Tuesday, October 29, 2013


એવા મંદિરે નથી જાવું.

સાખી_ પ્રેમ વશ ભાજી જમે, સુલભા સ્નેહ ને કાજ
           દુર્યોધનના ભોગ તજી, છાલ જમે રસ રાજ
           
           સ્નેહ કાજ તાંદુલ જમે, પગ ધોવે દ્વારિકેશ
          પટરાણી ઢોળે વીંજણો, નહીં મોટપ મન લેશ..     
           
પૂજારી મારે એવા મંદિરે નથી જાવું.
ભાવે ભજન કરી પ્રેમે પલાળે એના, અણમોલ આંસુડે નહાવું રે પૂજારી મારે...  

અરબો ને ખરબો કાળા નાણાનું જ્યાં, વરવું રૂપ પથરાતું.
સોના સિંહાસનમાં હીરા જડાવે એમાં, અઢળક ધન ઉભરાતું રે પૂજારી મારે......

અમૂલખ કારમાં આવી અભડાવે મને, કાળું ને ધોળું ત્યાં કરાતું
મોટા મહંત બની ભરે ખજાના એવા, પાખંડીને હાથે ના પૂજાવું રે પૂજારી મારે......

છપ્પન ભાતના ભોજન ધરાવે કે, મોંઘાં વાઘા માં વીંટળાવું
ટાઢે ઠૂઠવતાને ઓઢાડે ગોદડી, એવા દાનીને દરશાવું રે પૂજારી મારે...
                                                           એવાને આંગણે જાવું... 
ભૂખ્યા દુખિયાને જ્યાં મળી રહે રોટલો, એની ઝોંપડીએ આવું
મળે મફતમાં સેવા ગરીબને,  એવા ઉપચાર ખંડ જાવું રે પૂજારી મારે...
                          
દિલથી નાનો એવો દીવડો પ્રગટાવે, હેતે ભજન જ્યાં ગવાતું
ખોરડે ખૂણામાં મારો ફોટો પધરાવીને, આખું ઘર એકઠું થાતું રે પૂજારી મારે 

"કેદાર" કનૈયો એમ કપટે મળે નહીં,  હેતે હરી ગીત ગાવું
પ્રેમને વશ થઈ પ્રભુજી પધારે માટે, ભાવ વિભોર બની જાવું રે પૂજારી મારે...

 સાર- મારા ગુરુ સમાન કવી "દાદ" ની એક રચનાછે, "ઠાકોરજી નથી થાવું". એવાજ કોઈ વિચાર સાથે મને આ રચના સ્ફુરતાં અહીં રજૂ કરુંછું.
આજ કાલ આપણે સમાચારો કે ટી વી પર મોટા મોટા મંદિરો બનતા હોય તેના પ્રચાર થતા રહેતા હોય તેમ ખબરો આવતી રહેછે, ત્યારે મને વિચાર આવે કે શું ભગવાન આવા આલીશાન મંદિરોમાં રહેવાનું વધારે પસંદ કરતો હશે કે પછી જ્યાં ભાવ સાથે ભજન થતું હોય કે સાદાઈથી પૂજા થતી હોય ત્યાં વસવાનું વધારે પસંદ કરતો હશે?. ઈશ્વરને ધન દોલત કે વૈભવ લોભાવી શકતો નથી, ફક્ત પ્રેમ પ્રેમ અને પ્રેમજ ઈશ્વરને પામવાનો માર્ગછે, તેથી મને લાગે કે....
ભારતમાં ચાર ધામ, દ્વાદશ જ્યોતિર્લિંગ, શક્તિ પિઠ જેવા સ્થાનો એટલે બાકીના દરેક ધાર્મિક સ્થાનોમાં ઉચ્ચતમ સ્થાન. આ મંદિરોની તોલે બીજા કોઈ પણ સ્થાને ઈશ્વરીય શક્તિ નું ઐશ્વર્ય વધારે હોઈ ન શકે એમ મારું માનવુંછે. પણ આજ કાલ ભવ્યાતી ભવ્ય મંદિરો નિર્માણ પામેછે ત્યારે ઈશ્વર ક્યાં વસવાટ કરતો હશે? જેની મેં કલ્પના કરીછે કે તે પૂજારીને શું કહેછે?.

હે પૂજારી મોટા મોટા મહેલો જેવા ભવ્ય મંદિર બનાવી, મૂલ્યવાન હીરા જડિત સોના ના સિંહાસન પર અમૂલ્ય મુકુટ પહેરાવે, મને કિંમતી આભૂષણ પહેરાવે કે કોઈ પણ રીતે લક્ષ્મીજીનું અપમાન થાય તેવું વર્તન થતું હોય ત્યાં મને કેમ ફાવે?
પાછાં એ મંદિરના કહેવાતા મારા સેવકો, પૂજારી, કે ટ્રસ્ટીઓ કીમતી ગાડીઓમાં આવીને મારા પૂજનના બહાને મારી સમક્ષ કાળા ધોળા કર્મો કરતા હોય, અને મંદિરમાં મારા નામે ધરાતા ધનને કોઈ પણ રીતે ઘર ભેગું કરતા હોય એવા પાખંડી ના હાથે મારે પૂજાવું નથી, પણ ભૂખ્યા લોકોને જ્યાં અન્ન મળતું હોય, કોઈ ગરીબ ઠંડીમાં ઠૂઠવાતો હોય તેને ઓઢવાનું અપાતું હોય કે કોઈ દવાખાનામાં ગરીબને પ્રેમથી મફતમાં સારવાર મળતી હોય, ભલે નાની એવી ઝૂંપડીમાં રહેતો હોય અને એક ખૂણામાં મારો ફોટો પધરાવીને આખું ઘર એકઠું મળીને ભાવથી મારા ભજન કરતા હોય, એવા લોકોને હું સ્વયં ગોતીને ત્યાં પહોંચી ને આનંદ પામું છું. એવા લોકોના આમંત્રણની હું પ્રતીક્ષા નથી કરતો, હું ત્યાં દોડતો પહોંચુ છુ.
માટે કોઈ પણ કપટ વિના ભાવ સહિત ભજન કરો, હરી દોડતો આવશે.
જય શ્રી રામ.  

Friday, October 25, 2013



નારાયણ સ્વામિની નિર્વાણ તિથિ

મિત્રો,
હમણાં મારી થોડી વ્યસ્તતાને લીધે આપનાથી થોડું અંતર પડી ગયું જેથી એક અગત્યની રજૂઆત કરવામાં વિલંબ થયો.

તા. ૨૧.૯.૧૩ ના રોજ પ. પૂ. બ્રહ્મ લીન નારાયણ સ્વામીજીની નિર્વાણ તિથિ નિમિત્તે બાપુના આશ્રમ માંડવી મુકામે એક ભવ્ય સંત વાણીનો કાર્યક્રમ યોજાયો હતો, આમતો આ પ્રસંગનું દર વર્ષે તારીખ પ્રમાણે આશ્રમના ટ્રસ્ટીઓ તરફથી આયોજન થતું પણ મારા સાંભળવા પ્રમાણે તેમાં ભજન ના ભાવ કરતાં રાજ કારણ વધારે મહત્વ ધરાવતું, અને આ વખતે ટ્રસ્ટીઓએ કોઈ સહકાર આપ્યો ન હતો કે કોઈ ફાળો પણ આપ્યો ન હતો. જે હશે તે પણ ચાપાણી અને જમવાની વ્યવસ્થા ખૂબજ સારી હતી, અને સેવાભાવી સેવકો આગ્રહ કરી કરીને જમાડતા હતા. આ વખતે બાપુના પૂર્વાશ્રમના નાના પુત્ર શ્રી હિતેષભાઇ, કે જેઓ દર વર્ષે આ પ્રસંગે ભૂજ મુકામે ભજનનો પ્રોગ્રામ રાખતા તેમણે આશ્રમના મહંત શ્રી બ્રહ્માનંદ બાપુના આશીર્વાદ સાથે આ વખતે તિથિ પ્રમાણે માંડવી આશ્રમમાં આયોજન કરવાનું નક્કી કર્યું.

મારા અહોભાગ્ય કે આ પ્રસંગે મને પણ ખાસ આમંત્રણ આપવામાં આવેલું અને મને માન સહિત પ્રસ્તુત કરવામાં આવ્યો શ્રોતાઓ તરફથી પણ સારું પ્રોત્સાહન પ્રાપ્ત થયું. મને ભજન ગાવા માટે ખૂબ આગ્રહ કરવામાં આવ્યો પણ મને જાણ થઈ ગયેલી કે ધાર્યા કરતાં વધારે કલાકારો પધારેલાછે તેથી સમયનો અભાવ રહેશે અને સારા સારા ગાયકોને પણ સમયની મર્યાદામાં રહેવાનું હોઈને મેં આ અમૂલ્ય તક જતી કરી, પણ મને જે માન મળ્યું તે મારા માટે મોટી સોગાત હતી. હું તો ઘણા સમય પછી માંડવી ગયેલો, પણ છતાં બાપુના સાથીઓ સાથે મુલાકાત થતાં જુની યાદો તાજી થઈ, મારા સહ કર્મી શ્રી દેવજીભાઈ ખાસ મહેસાણાથી પધારેલા તેમને પણ આ આનંદ મય પ્રસંગની મજા માણી, તેમજ જોગણીનારના પૂજારી શ્રી શ્યામગિરી બાપુ, કે જે હાલમાં અમારી સોસાયટીના મંદિરમાં પણ સેવા આપેછે તે પણ પધારેલા અને આ અનેરાં પ્રસંગની મોજ માણી.  લોકોને મળીને જે જાણકારી મેળવી તેનું શબ્દચિત્ર અહીં આપની સમક્ષ રજૂ કરુંછું.

કાર્યક્રમના સંચાલક શ્રી કર્ણીદાનભાઇએ બાપુ સાથે વિદેશની ધરતી ખૂંદનારા પ્રોફેસર શ્રી ઠક્કર સાહેબને રજૂ કરીને આ ભવ્ય પ્રસંગની શરૂઆત કરી, ઠક્કર સાહેબે બાપુ સાથે માણેલા દિવસોને યાદ કર્યા, ત્યાર બાદ બાપુના પૂર્વાશ્રમના મોટા પુત્ર શ્રી હરે્સભાઇ"માળા" ગવડાવીને ભજનની શરૂઆત કરી ત્યારે તેમનો અવાજ/હલક અને લહેકો સાંભળીને જાણે નારાયણ બાપુ ફરીને તેમના ખોળિયામાં પ્રવેશીને ગાતા હોય તેવું દરેક શ્રોતાઓને લાગ્યું અને સૌ ભાવ વિભોર બની ગયા. માળા તો માળાજ હોય, જેના મણકા વડે હરિનું સ્મરણ કરવામાં આવે પણ તેમાં માળાના મેરનું સ્થાન સર્વોપરી હોયછે (મેર એટલે જ્યાં માળાના બન્ને છેડા મળેછે અને ત્યાં એક અલગ પ્રકારનો મણકો આવેલો હોયછે.) તેમ આ સંપૂર્ણ પ્રોગ્રામના માળાના મેર સમાન કોઈ હોય તો તે હતા શ્રી ગફૂરભાઇ, ન ઓળખ્યાને? હા જી ગફૂરભાઇ એટલે નારાયણ બાપુ જેના રચેલા ભજનો ખૂબજ પ્રેમથી ગાતા તે મુસ્લિમ સંત કવી શ્રી "સતારશા"(દાસ સતાર)ના પુત્ર, જે આ અવસરે ખાસ પધારેલા, જ્યારે તેમને બે શબ્દો બોલવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેઓ પોતા માટે લોકોનો અહોભાવ જોઈને ગદ ગદ થઈ ગયા અને ખરેખર બે શબ્દો બોલતાંજ રડી પડ્યા. 

 હિતેષભાઇના અથાગ પ્રયત્નોને માન આપીને બાપુના ચાહકો અને સેવકો તેમજ બાપુના ખાસ વાદકો હુસેનભાઈ પોતાના ઊભરતા કલાકાર પૌત્ર જેને લોકો છોટા ઉસ્તાદથી વધારે ઓળખેછે, મેં કોઈ પાસેથી તેનું નામ જાણવાની કોસીશ કરી પણ તેમને ખબર ન હતી, હુસેનભાઇ તેને સાથે લાવેલા અને આ કાર્યક્રમમાં તેણેજ સંગત કરી, જોકે વાદકોના હાથ હાલ્યા વિના રહે નહીં, વચ્ચે વચ્ચે હુસેનભાઇ પણ સાથ આપતા રહ્યા. બેન્જો વાદક અરુણભાઇ, મંજીરાંના સાચા અર્થમાં માણીગર વિજયપુરી તેમજ અનેક બાપુનો સાથ માણનારા ચાહકો મળીને સરસ આયોજન ગોઠવ્યું, પણ આ પ્રસંગે એક વાત મને જરૂર ખટકી, હિતેષભાઇના કહેવા પ્રમાણે બાપુના ભજનો સાંભળીને અને બાપુના આશીર્વાદ મેળવીને આજે નામ કમાયેલા અમુક કહેવાતા કલાકારો આમંત્રણ હોવા છતાં ઉપસ્થિત રહ્યા ન હતા. ત્યારે મેં એક દાખલો આપ્યો કે હમણાં ટી વી ના એક રેકોર્ડેડ પ્રોગ્રામમાં મહાન હાસ્ય કલાકાર સ્વ.મહેમુદ પોતાની વ્યથા ઠાલવતો હતો કે "જ્યારે અમિતને કોઈ કામ ન’તું આપતું ત્યારે "બોમ્બે ટુ ગોવા"માં મોકો આપીને  અમિતાભ બચ્ચન મેં બનાવેલો પણ મારી બિમારી વખતે આજ હોસ્પિટલમાં આવ્યો હોવા છતાં મને જોવા પણ ન આવ્યો." જો મહા નાયક આવું કરી શકે તો આવા અગુણજ્ઞ લોકોનો શો અફસોસ કરવો?   

 ભજન ગાયકીના સાચા અર્થમાં કલાકારો જેવા કે સમરથસિંહભાઇ સોઢા જે બાપુના આશ્રમે જ્યારે પણ કાર્યક્રમ આપવા પધારેછે ત્યારે એક પણ પાઈનો ઉપહાર સ્વીકારતા નથી, જો કે અન્ય કલાકારો પણ કોઈ આશા વિનાજ પધારેલા છતાં હિતેષભાઈએ યથા યોગ્ય પુરસ્કાર આપ્યા હોય એમ લાગતું હતું, કારણ કે કલાકારો ને ના પાડવા છતાં તેમને કવર અપાતા મેં જોયા હતા. અન્ય કલાકારોમાં ખેતસીભાઇ ભજનીકના પુત્ર નિલેસભાઇ, વિજયભાઇ ગઢવી કે જે જૂનાગઢથી પધારેલા, મેરાણ ગઢવી અને મારા ગુરુ સમાન કવી શ્રી "દાદ" દાદુદાન ગઢવીના પુત્ર શ્રી જીતુદાન ગઢવી પણ પધારેલા જેણે આ પ્રોગ્રામમાં અનેરી ભાત પાડીને રંગત જમાવી દીધી, જીતુદાનને અહીં સમય મર્યાદામાં રહેવું પડ્યું તે શ્રોતાઓને ખટક્યું, કેમકે જીતુદાનની રજૂઆત ખૂબજ સરસ રહી. કેમ ન હોય? મોરના ઈંડા ચીતરવા ન પડે, અને એ વખતે મેં ન ગાવાનો નિર્ણય કરેલો તે મને યોગ્યજ લાગ્યો.

બાપુના અન્ય ચાહકો માં ભુજના લહેરીકાંત સોની કે જે બાપુની ગાડી ચલાવતા તેઓએ પણ ખૂબ મહેનત કરેલી.

દિનેશભાઇ પટણી, મોળવદરના શ્રી ભિખાભાઇ કે જે બાપુના ખૂબજ ચાહક અને દરેક પ્રકારે સહયોગ આપનાર આ ભજન ગંગામાં પ્રસાદ લેવા પધારેલા. ગાંધીધામની પ્રખ્યાત બિન હરીફ દાબેલી વાળા હિતેશ ભાઈ કોઈ કારણસર પહોંચી શક્યા ન હતા. વવાર ગામના બાપુના ચાહક અને પોતાનું નામજ જય નારાયણ હોય તેમ તેજ નામથી પંકાયેલા ખાસ પગે ચાલીને આ લહાવો લેવા આવેલા. એચ વી સાઉન્ડ અને મંગળ ગઢવીની વીડીઓ સર્વિસ ની ગોઠવણ મને સારી લાગી. બાપુ જે એમ્બેસેડર ગાડીમાં વિચરતા તે ગાડીને સજાવીને આશ્રમમાં એક યોગ્ય સ્થાન આપવામાં આવ્યુંછે, જેનો નંબરછે G J X 6781,બાપુએ આ ગાડીનું નામ "બીજલી" પાડેલું, તેને આ રીતે સજાવેલી જોઇને મને ખૂબજ સરસ લાગ્યું.

બાપુના એક તબલા વાદક ધીરૂભાઇએ એક વખત વાત કરેલી કે તેઓ આશા ભોંસલેના પોતીકા ગામમાં ગયેલા જ્યાં નારાયણ બાપુની કેસેટ વાગતી સાંભળીને તેમને ખૂબજ નવાઈ લાગી, ત્યાંના લોકોને તેમણે પૂછ્યું કે ભાઇ આ મારા ગુરુની કેસેટ આપ સાંભળોછો તો તેમને જાણોછો? ત્યારે જવાબ મળ્યો કે बहोत तो नहीं जानते पर इतना जानतेहें की भगवानने क्या गला दीयाहे? અને આ બાપુ મારા ગુરુછે જાણીને મારી પણ આગતા સ્વાગતા થઈ.

હિતેષભાઇના જણાવ્યા પ્રમાણે બાપુએ સંન્યાસ લીધા પછી કુટુંબ સાથેનો નાતો સદંતર કાપી નાખેલો, ત્યાં સુધી કે તેમને આશ્રમમાં આવવા માટે પણ મંજૂરી ન હતી, બાપુનું કહેવાનું હતું કે આમને જોઇને ક્યારેકતો પૂર્વાશ્રમ યાદ આવેને? પણ ગોંડલની બાજુમાં મોવૈયા પાસે કુંડલા ગામ છે ત્યાં બાજુમાં માંડણ આશ્રમછે અને તે માંડણ કુંડલાજ કહેવાયછે, ત્યાં લોક વાયકા મુજબ ૫૦૦૦, વર્ષ પુરાણું સ્વયં પ્રગટેલા મણીધર હનુમાનજીનું મંદીરછે, ત્યાં બ્રાહ્મણ કુળમાં જન્મેલા બચુ અદા કે જે બ્રહ્મર્ષિ કહેવાતા અને ત્યાં સેવા કરતા અને જયોતિષ ખુબજ સારું જાણતા, બાપુ તેમનું ખૂબ માન રાખતા, તેમની અથાગ સમજાવટ પછી આ કુટુંબને ધીરે ધીરે ત્યાં જવાની છૂટ મળી. 

જય નારાયણ.  


Thursday, October 24, 2013


માં
                                                  
જેનો જગમાં જડે નહિ જોટો..
ઉપકાર કર્યો બહુ મોટો, કેવી મીઠડી માં તેં બનાવી....

નવ માસ તેં ભારને માણ્યો, સહિ પીડ અતિ જગ આણ્યો
                                  પય પાન કાજ ઉર તાણ્યો....કેવી...

મને પાપા પગલી ભરાવી, પડિ આખડી મુજ ને બચાવી
                                       જીવનની રાહ બતાવી....કેવી..

જ્યાં હું આવું રોતો રોતો,   થોડો સાચો થોડો ખોટો
                                        ત્યાં તો આવે દેતી દોટો..કેવી...

જ્યારે યૌવન મદ ભરી આવ્યું, ધિંગા મસ્તી તોફાન લાવ્યું
                                   પ્યારી ટપલી મારી ટપાર્યો...કેવી...

ભલે માનવ બનું હું મોટો, ધન ધાન્ય રહે નહિ તોટો
                                 તો એ માને મન ઘાણી ખોટો...કેવી..

પ્રભુ "કેદાર" કરુણા તારી, બસ એક જ અરજી મારી
                                  ભવે ભવ હું બનું એનો બેટો...કેવી..



પ્રાર્થના


ઢાળ:-મારો હાથ જાલી ને લઈ જશે..જેવો

મને આપજે મહેતલ પ્રભુ, સંસાર માં થોડા શ્વાસ ની
કરી ને હજુ કર તવ ભણી, આરાધના કરૂં આપ ની...

આવી ને યમ દળ આંગણે, ઓઢાડે દર્દો ની ઓઢણી
સમજાવે સઘળું સાન માં,  સેવા કરી શિ શ્યામ ની...

મને ડર નથી કંઈ મોત નો, પણ બીક છે યમરાજ ની
પકડી ને મુજ ને પૂછશે,   રટણા કરી શિ રામ ની...

જો તું રાખ આશા અમ કને, સદા પ્રાર્થીએ પ્રભુ આપને
તો સંભાળ રાખો શામળા, તારા ભક્ત ના સૌ ભાર ની..

સદા સ્મરણ હો સરકાર નું, એ છે અરજ એક "કેદાર" ની
બસ એટલી છે અભ્યર્થના,    કરૂં પ્રાર્થના પ્રભુ આપની...


Tuesday, October 22, 2013


ડોશી શાસ્ત્ર ?

                                                 
થોડા સમય પહેલાં અમારા મિત્ર મંડળમાં મૃત્યુ થયા પછી થતી ક્રિયા વિષે ચર્ચા ચાલી, (જે મોટે ભાગે એક બીજાને ઊકસાવીને જ્ઞાનમાં વધારો કરવાના હેતુથી થતી હોય છે, બાકી સર્વે મિત્રો સમજદાર અને ધાર્મિક વૃતી ધરાવનારા જ છે.) જેમકે શબ ને નવડાવવું કપડા બદલવા વગેરે વગેરે..આ બધી ક્રિયાઓ ફાલતુ છે, પ્રાણ ગયા પછી શું નહાવું ને શું કપડા બદલવા ? શબ ને દફનાવો કે અગ્ની દાહ દો શો ફરક પડે? આબધું ડોશી શાસ્ત્ર છે એવી દલીલો થઈ, અને અંતે ફરી ફરીને મારી પાસે જવાબ મેળવવા પર આવી, મેં મારી બુદ્ધિ પ્રમાણે આ જવાબ આપ્યો, જો આપ કોઈને યોગ્ય કે અયોગ્ય લાગે તો આપનું મંતવ્ય જરૂરથી આપવા આશા રાખું છું.

પહેલાંના સમયમાં આજના જેવા સમાચાર માધ્યમો ન હતાં, રાજા રજવાડાના કોઈ ફરમાનો બહાર પડતા તે પણ નગરના ચોકમાં ઢોલ વગાડીને ઢંઢેરો પીટવામાં આવતો. કોઈ બીમારી આવતી તો વૈદ્ય કે હકીમો પાસે જવું પડતું,  એ જમાનામાં સમાચાર પત્રો/રેડીઓ કે ટી વી જેવા સાધનો ન હતાં એવું તો સાવ નથી, પણ તે સીમિત હતું, મહાભારત ના યુદ્ધનો આંખે જોયો અહેવાલ સંજય હસ્તિનાપુરમાં બેઠાં બેઠાં રજૂ કરી શકતો હતો, તે દૂર દર્શનજ હતુંને ? પણ આવી શક્તિ જે લોકો વિદ્યા શીખે તેજ જોઈ શકતા, પણ આપણા વડવાઓ ખૂબજ સમજદાર અને સ્વપ્નદ્રષ્ટા હતા, તેથી એ જમાનામાં જે કંઈ અગત્યની સમજ આપવા જેવી લાગતી તે ધર્મના નામે પ્રચલિત કરી દેવાતી, જેથી તેનો ફેલાવો ઝડપથી થવા લાગતો અને લગભગ ફરજિયાત થઈ જતો. અને તેનું પાલન કરવું લગભગ અનિવાર્ય થવા લાગ્યું, કારણ કે એવી વાતો પણ સાથે સાથે ફેલાવાતી કે આ નિયમનું પાલન ન કરવાથી પાપ લાગે, અને તેનું ફળ ભયંકર હોઈ શકેછે, આવા ડરથી લોકો તે નિયમો પાળતા. 

એક દાખલો આપું તો શાસ્ત્ર કે ડોશી શાસ્ત્ર મુજબ જ્યારે પ્રાણ શરીર નો ત્યાગ કરે ત્યારે તેને સર્વ પ્રથમ ગાયના છાણથી લીપેલી ભૂમી પર રાખવામાં આવે છે, ત્યાર બાદ ત્યાં ગાય ના ઘી નો દીવો અને અગરબત્તી કે સગવડ ધરાવતા લોકો કોઇ અન્ય સાધનો કે પર્ફ્યૂમ નો છંટકાવ કરે છે. ત્યાર બાદ સ્નાન કરાવીને નવા અથવા ધોયેલા-સગવડ પ્રમાણે- વસ્ત્રો પહેરાવે છે, ત્યાર બાદ સફેદ વસ્ત્ર/ચૂંદડી કે જ્ઞાતિના રિવાજ મુજબનું વસ્ત્ર ઓઢાડીને એક દોણીમાં અગ્નિ પ્રગટાવવાનો પ્રયત્ન કરી ને શ્મશાન માં દાહ આપી દેવામાં આવે છે. શ્મશાનમાં ગયેલા દરેક લોકો યોગ્ય સ્થળે કે ઘેર આવીને સ્નાન કરેછે, અને ત્યાર બાદ ઉઠમણું કે બેસણું યોગ્ય સમયે રાખવામાં આવે છે. મોટા ભાગે થોડા ઘણા ફેરફાર સાથે આજ રિવાજ બધે હોય છે.
  
દરેક શરીર માં કરોડોની સંખ્યામાં જીવ જંતુ આપણા શ્વાસોચ્છ્વાસ માંથી પ્રાણ વાયુ અને આપણા શરીર માંથીજ પોષણ પામે છે, જ્યારે શરીર માંથી પ્રાણ નીકળે ત્યારે આ બધા જંતુઓને હવા પાણી અને ખોરાક મળતો બંધ થાય છે, તેથી તે બધા આ શરીરમાંથી બહાર નીકળવા લાગે છે, આપણે શાસ્ત્ર કે ડોશી શાસ્ત્ર મુજબ સર્વ પ્રથમ જીવ નીકળે ત્યારે શબ ને પવિત્ર ગણાતા ગાયના છાણથી લેપન કરેલી ભોંય પર રાખીએ છીએ, મૃત દેહ ના નાક અને કાન માં રૂ ભરાવી દેવામાં આવે છે, જેથી ઓછા માં ઓછા જંતુઓ બહાર ફેલાય, અને જો ફેલાય તો મોટા ભાગના જંતુઓ એ છાણમાં  ચોટી જાય અને હવામાં ફેલાતા નથી,  છતાં કોઈ બચે તો તે ઘીનો દીવો-ઘી નો દીવો કે અગરબત્તી આપણે ભગવાનને ખુશ કરવા માટે પ્રગટાવીએ છીએ પણ ખરે ખરતો તે પ્રદૂષણ ફેલાવે છે, વડવાઓ માનેછે કે ઘી નો દીવો કરવાથી નાગ દાદા નીકળ્યા હોય તો જતાં રહે છે, પણ નાગ દાદાને ઘીના દીવાથી ફેલાતા વાયુ થી ગભરામણ થાય છે તેથી જતા રહે છે.  કેજે ખરેખર તો આ જીવો માટે ઝેરી છે,-  અથવા અગરબત્તી ના ધુમાડાથી મરણ પામે છે. પણ અસંખ્ય જીવો આટલાં થી ન મરે, તો દેહ ને સ્નાન કરાવાય છે જેથી તે પાણી માં વહી જાય, છતાં પણ છેલ્લા ઉપાય પ્રમાણે નવા કે સ્વચ્છ વસ્ત્રનું આવરણ ઓઢાડીદે અને અંતે અગ્નિ દાહ આપી દેવામાં આવે છે. દોણી માં અર્ધ સળગતો અગ્નિ ધુમાડો કરે છે જે જંતુને દૂર ભગાડે છે કે મારે છે, ત્યાર બાદ શ્મશાન માં અગ્નિ દાહ આપી દેવાય છે જેથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ એ દેહ થકી ફેલાતું ટળે છે. જે લોકો શ્મશાન માં ગયા હોય તેને કદાચ આ દેહ બળતો હોય ત્યારે કોઈ એવા તત્વો કે ગેસ નીકળે કે જે તેમને નુકસાન કરે તેવા હોય તો તેની કાળજી લેવા માટે નહાવાનું જરૂરી ગણવામાં આવ્યું છે.
મારા મતે પહેલાના જમાનામાં એવા કોઈ સાધનો ન હતાં, સમાચાર પત્ર કે ટી વી જેવી સુવિધા ન હતી, તેથી આવી બધી સમજણ સમસ્ત સમાજને પહોંચાડી શકાતી નહિ, તેથી ધર્મ કે ડોશી શાસ્ત્ર જે કહો તેના નામે આવા બધા નિયમો બનાવી ને અમલમાં મુકાતા. અને જો કોઇ તેનું ઉલ્લંઘન કરે તો તે પાપી કે નાસ્તિક છે એવું ઠરાવી દેવાતું, અને તેને એ અપરાધ ની સજા મૃત્યુ બાદ પણ ભોગવવી પડશે એવી બિક બતાવાતી જેથી વધારે માં વધારે લોકો એ અપરાધ કરતા ડરતા અને એ બહાને આ વૈજ્ઞાનિક કારણ નું પાલન થતું.

જેના કુટુંબમાં આવો બનાવ બન્યો હોય ત્યાં પરિચિત કે સગા સંબંધી લોકો સ્મશાન યાત્રામાં પહોંચાય કે ન પહોંચાય પણ ઘેર મળવા આવે, અને જેવા જેના રિવાજ મુજબ લગભગ બાર દિવસ સુધી દર રોજ બેસવા આવે, જેથી શોકનું વાતાવરણ ધીરે ધીરે હળવું બને અને શોકમગ્ન કુટુંબી જનોનું દુ:ખ ભુલાવા માંડે.

ત્યાર બાદ જેવી શક્તિ હોય તે મુજબ એક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવે જેથી શોકનો માહોલ પ્રસંગની ધમાલમાં હળવો બને. જોકે મારા મતે આ રિવાજ બંધ કરવા જેવો છે. કેમ કે ઘણાં લોકો ને આ ખર્ચ શક્તિ ન હોવા છતાં કે ઇચ્છા ન હોવા છતાં ફક્ત સમાજના ડરથી કરજ લઈને પણ કરવો પડતો હોય છે. આમ પણ જે રિવાજ કુરિવાજ બનતો હોય અને જેની જરૂર ન હોય તેને તજવો એજ સમજદાર લોકોની સમજદારી છે.    

મારા મતે જેને ડોશી શાસ્ત્ર કહેછે તેને શું હજુ પણ આપણે ડોશી શાસ્ત્ર કહેશું? કે કોઈ મહાન ચિંતકો ની સમજણ ગણશું તે આપે નક્કી કરવાનું છે.
સમય સમય પર મારી બુદ્ધિ પ્રમાણે આવા આવા દાખલાઓ અહીં ટાંકતો રહીશ.

ફોટો સૌજન્ય : ગૂગલ ઈમેજીસ



Saturday, October 19, 2013

 પ્રીતમ નો પ્રેમ

ઢાળ- માલકોશ જેવો

પ્રેમ પ્રીતમ ને રિઝાવે
                           નાણે નજર ના લગાવે...

કરમાબાઇ નો ખીચડો ખાધો, મેવા ગણી ને માવે
એઠાં ફળ અણમોલ ગણી ને, મોહન મુખ પધરાવે..

ભક્ત વિદુર ની ભાજી ખાધી, છોતરાં છબીલો ચાવે
રંક જનો ની રાબડી ખાતો, પણ-કૌરવ ભોગ ન ભાવે...

ઝેર મીરાં ના પી જનારો, તાંદુલ મન લલચાવે
સ્નેહ થકી સખુબાઇ બની ને, માર ખાધો બહુ માવે...

સુર તણો સથવારો કરતો, તુલસી લાડ લડાવે
નરસિંહ કાજે નટખટ નંદન, વિધ વિધ વેશ બનાવે...

દીન "કેદાર" પર દયા દરશાવો, સેવક શરણે આવે
અંત સમય પ્રભુ અળગાં ન રહેશો, મોહન મુખ પર આવે...

Friday, October 18, 2013


                                  ગરબો




                                                                હૃદયે રહેજો

અંબિકા મારે હૃદયે રાત દિન રહેજો, માડી મારાં દોષ ન દિલ માં ધરજો.....

મેલો ને ધેલો તારે મંદિરે આવું તો, સેવક જાણી સહી લેજો
બાલુડો તારો માંગુ હું માવડી,    ચાકર ને ચરણો માં લેજો...

ભાવ ન જાણું ભક્તિ ન જાણું જાણું નહિ વેદ ના વિચારો
બ્રહ્મ ની વાતો હું શું જાણું,        અંબા અધમ ને ઉગારો...

દેવી દયાળ તું બેઠી જઈ ડુંગરે, ભક્ત ને ભુલાવી ન દેજો
સાદ કરૂં ત્યારે સાંભળ્જે માવડી, દોડી દર્શન મને આપજો...

આશરો અંબા એક તમારો અગણિત કર્યાં છે ઉપકારો
દીન "કેદાર" પર દયા દર્શાવી, પુત્ર પોતાનો કરી પાળજો... 

ફોટો સૌજન્ય : ગૂગલ ઈમેજીસ

Thursday, October 17, 2013


જગ જનની

ઢાળ:- રાગ દુર્ગા જેવો

જગ જનનિ જગદંબા ભવાની,         હું બાલુડો તારો
આવ્યો તારે શરણે અંબા,       શરણાગત ને સ્વીકારો...

તું કરૂણા ની કરનારી,        દુખિયા ના દુ:ખ હર નારી
                         તારી મૂર્તિ મંગલકારી ભવાની...

તારી શોભે સિંહ ની સવારી, તને ભજતાં ભૂપ ને ભિખારી
                        માં સમદ્ગષ્ટિ છે તમારી ભવાની...

તારી ભક્તિ જે ભાવ થી કરતાં, એના પાપ સમૂળાં ટળતાં
                      એને યમ કિંકર ના નડતાં ભવાની...

ના હું ભાવ ભક્તિ કંઈ જાણું,    તારો મહિમા કેમ પિછાણું
                     મને આપો ઠરવા ઠેકાણું ભવાની...

તારું નામ રહે નિત મન માં, વીતે જીવન સમરણ સુખ માં
                    ના હું પડું ચોરાસી ના દુ:ખ માં ભવાની ...

માં દીન "કેદાર" ઊગારો,        મારી બેડલી પાર ઉતારો
                          મને આશરો એક તમારો ભવાની...
ફોટો ગુગલના સહયોગથી સાભાર


સંભારણું



મિત્રો ઘણા સમયથી મારા બ્લોગમાં કોઈ કારણસર મારી રચનાઓ પોસ્ટ થતી ન હતી, આજે એક મિત્રના સહયોગથી શરૂ થઈછે, કોઈ ગરબડ જણાયતો માફ કરજો ધીરે ધીરે સેટ થઈ જશે.
હમણાંજ બ્રહ્મ લીન નારાયણ બાપુની તિથિ પર એક ભાઇએ બાપુ વિષે પૂછેલું. તો હવે એ પ્રસંગો જે હું અહિં મૂકી શક્યો નહતો તે મૂકતો રહીશ.સાથો સાથ પ. પૂ. નારાયણ સ્વામીજીના સ્વ હસ્તે લિખિત આશીર્વાદ, એક અલૌકિક સંભારણું. જે બાપુના પુત્ર હરેશભાઇના કહેવા મુજબ બીજા કોઈ પાસે ભાગ્યેજ હશે.

વિરહિણી



ઢાળ-કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો,  જેવો       

એક દિ’ રજની રડવા લાગી, ચાંદની પાસે જઈ
ઘોર અંધારાં ખૂબ ઉલેચ્યા, પણ- ભાનુ ને ભાળ્યો નઈ...

સાંભળ્યું છે મેં સાયબો મારો, સોનલા રથડો લઈ
જગ બધાને દે અજવાળું,     હુંજ અંધારી રઇ...

રોજ સજાવું આંગણું મારું, આકાશ ગંગા લઈ
તારા મંડળ ના સાથિયા પુરૂં, તોય ડોકાતો નઈ...

દુખીયારી એવો દિન ન ભાળ્યો, કે સૂરજ સાથે રઇ
વધે ઘટે પણ વાલમો તારો, તને-વેગળી રાખે નઈ...

એક અમાસે અળગો રહે ત્યાં, હાંફળો ફાંફળો થઈ
આગલી સાંજે દોડતો આવે,   કેળથી બેવડ થઈ...

હારી થાકીને સાહેલી સાથે, સોમ ને શરણે ગઈ              
આશરો લઈ ને આંખમાં એની, કાજળ થઈ ને રઇ...

આભ તણી અટારીએ બેઠી,  ઓલી "કેદાર" કાળી જઈ
અરુણોદય ની આશ જાગી ત્યાં, આખિ એ ઓગળી ગઈ


સાર- રજની {રાત} પોતાના પ્રેમી ભાનુ {સૂરજ} ને મળવા માટે હંમેશ આતુરતા પૂર્વક રાહ જોતી હોવા છતાં મળી શકતી નથી, ત્યારે તેની સાહેલી ચાંદની પાસે જઈ ને બળાપો કાઢે છે, કે હું દરરોજ અંધારાં ઉલેચી, તારા મંડળ ના સાથિયા પુરી, આકાશ ગંગા લઈ ને  મારા આંગણા માં શણગાર કરૂં છું, છતાં એ આવતો નથી, મેં સાંભળ્યું છે મારો સાયબો સોનાના રથ પર સવાર થઈ ને આખા જગત ને અજવાળે છે, પણ હું એક અભાગી જ એના વિરહમાં અંધારે રહું છું. તારો સાયબો {ચંદ્ર} ભલે વધઘટ કરે,  ફક્ત એક અમાસ ના જ  તારાથી અળગો રહે ત્યાં તો હાંફળો ફાંફળો થતો કેડ થી બેવડ વળી ને દોડતો દોડતો આવી જાય છે. 
  ચાંદની એ એક રસ્તો બતાવ્યો કે તે કદાચ તને મળવા નહિ માંગતો હોય, તારે સૂર્ય ના દર્શન જ કરવા હોય તો એક રસ્તો છે એને ખબર ન પડે એમ તું મારા સોમ {ચંદ્ર} ની આંખ નું કાજળ બની ને બેસી જા તને જરૂર દર્શન થઈ જશે.

   પણ જ્યાં અરુણોદય {સૂર્યોદય} થવા લાગ્યો અને જેમ જેમ પ્રકાશ રેલાવા લાગ્યો તેમ તેમ રાત ઓગળવા લાગી અને જ્યાં પૂર્ણ કલાથી સૂર્ય ખીલ્યો ત્યાં તો રજની પોતેજ ઓગળી ગઈ. એવી કલ્પના આ કાવ્ય માં કરવા માં આવી છે.

ફોટો ગુગલના સૌજન્યથી સાભાર.

કન્યા વિદાય ની વેળા



એક દિવસ સુંદર સરિતાસી, આવી ગૂડિયા હસતી રમતી
જીવન મારું ધન્ય થયું જાણે,   ઊઠી આનંદની ભરતી
હરખે હૈયું ચડ્યું હિલોળે,    આનંદ અનહદ રહે
પણ-વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૧

પા પા પગલી ભરતાં ભરતાં,   દોડવા લાગી દ્વારે
ખબર પડી નહીં હરખ હરખમાં, યૌવન આવ્યું ક્યારે
પડી ફાળ અંતરમાં એકદિ,   માંગું આવ્યું કોઈ કહે
વહાલ કેરો દરિયો આજે,      નિજ ઘર વાટે વહે...ટેક..૨

આવ્યો એક બાંકો નર બંકો, સજી ધજી માંડવડે
ઝાલ્યો હાથ જીવનભર માટે,  ફર્યા ફેરા સજોડે
ચોર્યું રતન ભલે હતાં હજારો, કોઈ કશું ના કહે
વહાલ કેરો દરિયો આજે,  નિજ ઘર વાટે વહે...ટેક..૩
   
ઘરથી નીકળી ઘૂંઘટ તાણી, પર ઘર કરવા વહાલું
જ્યાં વિતાવી અણમોલ જવાની, સૌને લાગ્યું ઠાલું
અનહદ વેદના છતાં ઉમંગે, વળાવવા સૌ ચહે,
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૪

સખીઓ જોતી સજ્જડ નેત્રે,  કેમ કર્યા મોં અવળાં
ચંચળતા જ્યાં હરદમ રહેતી, ગાંભીર્ય ન દેવું કળવા
જો ભાળે તાત મુજ આંસુ,   હૈયું હાથ ન રહે
વહાલ કેરો દરિયો આજે, નિજ ઘર વાટે વહે...ટેક..૫

આશા એકજ ઉજળા કરજે,     ખોરડાં ખમતીધર ના
આંચ ન આવે ઇજ્જત પર કદી, મહેણાં મળે નહીં પરના 
"કેદાર" કામના ઈશ્વર પાસે, તેને દુખ ન દ્વારે રહે
વહાલ કેરો દરિયો આજે,   નિજ ઘર વાટે વહે...ટેક..૬
સાર-
૧-ઈશ્વરે દયા કરીને મારા ઘરે સુંદર પુત્રી રત્ન આપીને મને ધન્ય ધન્ય કરી દીધો, જાણે મને નવું બચપણ મળ્યું હોય તેમ આ રમકડું રમવા મળતાં હું ઘેલો ઘેલો થઈ ગયો, મારુંતો જાણે જીવનજ બદલાઈ ગયું, બસ ભગવાનના આ વરદાનને રમાડતાં રમાડતાં સમયનું ભાનજ રહેતું નહીં.

૨-નાની એવી ઢીંગલી પડતાં આખળતાં ચલતા શીખી, અને ધીરે ધીરે આંગણામાં અને પછી ત્યાંથી આજુ બાજુ સખીઓ ની સાથે રમતાં રમતાં મોટી થવા લાગી, જેનો મનેતો ખ્યાલજ ન આવ્યો. મારા માટેતો હજુ એજ ઢીંગલી હતી, ત્યાં અચાનક એક સમાચાર મારા મનને એવું હચમચાવી ગયા કે રડવું કે હસવું તે સમઝમાં ન આવ્યું, મારા એક સ્નેહી તરફથી મારી ઢીંગલીની માગણી કરવામાં આવી, કોઈ બાળકનું પ્રિય રમકડું છીનવી લેવામાં આવતું હોય અને જે લાગણી એ બાળક ના મનમાં થાય તેવીજ લાગણી ત્યારે મને પણ થઈ, પણ હું પણ કોઈની લાડકવાઇ ને મારે ઘેર લાવ્યો છું તો મારે પણ મારી લાડકવાઈ ને આપવી પડેને?    

૩-એક બાંકો નવજવાન ઘોડાપર બેસીને આવ્યો અને હજ્જારો લોકોની હાજરીમાં મારું અણમોલ રતન મારાથી લગભગ છીનવીને જતો રહ્યો, આટ આટલા સગા સંબંધીઓ મારા ઘરમાંથી થતી આ ઘરેણાની ઉચાપત જોતારહ્યા, કોઈએ રોકવાની જરાએ કોશિશ ન કરી.

૪-જ્યારે આ દીકરી ઘૂંઘટ તાણીને જ્યાં પોતાનું બચપણ મુગ્ધા અવસ્થા તેમજ યૌવન વિતાવ્યું હતું તે ઘરથી સાસરી તરફ જવા નીકળી ત્યારે ઘરનાતો ઘરના પણ અડોશી પડોશિ ને પણ તેની ખોટ જાણે આજથીજ વર્તાવા લાગી, પણ આતો એક અનિવાર્ય પ્રસંગ હતો તેમ સમજીને ભારે હૈયે અને સાથો સાથ ઉમંગ સાથે વળાવવા માટે ઊમટી પડ્યા. 

૫-મોટા ભાગે બધી દીકરીઓ જ્યારે સાસરે જવા વિદાય લેતી હોય ત્યારે બધાને ભેટી ભેટી ને મળતી હોયછે, અને એમાં પણ સાહેલીઓને તો ખાસ મળતી હોય છે પણ આ દીકરી જાણે બધાથી મોં છુપાવતી હતી, ત્યારે સખીઓએ કારણ પુછું તો કહે કે જ્યાં હંમેશાં મારા મુખપર ચંચળતા રહેતી હતી  પણ આજે બધાને છોડી જવાનો રંજ છે, આંસુ છે, અને એક નવું પાત્ર ભજવવાનું છે. જેનું ગાંભીર્ય છે, મારા પિતાએ કોઈ દિવસ મારા મુખ પર આવો ભાવ જોયો નથી, જો તેઓ મને આ ભાવ સાથે જોવે તો તેઓ સહન ન કરી શકે તેથી હું મુખ છુપાવી રહીછું. 

૬-પણ બાપની તો એકજ શિખામણ હોય, કે બેટા મોટા ઘરે જાશ, આબરૂદાર ખાનદાન છે, કોઇ એવું કામ ભૂલે ચૂકે પણ ન કરજે કે જેથી કોઈ મેણું મારી જાય. બસ ઈશ્વર પાસે એકજ અરજ છે કે મારી લાડલીના દ્વારની આસ પાસ પણ કોઈ દુખ ડોકાય નહીં.