જગ ફેલાય
હૈયે હરખની વીર ચડે, જ્યાં નામ જલા નું લેવાય..

સગા ને સ્નેહીઓ સઘળા, સ્વાર્થ મહીં ગરકાવ છે.  
સંબંધ છે શ્વાસ સાથે નો, પછી ક્યાં યાદ રાખે છે

રડે સૌ રાગ તાણી ને, મલાજો મોત નો કરવા.  
સમય જાતાં વિસારી દે, પછી ક્યાં યાદ રાખે છે....

પ્રેમ વશ ભાજી જમે, સુલભા સ્નેહ ને કાજ
દુર્યોધનના ભોગ તજી, છાલ જમે રસ રાજ
           
સ્નેહ કાજ તાંદુલ જમે, પગ ધોવે વ્રજરાજ
પટરાણી ઢોળે વીંજણો, નહીં મોટપ કે લાજ..

ગાય ભજન જો ભાવથી હરિવર હર્ષિત હોય, 
ભાવ વિના ભાવે નહી,  કાન ધરે ન કોય.

પ્રેમ ન ઊપજે જો પ્રાર્થતાં, ઈશ ન આવે યાદ, 
બસ વાણી વિલાસ કરે, કોઈ ન આપે દાદ.

ગમ વિનાનો ગાંગરે, ભીતર ભૂધર નઈ. 
આદર કંઈ ઊપજે નહીં, મોલ ટકો એ નઈ .

Thursday, May 22, 2014

             ગુરુ

     
ગુરુ વિણ જ્ઞાન ન આવે ભક્ત જન........
ગુરુ મળે તો ગોવિંદ બતાવે, નગરો નરકે જાવે......

લખ ચોરાસી ભટકે જીવડો, મહેર માધવની જો પાવે
માનવ કેરો મનખો મળે ને, ગુરુ પદ પંકજ પાવે...

સત્ય અસત્યની સમજણ આપે, ભક્તિ માર્ગ બતાવે
હરામ તજી હરિ ઓળખાવે, ગોવિંદ ગીતો ગવડાવે....ગુરુ..

ભમ્યો ભલે નહી કાબા કાશી, યાદ ન ઈશ નિ આવે
ગુરુ મળે કોઈ પરમ કૃપાળુ, પળમાં પાર લગાવે...

"કેદાર" કરીલે ગુરુ પદ સેવા, હરિવર હૈયે આવે
યમ દૂતો કદી’ દ્વારે ન આવે, મુક્તિ માર્ગ બતાવે...

Wednesday, May 21, 2014

                         ઈડર ના ભક્ત સાંયા જુલા


ઘણા સમય પહેલાં નારાયણ બાપુ પાસેથી સાંભળેલી એક વાત આજે યાદ આવે છે, જો હું ભૂલતો ન હોઉં તો કદાચ આ પ્રમાણે છે. અને જો ભૂલ હોય તો તે મારીજ ભૂલ સમજી ને દરગુજર સાથે સુધારો મોકલવા વિનંતી.

  ઈડર શહેર માં સાંયા જુલા નામે એક મહા સંત થઈ ગયા, જે રાજ્ય ના ઉચ્ચ કોટીના રાજ કવી હતા, અને તેમણે નાગ દમન નામે ગ્રન્થ લખ્યો હતો, ભગવાન શ્રી દ્વારકેશ ના મહાન ભક્ત હતા. એમ કહેવાય છે કે જ્યારે દ્વારિકા માં આરતી નો સમય થાય ત્યારે ભક્ત દ્વારિકા મંદિર માં એક ખાસ જગ્યા પર ઊભારહી ને અચૂક દર્શન કરતા જોવા મળતા, અને તેથીજ હર રોજ આવનારા દર્શનાર્થીઓ હર હંમેશ ભક્ત ની ઊભા રહેવાની જગ્યા થી થોડા દૂર ઊભા રહેતા જેથી ભક્ત ને દર્શન કરવા માં ખલેલ ન પડે, પણ આ વાતની જાણ ઈડરમાં કોઈને ન હતી, કારણ કે ઈડરમાં જ્યારે રાજ દરબાર ભરાતો ત્યારે સાંયા જુલા ભક્ત દરબાર માં હાજર રહેતા, તેથી તેમની ટેકની જાણ કોઈને ન હતી.
   એક વખત ભક્ત દ્વારિકા દર્શને પધાર્યા ત્યારે કહેવાય છે કે તેમણે શ્રી કૃષ્ણ ભગવાન ને રૂબરૂ માં નાગ દમન ગ્રંથ સંભળાવ્યો. પ્રભુ બહુ ખુશ થયા અને ભક્ત ને વર માંગવા કહ્યું, ત્યારે ભક્તે કહ્યું કે પ્રભુ હૂંતો અજાચી ચારણ છું, હું માંગું નહીં, ભગવાન કહે ભક્ત તમે ચારણ છો અને હું રાજા છું, મારે આપવાનો ધર્મ છે અને આપને લેવાનો ધર્મ છે, માટે માંગો, પણ ભક્ત એક ના બે ન થયા અને સમય આવ્યે પ્રભુની રજા લઈને ઈડર પધારી આવ્યા. પણ પ્રભુ ને મનમાં થયું કે આવા ભક્ત ને મેં કંઈ આપ્યું નહીં, તેથી એક સાંઢણી પર સન્માન જનક યોગ્ય પુરસ્કાર ભરીને ઈડર ભક્તના નામે પત્રિકા લખીને મોકલી આપી. આતો પ્રભુની મોકલેલી સાંઢણી, ભક્ત ની ભાળ મેળવી ને તેમના દ્વારે આવી. ભક્તે ચીઠ્ઠિ વાંચી ને ગદ ગદ થઈ ગયા, અને મનો મન પ્રભુ ને વંદન કર્યા.

   એક સમયે હકડા ઠઠ દરબાર ભરાયો છે, સર્વે દરબારીઓ યથા યોગ્ય ચર્ચામાં વ્યસ્ત છે, ત્યારે ભક્ત એકદમ ઊભા થઈને જાણે કૈંક અજુગતું બન્યું હોય તેમ હાથ પછાડતા હોય એમ કરવા લાગ્યા, બધા દરબારીઓ સાથે મહારાજ શ્રી પણ અચરજ પામી ને જોવા લાગ્યા કે સાંયા જુલાજી આ શું કરે છે ? થોડી વાર પછી બધું રાબેતા મુજબ થઈ ગયું, ત્યારે મહારાજા એ પૂછ્યું કે ભક્ત આ આપ શું કરતા હતા ? ત્યારે ભક્તે વાત ટાળવાની કોશિશ કરી, પણ આતો રાજ હઠ, જીદ કરી કે ના, આમાં કંઈક મર્મ છે, આપ મને બતાવો, આપના જેવા મહા માનવના વર્તનમાં જરૂર કંઈક છુપાયેલું હોય, ત્યારે ભક્તે કહ્યું કે રાજન આપના આગ્રહ થી મારે કહેવું પડેછે કે હમણાં દ્વારિકામાં આરતીનો સમય થવા આવ્યો હતો, પૂજારી મહારાજ પૂજાની તૈયારીમાં વ્યસ્ત હતા, ભગવાન ના વાઘા બદલવા માટે પુજારીજી બાજુના અંતરવાસ માં ભગવાન ના નવા વાઘા લેવા પધારેલા, મૂર્તિ પાસે જે દીવો રાખવામાં આવેછે તેની બાજુમાં અંતર પટ માટે રાખેલો પડદો આ દીવાને સ્પર્શી ગયો, અને પછી ભગવાને પહેરેલા વાઘાને અટકી જતાં તેમાં પણ આગ લાગી તેથી હું એ આગ ઓલવતો હતો જેથી પ્રભુ દાઝે નહીં.
આખી સભા સ્તબ્ધ બની ગઈ, આમાં કોઈ શંકા કરવા જેવી વાત ન હતી, કારણ કે આવા સંતો જૂઠું બોલે એતો કોઈ વિચારે જ નહીં, પણ મહારાજાએ એ સમય અને દિવસ નોંધ કરીને બુધ્ધિશાળી લોકો ને ખાત્રી કરવા માટે દ્વારિકા રવાના કર્યા.    
દ્વારિકામાં આવીને રાજાના દૂતોએ મહારાજાએ મોકલેલી ભેટ દ્વારિકાધીશ ના ચરણોમાં ધરી ને પુજારીજી સાથે ઉપરોક્ત ઘટના વિષે ચર્ચા કરી તો તેમના આશ્ચર્ય વચ્ચે પૂજારીજી એ કહ્યું કે "હા એ વાત સાચી છે, તે દિવસે મારાથી ભૂલ થઈ ગયેલી, પણ સાંયાજીએ લાજ રાખી, જો તેમણે સમય સર વાઘા ઠાર્યા ન હોત તો કદાચ ઠાકોરજી ને પણ આગે દઝાડ્યા હોત."
દૂતો અચરજ પામ્યા અને વિગતથી વાત જાણ્યા પછી પૂજારીજી ને કહ્યું કે "ભુદેવ સાંયા જુલાજી તો ઈડર માં રહે છે, અને ત્યાંના રાજ કવી છે, અને આપ જે સમય ની વાત કરો છો ત્યારેતો તેઓ ઈડરમાં રાજ દરબાર માં ઉપસ્થિત હતા તો અહીં વાઘા કેવી રીતે ઠારી શકે ?"  ત્યારે ભુદેવે જવાબ આપ્યો કે "ભાઈ તમારી કંઈક ભૂલ થતી હશે, આ ભક્ત તો દર રોજ આરતીના સમયે અચૂક આજ જગ્યા પર ભગવાન ના દર્શન કરવા હાજર  હોય છે, પણ અમે ક્યારેય તેઓ ક્યાં વસેછે એ બાબત ની ચર્ચા નથી કરી, પરંતુ દર રોજ આરતી ના સમયે અહીં પધારતા હોઈ ને તેઓ આટલાં જ કોઈ વિસ્તારમાં રહેતા હોવા જોઈએ, એમ અમારું માનવું છે. તેથી તમારી ઈડર વાળી વાત અમારી સમજ થી બહાર છે, પણ તમારે ખાતરી કરવી હોય તો આરતી સમયે અહિં હાજર રહેજો બધી વાત નો ખુલાસો થઈ જશે."  
દૂતોએ પણ પૂર્ણ ચકાસણી કરવા માટે ભૂદેવો એ દર્શાવેલી જગ્યાની બાજુ માંજ ઉભા રહેવાનો નિર્ણય કર્યો.
આરતી નો સમય થયો ત્યાં તો ભક્ત સાંયાજી ભગવાન દ્વારકેશને નત્ત મસ્તક હાથ જોડીને પોતાના નિયત સ્થાન પર પધાર્યા, આ જોઈને દૂતો તો સ્તબ્ધ બની ગયા, ક્યાં ઈડર અને ક્યાં દ્વારિકા? અમોને વાયુ વેગી અશ્વો પર આવતાં પણ કેટલો બધો સમય લાગ્યો તો ભક્તરાજ દરરોજ અહીં કેવી રીતે પધારી શકે? પણ નજર ની સામે જે દેખાતું હોય તેની અવગણના પણ કેમ થઈ શકે? છતાં પૂર્ણ ખાતરી કરવા દૂતો અમુક દિવસો દ્વારિકા માં રોકાયા અને આરતી ના સમયે મંદિરમાં હાજર રહ્યા, ભક્તરાજ ને દર રોજ આરતીમાં ઉપસ્થિત જોઈને તેઓ પણ ગદ ગદ બનીને ભગવાન ની સાથો સાથ ભક્તના પણ ચરણોમાં આળોટી પડ્યા.

આ બધા સંસ્મરણો સાથે લઈને દૂતો ઈડર પહોંચ્યા અને ભર્યા દરબાર માં બધી વાત કરી ત્યારે મહારાજા ની સાથો સાથ આખો દરબાર મંત્ર મુગ્ધ બનીને ભક્તરાજ ના ચરણોમાં આળોટી પડ્યો.

આ હતા રાજસ્થાન ના ગૌરવ સમા મહાન ચારણ સંત સાંયા જુલા.
જય દ્વારિકેશ.  

Tuesday, May 20, 2014

                               નારાયણ બાપુના ભાવ ભજન.


મોરારી બાપુ અલગ અલગ જગ્યાએ રામ કથાને અલગ અલગ નામ આપેછે, જેમ કે માનસ સંત સમાજ, માનસ મહા મુનિ, માનસ પંચવટી, વગેરે વગેરે, એજ રીતે નારાયણ બાપુએ અમુક સમય પછી "રામ ભાવ ભજન" નામ આપેલું, આની પાછળ મને જે સમજાયછે તે અર્થ હું અહીં લખવા માંગુછું.

"રામ" એટલે ચેતના,ચૈતન્ય, ચૈતન્ય એટલે જેમાં જીવ હોય તે, જે વસ્તુ પોતાની મેળે વૃદ્ધિ ક્ષય પામે, અથવા જે અંત:પ્રેરણાએ હાલે ચાલે, ખાય, મળમૂત્ર કરે, જાગે, ઊંઘે, અને સમજી વિચારી શકે. આ દરેક જીવ ના જીવનમાં ભજન દ્વારા મોક્ષ પામવા સુધીની પ્રેરણા પુરી શકે તે "રામ ભાવ ભજન".

કથા કરવી કે ભજન ગાવા સામાન્ય સમજથી ખૂબજ આગળછે, ડોંગરેજી મહારાજ ભાગવત કથા કરે, મોરારી બાપુ રામ કથા કરે કે નારાયણ બાપુ ભજન ગાય, એ જગ્યાએ કોઈ સામાન્ય કથાકાર કથા કરે કે ભજન ગાય તેમાં જમીન આસમાનનો ફરક છે. ગાન કે પ્રવચન તો ઘણા કરી શકતા હોય, પણ એકના એક ભજનો કે કથા સાંભળવા લોકો ગમે તેવી તકલીફો ભોગવીને પણ આવતા હોય અને ભાવ વિભોર બનીને નાચતા હોય કે રડતા હોય તેને ભક્તિ કહેવાય, પણ જો આજ ક્રિયામાં એક ભાવ ન હોય તો તે નાટક જેવું લાગે. ગાનાર કે કથાકારને આંસુ મોટે ભાગે ત્યારેજ આવે જ્યારે તે ભાવમાં ડૂબીને સાક્ષાત્ ઈશ્વરને સમીપ જોવા લાગે, જોકે ઘણા કલાકારોમાં આવા નાટક કરવાની સમર્થતા હોયછે, એવા ઘણા કથાકાર/ભજનીક છે જે માણસોતો કોઇ પણ ભોગે ભેગા કરી શકેછે પણ ભક્તિરસ પિરસી સકતા નથી, આવા લોકો જોક્સ કરીને આનંદ પમાડે કે નખરા કરીને મનોરંજન પુરું પાડિ શકે, ભક્તિ નહીં. જ્યારે સાચા કથાકાર કે ભજનીકને માટે માણસો ભેગા કરવા ન પડે એની સુવાસજ એવી હોય કે લોકો દોડતા આવે.

કથાકાર કે ભજન ગાનારો ભાવમાં ડૂબતો જાય તેમ તેમ તેનામાં ઈશ્વરી કૃપા પ્રવેશ કરતી જાય અને તેની વાણી કે ગાયકીમાં તેનો ભાષ થવા લાગે, નારાયણ બાપુએ શાસ્ત્રીય ગાયકીની કોઈ પરીક્ષા પાસ કરી ન હતી, છતાં એકજ ભજન અનેક રાગોમાં ગાયાના દાખલાછે, તેનો એક દાખલો આપું તો બાપુએ મોરારી બાપુના તલ ગાજરડામાં "ચકવી રૈન પડે તબ રોવે." અનેક રાગોમાં ગાઇને શ્રોતાઓને મંત્રમુગ્ધ બનાવી દીધેલા. મેં તો ત્યાં સુધી શાંભળેલું છે કે ભજન સમ્રાટ અનુપ જલોટએ કબુલ કરેલું કે નારાયણ સ્વામીની હું નકલ પણ ન કરી શકું, આ છે ભજનની ગરિમા. સમય પ્રમાણે ગવાતા રાગોની સમજ નારાયણ બાપુએ મારાઅ જેવા રાગ થી અજાણ લોકોને આપી, એજ રીતે મોરારી બાપુએ તો રામ કૃપાથી વક્તા હોવા છતાં ગાયકીમાં પણ અનેરું યોગ દાન આપ્યુંછે, ઘણા બધા કથાકારોની વક્તૃત્વકલા અલૌકિક હોયછે, પણ ગાયકી બેતાલ કે બેસુર હોયછે, જ્યારે તે બોલતા હોય ત્યારે જે ભાવ પેદા કરી શકતા હોય તે ગાતી વખતે ન પણ આવતો હોય, પણ મારા મતે જો કોઈ ઈશ્વર મય બનીને પ્રયાસ કરે તો એ ભાવ આપ મેળે આવવા લાગેછે. નારાયણ બાપુ કે મોરારી બાપુ "ઓ.......મ. કે જય ગણેશ બોલે ત્યાં જાણે શ્રોતા ગણ સંમોહિત થઈને ભાવ વિભોર બની જાય.

હાલ ગુજરાતમાં મારા મત પ્રમાણે કવિમાં કવી "દાદ" રામ કથામાં પ. પૂ. મોરારી બાપુ, ભાગવત કથામાં ભાઈશ્રી, અને ભજન ગાયકી માં ઓસમાણ મીર આજની તારીખમાં શિરમોર છે. આમાં ભજન ગાયકીમાં નારાયણ સ્વામીજી નું આગવું સ્થાન હતું, પણ ઇશ્વરે આપણને તેનાથી વંચિત કરી દીધા, હવે કદાચ ડુપ્લીકેટ નો જમાનો છે તો છોટે નારાયણ થાય, નાના નારાયણ થાય, પણ નારાયણ સ્વામીનો તો યુગ જ પૂરો થઈ ગયો હવે બીજો નારાયણ સ્વામી થવો આ યુગમાં મને સંભવ નથી લાગતું, હા એમની નકલ કરનારા, ઓછી અક્કલ વાપરીને દેખાવ કરનારા કે પોતાને બાપુ થી પણ ચડીયાતા ગણાવનારા નો પાર નથી અને એવા લોકોને સાંભળ નારા નો પણ પાર નથી પણ પીતળ કદી સોનું નથાય.

નારાયણ બાપુ માં અનેક સદગુણો હતા, સાથોસાથ અનેક પ્રકારના નિયમો પણ હતા, જેમ કે એક એક શબ્દ સમજી ને બોલવો જોઇએં, ભજન માં ભાવ હોવો જોઈએં, ભજન માં ભક્તિનું મહત્વ હોવું જોઈએં નહીં કે પૈસાનું, ભજન ગાનાર કે સાંભળનારને વિક્ષેપ થાય તેમ વાતો ન કરવી જોઈએં જેવા અનેક નિયમો નો ખાસ આગ્રહ તેઓ રાખતા, અને તેથી ઘણા દેખાવ કરનારા લોકો ને બાપુનું વર્તન ગમતું નહીં, અને ક્યાંથી ગમે ? પોતાનો અહમ્ ઘવાતો હોય કે પોતાની અજ્ઞાનતાનું સત્ય સામે આવતું હોય તે કેમ ગમે ?

આવા હતા ભજનાનંદી બાપુ નારાયણ સ્વામી.
વધુ ક્યારેક...
જય નારાયણ.
     

Monday, May 19, 2014

                   નારાયણ સ્વામિની નિર્વાણ તિથિ


મિત્રો,
તા. ૨૧.૯.૧૩ ના રોજ પ. પૂ. બ્રહ્મ લીન નારાયણ સ્વામીજીની નિર્વાણ તિથિ નિમિત્તે બાપુના આશ્રમ માંડવી મુકામે એક ભવ્ય સંત વાણીનો કાર્યક્રમ યોજાયો હતો, આમતો આ પ્રસંગનું દર વર્ષે તારીખ પ્રમાણે આશ્રમના ટ્રસ્ટીઓ તરફથી આયોજન થતું પણ મારા સાંભળવા પ્રમાણે તેમાં ભજન ના ભાવ કરતાં રાજ કારણ વધારે મહત્વ ધરાવતું, અને આ વખતે ટ્રસ્ટીઓએ કોઈ સહકાર આપ્યો ન હતો કે કોઈ ફાળો પણ આપ્યો ન હતો. જે હશે તે પણ ચાપાણી અને જમવાની વ્યવસ્થા ખૂબજ સારી હતી, અને સેવાભાવી સેવકો આગ્રહ કરી કરીને જમાડતા હતા. આ વખતે બાપુના પૂર્વાશ્રમના નાના પુત્ર શ્રી હિતેષભાઇ, કે જેઓ દર વર્ષે આ પ્રસંગે ભૂજ મુકામે ભજનનો કાર્યક્રમ રાખતા તેમણે આશ્રમના મહંત શ્રી બ્રહ્માનંદ બાપુના આશીર્વાદ સાથે આ વખતે તિથિ પ્રમાણે માંડવી આશ્રમમાં આયોજન કરવાનું નક્કી કર્યું.

મારા અહોભાગ્ય કે આ પ્રસંગે મને પણ ખાસ આમંત્રણ આપવામાં આવેલું અને મને માન સહિત પ્રસ્તુત કરવામાં આવ્યો શ્રોતાઓ તરફથી પણ સારું પ્રોત્સાહન પ્રાપ્ત થયું. મને ભજન ગાવા માટે ખૂબ આગ્રહ કરવામાં આવ્યો પણ મને જાણ થઈ ગયેલી કે ધાર્યા કરતાં વધારે કલાકારો પધારેલાછે તેથી સમયનો અભાવ રહેશે અને સારા સારા ગાયકોને પણ સમયની મર્યાદામાં રહેવાનું હોઈને મેં આ અમૂલ્ય તક જતી કરી, પણ મને જે માન મળ્યું તે મારા માટે મોટી સોગાત હતી. હું તો ઘણા સમય પછી માંડવી ગયેલો, પણ છતાં બાપુના સાથીઓ સાથે મુલાકાત થતાં જુની યાદો તાજી થઈ, મારા સહ કર્મી શ્રી દેવજીભાઈ ખાસ મહેસાણાથી પધારેલા તેમને પણ આ આનંદ મય પ્રસંગની મજા માણી, તેમજ જોગણીનારના પૂજારી શ્રી શ્યામગિરી બાપુ, કે જે હાલમાં અમારી સોસાયટીના મંદિરમાં પણ સેવા આપેછે તે પણ પધારેલા અને આ અનેરાં પ્રસંગની મોજ માણી.  લોકોને મળીને જે જાણકારી મેળવી તેનું શબ્દચિત્ર અહીં આપની સમક્ષ રજૂ કરુંછું.

કાર્યક્રમના સંચાલક શ્રી કર્ણીદાનભાઇએ બાપુ સાથે વિદેશની ધરતી ખૂંદનારા પ્રોફેસર શ્રી ઠક્કર સાહેબને રજૂ કરીને આ ભવ્ય પ્રસંગની શરૂઆત કરી, ઠક્કર સાહેબે બાપુ સાથે માણેલા દિવસોને યાદ કર્યા, ત્યાર બાદ બાપુના પૂર્વાશ્રમના મોટા પુત્ર શ્રી હરે્સભાઇએ "માળા" ગવડાવીને ભજનની શરૂઆત કરી ત્યારે તેમનો અવાજ/હલક અને લહેકો સાંભળીને જાણે નારાયણ બાપુ ફરીને તેમના ખોળિયામાં પ્રવેશીને ગાતા હોય તેવું દરેક શ્રોતાઓને લાગ્યું અને સૌ ભાવ વિભોર બની ગયા. માળા તો માળાજ હોય, જેના મણકા વડે હરિનું સ્મરણ કરવામાં આવે પણ તેમાં માળાના મેરનું સ્થાન સર્વોપરી હોયછે (મેર એટલે જ્યાં માળાના બન્ને છેડા મળેછે અને ત્યાં એક અલગ પ્રકારનો મણકો આવેલો હોયછે.) તેમ આ સંપૂર્ણ પ્રોગ્રામના માળાના મેર સમાન કોઈ હોય તો તે હતા શ્રી ગફૂરભાઇ, ન ઓળખ્યાને? હા જી ગફૂરભાઇ એટલે નારાયણ બાપુ જેના રચેલા ભજનો ખૂબજ પ્રેમથી ગાતા તે મુસ્લિમ સંત કવી શ્રી "સતારશા"(દાસ સતાર)ના પુત્ર, જે આ અવસરે ખાસ પધારેલા, જ્યારે તેમને બે શબ્દો બોલવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેઓ પોતા માટે લોકોનો અહોભાવ જોઈને ગદ ગદ થઈ ગયા અને ખરેખર બે શબ્દો બોલતાંજ રડી પડ્યા. 

 હિતેષભાઇના અથાગ પ્રયત્નોને માન આપીને બાપુના ચાહકો અને સેવકો તેમજ બાપુના ખાસ વાદકો હુસેનભાઈ પોતાના ઊભરતા કલાકાર પૌત્ર જેને લોકો છોટા ઉસ્તાદથી વધારે ઓળખેછે, મેં કોઈ પાસેથી તેનું નામ જાણવાની કોસીશ કરી પણ તેમને ખબર ન હતી, હુસેનભાઇ તેને સાથે લાવેલા અને આ કાર્યક્રમમાં તેણેજ સંગત કરી, જોકે વાદકોના હાથ હાલ્યા વિના રહે નહીં, વચ્ચે વચ્ચે હુસેનભાઇ પણ સાથ આપતા રહ્યા. બેન્જો વાદક અરુણભાઇ, મંજીરાંના સાચા અર્થમાં માણીગર વિજયપુરી તેમજ અનેક બાપુનો સાથ માણનારા ચાહકો મળીને સરસ આયોજન ગોઠવ્યું, પણ આ પ્રસંગે એક વાત મને જરૂર ખટકી, હિતેષભાઇના કહેવા પ્રમાણે બાપુના ભજનો સાંભળીને અને બાપુના આશીર્વાદ મેળવીને આજે નામ કમાયેલા અમુક કહેવાતા કલાકારો આમંત્રણ હોવા છતાં ઉપસ્થિત રહ્યા ન હતા. ત્યારે મેં એક દાખલો આપ્યો કે હમણાં ટી વી ના એક રેકોર્ડેડ પ્રોગ્રામમાં મહાન હાસ્ય કલાકાર સ્વ.મહેમુદ પોતાની વ્યથા ઠાલવતો હતો કે "જ્યારે અમિતને કોઈ કામ ન’તું આપતું ત્યારે "બોમ્બે ટુ ગોવા"માં મોકો આપીને  અમિતાભ બચ્ચન મેં બનાવેલો પણ મારી બિમારી વખતે આજ હોસ્પિટલમાં આવ્યો હોવા છતાં મને જોવા પણ ન આવ્યો." જો મહા નાયક આવું કરી શકે તો આવા નગુણા, ના સમજ કે એહસાનફરામોશ લોકોનો શો અફસોસ કરવો?   

 ભજન ગાયકીના સાચા અર્થમાં કલાકારો જેવા કે સમરથસિંહભાઇ સોઢા જે બાપુના આશ્રમે જ્યારે પણ કાર્યક્રમ આપવા પધારેછે ત્યારે એક પણ પાઈનો ઉપહાર સ્વીકારતા નથી, જો કે અન્ય કલાકારો પણ કોઈ આશા વિનાજ પધારેલા છતાં હિતેષભાઈએ યથા યોગ્ય પુરસ્કાર આપ્યા હોય એમ લાગતું હતું, કારણ કે કલાકારો ને ના પાડવા છતાં તેમને કવર અપાતા મેં જોયા હતા. અન્ય કલાકારોમાં ખેતસીભાઇ ભજનીક, તેમના પુત્ર નિલેસભાઇ, વિજયભાઇ ગઢવી કે જે જૂનાગઢથી પધારેલા, મેરાણ ગઢવી અને મારા ગુરુ સમાન કવી શ્રી "દાદ" દાદુદાન ગઢવીના પુત્ર શ્રી જીતુદાન ગઢવી પણ પધારેલા જેણે આ પ્રોગ્રામમાં અનેરી ભાત પાડીને રંગત જમાવી દીધી, જીતુદાનને અહીં સમય મર્યાદામાં રહેવું પડ્યું તે શ્રોતાઓને ખટક્યું, કેમકે જીતુદાનની રજૂઆત ખૂબજ સરસ રહી. કેમ ન હોય? મોરના ઈંડા ચીતરવા ન પડે, અને એ વખતે મેં ન ગાવાનો નિર્ણય કરેલો તે મને યોગ્યજ લાગ્યો.

બાપુના અન્ય ચાહકો માં ભુજના લહેરીકાંત સોની કે જે બાપુની ગાડી ચલાવતા તેઓએ પણ ખૂબ મહેનત કરેલી.
દિનેશભાઇ પટણી, મોળવદરના શ્રી ભિખાભાઇ કે જે બાપુના ખૂબજ ચાહક અને દરેક પ્રકારે સહયોગ આપનાર આ ભજન ગંગામાં પ્રસાદ લેવા પધારેલા. ગાંધીધામની પ્રખ્યાત બિન હરીફ દાબેલી વાળા હિતેશ ભાઈ કોઈ કારણસર પહોંચી શક્યા ન હતા. વવાર ગામના બાપુના ચાહક અને પોતાનું નામજ જય નારાયણ હોય તેમ તેજ નામથી પંકાયેલા ખાસ પગે ચાલીને આ લહાવો લેવા આવેલા. એચ વી સાઉન્ડ અને મંગળ ગઢવીની વીડીઓ સર્વિસ ની ગોઠવણ મને સારી લાગી. બાપુ જે એમ્બેસેડર ગાડીમાં વિચરતા તે ગાડીને સજાવીને આશ્રમમાં એક યોગ્ય સ્થાન આપવામાં આવ્યુંછે, જેનો નંબરછે G J X 6781,બાપુએ આ ગાડીનું નામ "બીજલી" પાડેલું, તેને આ રીતે સજાવેલી જોઇને મને ખૂબજ સરસ લાગ્યું.

બાપુના એક તબલા વાદક ધીરૂભાઇએ એક વખત વાત કરેલી કે તેઓ આશા ભોંસલેના પોતીકા ગામમાં ગયેલા જ્યાં નારાયણ બાપુની કેસેટ વાગતી સાંભળીને તેમને ખૂબજ નવાઈ લાગી, ત્યાંના લોકોને તેમણે પૂછ્યું કે ભાઇ આ મારા ગુરુની કેસેટ આપ સાંભળોછો તો તેમને જાણોછો? ત્યારે જવાબ મળ્યો કે बहोत तो नहीं जानते पर इतना जानतेहें की भगवानने क्या गला दीयाहे? અને આ બાપુ મારા ગુરુછે જાણીને મારી પણ આગતા સ્વાગતા થઈ.

હિતેષભાઇના જણાવ્યા પ્રમાણે બાપુએ સંન્યાસ લીધા પછી કુટુંબ સાથેનો નાતો સદંતર કાપી નાખેલો, ત્યાં સુધી કે તેમને આશ્રમમાં આવવા માટે પણ કુટુંબી જન તરીકે મંજૂરી ન હતી, બાપુનું કહેવાનું હતું કે આમને જોઇને ક્યારેકતો પૂર્વાશ્રમ યાદ આવેને? પણ ગોંડલની બાજુમાં મોવૈયા પાસે કુંડલા ગામ છે ત્યાં બાજુમાં માંડણ આશ્રમછે અને તે માંડણ કુંડલાજ કહેવાયછે, ત્યાં લોક વાયકા મુજબ ૫૦૦૦, વર્ષ પુરાણું સ્વયં પ્રગટેલા મણીધર હનુમાનજીનું મંદીરછે, ત્યાં બ્રાહ્મણ કુળમાં જન્મેલા બચુ અદા કેજે બ્રહ્મર્ષિ કહેવાતા અને ત્યાં સેવા કરતા અને જયોતિષ ખુબજ સારું જાણતા, બાપુ તેમનું ખૂબ માન રાખતા, તેમની અથાગ સમજાવટ પછી આ કુટુંબને ધીરે ધીરે ત્યાં જવાની છૂટ મળી. 
વધુ ક્યારેક.

જય નારાયણ.  

Sunday, May 18, 2014


                 નારાયણ સ્વામી ની થોડી જીવન ઝરમર.


જ્યારે જ્યારે ટી વી પર ભજન કે ડાયરાના સારા કાર્યક્રમો આવતા હોય ત્યારે રસ પૂર્વક જોવા અને સાંભળવામાં મજા પડી જાય, ભીખુદાન ભાઈ જેવા મહાન કલાકારને જાણે સાંભળ્યાજ કરીએ, પણ આમાં તો બધું સમય મુજબ ચાલતું હોય, એમાં પણ જ્યારે નારાયણ બાપુને જોવા અને સાંભળવા મળે ત્યારે આ સમયની મર્યાદા ખૂબજ સાલે, છતાં આનંદ આવીજાય, આમતો જોકે અત્યારે અનેક કલાકારો ભજનો અને ડાયરા કરતા હોયછે, અને તેને સાંભળવા સેંકડોની સંખ્યામાં લોકો ઊમટતા હોયછે, પણ મને આમાં કંઈક ખૂંચતું હોય એવું સતત લાગ્યા કરે, કદાચ એ મારો ભ્રમ પણ હોઈ શકે, પણ નારાયણ બાપુને નજીકથી માણ્યા હોય ત્યારે આજનો ભજન ના ભાવ વિહોણો મજાકીયો માહોલ જ્યાં પણ હોય જરૂર ખટકે. અને જ્યારે રૂપિયાની ધોળ થતી હોય, ત્યારે નારાયણ બાપુનો એક પ્રસંગ મને ખાસ યાદ આવે. એક જગ્યાએ ભજન જામેલા, બાપુ પણ પુર બહારમાં ખીલેલા, ત્યારે શ્રોતાઓ પણ આનંદ માણી રહેલા, એમાં એક ઉત્સાહી ભાઈ ઊઠીને બાપુને ઘોળ કરવા લાગ્યા, થોડી વારતો બધું રાબેતા મુજબ ચાલ્યું પણ પછી બાપુએ એ ભાઈને બેસી જવા કહ્યું અને ભજન રોકીને શાંતિથી સમજાવ્યું કે દરેક લોકોએ આનંદનો અતિરેક કરતાં પહેલાં એક વાત સમજવી જોઇએ કે આપણે મર્યાદા ભંગ તો નથી કરતાને? આ લક્ષ્મીજીનું અપમાનછે, આમ રૂપિયા ફેંકાય નહીં અને બીજી વાત અમો ભજન કરવા આવ્યા છીંએ, ભીખ માંગવા નહીં, આવી રીતે તો ભિખારી પણ પૈસા ન લે.અને જો તમારે કોઈ લાભાર્થે આ ઘોળ આપવાની હોય તો મર્યાદાથી આપો, તમારા ધનનું પ્રદર્શન ન કરો, મારા ભજન નો કાર્યક્રમ રાખવો હોય તો મારા નિયમોનું પાલન કરવું પડશે, નહીંતો ભજનતો અનેક ગાનારાછે જે રૂપિયા ખાતર ગમે તેમ કરશો તો પણ ચલાવી લેશે.(ખાસ નોંધ-આ જગ્યાપર આવતા ઘોળના રૂપિયા બાપુનેજ મળવાના હતા.) 

બાપુના આવા સ્વભાવને લીધે ઘણી વાર વિવાદ થતા કે બાપુ તુંડ મિજાજી છે, શું આપને આમાં કંઈ ખોટું હોય તેમ લાગેછે?

આ હતી બાપુની ખુમારી, જે આજે ભાગ્યેજ કોઈમાં જોવા મળેછે. ભજન ના કાર્યક્રમમાં કાંતો સાહિત્યકાર અથવા હાસ્ય કલાકાર મુખ્ય કલાકારને આરામ આપવા માટે રાખવામાં આવેછે, જેમાં ભીખુદાનભાઈ જેવા મહાન વ્યક્તિ હોય તો સાહિત્ય સાથે જ્ઞાન અને થોડી ગમ્મત પણ મળે, પણ ક્યારેક તો હાસ્ય કાલાકારની જગ્યાએ જાણે કોઇ એવા મશ્કરા લોકો આવી જાય જે ભજન ના માહોલને અનુરૂપ નહોય, બોલવું ઘણુંજ સહેલું છે, પણ શું અને ક્યાં શું બોલવું તે જાણવું ઘણુંજ અઘરું છે, હા જેને આ વાતની ખબરજ નથી તેને શું કહેવું? તેના માટેતો આયોજકોએજ જવાબદાર વલણ રાખવું જોઈએં જે ભજન ના ભાવની મર્યાદા ન જાળવી શકે તેવા લોકોને લવાયજ નહીં, ભજન ના કાર્યક્રમની મર્યાદા હોવી જોઈએ, તેમાં હા હા હી હી ન હોય, હા પ્રેક્ષકોના મનોરંજન પૂરતું હાસ્ય રાખી શકાય. પણ આતો પાછા ત્યાં જે રૂપિયા વાળા હોય તેના ગુણગાન કરતા હોય, એક કહેવાતા આવા કલાકારતો એવા તાનમાં આવી ગયા કે એક સારા ભજનિક ખરા પણ નારાયણ સ્વામીની હરોળમાં કોઇ પણ રીતે ન આવી શકે તેને બાપુ પછી કોઇ બાપુનું સ્થાન લઈ શકે તેવા ગણાવી દીધા. એ તો ઠીક પણ પાછો પેલો કલાકાર પણ આવીને આરામથી ગોઠવાઈ ગયો, જાણે તે પણ બાપુનો વારસો જાળવી રાખવા સક્ષમ હોય. હવે આમાં કોને દોષ આપવો? કોઈ શ્રોતાએ પણ ટકોર ન કરી. દરેકે પોતાની મર્યાદા સમજીને ચાલવું જોઇએ. એક ગાયકાતો ત્યાં સુધી બોલી ગઈ કે "મને લોકો મીરાં બાઈનો અવતાર માનેછે." અરે બાઈ તું મીરાંબાઈ ના જોડા સાફ કરવાને લાયક પણ નથી, અને જો કોઈ આવું માનતા હોય તો તેનું પરીક્ષણ કરાવવું પડે, કોઈ માનસિક બીમારી તો નથીને? આજના હાઈ ફાઈ જમાનામાં આપણો ભૂતકાળ વધારે છાનો રહેતો નથી, વાણી સ્વતંત્રતાનો હક્ક છે પણ બધે નહીં. થોડા તો લાજો? અવાજ સારો હોય એટલે બધા ગુણ આવી ન જાય. ભજન માટેતો તપ કરવું પડે, બાકીતો રાગડા કહેવાય.

મારી લખેલી સાખીઓ છે કે...
પ્રેમ ન ઊપજે જો પ્રાર્થતાં, ઈશ ન આવે યાદ, 
બસ વાણી વિલાસ કરે, કોઈ ન આપે દાદ.

ગમ વિનાનો ગાંગરે, ભીતર ભૂધર નઈ. 
આદર કંઈ ઊપજે નહીં, મોલ ટકો એ નઈ .

ગાય ભજન જો ભાવથી હરિવર હર્ષિત હોય, 
ભાવ વિના ભાવે નહી,  કાન ધરે ન કોય.

અર્થાત્-ઈશ્વરને મનમાં રાખ્યા વિના ભજન ગાતો હોય,  કવિના શબ્દો શું કહેવા માંગે છે તેનું ભાન ન હોય, તેને ભજન ગયું ન કહેવાય પણ જો ભાવ વિભોર બનીને એક એક શબ્દ ને સમજીને ગવાય તો ત્યાં ઈશ્વર ને પણ સાંભળવા આવવું પડે

માફ કરજો, પણ ભજનની મર્યાદાનો અમર્યાદ ભંગ થતો લાગે ત્યારે લખાઈ જાયછે.

બાપુની ક્ષમતાની એક વાત મને યાદ આવેછે, બાપુના પૂર્વાશ્રમના પુત્ર ચી.હિતેષભાઇ સાથે મારે ખૂબજ સારા સંબંધ, જોકે હવેતો આખા કુટુંબ સાથે સારો પરિચય છે, એક કંપનીમાં અમો બન્ને સાથે નોકરી કરીએ, પરંતુ બાપુને આવી કોઈ વાત કરાય નહીં કારણ કે બાપુને પોતાના પૂર્વાશ્રમની કોઈ પણ વાત કરો તે ગમે નહીં, આ બાબતનો એક પ્રસંગ આપને હું આગળ જણાવીશ. અમદાવાદના શ્રીમાન પ્રદીપભાઇ કે જે બકાભાઇ ના હુલામણા નામે જાણીતા અને બાપુના અનહદ ચાહક, તેમના આગ્રહથી જ્યારે બાપુની "રોમ રોમ હર બોલે" કેસેટનું રેકૉર્ડિંગ પંકજભાઈ ના સંચાલનમાં ચાલતું હતું જેમાં ઈશ્વરની કૃપાથી મારા દ્વારા રચાયેલ એક "શિવ શંકર સુખ કારી" રચનાને તેમાં બાપુએ સ્થાન આપેલુ. તે વખતે  હિતેષભાઇ ત્યાં રેકોર્ડિંગ વખતે હાજર રહેતા અને દરરોજ બાપુ માટે ટીફીન લઈ ને આવે, એક દિવસે પંકજભાઇ બધા સાજ તૈયાર કરીને બાપુને ગાવા માટે પધારવા કહ્યું ત્યારે બાજુએ કહ્યું કે પંકજભાઇ મને કોઇ સાજમાં દોરાભાર ફરક લાગેછે, પંકજભાઇએ વારંવાર તપાસ્યા છતાં બાપુએ હજુ કંઈક ગરબડ છે એવો આગ્રહ રાખ્યો, અંતે પંકજભાઈ જેવા સંગીતના મહારથીએ કહેવું પડ્યું કે બાપુ સુર તો આપની રગે રગમાં વ્યાપેલાછે, નહીંતો આટલો નાનો ફરક ભાગ્યેજ ધ્યાનમાં આવે. છતાં આજે પણ આપ ધ્યાનથી એ મારું ભજન સાંભળશો તો એક જગ્યાએ એક નાની એવી ભૂલ જરૂર ધ્યાને આવશે, જે કદાચ એ વખતે બાપુના ધ્યાન બહાર રહી ગઈ હોય એવુંતો નજ બને પણ ચલાવી લીધી હોય. આ હતા સંગીત નું શાસ્ત્ર ભણ્યા વિનાના સંગીત વિશારદો ના પણ વિશારદ આત્મ જ્ઞાની ભક્ત નારાયણ સ્વામી.  

બાપુના પૂર્વાશ્રમને યાદ ન કરવાનો એક દાખલો ટાંકું જે મને ખુદ હિતેષભાઇના મુખેથી સાંભળવા મળ્યોછે. ફકીરી લેવા માટે પહેલાં ત્રણ વર્ષ માટે કાળી કફની કે કામળી-જે હોય તે-પહેરવી પડે ત્યાર બાદ ભગવા વસ્ત્રો ધારણ કરી શકાય આવો કંઈક નિયમ છે જેની મને ખબર નથી. એ વખતે જ્યારે બાપુએ કાળી કફની પહેરેલી ત્યારે તેમના એક પરમ સ્નેહી જે બાપુના પુરા પરીવાર સાથે સારો નાતો અને સ્નેહ ધરાવતા તેવા મુંબઈ વસતા ડો.ગણાત્રા મુંબઈમાં બાપુને મળ્યા ત્યારે બાપુને તેમનો પરીવાર હજુ કમાવા માટે સક્ષમ ન હોઈને કે સારા રાહબર પણ ન હોઈને હમણાં સંસાર ન છોડવા સલાહ આપવા લાગ્યા. બાપુએ આ બાબત વાત ન કરવા વિનંતિ કરી પણ લાગણીવાળો માણસ ભાવ સભર બાપુને સમજાવતા રહ્યા, અનેક ઉપાયો છતાં બાપુ ટસ ના મસ ન થયા ત્યારે આ મહાનુભાવે સ્નેહ વશ બાપુને કહ્યું કે જો આપ આપના પરિવારનો ખ્યાલ કરીને સન્યાસી બનવાનો ખ્યાલ છોડીદો તો આજે આપણે જે બંગલામાં રહ્યા તે અને અત્યારે જે ગાડીમાં બેઠાં છીંએ તે આપને સદા માટે અર્પણ કરી દંવ.

બાપુ તો જાણે ખુશ ખુશાલ થઈ ગયા, હસતાં હસતાં ગાડી રોકાવી, ગણાત્રા સાહેબને ખૂબજ ધન્યવાદ કહીને ગાડીમાંથી ઊતરતા કહ્યું કે સાહેબ આપના પ્રેમ બદલ હું જે કંઈ કહું તે પૂરતું નહીં હોય, પણ હવે પછી મને સંન્યાસ છોડવા ક્યારેય ન કહેજો નહીંતો આપણો સંબંધ પૂરો થઈ જશે. મારે ગાડી કે બંગલો જોઇતો હોત તો બીજા અનેક રસ્તા હતા, પણ "फकीरी में मजा जीसको, अमीरी क्या बेचारी हे" જેવો જવાબ આપીને ચાલતી પકડી. 

નારાયણ બાપુની એક બીજી વાત લખવા પ્રેરણા થાયછે. ઘણા વખત પહેલાં કચ્છમાં એક જગ્યાએ કોઈ સંસ્થાના લાભાર્થે બાપુનો કાર્યક્રમ ગોઠવેલો, જ્યાં એ વખતના એક પ્રધાન પણ ઉદ્ઘાટન કરવા પધારવાનાં હતા, ભજન નો સમય થવામાં થોડી વાર હતી ત્યાં પ્રધાન શ્રી પધાર્યા, રિબન કાપવાની વિધી પુરી થયા બાદ બાપુને બે શબ્દો બોલવા કહ્યું, ત્યારે બાપુએ જવાબ આપ્યો કે "ભાઈ તમે શું ઈચ્છો છો તે મને ખબર છે, પણ એવું બોલતા મને નથી આવડતું, હું કોઈને સારું લગાડવા માટે તમો કહો તેમ ન બોલું, તો તો મારા ભગવા લાજે, માટે મને આગ્રહ ન કરો," પણ જ્યારે બધાએ ખૂબજ કહ્યું ત્યારે બાપુ જે બોલ્યા તે સદંતર સત્ય અને પ્રાયોજકો ની ધારણાથી બિલકુલ વિપરીત હતું, કોઇએ બાપુને કહ્યું, બાપુ આ જાહેરમાં આમ ન બોલાય આતો કાયદાથી વિરુદ્ધ કહેવાય, ત્યારે બાપુએ જવાબ આપેલો કે ભાઇ મારો કાયદોતો મારા ઉપરવાળાએ ઘડેલોછે, તેનો ભંગ હું ક્યારેય નથાય તેનું પૂરે પૂરું ધ્યાન રાખુ છું, બાકી આ કાયદો શું કરશે? વધુમાં વધુ જેલમાં નાખશેને? તો ત્યાં ભજન કરશું, ત્યાંના લોકોને આવો લાભ ક્યારે મળશે?
આ પ્રધાનની વાત પરથી એક બીજો પ્રસંગ પણ યાદ આવી ગયો. એક ભક્તના આશ્રમમાં પણ બાપુનો કાર્યક્રમ ગોઠવાયેલો, તેમાં ત્યારના મુખ્ય પ્રધાન પધાર્યા ત્યારે એ આશ્રમના એ ભગવા ધારી ભક્ત સ્વાગત માટે દોડધામ કરવા લાગ્યા, થોડી વારતો નારાયણ બાપુ કંઈ ન બોલ્યા પણ પછી એ ભક્તને ચાલુ માઇકમાં કહ્યું કે બાબાજી આપ શાંતિથી બેસી જાવ, મુખ્ય પ્રધાન ભલે રાજ્યનો વડો હોય પણ ભગવા વેશ ધારી પાસે તેની કોઈ ગણતરી ન હોય, માટે આ ભગવા ન લજાવો.
હવે આ વાંચ્યા પછી આપજ નક્કી કરો કે છે કોઈ આજે નારાયણ સ્વામીની હરોળમાં પણ ઊભો રહી શકે તેવો ભજનિક? કોઈ હાસ્ય કલાકાર કોઈ કલાકરને સારું લગાડવા આવું બોલતા હોય તો પહેલાં સરખામણી કરી લેજો.

મારા ઘણા મિત્રો શ્રીમાન અશોકભાઇ દાસ, શ્રી ડો. ખેઇની સાહેબ અને એવાતો અનેક બ્રહ્મલીન નારાયણ સ્વામી બાપુના ચાહકો મને બાપુ વિષે વધારે માં વધારે અથવાતો બને તો પુરી જીવન યાત્રા માટે લખવા કહેછે. પણ મારી પણ થોડી સમયની મર્યાદા અને સત્યતા જળવાય તેમજ હિતેષભાઇની સહમતી-જે મળતી રહેછે- પણ એટલીજ આવશ્યક હોવાથી લખવામાં વિલંબ થતો હોયછે, પણ અમો બન્ને મળીને જેમ બને તેમ જલદી બાપુ વિષેની વધારેમાં વધારે માહિતી અહીં લખતા રહેશું જેને આપે એક ત્રાગડામાં પરોવીને સંપૂર્ણ માળા બનાવવાનો શ્રમ કરવો પડશે જેથી તે એક જીવન ઝરમર બની જાય.

જય નારાયણ. 

                              નારાયણ બાપુ ની નિખાલસતા


નારાયણ સ્વામીજીએ  ભજન ગાયકીને એક અલગજ સ્થાન અપાવીને ભજન ગાયકોને એક નવો રસ્તો બતાવ્યો, અને શ્રોતા ગણને એક નવી તાજગી સાથે અને સામાન્ય સમજ પડે તેવું શાસ્ત્રીય સંગીત પણ આપ્યું, અને મારા જેવા રાગ રાગણીથી અજાણ ગાયકોને કયો રાગ કયા સમયે ગવાય તે પણ શીખવ્યું, નવા નવા રચયિતાઓની રચનાઓ ગાઈને એક નવી રચનાકારની ઓળખ ઊભી કરી, એમાં પણ "દાસ સતાર" ને તો એ ઊંચાઈ આપી કે બાપુના ચિલ ચાલનારા પણ ભજન ગાયકીને કમાવાનો રસ્તો બનાવનારા અનેક ધંધાદારી ગાયકો "સતાર"ને ગાઈને રોટલો રળવા લાગ્યા, તો ખરેખર ભજનના ચાહક ગાયકો "સતાર"ના શબ્દો પર ફિદા થઈને આંખમાં ભાવ, તો ક્યારેક આંસુ સાથે તેના ભજનો ગાવા લાગ્યા, પણ બાપુને ન સમજનારા ક્યારેક ગેર સમજ પણ ફેલાવવા લાગ્યા કે બાપુ તો ઘમંડી છે, જે તેમને નમતા રહે તેનાજ ભજનો ગાયછે. એક ખ્યાતનામ કવિની રચનામાં બાપુની કસી ગેર સમજ થઈ, બાપુએ કંઈક ટકોર કરી, મોટાભાગે આ ટકોર એક બીજા આમને સામને નહીં પણ પ્રોગ્રામ દ્વારાજ આપતા હોયછે જેથી તે જગ જાહેર હોયછે,  પેલા કવિરાજે બાપુને પોતાની રચના દ્વારા જે શંદેસ આપવાનો હતો તેની વિગત જણાવી ત્યારે બાપુએ ભજનના હજારો શ્રોતાઓ વચ્ચે પોતાની ગેર સમજની કબુલાત કરેલી. આ હતી તેમની નિખાલસતા. પણ એક મહાન સ્વર્ગસ્થ કવિના પુત્ર સાથે સામાન્ય ચર્ચા દરમિયાન બાપુએ એ કવિરાજની રચનાઓની કેસેટો બનાવવાની ઇચ્છા દર્શાવી, ત્યારે પેલા મહોદયે મંજૂરી સાથે રોયલ્ટી માટે વાત કરી ત્યારે બાપુએ એક દોહાની એક પંક્તિ સંભળાવી કે "તેરે માંગન બહોત હે તો મેરે ભૂપ અનેક" ભાઈ મારે જો રોયલ્ટી ની શરત સાથે કોઈની રચના ગાવાની હોય તો મનેતો અનેક રચનાકારો પોતાની સારી સારી રચનાઓ ગાવા માટે વિનંતી કરેછે, અને એ વાત ત્યાંજ છોડી દીધી.

નારાયણ બાપુના આવા આવાતો અનેક પ્રસંગો છે, જે સમય સમય પર રજુ કરતો રહીશ.
જય નારાયણ.

Friday, May 16, 2014

                            નિરભિમાની નારાયણ સ્વામી


પ. પુ. બ્રહ્મ લીન નારાયણ નંદ સરસ્વતીજી કે જે નારાયણ સ્વામી તરીકે વધારે જાણીતા છે. દેશ વિદેશમાં અનેક ડાયરાઓ કરીને આપણી ભજન ગાયકીને એક અવ્વલ દરજ્જો અપાવનાર આ સંત સમાન મહા માનવને ઘણા લોકો મૂડી/ગુસ્સૈલ/ઘમંડી જેવા અનેક ખોટા બિરુદ આપી ચૂક્યાછે, જોકે ક્યારેય પણ આ સંતને કોઇ ફરક પડ્યો નથી, અને આવુંતો અનાદિ કાળથી ચાલ્યું આવેછે, આવા લોકોએ ભગવાનને પણ ક્યાં છોડ્યા છે? અરે મનેતો ત્યાં સુધી લાગેછે કે આ નારાયણે કેટલાએ ગાયકોને, {ભજનિક નહીં} કે જે ફક્ત નારાયણ બાપુની નકલજ કરી શકેછે, જેમાં પોતાનો ફક્ત અવાજ સિવાય કશું હોતું નથી, શબ્દોની જાણ હોતી નથી, જે પૈસા ખાતર ગાતા હોયછે, અને પાછા પોતાને કેવાએ મહાન કલાકાર માનતા હોય છે, તેવા ગાયકોને ભજન ગાવાનો રાહ બતાવીને રોટલા રળતા કરી દીધા, અને જેને ખરે ખર ભગવાનની આરાધના કરવીછે તેને ભગવાન પાછળ ઘેલા ઘેલા કરી દીધા.

એક કહેવાતા ભજનિક નું એક ભજન હું જ્યારે જ્યારે સાંભળતો ત્યારે એક ચોક્કસ જગ્યા પર તેઓ ખાસ પ્રકારની ઉધરસ ખાતા એ મને ધ્યાનમાં આવ્યું ત્યારે વાતો વાતોમાં મેં આ વિષે પૂછી લીધું તેમનો જવાબ હતો કે નારાયણ બાપુ ની કેસેટ એવી તો મગજ માં ઘૂસી ગઈ છે કે જ્યાં બાપુએ ઉધરસ ખાધી છે ત્યાં મને સહજ ઉધરસ આવી જાય છે, હવે આપજ વિચારો આવા ગાયકો પાસે પોતાનું શું હશે ? ફક્ત બાપુની નકલ કરીને પોતાનું ગાડું ગબડાવ્યા કરે છે અને લોકો પણ તાની બનીને સાંભળ્યા કરે છે, એક જાણીતા કલાકાર ટી વી પરના કાર્યક્રમ માં શું ગાય છે તે શબ્દો મને આજ દિવસ સુધી સમજાયા નથી, છતાં લોકો વાહ વાહ કરતા નાચતા હોય છે, હવે આમાં કેને વખાણવા ?  

આજે મારે વિચક્ષણ નારાયણ બાપુની ઘણા સમય પહેલાં તેમનાજ એક અંતેવાસી પાંસેથી સાંભળેલી વાત કરવી છે.

જામનગર બાજુના કોઇ ધાર્મિક સંસ્થાન માં નારાયણ બાપુનો રામ ભાવ ભાજન નો કાર્યક્રમ હતો, મોડી રાત સુધી ભજનની રમઝટ બોલાવીને બાપુની મંડળી વહેલી સવારે આમરણ ના મારગે રવાના થઈ, એ વખતે રસ્તા ખાસ સારા ન હતા, અને વાહનો પણ રાત્રિના ભાગેતો જવલ્લેજ નીકળે. ધીમે ધીમે બાપુની એમ્બેસેડર ગાડી ચાલતી હતી ત્યાં આગળના ટાયરમાં પંચર થયું. ગાડીની લાઈટ અને હાથ બત્તી ની મદદથી પૈડું બદલ્યું પણ ચાલકે બાપુને કહ્યું કે બાપુ, હજુ સારો રોડ આવવાને વાર છે, અને જો હવે બીજા પૈડામાં પંચર થશે તો આપણે અટકી જશું, માટે જે કોઈ પહેલી સગવડ મળે ત્યાં પંચર ઠીક કરાવીને પછીજ આગળ વધીએ, આ વાતમાં બધા સહમત થયા, આગળ જતાં એક નાનું એવું ગામ આવ્યું {આજે મને એ ગામનું નામ યાદ નથી.}  ત્યાં એક ગ્રામજન હાથમાં ડંડો લઈને જંગલથી પાછો ફરતો દેખાયો, સામાન્ય દેખાવ, ગરીબી ચાડી ખાતી હતી, તેને રોકીને પંચર બાબત વાત કરતાં નારાયણ બાપુને જોઈને એતો ઘેલો ઘેલો થઈ ગયો, તેણે કહ્યું કે ભાઈ, બાજુની વાડીમાં એક ભાઈ પંચર બનાવેછે, ત્યાં જવું પડશે, આપ મારી નાની એવી ખોલીમાં પધારો હું કંઈક વ્યવસ્થા કરુંછું.

બાપુ માટે બાજુ વાળાને ત્યાંથી ખાટલા અને ગાદલા મંગાવ્યા ત્યાંતો જાણે કોઈ ચમત્કાર થયો હોય તેમ આખું ગામ જાગી ગયું અને નારાયણ બાપુ પધાર્યાછે તેનો જાણે ઢંઢેરો પિટાઈ ગયો અને બધા બાપુની સામે બેસી ગયા. ચા અને રોટલાના શિરામણ આવી ગયા, અલક મલકની વાતો કરતાં કરતાં બાપુ કહે "અરે ભાઇ આપણી પેટી { હાર્મોનિયમ} ગાડીમાં જતી રહી નહીંતો બે ચાર વાણી ગાત," એક ભાઇ દોડીને ભાંગી તૂટી પેટી લઈ આવ્યો, બાપુએ મજાક કરી "ભાઈ મારા કોઇ ડાયરામાં મેં આવી સરસ પેટી વગાડી નથી." ધીરે ધીરે એ પેટીના સથવારે બાપુએ ભજનની શરૂઆત કરી, જેમ જેમ ખબર પડતી ગઈ આજુ બાજુના લોકો પણ આવવા લાગ્યા, બાપુને પણ આનંદ આવવા લાગ્યો, ગાડીતો પંચર બનાવીને આવી ગઈ પણ બાપુને એવી રંગત લાગી કે બપોરના બાર વાગ્યા તે પણ ખબર નથી. ગામ લોકો વિચારવા લાગ્યાકે બપોરાનો {બપોરનું ભોજન} સમય થવા આવ્યો છે, જલદી કંઈક વ્યવસ્થા કરીએ, દોડા દોડી કરીને ભોજન બન્યા પછી બાપુના સંગાથીને વાત કરી ત્યારે બાપુના ભજન રોકાયા, ગામ લોકોની ભાવના જોઈને બાપુએ બપોરા કર્યા.

જમ્યા પછી થોડી વામકુક્ષિતો કરવીજ પડે? કેમકે આખી રાતનો ઉજાગરો હતો, પાંચ વાગતા વાર ન લાગી, બાપુ જાગ્યા ત્યાંતો યથા યોગ્ય ચા નાસ્તાની વ્યવસ્થા ગામ લોકોએ કરી દીધી, વાતો કરતાં કરતાં ચોરે ઝાલરનો સમય થઈ ગયો, દર્શન કરી ને નીકળતી વખતે ગામ લોકો તો ભાવ વિભોર હતાજ પણ બાપુએ ભાવાવેશમાં આવી ગયા, ગદ ગદ કંઠે બોલ્યા કે મેં અનેક ઠેકાણે મહેમાનગતી માણીછે પણ આજની મહેમાનગતી તો કાયમ યાદ રહેશે. 

બાપુ આ પ્રસંગ હકડેઠઠ જામેલી ડાયરાની મેદની વચ્ચે અનેક વખત બોલ્યાછે.

આ છે  નિરભિમાની નારાયણ સ્વામી. 

આવા તો અનેક કિસ્સાઓ સંતો મહંતો ના હોય છે, યાદ આવ્યે લખતો રહીશ.
જય નારાયણ.        

ફોટો સૌજન્ય : ગૂગલ ઈમેજીસ

Thursday, May 15, 2014

                                  નારાયણ સ્વામી 


અમો બે-ચાર મિત્રો પુ. બાપુને મળવા રવિવાર ની રજાનો લાભ લેવા શનિવાર સાંજના માંડવી જવા ગાંધીધામ થી રવાના થયા, રસ્તો બહુ સારો નહતો, પહોંચતા પહોંચતા મોડું થયું એટલે બાપુને પરેશાન ન કરવાના આશય થી રસ્તામાંજ ભોજન કરીને ચુપ ચાપ સૂઈ જવાની તૈયારી સાથે પહોંચ્યા, પણ બાપુ તો જાણે અમારી રાહ જોતા હોય તેમ આશ્રમ ના દ્વાર પરજ મળી ગયા, અને રસ્તામાં જમવા બાબત મીઠો ઠપકો પણ આપ્યો, અને ભોજન શાળામાં પરાણે જમવા બેસાડી દીધા. મા જેમ બાળકને જમાડે તેમ હેતે હેતે જમાડ્યા, અને કહ્યું પણ ખરું કે "હું લંડન ગયો ત્યારે ગોરાઓ રાત્રે સપર સપર જેવું કંઈક કરતા હતા, મેં પૂછ્યું તો ખબર પડી કે આ તો રાત્રે મોડા મોડા વાળુ કરે {જમે} તેને સપર કહેતા હતા, આજે તમે પણ સપર સમજી લેજો." અમો હેતે હેતે હરિને સમરતાં સમરતાં સપર કરી ને સૂઈ ગયા.

બીજા દિવસે અનેક પ્રવાસીઓ/ભક્તો બસ ભરી ને માંડવી માં કચ્છ ના પ્રવાસ દરમિયાન આવી પહોંચ્યા, ત્યારે આજના જેવી "કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા" જેવી સગવડ ન હતી, બાપુએ આગ્રહ કરીને આશ્રમ માંજ રોકીને સારી રીતે આગતા સ્વાગતા કરી, આખો દિવસ આમજ વીત્યો, બીજા દિવસે મારે નોકરી હોઇને અમોએ રજા માંગી, બાપુએ દેખાવ ખાતર ગુસ્સો કરીને કહ્યું "મારો આશ્રમ પર્યટન સ્થળ નથી કે ઠીક પડે ત્યારે ચાલ્યા જવાય, હજુતો "દીન વાણી"(મારી ભજનાવલી) ના ભજનો સાંભળવા બાકીછે, નોકરી મારો નાથ સંભાળશે.

રાત્રે આશ્રમના ચપલેશ્વર મહાદેવની આરતી પછી ધીરે ધીરે બાપુ રંગમાં આવવા લાગ્યા, વાતો કરતાં કરતાં ભજનો પર વાત પહોંચી, અને ત્યાંથી મારી રચનાઓ પર આવી. મારી રચના ના શબ્દોની છણાવટ થઈ, ભાવાર્થ થયા, અને પછી મને ગાવાની આજ્ઞા કરી. મેં ઘણા નાના નાના પ્રોગરામો {માનદ} કર્યાછે, પણ બાપુની સામે ગાવું એ ડોક્ટરેટની પરીક્ષા પાસ કરવા જેવું છે, કારણ કે કોઇ પણ ભૂલ બાપુ ચલાવી ન લે. એક કલાકારને ચાલુ ડાયરા વચ્ચે ટકોર કરેલી કે "ભાઈ શબ્દ તો સમજીને બોલો." પણ ઈશ્વરની કૃપાથી મારી નાઅવ ડૂબી નહીં, અને બાપુએ જાણે કે પ્રમાણ પત્ર આપ્યું હોય તેમ મારી ભજનાવલી માં સુવર્ણ અક્ષરે જે બે શબ્દો લખી આપ્યા તે મારા માટે રાષ્ટ્ર પતી એવૉર્ડ થી પણ વધારે કિંમતી હતા, જેને મેં મારી રીતે સજાવી ને મારા બેઠક ખંડમાં રાખ્યા છે, બાપુ ના પૂર્વાશ્રમ ના પુત્ર હરેશભાઇએ એ જોઈને કહેલું કે "મેં ઘણી જગ્યાએ બાપુની ઘણી બધી યાદગાર વસ્તુઓ સાંચવીને રાખી હોય તે જોયું છે, પણ બાપુના સ્વ હસ્તે લખેલી આ યાદ તે સર્વમાં મને અનન્ય લાગે છે." જે અહીં આપની સમક્ષ રજૂ કર્યા છે.

બાપુ એક પછી એક મારી રચનાઓ સાંભળતા ગયા અને દાદ આપતા ગયા, બાપુના ડાયરામાં આપે જે હાર્મોનિયમ બાપુના હાથે વાગતું જોયું/સાંભળ્યું  હશે તેના પર ગાવાની જે મજા મને આવી તેનું વર્ણન થઈ શકે તેમ ન હતું, હા તબલા હાજર ન હતા, પણ જ્યારે બાપુ ભજન ગાવા લાગ્યા ત્યારે મેં ત્યાં પડેલા ખાલી ડબલા લઈને સંગત કરી, અને એ પ્રોગ્રામ એવો જામ્યો કે જો ત્યારે તેનું રેકૉર્ડિંગ કર્યું હોત તો આજે બાપુ માટે જે લોકો આડું અવળું બોલતા તેમને ખ્યાલ આવત કે બાપુ કેટલા પ્રેમી હતા, પણ ગાયક કે વક્તાને જો યોગ્ય પ્રોત્સાહન ન મળે તો જરૂર તેનું દુખ થાય. અને આવાજ કોઇ પ્રસંગે બાપુ નારાજ થયા હોય અને કોઇ વિઘ્ન સંતોષીએ બાપુ વિષે આડી અવળી વાત ફેલાવી હોય તે બનવા જોગ છે.

આ હતી બાપુની રંગત/નિખાલસતા અને સાદાઈ.
સમય મળ્યે બાપુ વિષે વધારે વાતો અહિંથી લખતો રહીશ.
જય નારાયણ.   

Wednesday, May 14, 2014

મિત્રો પ. પુ. બ્રહ્મ લીન નારાયણ નંદ સરસ્વતીજી-નારાયણ બાપુ- વિષે મેં ઘણું લખ્યું છે અને ઘણા ઘણા લોકોએ તે વાંચીને પ્રતિભાવ પણ આપ્યા છે, પણ આજે ફરીથી રજૂ કરું છું, કારણ કે લંડન થી બાપુ ના એક ચાહકનો બે વખત ફોન આવી ગયો કે તેમનું ગ્રૂપ બાપુ વિષે મારા થકી લખાયેલ એક પ્રસંગ વાંચ્યા પછી વધારે જાણવા ખૂબજ ઉત્સુક છે, મેં તેમને મેં અગાઉ આજ જગ્યા પર લખેલા પ્રસંગો વિષે વાત કરી, પણ તેઓ તે મેળવવા માં અસમર્થ રહેતાં મને ફરીને લખવા બાપુ ના પ્રેમમાં લગ ભગ વિનંતી જેવા શબ્દો માં કહેતાં આજથી ફરી વાર બાપુ ના પ્રસંગો રજૂ કરું છું, જેમને વાંચ્યા હશે તેમને તાજાં થશે અને જેમને નહિ વાંચ્યા હોય તેમને જાણવા મળશે.                                                                                                


                                નારાયણ સ્વામી.

મારી પ્રથમ મુલાકાત


નારાયણ બાપુ સાથેની મારી પ્રથમ મુલાકાત ઘણા સમય પહેલાં ગાંધીધામમાં મોહન ધારશીભાઈએ બાપુના ભજનનો એક કાર્યક્રમ રાખેલો ત્યારે થઈ હતી.
મારા બનેવી સાહેબ શ્રી હરપાલસિંહજી ઝાલાનું મિત્રમંડળ વિશાળ, પ્રમાણમાં, ધનાઢ્ય અને સારા સંસ્કાર સાથો સાથ સારા કાર્યોમાં અગ્રેસર, આવા યોગ્ય લોકોના સહવાસમાં મને પણ રહેવાનો મોકો મળ્યો. પ.પૂ. મોરારી બાપુની પ્રથમ કથા ગાંધીધામમાં સ્વતંત્ર સેનાની  સ્વ. શ્રી કાંતીલાલ શુકલાના અથાગ પ્રયત્નોથી થયેલી, ત્યારથી ઘણા લોકોના જીવનમાં માની ન શકાય તેવા પરિવર્તનો આવેલા. આ બધા લોકોના કારણે મને પણ સારા સારા લોકો સાથે પરિચય થતો અને ઓસ્લો સોસાયટીમાં યોજાતી ગાંધીધામની એક પ્રતિષ્ઠિત નવદુર્ગા ચોકની ગરબીમાં પાંચ વર્ષ સુધી માનદ ગરબા ગાવાનો  મોકો પણ મળ્યો, અને સાથો સાથ નારાયણ બાપુના ભજન વખતે બાપુના મંચ પર બેસવાનો લાભ પણ પહેલી વાર મળ્યો.

ભજનના મધ્યાન્તર વેળાએ અહીંના પ્રતિષ્ઠિત અને જ્ઞાન ના ભંડાર સમા માનનીય શ્રી સ્વ.નારસંગજી અયાચીભાઇ નારાયણ બાપુને મળવા પધાર્યા. અયાચી પરીવાર સાથે મારા પિતાશ્રીના વખતથી ઘનિષ્ઠ પરિચય, તેથી શ્રી નારસંગજીભાઇએ  બાપુ સાથે મારો પરિચય આપતાં મારા પરિવારની પણ માન સહિત પ્રશંસા કરી અને હું ઈશ્વર કૃપાથી સારું ગાવા લાયક અવાજ પામ્યોછું એવી વાત પણ કરી. સારો અવાજ અને સારા પરીવાર અને સાથોસાથ શ્રી નારસંગભાઇની વાતથી પ્રેરાઇને બાપુએ મને બે ભજન બોલવા આગ્રહ કર્યો, પણ મેં બે હાથ જોડીને કહ્યું બાપુ મારી લાયકાત બીજા બધા કાર્યો માટે કદાચ ઠીક હશે પણ આપના મંચ પર ગાવા લાયક મારી પાસે કોઈ લાયકાત નથી, આપના મંચ પર બેસવા મળ્યું તે પણ મારા માટે અહોભાગ્યછે, બાકી હું આપના મંચપરથી ગાઈ ન શકું.

બાપુ બે ક્ષણ મારા સામે જોઈને મારા ખભે હાથ મુકીને બોલ્યા કે "વાહ દરબાર, ક્યારેક ભૂલથી જો કોઈને બોલવાનું કહેવાય જાય તો તેને બંધ કરાવવા માટે આયોજકોએ ભૂંગરા બંધ કરાવવા પડે, ભજન ગરબા ગાવ તોછો, પણ પચાવી પણ જાણ્યાછે તે બદલ ધન્યવાદ." આ શબ્દો બાપુના મુખથી સાંભળીને મને જાણે કરોડો ભજનાનંદીના આશીર્વાદ મળી ગયા.

બાપુને એક ચીડ હતી કે તમો ડાયરા કે ભજનના કાર્યક્રમમાં ગાતાહો તો તેના શબ્દો અને અર્થોનો પૂરે પૂરો ખ્યાલ રાખવો જોઈએ, એક વખત એક કલાકાર બાપુ સાથેજ ભજન ગાતા હતા, તેમાં તેણે ગાયું કે "શ્યામ વિના વ્રજ સૂના લાગે." બાપુએ કહ્યું ભાઈ, સૂના અને સૂનુ, બન્નેમાં તમને કંઈ ફરક નથી લાગતો? કેટલાં વ્રજ હતાં? ખાલી ગાવાથી રાગડા તાણી શકાય ગાયક ન બનાય, ભજન પ્રેમની વાણીછે તેને કોઈ બંધન નડતા નથી પણ તમે જાહેરમાં ગાતા હો અને તમારી જાતને કલાકાર સમજતા હો તો બધો અભ્યાસ કરવો પડે, સૌથી પહેલાં તમે શું ગાવાનાછો/ કેની રચનાછે/કવિની ભાવના શુંછે? શું કહેવા માંગેછે? ભજનમાં પ્રાસ મેળ કેવો જાળવ્યોછે? તે બધું જાણ્યા પછી તમારી ગાયકીમાં ભાવ જાગે.
કાલે રાત્રે એક ડાયરાનો કાર્યક્રમ મેં ટી.વીમાં જોયો, એક સારી ડિગ્રી ધરાવનાર કલાકર(?)ગાતા હતા 
                          "થાળ ભરી નીકળી નંદ રાણી,      કંચન થાળ ભરાઈ.
                           લ્યો ભિક્ષા જોગી જાવ આસન પર, મેરો બાલક ડરાયો." 
હવે જો આ મહાન કલાકાર બાપુ સાથે હોત તો જરૂર કંઈક શીખ મળત બાકી અત્યારેતો હવે બહુ ઓછા કલાકારો આવું ધ્યાન રાખેછે. અહીં ભરાઈ ને બદલે ભરાયો હોવું જોઈએં. બાકી અત્યારેતો અનેક જાતના નખરા કરે,લટકા કરે, ભૂવા ધુણાવે અને લોકોને અનેક જાતની શિખામણ આપે, પણ પોતા ના ચારિત્ર વિષે ધ્યાન ન આપે. અરે એક વખત મેં સમાચાર પત્રમાં વાંચેલુ કે કોઈ જગ્યાએ એક કાર્યક્રમ રાખેલો જેમાં જે રકમ ઘોળ દ્વારા આવે તે ગાયોના ચારા માટે વાપરવાની હતી, ત્યાં અમુક કલાકાર એ રૂપિયા છુપાવીને ચોરતા પકડાયેલા, પરાકાષ્ઠા તો ત્યારે હતી કે જ્યારે મહિલા કલાકારો તેમના undergarment માં રૂપિયાની થોકડીઓ છુપાવીને લઈ જવા માંગતી હતી જેને મહિલા કાર્યકરોએ પકડેલી. આવા કલાકારો..હાજી આ પણ એક કલાજ છેને?..હોય ત્યાં ભજનનો ભાવ કેમ જાગે?
બાપુએ એક જગ્યાએ પ્રોગ્રામ શરુ કરતી વખતે કહેલું કે આજેતો કોયલ બોલાવવીછે, અને ખરેખર જ્યારે જમાવટ થઈ ત્યારે કોયલ બોલવા લાગી જે રેકર્ડિંગમાં પણ સાફ સાફ સંભળાયછે. 

નારાયણ બાપુને એકવાર ખ્યાતનામ સંગીતકાર કલ્યાણજી આણંદજી ભાઈ માંહેનાં કલ્યાણજીભાઇ સાથે ભારતની કોકિલ કંઠી લત્તા મંગેશકરને પણ મળવાનું થયેલું, એ પ્રસંગ અને એવા બીજા પ્રસંગો ફરી ક્યારેક લખીશ.
જય નારાયણ.
ફોટો-ગુગલ ના સહયોગ થી.

Monday, May 12, 2014

         શું સમજાવું ?


પ્રભુ તને શું સમજાવું મારા તાત
નાના મુખથી કરવી પડે મારે, મોટી મોટી વાત...

સૃષ્ટિ કેરું સર્જન કરીને, સજાવ્યા સુર્ય ને ચાંદ
જલચર સ્થલચર નભચર રચ્યા તેં, ઉત્તમ માનવ જાત..

તું સમજ્યો’તો માનવ મારી, સેવા કરે દિન રાત
મન નો મેલો કામ નો કુળો, શું કરે સુખરાત..

મંદિર આવે શીશ નમાવે, જાણે નહીં તું એની જાત
કાળા નાણાનો ભોગ ધરાવે, મોટી દેશે તને માત..

તું છે ભોળો જો પાથરે ખોળો તો આપી દે જર જવેરાત
સમજી ના લે સૌને સેવક, નથી કહેવા જેવી વાત..

મેં બનાવ્યો શું મને બનાવે, હું સમજુ સૌની ઓકાત
મુખથી ભલેને મીઠું બોલે, હૂંતો સમજુ મનની વાત..

એક અરજી સાંભળ હરજી, દીન "કેદાર" ની વાત
તુજ માં મુજને લીન કરીને, તારી દેજે મને તાત...

Friday, May 9, 2014

                  ઝૂંપડીએ જંગ


ઝૂંપડીએ જંગ લાગ્યો, જીવડા તારી....

કાયાને કદી કાટ ન લાગે આતો, અકળ અચંબો આવ્યો
ઘાસ ફૂસ જેવું ભાતું ભર્યું તેં, દેહમાં દવ છે લગાવ્યો...

દેવો ને પણ દુર્લભ એવો, મનખો માનવનો લાધ્યો
પરખી શક્યો નહીં પ્રભુની કૃપાને, મોહ માયા વશ ભાગ્યો...

ભૂધર કેરી ભક્તિ કરી નહીં, સમરણ સ્વાદ ન ચાખ્યો
કામ ક્રોધ મદ મોહ તજ્યા નહીં, મારગ અવળે રાચ્યો...

વાગ્યા જ્યારે ગેબી નગારાં, અવસર અંતનો ભાસ્યો
યમ દૂતો જ્યારે દ્વારે દરશાયા ત્યારે, ભય ભયંકર લાગ્યો..

ગજને બચાવ્યો ગરુડ ચડીને, ગણિકા પોપટ પાઠ્યો  
ટિટોડી ના ઈંડા ઉગાર્યા, " કેદાર " ભરોંસો કેમ ના’વ્યો...
 
  સાર;-આપણા શાસ્ત્રો મુજબ જીવ ચોરાસી લાખ યોનિમાં ભટકી ભટકીને અંતે મોક્ષ પામવાનું છેલ્લું દ્વાર માનવ શરીર પામેછે. માનવ દેહ દેવોને પણ દુર્લભ છે એમ કહેવામાં આવે છે, અનેક ઉપકારો પછી જીવને માનવ દેહ મળે છે, પણ જીવ જન્મ પછી એ બધું યાદ રાખી શકતો ન હોઇને ક્યારેક અવળા રસ્તે ચાલવા લાગે છે.

હાડ ચામની બનેલી કાયાને ક’દિ કાટ ન લાગે પણ અહીં કલ્પના કરવામાં આવી છે કે આ કેવો અચંબો છે કે ઈશ્વરે આ જીવને મંદીર સમાન માનવ દેહ આપ્યો કે જેમાં વસવાટ કરીને જીવ સત કર્મો કરે તો શિવત્વ પામી શકેછે.પણ તેં અકર્મો કરીને ઘાસ ફૂસ જેવો કચરો કાયામાં ભરીને કાયાને એવી ભ્રષ્ટ કરીછે કે તેમાં જાણે કાટ લાગવા માંડ્યો છે.
તને આ અમૂલ્ય અવસર સંસાર સાગરને પાર કરવા માટે આપેલો પણ તેં એ મોકો ગુમાવી દીધો અને અવળા રસ્તે ચાલ્યો. પણ જ્યારે ઉમર થવા લાગી, દર્દોએ ઘેરો ઘાલ્યો અને મૃત્યુ નજીક દેખાવા લાગ્યું ત્યારે હવે ડર લાગવા માંડ્યો.
હે જીવ હાથીની છેલ્લી ઘડીની એકજ પોકાર કે પોપટને રામ નામ પઢાવતી ગણિકા અગરતો યુદ્ધના મેદાનમાં પડેલા ટિટોડીના ઈંડાને ઉગારનાર હજાર હાથ વાળો હજાર હાથે રખેવાળી કરે છે પણ છતાં તને ભરોંસો કેમ ન અવ્યો?
જો જીવ એક ક્ષણ પણ અંતરના ઊંડાણથી આર્તનાદ સાથે ઉપર વાળાને ભજે તો તે ક્યારેય સહાય કરવાનું ચૂકતો નથી.
જય નારાયણ.
ફોટો-ગુગલ ના સહયોગ થી

Thursday, May 8, 2014

એવા મંદિરે નથી જાવું.

                  એવા મંદિરે નથી જાવું.


સાખી_ પ્રેમ વશ ભાજી જમે, સુલભા સ્નેહ ને કાજ
        દુર્યોધનના ભોગ તજી, છાલ જમે રસ રાજ
           
        સ્નેહ કાજ તાંદુલ જમે, પગ ધોવે વ્રજરાજ
        પટરાણી ઢોળે વીંજણો, નહીં મોટપ કે લાજ..     
            
પૂજારી મારે એવા મંદિરે નથી જાવું.
ભાવે ભજન કરી પ્રેમે પલાળે એના, અણમોલ આંસુડે નહાવું રે પૂજારી મારે...  

અરબો ને ખરબો કાળા નાણાનું જ્યાં, વરવું રૂપ પથરાતું.
સોના સિંહાસનમાં હીરા જડાવે એમાં, અઢળક ધન ઉભરાતું રે પૂજારી મારે......

અમૂલખ કારમાં આવી અભડાવે મને, કાળું ને ધોળું ત્યાં કરાતું
મોટા મહંત બની ભરે ખજાના એવા, પાખંડીને હાથે ના પૂજાવું રે પૂજારી મારે......

હરી ભક્તોને મારે હડસેલા, બગલા ભગતને બોલાવે
ધૂપને દીપના કરી ધુમાડા મારો, નાહક શ્વાસ છે રૂંધાવેરે પૂજારી મારે.....

છપ્પન ભાતના ભોજન ધરાવે કે, મોંઘાં વાઘા ના વીંટળાવું
ટાઢે ઠૂઠવતાને ઓઢાડે ગોદડી, એવા દાનીને ઘરે જાવુંરે પૂજારી મારે...
                                                           એવાને આંગણે જાવું... 
ભૂખ્યા દુખિયાને જ્યાં મળી રહે રોટલો, એની ઝોંપડીએ જાવું
મળે મફતમાં સેવા ગરીબને,  એવા ઉપચાર ખંડ આવું રે પૂજારી મારે...
                          
દિલથી નાનો એવો દીવડો પ્રગટાવે, હેતે ભજન જ્યાં ગવાતું
ખોરડે ખૂણામાં મારો ફોટો પધરાવીને, આખું ઘર એકઠું થાતું રે પૂજારી મારે 

" કેદાર " કનૈયો એમ કપટે મળે નહીં,  હેતે હરી ગીત ગાવું
પ્રેમને વશ થઈ પ્રભુજી પધારે માટે, ભાવ વિભોર બની જાવું રે પૂજારી મારે...

 સાર- મારા ગુરુ સમાન કવી દાદ ની એક રચનાછે, "ઠાકોરજી નથી થાવું". એવાજ કોઈ વિચાર સાથે મને આ રચના સ્ફુરતાં અહીં રજૂ કરુંછું.
આજ કાલ આપણે સમાચારો કે ટી વી પર મોટા મોટા મંદિરો બનતા હોય તેના પ્રચાર થતા રહેતા હોય તેમ ખબરો આવતી રહેછે, ત્યારે મને વિચાર આવે કે શું ભગવાન આવા આલીશાન મંદિરોમાં રહેવાનું વધારે પસંદ કરતો હશે કે પછી જ્યાં ભાવ સાથે ભજન થતું હોય કે સાદાઈથી પૂજા થતી હોય ત્યાં વસવાનું વધારે પસંદ કરતો હશે?. ઈશ્વરને ધન દોલત કે વૈભવ લોભાવી શકતો નથી, ફક્ત પ્રેમ પ્રેમ અને પ્રેમજ ઈશ્વરને પામવાનો માર્ગછે, દુર્યોધન એક શક્તિશાળી અને વૈભવી  અને ધનાઢ્ય હોવા છતાં ભગવાન શ્રી દ્વારકાધીશ એક બિલકુલ સામાન્ય એવા વિદુરના ધરે તાંદળજાની ભાજી અને સુલભા ના પ્રેમ વશ છોતરાં જમવા પધારેલા જે સર્વ વિદિત છે. તેથી મને લાગે કે....

આપણા શાસ્ત્રો મુજબ ભારતમાં ચાર ધામ, દ્વાદશ જ્યોતિર્લિંગ, શક્તિ પીઠ જેવા સ્થાનો એટલે બાકીના દરેક ધાર્મિક સ્થાનોમાં ઉચ્ચતમ સ્થાન. આ મંદિરોની તોલે બીજા કોઈ પણ સ્થાને ઈશ્વરીય શક્તિ નું ઐશ્વર્ય વધારે હોઈ ન શકે એમ મારું માનવું છે. માટે જ્યારે જ્યારે ધનાઢ્ય લોકો કે કોઈ સંસ્થા બીજા કોઈ મંદિરમાં ધન ખર્ચવા ઇચ્છા કરે ત્યારે મારા મતે તેમણે આવા નિર્વિવાદ ધાર્મિક અને પૌરાણિક મંદિરો માં ખર્ચ કરીને ત્યાંની વ્યવસ્થામાં વધારો કરવો જોઇએં. કેદારનાથ માં આવેલા ભયંકર પૂરે ત્યાંની ચમત્કારિતા મંદિર ને બચાવીને સાબિત કરી છે, આવા સ્થળોમાં લોકો નો વિશ્વાસ અને આસ્થા ચરમ સીમા પર હોય છે, તેથી લોકો ત્યાં શ્રદ્ધા સાથે જાય છે, ત્યાં ખર્ચેલા નાણા સો એ સો ટકા ઈશ્વરના ચોપડે જમા થાય છે, જ્યારે વૈભવ અને મહાનતા બતાવતા મંદિરોમાં ખર્ચેલા નાણા ઐશ્વર્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે ઈશ્વર પર નહિ, મારા મતે તે ધર્મના નામે વ્યય છે. લોકો ત્યાં યાત્રા ને બદલે પર્યટન માટે જતા હોય એવું વધારે લાગે છે. પણ આજ કાલ ભવ્યાતી ભવ્ય મંદિરો નિર્માણ પામે છે ત્યારે ઈશ્વર ક્યાં વસવાટ કરતો હશે? જેની મેં કલ્પના કરીછે કે તે પૂજારીને શું કહેતો હશે ?.

હે પૂજારી મોટા મોટા મહેલો જેવા ભવ્ય મંદિર બનાવી, મૂલ્યવાન હીરા જડિત સોના ના સિંહાસન પર અમૂલ્ય મુકુટ પહેરાવે, મને કિંમતી આભૂષણ પહેરાવે કે કોઈ પણ રીતે લક્ષ્મીજીનું અપમાન થાય તેવું વર્તન થતું હોય ત્યાં મને કેમ ફાવે?
પાછાં એ મંદિરના કહેવાતા મારા સેવકો, પૂજારી, કે ટ્રસ્ટીઓ કીમતી ગાડીઓમાં આવીને મારા પૂજનના બહાને મારી સમક્ષ કાળા ધોળા કર્મો કરતા હોય, અને મંદિરમાં મારા નામે ધરાતા ધનને કોઈ પણ રીતે ઘર ભેગું કરતા હોય એવા પાખંડી ના હાથે મારે પૂજાવું નથી, પણ ભૂખ્યા લોકોને જ્યાં અન્ન મળતું હોય, કોઈ ગરીબ ઠંડીમાં ઠૂઠવાતો હોય તેને ઓઢવાનું અપાતું હોય કે કોઈ દવાખાનામાં ગરીબને પ્રેમથી મફતમાં સારવાર મળતી હોય, ભલે નાની એવી ઝૂંપડીમાં રહેતો હોય અને એક ખૂણામાં મારો ફોટો પધરાવીને આખું ઘર એકઠું મળીને ( આખું ઘર ત્યાંજ એકઠું થઈ શકે જ્યાં સંપ હોય. ) ભાવથી મારા ભજન કરતા હોય, એવા લોકોને હું સ્વયં ગોતીને ત્યાં પહોંચી ને આનંદ પામું છું. એવા લોકોના આમંત્રણની હું પ્રતીક્ષા નથી કરતો, હું ત્યાં દોડતો પહોંચુ છુ.
માટે કોઈ પણ કપટ વિના ભાવ સહિત ભજન કરો, હરી દોડતો આવશે.
જય શ્રી રામ.  
ફોટો-ગુગલ ના સહયોગ થી

Wednesday, May 7, 2014

    કન્યા વિદાય ની વેળા.


એક દિવસ સુંદર સરિતાસી, આવી ગૂડિયા હસતી રમતી
જીવન મારું ધન્ય થયું જાણે,   ઊઠી આનંદની ભરતી
હરખે હૈયું ચડ્યું હિલોળે,    આનંદ અનહદ રહે
પણ-વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૧

પા પા પગલી ભરતાં ભરતાં,   દોડવા લાગી દ્વારે
ખબર પડી નહીં હરખ હરખમાં, યૌવન આવ્યું ક્યારે
પડી ફાળ અંતરમાં એકદિ,   માંગું આવ્યું કોઈ કહે
વહાલ કેરો દરિયો આજે,      નિજ ઘર વાટે વહે...ટેક..૨

આવ્યો એક બાંકો નર બંકો, સજી ધજી માંડવડે
ઝાલ્યો હાથ જીવનભર માટે,  ફર્યા ફેરા સજોડે
ચોર્યું રતન ભલે હતાં હજારો, કોઈ કશું ના કહે
વહાલ કેરો દરિયો આજે,  નિજ ઘર વાટે વહે...ટેક..૩
   
ઘરથી નીકળી ઘૂંઘટ તાણી, પર ઘર કરવા વહાલું
જ્યાં વિતાવી અણમોલ જવાની, સૌને લાગ્યું ઠાલું
અનહદ વેદના છતાં ઉમંગે, વળાવવા સૌ ચહે,
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૪

સખીઓ જોતી સજ્જડ નેત્રે,  કેમ કર્યા મોં અવળાં
ચંચળતા જ્યાં હરદમ રહેતી, ગાંભીર્ય ન દેવું કળવા
જો ભાળે તાત મુજ આંસુ,   હૈયું હાથ ન રહે
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૫

આશા એકજ ઉજળા કરજે,     ખોરડાં ખમતીધર ના
આંચ ન આવે ઇજ્જત પર કદી, મહેણાં મળે નહીં પરના 
" કેદાર " કામના ઈશ્વર પાસે, તેને દુખ ન દ્વારે રહે
વહાલ કેરો દરિયો આજે,   નિજ ઘર વાટે વહે...ટેક..૬

સાર-
૧-ઈશ્વરે દયા કરીને મારા ઘરે સુંદર પુત્રી રત્ન આપીને મને ધન્ય ધન્ય કરી દીધો, જાણે મને નવું બચપણ મળ્યું હોય તેમ આ રમકડું રમવા મળતાં હું ઘેલો ઘેલો થઈ ગયો, મારુંતો જાણે જીવનજ બદલાઈ ગયું, બસ ભગવાનના આ વરદાનને રમાડતાં રમાડતાં સમયનું ભાનજ રહેતું નહીં.

૨-નાની એવી ઢીંગલી પડતાં આખળતાં ચલતા શીખી, અને ધીરે ધીરે આંગણામાં અને પછી ત્યાંથી આજુ બાજુ સખીઓ ની સાથે રમતાં રમતાં મોટી થવા લાગી, જેનો મનેતો ખ્યાલજ ન આવ્યો. મારા માટેતો હજુ એજ ઢીંગલી હતી, ત્યાં અચાનક એક સમાચાર મારા મનને એવું હચમચાવી ગયા કે રડવું કે હસવું તે સમઝમાં ન આવ્યું, મારા એક સ્નેહી તરફથી મારી ઢીંગલીની માગણી કરવામાં આવી, કોઈ બાળકનું પ્રિય રમકડું છીનવી લેવામાં આવતું હોય અને જે લાગણી એ બાળક ના મનમાં થાય તેવીજ લાગણી ત્યારે મને પણ થઈ, પણ હું પણ કોઈની લાડકવાઇ ને મારે ઘેર લાવ્યો છું તો મારે પણ મારી લાડકવાઈ ને આપવી પડેને?    

૩-એક બાંકો નવજવાન ઘોડાપર બેસીને આવ્યો અને હજ્જારો લોકોની હાજરીમાં મારું અણમોલ રતન મારાથી લગભગ છીનવીને જતો રહ્યો, આટ આટલા સગા સંબંધીઓ મારા ઘરમાંથી થતી આ ઘરેણાની ઉચાપત જોતારહ્યા, કોઈએ રોકવાની જરાએ કોશિશ ન કરી.

૪-જ્યારે આ દીકરી ઘૂંઘટ તાણીને જ્યાં પોતાનું બચપણ મુગ્ધા અવસ્થા તેમજ યૌવન વિતાવ્યું હતું તે ઘરથી સાસરી તરફ જવા નીકળી ત્યારે ઘરનાતો ઘરના પણ અડોશી પડોશિ ને પણ તેની ખોટ જાણે આજથીજ વર્તાવા લાગી, પણ આતો એક અનિવાર્ય પ્રસંગ હતો તેમ સમજીને ભારે હૈયે અને સાથો સાથ ઉમંગ સાથે વળાવવા માટે ઊમટી પડ્યા. 

૫-મોટા ભાગે બધી દીકરીઓ જ્યારે સાસરે જવા વિદાય લેતી હોય ત્યારે બધાને ભેટી ભેટી ને મળતી હોયછે, અને એમાં પણ સાહેલીઓને તો ખાસ મળતી હોય છે પણ આ દીકરી જાણે બધાથી મોં છુપાવતી હતી, ત્યારે સખીઓએ કારણ પુછું તો કહે કે જ્યાં હંમેશાં મારા મુખપર ચંચળતા રહેતી હતી  પણ આજે બધાને છોડી જવાનો રંજ છે, આંસુ છે, અને એક નવું પાત્ર ભજવવાનું છે. જેનું ગાંભીર્ય છે, મારા પિતાએ કોઈ દિવસ મારા મુખ પર આવો ભાવ જોયો નથી, જો તેઓ મને આ ભાવ સાથે જોવે તો તેઓ સહન ન કરી શકે તેથી હું મુખ છુપાવી રહીછું. 

૬-પણ બાપની તો એકજ શિખામણ હોય, કે બેટા મોટા ઘરે જાશ, આબરૂદાર ખાનદાન છે, કોઇ એવું કામ ભૂલે ચૂકે પણ ન કરજે કે જેથી કોઈ મેણું મારી જાય. બસ ઈશ્વર પાસે એકજ અરજ છે કે મારી લાડલીના દ્વારની આસ પાસ પણ કોઈ દુખ ડોકાય નહીં. 

Tuesday, May 6, 2014

                             આજીજી


ઢાળ:- પ્રભુ તારા ચરણોમાં અમને તું લેજે- જેવો

જેવો ઘડ્યો છે મુજને એવોજ છું હું દાતા, કરૂં કર્મ સઘળા જે લખિયા વિધાતા.

ન જાણું હું મંત્રો ન શ્લોકો ની સમજણ, ન કીધાં કદી કોઈ યજ્ઞો પારાયણ
જે બોલું હું મુખથી તે મંત્રો ગણી લેજો,   અજ્ઞાની મને જાણી સ્વીકારો જગતાતા..

કર્યા હોય પાપો થોડા ગુણલા પણ ગાયા, ભજ્યાં થોડા ભૂધર ઘણી વળગી છે માયા
રહે અંત વેળા તુજ રટણા મન અંદર,   મીઠી નજરૂં ની વૃષ્ટિ વરસાવો ભગવંતા..   

કરૂં પ્રાર્થના નિત દિલથી તમારી,   સુણો વિશ્વ કરતા આ અરજી અમારી
આપો અધિક સુખ ભક્તિનું ભગવન્,  વિનવું સદા નાથ તમને ઓ તાતા...

કરૂં સર્વે કર્મો ડરીને તમોથી,   ન હો ખોટું કદીયે ન તન થી કે મન થી
રહે ચિતડું તુજ શરણે ઓ સ્વામી, વહે શ્વાસે શ્વાસે તુજ સ્તવનો ઓ દાતા..

કરૂં ગાન ત્યારે મન તારામાં  લાગે, માયામાં મોહી ના જ્યાં ત્યાં કદી ભાગે   
છે " કેદાર " કેરી એક વિનતિ વન માળી,  સ્વીકારો દીન જાણી આ અરજી ઓ દાતા..   

સાર:- હે ભગવન, આપે મને જેવો બનાવીને આ જગતમાં મોકલ્યો છે, અને વિધાતાએ જેવા મારા લેખ લખ્યા છે, એવાજ કર્મો હું કરૂં છું, મંત્રોની કે શ્લોકો ની સમજણ કે યજ્ઞ યાગ જાણતો નથી, માટે જે કાલા વાલા કરૂં તેજ મંત્રો ગણી લેજો.
પ્રભુ આ સંસારની માયા મને વળગી છે, તેથી મેં જાણ્યે અજાણ્યે પાપો કિધા હશે, પણ તારી થોડી વંદના કે પ્રાર્થના ભજનો ગાઈને કરી છે તે તો તને ખબર જ છે, મેં એક જગ્યાએ સાંભળેલું કે એક બાળક સ્કૂલે જતાં પહેલાં તારા મંદિરમાં આવતો અને આવીને આખી બારાક્ષરી દરરોજ બોલી જતો, એજ સમયે એક ભક્ત પણ આવતા અને પ્રાર્થના મંત્રો બોલતા, દર રોજ નો આ ક્રમ, એક દિવસ પેલા ભક્તે એ બાળક ને પુછ્યું "કે બેટા, તું દર રોજ આવીને આખી બારાક્ષરી ભગવાન સામે બોલેછે તો શું તને યાદ રહે તે માટે ભગવાન પાંસે બોલેછે કે પછી કંઈ અલગ ઇરાદાથી બોલેછે ?" ત્યારે પેલા બાળકે જવાબ આપ્યો કે હું ભગવાન પાંસે પ્રાર્થના મંત્રો કે ભજન ગાવા આવુંછું, પણ મને કંઈ આવડતું નથી, પણ ભગવાનને તો બધુંજ આવડે, અને મારા ગુરુજી કહેછે કે જે કંઈ સારા ખરાબ શબ્દો છે તે બધાજ આ બારાક્ષરીમાં છે તેનાથી બહાર કોઈ શબ્દ નથી, તેથી હું ભગવાન પાસે આખી બારાક્ષરી બોલીને છેલ્લે વિનંતી કરુછું કે આપને જે યોગ્ય લાગે તે શબ્દો આ બારાક્ષરીમાંથી ગોઠવી લેજો. 
પણ પ્રભુ આપેતો મને થોડી શબ્દોની સમજ આપીછે તેથી હૂંતો એ પણ કહી શકું તેમ નથી, તેથી મારી બુદ્ધિ પ્રમાણે મેં લખ્યું છે, જે સ્વીકારીને બસ મારા અંત કાળે તારી આ વંદના મારા મુખમાં રહે એવી અમી દ્ગષ્ટિ મારા પર રાખજે, અને તારી આ વંદના નું સુખ સદા મારા પર રહે એવી દયા કરજે.
હે ઈશ્વર હું કોઈ ખોટું કાર્ય ન કરૂં અને સદાએ સત કર્મો કરતો રહું, શ્વાસે શ્વાસ માં તારાજ નામનો અવિરત પ્રવાહ વહેતો રહે, મારૂં મન આ સંસાર ની માયામાં મોહે નહીં અને સદા તારા ચરણોમાં વળગેલું રહે એજ અભ્યર્થના. 
જય માતાજી.
ફોટો- ગુગલના સહયોગ થી.

Monday, May 5, 2014

                      પ્રાર્થના


ઢાળ:-મારો હાથ જાલી ને લઈ જશે..જેવો

મને આપજે મહેતલ પ્રભુ, સંસાર માં થોડા શ્વાસ ની
કરી ને હજુ કર તવ ભણી, આરાધના કરૂં આપ ની...

આવી ને યમ દળ આંગણે, ઓઢાડે દર્દો ની ઓઢણી
સમજાવે સઘળું સાન માં,  સેવા કરી શિ શ્યામ ની...

મને ડર નથી કંઈ મોત નો, પણ બીક છે યમરાજ ની
પકડી ને મુજ ને પૂછશે,   રટણા કરી શિ રામ ની...

જો તું રાખ આશા અમ કને, સદા પ્રાર્થીએ પ્રભુ આપને
તો સંભાળ રાખો શામળા, તારા ભક્ત ના સૌ ભાર ની..

સદા સ્મરણ હો સરકાર નું, એ છે અરજ એક " કેદાર " ની
બસ એટલી છે અભ્યર્થના,    કરૂં પ્રાર્થના પ્રભુ આપની...

Sunday, May 4, 2014

"હું" કાર

                "હું" કાર


ઢાળ-તું રંગાઈ જાને રંગ માં જેવો.

સાખી
વાયુ અગન આકાશ ને માટી ચપટી ચાર
બિંદુ જળ થી તું બન્યો, આમાં ક્યાં "હું" નો વિસ્તાર..

શાને ધરે   તું ધન નો,
ખબર નથી ક્યારે ખોળિયું પડશે,  નાશ થશે તુજ તન નો..

અવિનાશી ની અધિક કૃપા થી,  માનવ દેહ મળ્યો છે તને..
આવ્યાં જેને જેને યમના તેડા,  જઈ ભભૂત માં ભળ્યો છે..
હિસાબ દેવો પડશે ત્યારે,   સારા નરસા કરમ નો......શાને..

કોઈ ને ચિત્તા મળે ચંદન ની,  કોઈ બળે બાવળીએ..
જાવું અંતે અંગ ઉઘાડે,  જણ્યો જેવો માવડીએ
સગા સ્નેહી સૌ સંગે ચાલે પણ, નાતો દેહ દહન નો..શાને..

માટે-શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, હરદમ જાપ હરિ નો..
સમય પારખ પામર પ્રાણી,  નહિ વિશ્વાસ ઘડી નો..
છોડ કપટ કિરતાર ભજીલે, રાખીલે નાતો નમન નો..શાને..

અવસર જો આ ગયો હાથથી, મૂલ ચુકાવવા પડશે  એના..
જનમ જનમ ના ફેરા માં જીવ, જઈ ચકડોળે ચડશે..
" કેદાર "કરીલે પૂજા એવી,    પ્રેમ રહે પ્રીતમ  નો....

સાર:-જો આ શરીર વાયુ/અજ્ઞિ/અવકાશ અને માટી તેમજ જળમાંથી બનેલું છે. તો પછી આમાં "હું" ક્યાં છે? અને એ પણ ખબર નથી કે આ નશ્વર શરીર ક્યારે માટીમાં મળી જશે? આતો ઉપર વાળએ મહેરબાની કરીને ભજન કરવા માટે માનવ શરીર આપ્યું છે, જેવા કર્મો કરશો તેવું પામશો, કોઈ કોઈ ખોળિયું ચંદનના લાકડાથી ધૂપ દીપ ના ભપકા અને હજારો લોકોની ભીડ સાથે શ્મશાન યાત્રા માં જઈને બળેછે, તો કોઈ જ્યાં ત્યાં બાવળના ઠૂંઠા માં એકલ દોકલ ની હાજરીમાં બાળી નાંખવામાં આવેછે.

"હું કરૂં હું કરૂં એજ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે" ઘણા લોકોને આવો વહેમ હોયછે કે જો હું ન હોત તો આ કાર્ય થાતજ નહીં, પણ આ પામર જીવને ખબર નથી કે શ્રી રામ અને શ્રી કૃષ્ણ જેવા જતા રહ્યા તો પણ આ સંસાર ચાલે છે. રાવણ મહા વિદ્વાન, શિવજીનો અનન્ય ભક્ત, શાસ્ત્રોનો જ્ઞાતા, વેદોનો જાણકાર, એક સમય એવો આવ્યો કે ભગવાન મહાદેવ શિવજી કૈલાસ પર બિરાજમાન હતા તો પણ તેણે મહાદેવ સહિત કૈલાસ પર્વત ઉઠાવી લીધેલો. પણ એક અભિમાન રાવણને ભારે પડ્યું અને લંકા જેવી સુવર્ણ નગરી છોડવી પડી અને તેનું પતન થયું. 
{ આમતો જોકે આ બધી લીલા એવી છે કે શું લખવું તે જ સમસ્યા છે, કારણ કે જય અને વિજય નામના બે ભગવાનના પાર્ષદ-હજૂરિયા-દરવાન પોતાની ફરજ બજાવતા હતા, ત્યારે સનકાદિક [બ્રહ્મદેવના ચાર માનસ પુત્રો ] ભગવાનના દર્શને પાધાર્યા, ફરજ પરસ્ત જય અને વિજયે તેમને રોક્યા તેથી ગુસ્સે થઈને સનકાદિકે તેમને શ્રાપ આપ્યો કે જાવ મૃત્યુ લોકમાં રાક્ષસ યોનિમાં સાત જન્મ માટે પડો, જય વિજય ભગવાનના ચરણોમાં પડીને કરગરવા લગ્યા કેનાથ, અમારો શો ગુનો? અમેતો અમારી ફરજ બજાવી, ખૂબ આજીજી કરી ત્યારે ભગવાને કહ્યું કે તમારી વાત સાચી છે, પણ સનકાદિક નો શાપ અફળ તો નજ રહે, પણ હું તમને વચન આપુછું કે જો મને પ્રેમ ભાવે ભજશો તો સાત જન્મે પાર થશો અને જો વેર ભાવે ભજશો તો ત્રણ જન્મે પાર થશો. તેથી ભગવાન શિવનો મહાન ભક્ત હોવા છતાં રાવણ ભગવાનને વેર ભાવે ભજવા લાગ્યો, તેના ફળ સ્વરૂપ તેનું પતન [પતન કે મોક્ષ?]થયું. }

આ બધી ઈશ્વરની લીલાને સમજવી અઘરી છે, બસ હરિ નામ ભજ્યાકરો, ભજન કરો. સાચા રસ્તે ધન વાપરો, આજે કેદારનાથમાં સહાયની ખૂબ જરૂર છે, પણ ત્યાંએ ઘણા રાક્ષસો હસે અને તોજ આવા કપરા સમયમાં પણ ત્યાંની ધર્માદા પેટી લૂંટાઈ હોય. નામ કમાવા માટે દાન ન કરો, મોટા મોટા મંદિરો બાંધીને ભગવાનને એ.સી.માં બિરાજમાન કરવા કરતાં સાચેજ જે ભૂખ્યા છે તેને ભોજન આપો, પેટ ભારાને જમાડવાથી આર્થિક નુકશાન થાય પણ ફાયદો તો નજ થાય.

જય ભગવાન.

Friday, May 2, 2014

               કાલ કોણે દીઠી છે ?


કરીલે આજ ની વાત, જોજે ન કાલની વાટ
                           કાલ કોણે દીઠી છે...

લખ ચોરાશી પાર ઊતરવા,  અવસર આવ્યો આજ
કૃપા કરી કરૂણાકરે આપી,   મોંઘી માનવ જાત...
         
જીવડો જાણે હું મોજું કરી લવ,પછી ભજન ની વાત
અધવચ્ચે આવી અટવાતો, ખાતો યમ ની લાત...

પિતા પ્રભુના એ કાલ પર રાખી, રામના રાજ્ય ની વાત
ચૌદ વરસ માં કૈંક કપાણા,  કૈકે ખાધી મહાત...

કાલ ન કરતાં આજ ભજીલે, બાજી છે તારે હાથ
ખબર નથી ક્યારે ખોળિયું પડશે, કોણ દિવસ કઈ રાત..

આ સંસાર અસાર છે જીવડા, સાચો જગનો તાત
ભવ સાગર નું ભાતું ભરી લે, ભજીલે તજી ઉત્પાત...

દીન" કેદાર "નો દીન દયાળુ, કરે કૃપા જો કિરતાર
એક પલક માં પાર ઉતારે, વસમી ન લાગે વાટ.. 

                  કુદરત નો ખેલ


કુદરત નો ખેલ ન્યારો, એનો જોટો ન કંઈ જડે છે
હાથી ને દેતો હારો,    કોઈ માનવ ભૂખે મરે છે...

મૃગ જળ બતાવી વગડે,   હંફાવી દે હરણ ને
તરસ્યા ને પણ કદી’ક તો,  વીરડા રણે મળે છે...

પરણે બધા એ તેને,   પત્ની મળે જીવન માં
પણ હોય ભાગ્યશાળી,  અર્ધાંગિની મળે છે...

અઢળક અપાવી કોઈ ને,   સંતાપે રોગ આપી
પણ કોઈ ભૂખ્યા ગરીબ ને,  સંતોષ ધન મળે છે..

આતો કરુણા કરી અનેરી,  આપ્યું અધિક છે મુજ ને
નહિતર આ " કેદાર " માં,  એવી ભક્તિ ક્યાં કંઈ મળે છે...

સાર:-ઈશ્વરની લીલાને જાણવી લગ ભગ અશક્યજ છે, કારણ કે મોટા મોટા સંતો કે મહંતો સમજી નથી શક્યા તો આપણીતો શી વિસાત? હાથીને દરરોજ મણ મોઢે ખોરાકની જરૂર પડેછે, પણ સ્વતંત્ર રીતે ફરતા હાથીના ટોળે ટોળાને ભૂખમરો વેઠવો પડ્યો હોય એવું ભાગ્યેજ સાંભળ્યું હશે, હા, ઝૂ કે સરકસમાં જરૂર બનતું હશે કારણ કે ત્યાં માનવીએ ચંચુપાત કરી છે, પણ માનવીના એવા હજારો દાખલા જોવા મળેછે કે તે પોષણ ના અભાવના લીધે મૃત્યુ પામ્યા હોય.

જાનવરોની દુનિયામાં હરણને ભોળું ગણવામાં આવેછે, અને તેથી પ્રખર તાપ તપતો હોય ત્યારે તેને તરસ લાગે અને ચારે બાજુ ક્યાંયે પાણી ન હોય ત્યારે મૃગને જળ દેખાયછે જેને મૃગજળ કહેવાયછે, જેની પાછળ દોડી દોડીને મૃગ પ્રાણ આપીદેછે. પણ બિજા જાનવરો આ જળથી છેતરાતા નથી. પણ ક્યારેક ક્યારેક કોઈ માનવ રણમાં ભૂલો પડ્યો હોય, માનવ હોય કે જાનવર તેને કોઈ વીરડો કે મારા કચ્છના મેકરણ દાદા જેવા સંત મળી જાયછે, છેને લાલા ની લીલા?

કોઈ પણ સમય આવ્યે લગ્ન કરે એટલે તેને પત્ની તો જરૂર મળેજ છે, હા અમુક બહારના દેશોમાં આમાં અપવાદ છે, તેમને જીવન સાથી તો મળેજ છે પણ તે પત્નિજ હોય તેવું નક્કી હોતું નથી, એવું મેં વાંચ્યું છે, પણ એક બીજો પણ અપવાદ છે, ઘણા ભાગ્યશાળી ને પત્ની ના રૂપમાં અર્ધાંગિની મળેછે, પત્ની અને અર્ધાંગિની માં મોટો ફરક છે, સારી પત્ની સારી સાથી બની શકેછે, પણ અર્ધાંગિની તો આખા કુટુંબનો ઉદ્ધાર કરી શકેછે.

ઈશ્વરની લીલા અકળ છે, કોઇ કોઇને અઢળક ધન સંપતી આપેછે, પણ ક્યારેક કોઇને સાથો સાથ એવી બિમારી પણ આપીદેછે કે એ સંપતી પોતે ભોગવી શકતો નથી. હું ઘણીવાર એક દૃષ્ટાંત આપું છું કે જ્યારે ઈશ્વર જીવને માનવ જન્મ આપવા જતો હોય છે ત્યારે બધા લાઈન લગાડી ને પોતાના પૂર્વ કર્મોના આધારે જન્મ લેવા માટે રાસન લેવા ઉભા હોય તેમ ઉભા હોયછે, ત્યારે કોઇને યોગ્યતા ન હોવા છતાં પ્રભુથી અઢળક ધન માટે તથાસ્તુ બોલી જવાયછે, હવે વચનતો અફળ જાય નહીં, પછી એક તોળ કાઢે કે જા ધન તો મળશે પણ દવામાં વપરાશે તું ભોગવી નહીં શકે. પણ ક્યારેક એવા માનવી પણ જોવા મળેછે કે અર્ધા રોટલા માંથી માં બાપ અને બાળક જમી લેતા હોય અને પાછા ઈશ્વરનો પાળ માનતા હોય કે નાથ આજ તેં અમને ભૂખ્યા ન રાખ્યા.

ઈશ્વરની મહેર પામવા માટે કેટ કેટલી તપસ્યા કરવી પડેછે, પણ હું ખરેખર ખૂબજ ભાગ્યશાળી છું કે મને મારી હેસિયત કરતાં અનેક ગણું મારા નાથે મને આપ્યું છે.
જય રણછોડ.    
   ફોટો ગુગલના સહયોગથી.