Friday, October 25, 2013



નારાયણ સ્વામિની નિર્વાણ તિથિ

મિત્રો,
હમણાં મારી થોડી વ્યસ્તતાને લીધે આપનાથી થોડું અંતર પડી ગયું જેથી એક અગત્યની રજૂઆત કરવામાં વિલંબ થયો.

તા. ૨૧.૯.૧૩ ના રોજ પ. પૂ. બ્રહ્મ લીન નારાયણ સ્વામીજીની નિર્વાણ તિથિ નિમિત્તે બાપુના આશ્રમ માંડવી મુકામે એક ભવ્ય સંત વાણીનો કાર્યક્રમ યોજાયો હતો, આમતો આ પ્રસંગનું દર વર્ષે તારીખ પ્રમાણે આશ્રમના ટ્રસ્ટીઓ તરફથી આયોજન થતું પણ મારા સાંભળવા પ્રમાણે તેમાં ભજન ના ભાવ કરતાં રાજ કારણ વધારે મહત્વ ધરાવતું, અને આ વખતે ટ્રસ્ટીઓએ કોઈ સહકાર આપ્યો ન હતો કે કોઈ ફાળો પણ આપ્યો ન હતો. જે હશે તે પણ ચાપાણી અને જમવાની વ્યવસ્થા ખૂબજ સારી હતી, અને સેવાભાવી સેવકો આગ્રહ કરી કરીને જમાડતા હતા. આ વખતે બાપુના પૂર્વાશ્રમના નાના પુત્ર શ્રી હિતેષભાઇ, કે જેઓ દર વર્ષે આ પ્રસંગે ભૂજ મુકામે ભજનનો પ્રોગ્રામ રાખતા તેમણે આશ્રમના મહંત શ્રી બ્રહ્માનંદ બાપુના આશીર્વાદ સાથે આ વખતે તિથિ પ્રમાણે માંડવી આશ્રમમાં આયોજન કરવાનું નક્કી કર્યું.

મારા અહોભાગ્ય કે આ પ્રસંગે મને પણ ખાસ આમંત્રણ આપવામાં આવેલું અને મને માન સહિત પ્રસ્તુત કરવામાં આવ્યો શ્રોતાઓ તરફથી પણ સારું પ્રોત્સાહન પ્રાપ્ત થયું. મને ભજન ગાવા માટે ખૂબ આગ્રહ કરવામાં આવ્યો પણ મને જાણ થઈ ગયેલી કે ધાર્યા કરતાં વધારે કલાકારો પધારેલાછે તેથી સમયનો અભાવ રહેશે અને સારા સારા ગાયકોને પણ સમયની મર્યાદામાં રહેવાનું હોઈને મેં આ અમૂલ્ય તક જતી કરી, પણ મને જે માન મળ્યું તે મારા માટે મોટી સોગાત હતી. હું તો ઘણા સમય પછી માંડવી ગયેલો, પણ છતાં બાપુના સાથીઓ સાથે મુલાકાત થતાં જુની યાદો તાજી થઈ, મારા સહ કર્મી શ્રી દેવજીભાઈ ખાસ મહેસાણાથી પધારેલા તેમને પણ આ આનંદ મય પ્રસંગની મજા માણી, તેમજ જોગણીનારના પૂજારી શ્રી શ્યામગિરી બાપુ, કે જે હાલમાં અમારી સોસાયટીના મંદિરમાં પણ સેવા આપેછે તે પણ પધારેલા અને આ અનેરાં પ્રસંગની મોજ માણી.  લોકોને મળીને જે જાણકારી મેળવી તેનું શબ્દચિત્ર અહીં આપની સમક્ષ રજૂ કરુંછું.

કાર્યક્રમના સંચાલક શ્રી કર્ણીદાનભાઇએ બાપુ સાથે વિદેશની ધરતી ખૂંદનારા પ્રોફેસર શ્રી ઠક્કર સાહેબને રજૂ કરીને આ ભવ્ય પ્રસંગની શરૂઆત કરી, ઠક્કર સાહેબે બાપુ સાથે માણેલા દિવસોને યાદ કર્યા, ત્યાર બાદ બાપુના પૂર્વાશ્રમના મોટા પુત્ર શ્રી હરે્સભાઇ"માળા" ગવડાવીને ભજનની શરૂઆત કરી ત્યારે તેમનો અવાજ/હલક અને લહેકો સાંભળીને જાણે નારાયણ બાપુ ફરીને તેમના ખોળિયામાં પ્રવેશીને ગાતા હોય તેવું દરેક શ્રોતાઓને લાગ્યું અને સૌ ભાવ વિભોર બની ગયા. માળા તો માળાજ હોય, જેના મણકા વડે હરિનું સ્મરણ કરવામાં આવે પણ તેમાં માળાના મેરનું સ્થાન સર્વોપરી હોયછે (મેર એટલે જ્યાં માળાના બન્ને છેડા મળેછે અને ત્યાં એક અલગ પ્રકારનો મણકો આવેલો હોયછે.) તેમ આ સંપૂર્ણ પ્રોગ્રામના માળાના મેર સમાન કોઈ હોય તો તે હતા શ્રી ગફૂરભાઇ, ન ઓળખ્યાને? હા જી ગફૂરભાઇ એટલે નારાયણ બાપુ જેના રચેલા ભજનો ખૂબજ પ્રેમથી ગાતા તે મુસ્લિમ સંત કવી શ્રી "સતારશા"(દાસ સતાર)ના પુત્ર, જે આ અવસરે ખાસ પધારેલા, જ્યારે તેમને બે શબ્દો બોલવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેઓ પોતા માટે લોકોનો અહોભાવ જોઈને ગદ ગદ થઈ ગયા અને ખરેખર બે શબ્દો બોલતાંજ રડી પડ્યા. 

 હિતેષભાઇના અથાગ પ્રયત્નોને માન આપીને બાપુના ચાહકો અને સેવકો તેમજ બાપુના ખાસ વાદકો હુસેનભાઈ પોતાના ઊભરતા કલાકાર પૌત્ર જેને લોકો છોટા ઉસ્તાદથી વધારે ઓળખેછે, મેં કોઈ પાસેથી તેનું નામ જાણવાની કોસીશ કરી પણ તેમને ખબર ન હતી, હુસેનભાઇ તેને સાથે લાવેલા અને આ કાર્યક્રમમાં તેણેજ સંગત કરી, જોકે વાદકોના હાથ હાલ્યા વિના રહે નહીં, વચ્ચે વચ્ચે હુસેનભાઇ પણ સાથ આપતા રહ્યા. બેન્જો વાદક અરુણભાઇ, મંજીરાંના સાચા અર્થમાં માણીગર વિજયપુરી તેમજ અનેક બાપુનો સાથ માણનારા ચાહકો મળીને સરસ આયોજન ગોઠવ્યું, પણ આ પ્રસંગે એક વાત મને જરૂર ખટકી, હિતેષભાઇના કહેવા પ્રમાણે બાપુના ભજનો સાંભળીને અને બાપુના આશીર્વાદ મેળવીને આજે નામ કમાયેલા અમુક કહેવાતા કલાકારો આમંત્રણ હોવા છતાં ઉપસ્થિત રહ્યા ન હતા. ત્યારે મેં એક દાખલો આપ્યો કે હમણાં ટી વી ના એક રેકોર્ડેડ પ્રોગ્રામમાં મહાન હાસ્ય કલાકાર સ્વ.મહેમુદ પોતાની વ્યથા ઠાલવતો હતો કે "જ્યારે અમિતને કોઈ કામ ન’તું આપતું ત્યારે "બોમ્બે ટુ ગોવા"માં મોકો આપીને  અમિતાભ બચ્ચન મેં બનાવેલો પણ મારી બિમારી વખતે આજ હોસ્પિટલમાં આવ્યો હોવા છતાં મને જોવા પણ ન આવ્યો." જો મહા નાયક આવું કરી શકે તો આવા અગુણજ્ઞ લોકોનો શો અફસોસ કરવો?   

 ભજન ગાયકીના સાચા અર્થમાં કલાકારો જેવા કે સમરથસિંહભાઇ સોઢા જે બાપુના આશ્રમે જ્યારે પણ કાર્યક્રમ આપવા પધારેછે ત્યારે એક પણ પાઈનો ઉપહાર સ્વીકારતા નથી, જો કે અન્ય કલાકારો પણ કોઈ આશા વિનાજ પધારેલા છતાં હિતેષભાઈએ યથા યોગ્ય પુરસ્કાર આપ્યા હોય એમ લાગતું હતું, કારણ કે કલાકારો ને ના પાડવા છતાં તેમને કવર અપાતા મેં જોયા હતા. અન્ય કલાકારોમાં ખેતસીભાઇ ભજનીકના પુત્ર નિલેસભાઇ, વિજયભાઇ ગઢવી કે જે જૂનાગઢથી પધારેલા, મેરાણ ગઢવી અને મારા ગુરુ સમાન કવી શ્રી "દાદ" દાદુદાન ગઢવીના પુત્ર શ્રી જીતુદાન ગઢવી પણ પધારેલા જેણે આ પ્રોગ્રામમાં અનેરી ભાત પાડીને રંગત જમાવી દીધી, જીતુદાનને અહીં સમય મર્યાદામાં રહેવું પડ્યું તે શ્રોતાઓને ખટક્યું, કેમકે જીતુદાનની રજૂઆત ખૂબજ સરસ રહી. કેમ ન હોય? મોરના ઈંડા ચીતરવા ન પડે, અને એ વખતે મેં ન ગાવાનો નિર્ણય કરેલો તે મને યોગ્યજ લાગ્યો.

બાપુના અન્ય ચાહકો માં ભુજના લહેરીકાંત સોની કે જે બાપુની ગાડી ચલાવતા તેઓએ પણ ખૂબ મહેનત કરેલી.

દિનેશભાઇ પટણી, મોળવદરના શ્રી ભિખાભાઇ કે જે બાપુના ખૂબજ ચાહક અને દરેક પ્રકારે સહયોગ આપનાર આ ભજન ગંગામાં પ્રસાદ લેવા પધારેલા. ગાંધીધામની પ્રખ્યાત બિન હરીફ દાબેલી વાળા હિતેશ ભાઈ કોઈ કારણસર પહોંચી શક્યા ન હતા. વવાર ગામના બાપુના ચાહક અને પોતાનું નામજ જય નારાયણ હોય તેમ તેજ નામથી પંકાયેલા ખાસ પગે ચાલીને આ લહાવો લેવા આવેલા. એચ વી સાઉન્ડ અને મંગળ ગઢવીની વીડીઓ સર્વિસ ની ગોઠવણ મને સારી લાગી. બાપુ જે એમ્બેસેડર ગાડીમાં વિચરતા તે ગાડીને સજાવીને આશ્રમમાં એક યોગ્ય સ્થાન આપવામાં આવ્યુંછે, જેનો નંબરછે G J X 6781,બાપુએ આ ગાડીનું નામ "બીજલી" પાડેલું, તેને આ રીતે સજાવેલી જોઇને મને ખૂબજ સરસ લાગ્યું.

બાપુના એક તબલા વાદક ધીરૂભાઇએ એક વખત વાત કરેલી કે તેઓ આશા ભોંસલેના પોતીકા ગામમાં ગયેલા જ્યાં નારાયણ બાપુની કેસેટ વાગતી સાંભળીને તેમને ખૂબજ નવાઈ લાગી, ત્યાંના લોકોને તેમણે પૂછ્યું કે ભાઇ આ મારા ગુરુની કેસેટ આપ સાંભળોછો તો તેમને જાણોછો? ત્યારે જવાબ મળ્યો કે बहोत तो नहीं जानते पर इतना जानतेहें की भगवानने क्या गला दीयाहे? અને આ બાપુ મારા ગુરુછે જાણીને મારી પણ આગતા સ્વાગતા થઈ.

હિતેષભાઇના જણાવ્યા પ્રમાણે બાપુએ સંન્યાસ લીધા પછી કુટુંબ સાથેનો નાતો સદંતર કાપી નાખેલો, ત્યાં સુધી કે તેમને આશ્રમમાં આવવા માટે પણ મંજૂરી ન હતી, બાપુનું કહેવાનું હતું કે આમને જોઇને ક્યારેકતો પૂર્વાશ્રમ યાદ આવેને? પણ ગોંડલની બાજુમાં મોવૈયા પાસે કુંડલા ગામ છે ત્યાં બાજુમાં માંડણ આશ્રમછે અને તે માંડણ કુંડલાજ કહેવાયછે, ત્યાં લોક વાયકા મુજબ ૫૦૦૦, વર્ષ પુરાણું સ્વયં પ્રગટેલા મણીધર હનુમાનજીનું મંદીરછે, ત્યાં બ્રાહ્મણ કુળમાં જન્મેલા બચુ અદા કે જે બ્રહ્મર્ષિ કહેવાતા અને ત્યાં સેવા કરતા અને જયોતિષ ખુબજ સારું જાણતા, બાપુ તેમનું ખૂબ માન રાખતા, તેમની અથાગ સમજાવટ પછી આ કુટુંબને ધીરે ધીરે ત્યાં જવાની છૂટ મળી. 

જય નારાયણ.  


No comments:

Post a Comment