Friday, February 28, 2014

                                મોરલી વાળા


આવો હવે મોરલી વાળા, સં ભવામી વચન વાળા
                                                    ભૂમી ભારત ઉગારો,       આવો ગિરિધારી આવો...
રાવણ તેદિ’ એક જનમ્યો’તો, ગઢ લંકા મોજાર. આજ ઠામો ઠામ રાજ રાવણ ના, કોઈ ન તારણ હાર
                                                    વિભીષણ એક ન ભાળું,   જામ્યું બધે પાપ નું જાળું..
પેટમાં પોઢીને સાંભળેલી શિવે, રામ લક્ષ્મણ ની વાત. આજ ન જીજાબાઇ જણાતી, નથી શૂરો કોઈ તાત
                                                            ભીડૂં જે ભોમ ની ભાંગે,   જાગે રણશિંગા વાગે...
આજ ભામાશા ભાળ ન લેતો, લડે રાણાજી કેમ.   ધનવાનો ધન ઉપર બેઠાં, ભોરિંગ કાળા જેમ
                                                              લૂંટે છે ગરીબ ની મૂડી,   રાખે નિતી કુડી કુડી...
હોટલ ક્લબ માં ચડે હિલોળે, ડિસ્કો દેતાં થાપ.  નાટક ચેટક નખરા જોતાં, આજના મા ને બાપ
                                                          તમાકુ ની ફાકીયું ફાકે, આમાં-શિવાજી ક્યાંથી પાકે..
આજ જુવાની ચડી હિલોળે, અવળો છે ઉત્પાત.  નારી દેખી નર સીટીઓ મારે, દુર્યોધન ના ભ્રાત
                                                             સીતાની શોધ શું થાતી, લાજુ જ્યાં રોજ લુટાતી..
લીલા પીળા લૂગડાં પહેરે, નહી પુરુષ પહેચાન.    લટક મટક ચાલ ચાલે ને, નચાવે નેણ કમાન
                                                               આંખે આંજે કાજળ કાળું, રાખે વાળ જાણે જાળું..
શરીર જુવો તો સાગ ની સોટી, વળી છે વાંકી કેડ.  ખેતર વચ્ચે ચાડિયો ચોંટ્યો, એવો લાગે છે મેળ
                                                             ભૂમિ ભારત ની લાજે, ભાળી નિજ બાળ ને આજે..
ખુરસી માટે ખેલ મંડાણો, કરતા નાગા નાચ.  પૈસા ખાતર પંડ ને વેચે, એવા રહ્યા છે સાચ
                                                              ભારત ની  ભોમકા માથે, આવ્યા સૌ બાથં બાથે..
સંત દુભાતાં શામળો આવે, રાખે ભક્ત ની લાજ.  આજ મુનિજન એવા હશે ક્યાં, રિઝાવી લે મહારાજ
                                                                ઊતારે રામ ને હેઠો,   જોવે છે ત્યાં બેઠો બેઠો..
જન્મ ધર્યો જ્યાં જાદવરાયે, રામ લીધો અવતાર.  આજ ભૂમિ એ ભીડે પડી છે, આવે લાજ અપાર
                                                                    રહે શું માતમ તારું,  લાગે તને કલંક કાળું..
સુણી અરજ સરકાર પધારો, આણો પાપ નો અંત.  વણશિંગા આ રાક્ષસ મારી, સ્થાપિદો સઘળે સંત
                                                                 ગીતાના ગાન વિચારો, પધારો શ્યામ પધારો..
અંત આવ્યો અમ ધીરજ કેરો, સંકટ સહ્યાં ન જાય.  આગ લાગી અમ હૈયે હરજી, એક જ છે ઉપાય
                                                                 કાંતો અવતાર ધરાવો, નહિતો ના પ્રભુ કહાવો...
દીન " કેદાર "ના દીન દયાળુ, શાને કરો ઉપહાસ.  પ્રલય પાળે જગ બેઠું છે, નહી ઊગરવા આશ
                                                            પછી અવતાર જો થાશે, તો-તારાં કોણ ગુણલા ગાશે...

સાર:-એક સમય હતો જ્યારે ભારત માટે કહેવાતું કે તેના એક એક જાડ ની દરેક ડાળ પર સોનાના પક્ષી બેઠા રહેતા, પણ એક એવો સમય પણ આવ્યો જ્યારે ભારત માં રહેનાર ભારતીય કહેવરાવવા નું પણ શરમ જનક માનવા લાગ્યા, કારણ કે અમુક લોકો એવા ભ્રષ્ટ પાક્યા કે પુરા ભારતની છબી બગાડી નાંખી. રાવણે સીતાજી નું હરણ કરેલું, પણ તેમને અશોક વટિકા માં રાખેલા, પોતાના મહેલ માં લઈ જવાની કોઈ કોસીશ પણ કરી ન હતી, વિભીષણ રાવણ નોજ ભાઈ હતો, પણ સદાય સાચીજ સલાહ આપતો. આજેતો એવા એવા દુષ્ટો પાક્યા છે કે તેની સરખામણી રાવણ સાથે કરીને રાવણ ને અપમાનિત ન કરી શકાય.

જીજાબાઈ જેવી માતા હોય તેને પેટે શિવાજી મહારાજ જેવા પુત્રો જ પાકે ને? જેણે શિવાજી પેટમાં હતા ત્યારથીજ એવા હાલરડા ગાયા કે શિવાજીએ બચપણ થીજ પોતાનું ભવિષ્ય નું ઘડતર ઘડવાનું ચાલુ કરી દીધું, અને મા ના પેટમાં ગર્ભ હોય ત્યાર થીજ તેને સમજણ આપી શકાય છે, તે આજના વિજ્ઞાને પણ સાબિત કરી બતાવ્યું છે. જ્યારે આજના એવા ઘણા મા બાપ છે જે બાળકને આયાના ભરોંસે સોંપીને હોટેલો અને ક્લબોમાં ડાંસ કરવા જતા હોય, નાટક ચેટક જોતા હોય, અને તમાકુની ફાકીઓ ફાકતા હોય તો તેમની પાસેથી શિવાજી જેવા પુત્રો પાકવાની આશા કેમ રાખવી? આવા વાતાવરણ માં ઊછરેલું બાળક લંપટ ન પાકે તોજ નવાઈ લાગે, પછી ભારત માં ભ્રષ્ટાચાર, વ્યભિચાર અને કાળા નાણા જેવા મહા અનર્થો જ સરજાય ને? જોકે અમુક સંતો મહાત્માઓ ના આશીર્વાદના પ્રતાપે ફરીથી સુવર્ણ યુગ આવવાની આશા રાખી શકાય ખરી. કેમકે રામ અને કૃષ્ણ જેવા અવતારો લેવા ભગવાને આ ભૂમિને પસંદ કરી છે, માટે આપણે બધા એવા કોઈ સંતન ની ભાળ મેળવીએ કે જે ઊપર બેઠાં બેઠાં આ તમાશો જોઈ રહેલા પ્રભુને પ્રાર્થના કરે કે હવે આ ભારતની દશા અમારા થી જોવાતી નથી, કાંતો હવે અવતાર ધારણ કરીને પધારો, મોડું કરશો તો આ નરાધમોનો પ્રભાવ એટલો વધી જશે કે આપને પણ તેનાપર વિજય મેળવવામાં મુશ્કેલી પડશે, અને પ્રભુ હવે તો આ ભારત આ શિંગડા વિનાના નર રાક્ષસોથી પ્રલયની અંતિમ ક્ષણો પર પહોંચી ગયું છે, કાંતો પછી કહીદો કે હવેથી મને ભગવાન ન કહેજો જેથી અમો આપના આગમન ની આશા ન રાખીએ, પણ જો પ્રલય થયો તો આપ હવે અવતાર ક્યાં ધરશો ?, અને અવતાર ધરશો તો આપના ગુણ ગાન ગાનારા ક્યાં ગોતવા જશો? માટે હે નાથ ફરીથી આ ભારતને એજ સુવર્ણ યુગ પ્રદાન કરો જેના માટે આપને જન્મ ધરવાની ઇચ્છા થતી રહેતી.
જય જગદીશ્વર.       

માન્યવર,
આ રચના આપ મારાજ શ્વરમાં મારા બ્લોગ kedarsinhjim.blogspot.com પર માણી શકસો, જે એક કવી સંમેલનમાં મેં રજુ કરી હતી. અન્ય કાર્યક્રમોમાં પણ આ રચના સારી પ્રશંસા પામીછે.
ધન્યવાદ.

Thursday, February 27, 2014

               ભક્ત બોડાણો               



ઢાળ:- કીડી બાઈ ની જાન ને મળતો.

ભક્ત ઉદ્ધારણ ભૂધરો રે,  રાખે  ભક્તો ની નેમ.  પણ બધા એ એના પાળતો, રાખે બાળક ની જેમ
                                                                        ભોળા ભક્તો નો ભગવાન છે..

ડાકોરે વસે એક દૂબળો રે, જેણે રાખેલી ટેક.  પૂનમે દ્વારિકા આવતો, નહી કરતો મીનમેખ
                                                                દર્શન કરવાની એને નેમ છે..

ઘણા વખત ના વાણા વાયા,  નહી તોડેલી ટેક.  પણ-શરીર સૂકાણું સમય જતાં, ખૂટ્યાં મનના આવેગ
                                                                              પહોંચી જરાની હવે પીડ છે..

આવતી પૂનમે કેમ પહોંચાશે, લાગે છેલ્લી છે ખેપ.  સાંભળો અરજ મારી શામળા,  કરૂં વિનંતી હરિ એક
                                                                                 તારે ભરોંસે મારી નાવ છે...

કાયા મારી શા કામની રે, જો ના પણ ને પળાય.  દેહ પડે જો તારે દેવળે,    માન મારું રહી જાય
                                                                                  દોરી તમારે હાથ છે..

દોડી દામોદર આવ્યાં રે,  ઝાલ્યો બોડાણા નો હાથ.  રહું સદા તારા સંગ માં,   કદી છોડું નહી સાથ
                                                                               ભક્ત થકી ભગવાન છે..

ઠાકોર ચાલ્યાં સંગમાં રે, બેસી બોડાણા ની સાથ.  ગૂગળી ગામમાં ગોતતા,  ક્યાં છે દ્વારિકા નો નાથ 
                                                                             નક્કી બોડાણા નો હાથ છે...

વાર ચડી જાણી વિઠ્ઠલે રે, કિધી બોડાણા ને વાત.  મૂકીદે મુજને વાવમાં, પછી આવે છે રાત
                                                                          તારો ને મારો સંગ છે..

ગોતી ગોતી ને ગયા ગૂગળી રે, નહી મળ્યા મહારાજ.  ઠાકોર પહોંચ્યા ડાકોર માં, રહ્યાં બોડાણા ને કાજ
                                                                                છોડ્યા સૌ રાજ ને પાટ છે..

જાણી સૌ ગૂગળી આવ્યાં રે, આવ્યાં ડાકોર મોજાર.  આપો અમારો ભૂધરો,   કીધાં આવી પોકાર 
                                                                        બોડાણો દ્વારિકા નો ચોર છે..

નથી હું ચોર કે નથી ધુતારો, પાળ્યો પ્રભુનો આદેશ.  કહ્યું કાનુડા નું મેં કર્યું,      ગુનો મારો નહી લેશ
                                                                                     ખોટું તમારું આળ છે..

જાણી બોડાણા ને દૂબળો રે, રાખે ગૂગળી વિચાર.  હરિ બરાબર હેમ દ્યો, તોજ તારો કિરતાર
                                                                     પ્રભુ ભજવાની જો હામ છે..

કહે કાનુડો કાનમાં રે,   રાખ વાળી સંગાથ.  તુલસી નું પાન પધરાવજે,  નહી નમે તારો નાથ
                                                                      તારી તે લાજ મારે હાથ છે..

તુલે તુલા ની ભાળ મંડાણી, નથી નમતું આમાં કોય.  ગૂગળી પડ્યા હરિ પાય માં,   પ્રભુ છોડું નહી તોય
                                                                                     એક તમારો આધાર છે..

એક પૂજામાં આવું દ્વારિકા,  એક ડાકોર મોઝાર.  આપ્યું વચન વનમાળી એ, ગુણ ગાતો " કેદાર "
                                                                        ધન્ય બોડાણા તારી ટેક છે..

સાર-ડાકોરમાં બોડાણા નામે એક ભક્ત થઈગયા, કહેવાયછે કે આગલાં જન્મની અંદર તેઓ વિજયાનંદ નામે બાળ કૃષ્ણના સખા હતા, કોઈ કારણસર તેઓ ભગવાનથી રિસાઈ ગયેલા, ભગવાને પોતાના સાચા રૂપનું દર્શન કરાવ્યું ત્યારે વિજયાનંદે હાથ જોડીને કૃષ્ણની ભક્તિ આપવાની માંગ કરી ત્યારે ભગવાને આગલાં જન્મની અંદર મહાન ભક્ત બનીને જન્મ લેશે અને મોક્ષ પામશે એવું વચન આપ્યું.

ભગવાને આપેલ વચન મુજબ કળિયુગમાં વિજયાનંદનો જન્મ ડાકોર મા વિજયસિંહ [કે વજેસંગ] બોડાણાનાં નામે રાજપૂત કુળમાં થયો. તેમના પત્ની નું નામ ગંગાબાઇ હતું. સમય જતાં આગલાં ભવના સંસ્કારે મન ભક્તિ તરફ વળવા લાગ્યું. ધીરે ધીરે દર અષાઢી ૧૧ ના દ્વારિકા જવા રવાના થાય અને કાર્તિકી પુનમે પહોંચે, હાથમાં જવારા/ કે તુલસી વાવેલું કુંડું લે, અને પગ પાળા નીકળી પડે. એમ કરતાં કરતાં ૬૦ વર્ષ વિત્યા ત્યાં સુધી આ નિયમ જાળવી રાખ્યો, પણ ધીરે ધીરે શરીર સુકાવા લાગ્યું, સંવત,૧૨૧૨,ઈસ.૧૧૫૬,ની આ વાત, વહે તો ઉંમર પણ ૮૦ વર્ષ થઈ ગઈ હતી, આ વખતની ખેપ છેલ્લી સમજીને બોડાણાએ ભગવાનને પ્રાર્થના કરી કે નાથ, હવે ચલાતું નથી, બસ એક વખત તારા દર્શન કરી લઉં પછી માફ કરજે, હવે મારાથી અવાશે નહીં. પણ ભગવાન એમ ભક્તની ટેક અધુરી રહેવાદે? પ્રભુએ બોડાણાને સ્વપ્નમાં આવીને કહ્યું કે બોડાણા, આ વખતે બળદ ગાડું લઈને આવજે, પણ બળદ કે ગાડું ક્યાં? મહા મહેનતે લોકોને સમજાવીને ગાડાની વ્યવસ્થા કરી.

જેમ તેમ બોડાણા દ્વારિકા પહોંચ્યા. થાક્યા પાક્યા રાત્રે દર્શન કરીને પોઢ્યા ત્યાં ભગવાને સ્વપ્નમાં આવીને કહ્યું કે"ભક્ત ઊભો થા, મંદિરમાં પધરાવેલી મારી મૂર્તિ લઈને તારા ગાડામાં પધરાવીદે, મારે તારી સાથે ડાકોર આવવુંછે, અને જલદીથી રવાના થઈજા" પણ અહીંતો મંદિરમાં પહેરો હોય? મૂર્તિ કેમ લેવી? પણ ભગવાન પોતે જેને સહાય કરે તેને શું નડે? મંદિરના દ્વાર ખુલ્લાં પડેલા, બોડાણા દ્વારકેશના ભરોંસો મૂર્તિ ગાડામાં પધરાવી ને રવાના થઈ ગયો.  

સવાર થતાં મંગળા આરતી વખતે ભગવાન ની મૂર્તિ ન જોતાં પૂજારી ગૂગળી બ્રાહ્મણો શોધ ખોળ કરવા લાગ્યા, તપાસ કરતાં દરેક વખતે હાજર રહેતા બોડાણાની ગેરહાજરી જોતાં તેના પર શક ગયો. મંદિરમાં રહેતાં રખેવાળો સાથે બોડાણાની ભાળ લેવા તેની પાછળ દોડ્યા, અશક્ત બળદો કેટલું ભાગે? ઉમરેઠ ગામ નજીક જતાં એક વાવ આવેછે, ભગવાને બોડાણાને કહ્યું કે ભક્ત મને આ વાવ માં મૂકીદે, [ભગવાને બોડાણાને સ્વપ્નમાં આવીને કહ્યું તેતો ઘણા ભક્તો સાથે બન્યું છે, પણ અહિં જાગ્રત બોડાણાને કેમ કહ્યું હશે? એની લીલા એ જાણે] આમ ભગવાનને વાવમાં પધરાવી દીધા. ગૂગળી તપાસ કરીને નિરાસ વદને પાછાં ફર્યા. આજ પણ એ વાવની પાળે ઊભેલા લીંબડાની એક ડાળ મીઠી છે એમ કહેછે. 

બોડાણાને જવાતો દીધા, પણ ગૂગળી લોકોને શંકાતો હતીજ તેથી અમુક ગુપ્તચરને તેની પાછળ મોકલ્યા. બોડાણાએ ઘરે આવીને પોતાના સામર્થ્ય મુજબ ભગવાનની સેવા પૂજા કરીની પધરામણી કરી. ગુપ્તચરોએ આવીને આ સમાચાર ગૂગળીઓને આપ્યા ત્યારે બધા મંદિરના રખેવાળોના કાફલા સાથે ડાકોર આવી પહોંચ્યા, અને તે વખતે જે કોઈ આગેવાનો કે ગામના સત્તાધીશો હશે તેને ફરિયાદ કરી કે આ તમારો બોડાણો અમારા ભગવાનને ચોરી લાવ્યોછે.     

સર્વે સત્તાધીશોએ કહ્યું કે અમો બોડાણાને બચપણથી જાણીએ છીએ, તે ચોરી ન કરે, બોડાણાએ પણ બનેલી ઘટના કહી સંભળાવી, પણ ગૂગળી માનવા તૈયાર ન થયા, પછી બોડાણાની આર્થિક સ્થિતિ જોતાં ગૂગલી લોકોએ એક શર્ત રાખી કે જો બોડાણા પર ભગવાન આટલા ખુશ હોય તો બોડાણો અમને આ મૂર્તિની ભારો ભાર સોનું આપીદે તો અમો સાચું માની લઈએ અને જતા રહીએ.

બોડાણા પાંસેતો ફૂટી કોડી પણ ન હતી, પણ આતો દ્વારિકાધીશ, ગંગાબાઈ પાસે એક સોનાની વાળી કેમે કરીને રહી ગયેલી, ભગવાને પ્રેરણા કરીને ગૂગળી લોકોની શર્ત બોડાણાએ માન્ય રાખી,

ગામના ચોકમાં બધા જોવા ભેગા થઈ ગયા કે હવે શું થાશે? ત્રાજવા મંગાવવામાં આવ્યા, તેમાં એક બાજુ ભગવાનની મૂર્તિ પધરાવી અને બીજી બાજુ ગંગાબાઈની વાળી, પણ તલભાર મૂર્તિ વાળું ત્રાજવું નમતું રહ્યું, ગૂગલી લોકો સમજી તો ગયા કે આ ઈશ્વરનો ચમત્કારજ છે, પણ ભગવાનને છોડવા ન માંગતા ગૂગળીઓ માટે આ એક બહાનું હતું કે મૂર્તિ હજુ નમતી છે, ત્યારે ભગવાને ફરી બોડાણાને પ્રેરણા કરી અને બોડાણાએ કહ્યું કે ભૂદેવો, બ્રાહ્મણોને દક્ષિણા આપતી વખતે સાથે તુલસી પત્ર પણ પધરાવવું પડે, જ્યાં સોનાની વાળી સાથે તુલસીનું પત્ર પધરાવ્યું ત્યાંતો જાણે ચમત્કાર થયો, બન્ને છાબડા સમાંતર થઈ ગયા, સર્વે સભાજનોએ બોડાણા અને દ્રારિકાનાથનો જય જય કાર બોલાવ્યો.

ગૂગળી બ્રાહ્મણો પ્રભુના ચરણમાં આળોટી પડ્યા કે નાથ અમારો શો ગુનો?  બોડાણાને તો આપે ધન્ય કર્યો પણ અમો આપ વિના કેમ રહી શકીએ? ત્યારે ભગવાને ગૂગળી બ્રાહ્મણોને વચન આપ્યું કે ગોમતી નદીમાં તપાસ કરજો ત્યાં તમને મારી મૂર્તિ મળી આવશે, તેને મંદિરમાં પધરાવીને તમો પૂજા કરજો.

પણ બ્રાહ્મણો માન્યા નહીં, કે પ્રભુ આપ અહિં બિરાજો તો ખાલી મૂર્તિની પૂજા કરવાથી શો ફાયદો? ત્યારે ભગવાને પ્રસન્ન થઈને વચન આપ્યું કે હું એક પૂજામાં દ્વારિકા રહીશ અને એક પૂજામાં બોડાણા પાસે ડાકોરમાં. આજે પણ કહેવાય છે કે દ્વારિકા અને ડાકોરમાં એક પૂજામાં મૂર્તિમાં તેજ લાગે અને એક પૂજામાં થોડું ઓછું તેજ લાગે, જોકે આતો કોઈ વિરલા ભ્ક્તોને જ ખબર પડતી હશે.

જય રણછોડ.
જય જય ભક્ત બોડાણા   

Tuesday, February 25, 2014

                           ધન્ય એની જાત ને


જન્મ ધરી જેણે જાદવ જપિયા, ધન્ય એની જાત ને
                                         હરિ ભજન જેને હૈયે રમતું, જપે સદા જે જગ તાત ને...

સુવાડે શ્યામ ને સમરી, કથા જે કૃષ્ણ ની કરતી, કરાવે પાન અમૃત નું, રટણ નિત રામ નું કરતી
                                            ગળથૂથી માં જેણે ગોવિંદ ગવડાવ્યો, વંદન એવી માત ને...

ભણ્યો જે ભાવ થી ભૂધર, રચ્યો નિત રામ માં રહેતો, ન લાગ્યું મનડું માયા માં, કશી ના કામના કરતો
                                                      દીન દુખી ને દેતો દિલાસા, સાંભળી એની વાત ને...

કરે નિત સંત ની સેવા, ભળે જે ભક્ત ના ભેળો,   ભજન નો ભેખ પહેરી ને, લગાવે નામ નો નેડો
                                                 પરજન કેરી પીડ પિછાણી જે, જાણે દુખી નિજ જાત ને...

ન આવે યમ તણા તેડા, સિધાવે સ્વર્ગ માં સીધો,   રહે ના જન્મ ના ફેરા, સફળ અવતાર એ કીધો
                                                      " કેદાર " આવા કરમી જન તો, તારીદે સઘળી નાત ને...

સાર-ચોરાસી લાખ યોની માં ભટકતો ભટકતો જીવ જ્યારે માનવ યોની માં પહોંચે છે, ત્યારે તેને શિવ સુધી પહોંચવા નો મોકો મળે છે, અથવા તો ફરીને પાછો ચોરાસી નો ફેરો ફરવા જવું પડે તેવું પણ બને છે. જેવા કર્મો કરે તેવું ફળ મળે, કારણ કે ફક્ત માનવ યોની માં જન્મનાર જીવ પાસે સમજ, બુદ્ધિ, અને વાચા જેવી અલભ્ય શક્તિ પ્રભુ પ્રદાન કરે છે, અને માનવ ને આ ફેરા માંથી છૂટવા માટેની તક આપે છે.
-પણ મારા મનમાં એક શંકા થયા કરે કે આપણા શાસ્ત્રો એવું પણ કહે છે કે ઈશ્વર ની ઇચ્છા વિના એક પાંદડું પણ હલી શકતું નથી, સંસાર ની એક એક ક્ષણ ઈશ્વરે ઘડ્યા મુજબ ના નિયમો પ્રમાણે  ચાલે છે, પ્રભુએ અવતારો ધર્યા તે પણ પૂર્વ યોજિત તેમના નિયમો અને કોઈને આપેલા વચનો પાળવા માટેજ ધર્યા, જેમકે સ્વાયંભુવ મહારાજ મનુ અને તેમના રાણી શતરૂપા ને તેમને ત્યાં પુત્ર તરીકે જન્મ લેવાના વચન આપ્યા મુજબ રામ તરીકે જન્મ લીધો. નારદજી ને કામ વિજય કર્યાના આવેલા અભિમાન ને દૂર કરવા રચેલા વિશ્વ મોહિની ના લગ્ન ના કપટ માં મળેલા વાનર જેવા મુખથી નારદજીએ આપેલા શ્રાપ વશ પણ રામ અવતાર ધરવો પડ્યો.  
પ્રભુ ના દ્વારપાળ જય અને વિજય, કે જેને પ્રભુનાજ બનાવેલા નિયમ મુજબ બ્રાહ્મણો ને ઉચિત સમય ન હોવાથી હરિ સમક્ષ જતાં રોક્યા, અને તેથી તેને બ્રાહ્મણો દ્વારા રાક્ષસ યોનિમાં જન્મ લેવાનો શ્રાપ મળ્યો. દ્વાર પાળો ભગવાન ને અરજ કરવા લાગ્યા કે "પ્રભુ અમે તો અમારી ફરજ બજાવી, આપને આ સમયે વિક્ષેપ ન થવો જોઇએ એમ માની ને અમોએ આ વિપ્રોને અંદર જવાની અનુમતિ ન આપી, તો હે પ્રભુ અમને આવો શ્રાપ યોગ્ય નથી લાગતો" ત્યારે પ્રભુએ બ્રાહ્મણો નો શ્રાપ મિથ્યા તો ન થઈ શકે પણ જો તે પ્રભુ ને ત્રણ અવતાર સુધી વેર ભાવે ભજે તો શ્રાપનું નિવારણ થઈ જશે પણ જો પ્રેમ ભાવે ભજે તો સાત જન્મે નિવારણ થાય, એવું વચન આપ્યું. દ્વાર પાળો એ ત્રણ જન્મે જ પ્રભુ ને વેર ભાવે ભજી ને શ્રાપ મુક્ત થવાનો રસ્તો અપનાવ્યો.  પહેલાં તેઓ હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ રાક્ષસ તરીકે જન્મ પામ્યા, જેમને પ્રભુએ વરાહ રૂપે હિરણાક્ષ અને નૃસિંહ અવતાર ધરીને હિરણ્યકશિપુને સંહાર્યા.  
બીજા અવતાર માં રાવણ અને કુંભકર્ણ તરીકે જન્મ પામ્યા, અને તેમનો મંત્રી ધર્મરુચિ વિભીષણ તરીકે જનમ્યો. રામ અવતારમાં રામે રાવણ અને કુંભકર્ણને સંહાર કરી ને વિભીષણને લંકાનો રાજા બનાવ્યો. 
ત્રીજા અવતાર માં તે શિશુપાલ અને દંતવક્ર નામે જનમ્યા, જેનો કૃષ્ણ અવતાર માં પ્રભુ એ સંહાર કર્યો.
આમ અનેક એવા પ્રસંગો મળે છે કે જે પ્રભુ દ્વારા પૂર્વ યોજિત હોય, તો પછી જેમને જેમને દોષ કર્યો તે પણ પ્રભુ ની યોજના જ હોય એવું નથી લાગતું? પ્રભુની ઇચ્છા વિના જય વિજય કશું કરી શકે? બ્રાહ્મણોને રોકી શકે? અને રોક્યા તો તેણે ફરજ બજાવી હતી, તેના તો શાબાશી મળવી જોઈએં શ્રાપ નહીં, છે ની બધી ઊપર વાળાની લીલા? તો પછી આપણા કર્મોની જવાબદારી આપણી કેમ હોઈ શકે? -
જો ઈશ્વર વધારે દયા કરે તો એવી માં ના ઊદરે જન્મ મળે જે બાળક ને ગળથૂથી માંજ ગોવિંદ નાં ગુણ ગાન કરવાનાં સંસ્કાર આપે, અમૃત સમાન ઈશ્વર ભજન નું પય પાન કરાવે, હરિ રસનાં હાલરડા ગાઈ ને મોટો કરે, જે સદા ઈશ્વરના સ્મરણ માં રત રહેતો ઓય, અહર્નિશ પ્રભુ ભજન કે મંત્ર જાપ,કે પછી આપણા શાસ્ત્રો માં વર્ણવેલી નવ પ્રકારની ભક્તિ માંથી કોઈ પણ પ્રકારની ભક્તિ માં રચ્યો પચ્યો રહેતો હોય, પારકા દુખે દુખી થાય, આવો કોઈ વિરલો બને તો પછી તેને આ ચોરાસીના ફેરા ફરવાનો વારો ન આવે, જલારામ બાપા અને નરસિંહ મહેતા જેવા સંતોના કર્મોના પ્રતાપે આજે તેમની પુરી નાતને લોકો અહોભાવથી જોવા લાગ્યા છે, કે ભાઈ આતો જલાબાપા નો કે નરસિંહ મહેતાની નાતનો છે.
જય શ્રી રામ, અને રામ ભક્તો.   

ફોટો ગુગલના સૌજન્યથી સાભાર.

Thursday, February 20, 2014

                                            ખોટો નાતો


સાખી.

માનવ ભજી લે રામ ને, શાને તું ઝોકા ખાય છે.  ખબર ક્યાં છે ઉમર તારી, કઈ પળ થી પૂરી થાય છે..

કરી લે રટણ શ્રી રામ નું, ફોગટ ના ફેરા ખા નહી.  ભજી લે ભાવથી ભૂધર, અવર સંગ આવે નહી.. 


જેને રામ થકી નહી નાતો, મૂર્ખ જન ફોગટ ફેરા ખાતો..

કાવાદાવા થી કરતો કમાણી, મનમાં મેલ ન માતો
પદ મેળવવા પર ને પીડતો, લેશ નહી એ લજાતો...

ભક્ત જનોના ભાવ ન જાણે, અવળાં કરે ઉત્પાતો
સંત સભામાં આતંક આણી, ફૂલણશી છે ફુલાતો...

ધર્મ ના નામે ધતિંગ રચીને, અવળો અવરથી થાતો
મીઠી મધુરી વાણી વદી ને, ઠગતો જગત ના ઠગાતો..

ખબર નથી રઘુનાથની પાંસે, પળ પળ પાડો મંડાતો
ભૂત બનીને પડશે ભટકવું, મુક્તિ માર્ગ ના કળાતો...

ચેત ચેત નર સંત સેવા કર, કર નારાયણ નાતો
દીન "કેદાર" દામોદર ભજી લે, શીદ ભમે ભટકાતો..

Wednesday, February 19, 2014

                              એક આધાર


એક આધાર તમારો અંબા..
જાણી નિજ બાળ સ્વીકારો, હવે મારો કે પછી તારો....

મેં પાપ કર્યાં બહુ ભારી, મતિ મૂંઢ બની’તી મારી
                       હવે આપો શુદ્ધ વિચારો.....
હું માયા માં છું ફસાયો, મદ મોહ થકી ભરમાયો
                     નથી અવર ઊગરવાનો આરો......
મેં શરણ ગ્રહ્યું છે તમારું, બીજું શું જોર છે મારું
                         શરણાગત જાણી સ્વીકારો....
તમે અધમ ઉધાર્યા ભારી, આવી ઘડી આજ છે મારી
                        કરો મુજ અધમનો ઉદ્ધારો...
માં દીન "કેદાર" ઉગારો, મુજ પાપ નો ભાર ઉતારો
                           કરે વિનંતી દાસ તમારો.....

Tuesday, February 18, 2014

                    શા કામનું


જન્મ ધરી ને કંઈ ન કીધું, જીવન તારું શા કામ નું 
હવે દેખી બુઢાપો કરે બળાપો, હવે સમજ્યે શા કામ નું...

જુવાની જોશમાં ગુજરી, નચાવ્યા નાચ નટીઓ ના
કર્યા નાટક અને ચેટક, ન જાણ્યા જાપ જતિઓ ના
મોહ માયા માં જીવન વિતાવ્યું, નામ લીધું નહી રામ નું...

કરી ના સંત ની સેવા, ગયો નહી જ્ઞાન ને લેવા
ભજન માં ભાગ ના લીધો, મેળવ્યા માન ને મેવા
રંક જનો ને ખૂબ રંજાડ્યા, ધન સંઘર્યે શા કામ નું...

બનાવ્યા બંગલા મોટા, ભર્યા ભંડાર મોતી ના
હવે-ઊઘાડો એકલો સબડે, પડ્યા સાંસા છે જ્યોતિ ના
યમ દૂતો જ્યારે દ્વારે દેખાયા, જોખમ લાગ્યું જાન નું...

હવે ના હાથ હાલે છે, શરણાઈ વાગે શ્વાસ ની
સુતો જે સેજ શય્યા પર, પડ્યો પથારી ઘાસ ની
યાદ આવી હવે ઈશ કેરી, લાધ્યું રટણ શ્રી રામ નું...

હજુ છે હાથ માં બાજી, હરિ હુકમ નું પાનું છે
સુધારે સામળો સઘળું, ગતિ ગોવિંદ ની ન્યારી છે
"કેદાર" હરપળ હરિ જપી લે, સ્મરણ કરી લે શ્યામ નું...
ફોટો ગુગલના સૌજન્યથી સાભાર.

Sunday, February 16, 2014

            ભરોંસો


તારે ભરોંસે નાવ છે, પ્રભુ તાર તાર તું
ડૂબે ના મારી બેડલી, સાચો સુકાની તું...

સંસાર ના ભવ સાગરે, ભટકે છે મારી નાવડી
સૂઝે દિશા ન શામળા,     એથી ઉગાર તું...

વાયુ ભરાયો વહેમ નો, સંયમ ના સઢ મહી
છટકે સુકાન હાથ થી,     એને સંભાળ તું...

મારું હલેસા હાથ થી, મોજાં મટે નહિ
પાણી ભરાયા પાપ ના, એને ઉલેચ તું...

ભાળું નહિ ધ્રુ તારલો, શાથી દિશા સૂઝે
માયા વમળ થી માધવા, આવી ઉગાર તું...

સોંપ્યું સુકાન શ્યામ ને, ભૂધર ભરોસા પર
"કેદાર" દીન ની નાવડી, કાંઠે લગાડતું...

ફોટો ગુગલના સૌજન્યથી સાભાર.

                         દુવિધા
કેમ રે ભરોંસો તારો આવે, દેવકી ના જાયા..કેમ રે...

ખોટાં ખોટાં વચનો તારાં, ખોટા તારા વાયદા
                            ખોટાં ખોટાં ખેલ કરાવે...

પાંચાળી કેરાં પ્રીતમ, પટ પૂરાં પૂરિયા
                          ગોપીઓ ના ચીર ને કાં ચોરાવે....

ગીતાના જ્ઞાન ગોવિંદ,  પાર્થ ને પઢાવ્યા
                        પણ-રણ છોડી રીતો કાં ભુલાવે...

ટિટોડી કેરાં કેશવ,  ઈંડા ને ઉગાર્યા
                        પણ-કાળ યવન કપટે કાં મરાવે....

સૃષ્ટિ ના સર્જન હારા, હાની મરણ [તારા] હાથમાં
                         તો- દ્વારિકા ને દરિયો કાં ડુબાવે...

"કેદાર" કનૈયા તારી,   લીલા ને શું જાણશે
                             મથી મથી મનડા ને મૂંઝાવે..

સાર-ભક્તો ઈશ્વરની આરાધના તો અનેક પ્રકારે કરતાજ હોય છે, પણ માનવી અલગ અલગ ભગવાન ને અલગ અલગ રીતે ભજતો હોય છે. કોઈ દેવાધી દેવ શિવ ને ભજે, કોઈ પૂર્ણ પુરુષોત્તમ રામ ને ભજે, એજ રીતે વૈશ્નવો અને ગોપીઓ કૃષ્ણને ભજે છે, પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરે છે કાના પર, છતાં કૃષ્ણ તો સોળ કળાના છે ને? અનેક કાવા દાવા કરે, અનેક ખેલ જાણે, રાસ પણ રમાડે અને યુદ્ધ પણ કરે, એનો કોઈ ભરોંસો થાય નહીં, કારણ કે એ કદમ ના જાડ પર ચડી ને ગોપીઓના વસ્ત્રો નુ હરણ પણ કરે, અને જ્યારે પાંચાળી પોકાર કરે ત્યારે અખૂટ વસ્ત્રો નો ભંડાર પણ હાજર કરીદે.
કુરુક્ષેત્રમાં અર્જુન ને વિરાટ રૂપ બતાવીને ગીતાના જ્ઞાન આપે અને યુદ્ધના નિયમો પણ સમજાવે. યુદ્ધ ભૂમિમાં ટિટોડીના ઈંડાને હાથીના ગળે લટકતો ઘંટ ઢાંકીને ઊગારનાર કાળયવન ને કપટથી મરાવી પણ શકે. જ્યારે કાળયવન નામનો યવન યાદવો સાથે ભયંકર યુદ્ધ કરતો હતો, કૃષ્ણ ને લાગ્યું કે આ યવન સીધી રીતે હાર પામશે નહીં, ત્યારે તેઓ યુદ્ધ ભૂમિમાંથી ભાગવા ભાગ્યા છે એવો દેખાવ કરીને એક ગુફામાં સંતાઈ ગયા, એ ગુફામાં મુચકુંદ નામનો રાજા સૂતો હતો, કૃષ્ણ ભગવાને પોતાનું વસ્ત્ર તેના પર ઓઢાડી દીધું, કાળયવન સમજ્યો કે કૃષ્ણ ઢોંગ કરીને સુતા છે, તેથી તેણે મુચકુંદ રાજાને લાત મારી, મુચકુંદ રાજાએ  ક્રોધ ભરેલી દ્ગષ્ટિથી જોયું. મુચકુંદના કોપાગ્નિથી કાલયવન તરત જ બળીને ભસ્મ થઈ ગયો. જ્યારે જરાસંઘ સાથે યુદ્ધ થયું ત્યારે હરેક રણ નિતી જાણનાર કૃષ્ણ ને રણ માંથી ભાગવું પણ પડેલું, અને તેથી તેઓ રણછોડ કહેવાયા.
સમગ્ર સૃષ્ટિ નું સર્જન કરનાર, અને "દૃષ્ટિ વિલાય, સૃષ્ટિ લય હોઈ" જેની ફક્ત આંખ ત્રાંસી થાય ત્યાં સમગ્ર સૃષ્ટિ ઓગળીને નાશ પામે એવા કૃષ્ણે પોતાના માટેજ સ્થાપિત કરેલી સોને મઢેલી દ્વારિકા નગરી ને સમુદ્ર ડુબાવી શકે ખરો?
આ છે નટખટ નંદલાલ, માખણ ચોર, ગોપીઓ ની મટકી ફોડનારો, ગાયો ચરાવનાર, રાસ રચયિતા, રમણગર, બલી રાજાનો પહેરેદાર, અને પાર્થ નો સારથી, વિરાટ ભગવાન કૃષ્ણ, એની લીલાને મારા જેવો પામર પ્રાણી શું સમજી શકે?
બસ બોલો જય શ્રી કૃષ્ણ.      

ફોટો ગુગલના સૌજન્યથી સાભાર.

Thursday, February 13, 2014

                      સ્વાર્થ ની સગાઈ

સાખીઓ

સગા ને સ્નેહીઓ સઘળા, સ્વાર્થ મહીં ગરકાવ છે.  સંબંધ છે શ્વાસ સાથે નો, પછી ક્યાં યાદ રાખે છે
રડે સૌ રાગ તાણી ને, મલાજો મોત નો કરવા.  સમય જાતાં વિસારી દે, પછી ક્યાં યાદ રાખે છે....

સ્વાર્થ તણી છે સગાઈ, જગત માં બધી.....
સ્વાર્થ ની સાસુ સ્વાર્થ ના સસરા, સ્વાર્થ તણી કોઈ કોઈ માઇ....

૧-પુત્ર કમાણી કરી ઘર લાવે તો,  દીપક કુળ ગણાઈ
શરીર ઘટે કે રોગ સતાવે તો,  બોજ બને ઘર માંઈ......

૨-માત પિતાની સેવા કરતો-કેમકે-, થઈ નથી ભાગ બટાઈ
વારસો મળતાં વસમા લાગે,  હવે ડોસો ને ડોશી છે ગંધાઈ...

૩-હરખે સ્વામી હાર ઘડાવે તો, સેવા કરતી સવાઈ
ભાગ્ય ફરે ને ભૂખ સતાવે તો, નિશ દિન કરતી લડાઇ...

૪-પુત્રી કેરાં પાય પખાળે તો,  વહાલો લાગે જમાઈ   
જો સૂત નારી સંગે હસે તો, લાજ કુટુંબ ની લૂંટાઈ...

૫-દીન "કેદાર"પર દયા દરશાવી મારી, અળગી કરો અવળાઈ
સ્વાર્થ સઘળા મારા મનથી મટાડી, પ્રેમ થી લાગુ હરિ પાઇ....

સાર-આ જગતમાં મોટા ભાગે બધી સગાઈ સ્વાર્થ થીજ ભરેલી હોય એવું આપણને દેખાઈ આવે છે. એ પણ ત્યાં સુધી કે કોઈ કોઈ જનેતા પણ સ્વાર્થ થી ભરેલી દેખાય છે. સાસુને તો પોતાની પુત્રી પ્રત્યે સ્વાર્થ હોય, તે સહજ માનવ સ્વભાવ ગણાય. પણ મા? ક્યારેકતો બે પુત્રોમાં પણ મા ની અલગ અલગ લાગણી દેખાયછે. 
૧-પુત્ર ને સારી નોકરી કે ધંધો હોય, સારી આવક હોય, બધા માટે ભેટ સોગાદો લાવતો હોય, તો તેના વખાણ કરવામાં કશી કમી રહેતી નથી. એજ પુત્ર ને સંજોગો વસાત, કે કોઈ રોગ વસ નોકરી કે ધંધામાં આવક બંધ થાય, દેણું થવા લાગે કે સારવાર નો ખર્ચ વધે તો તે ઘરમાં તો બોજ બનેજ, પણ  આ હળાહળ કળિયુગમાં  કોઈ કોઈ માં પણ પુત્રને તરછોડવા લાગે છે.
૨-પૈસાપાત્ર ઘર હોય, મા બાપ પાસે સારો એવો ધન નો ભંડાર હોય, અને એથી પણ વિશેષ કે મિલકત માં ભાઈઓનો ભાગ ન પડ્યો હોય,ત્યાં સુધી પુત્રો અતિશય પ્રેમ થી માં બાપ ની સેવા કરે, પણ જેવો ભાગ પડી જાય, હિસ્સો વહેંચાય જાય, પછી કોઈ મા બાપ ને સાંચવવા પણ તૈયાર થતા નથી.
૩-પતી પોતા માટે ઘરેણા ઘડાવી લાવે, સારી સારી ભેટ સોગાદો લાવે, કે પડ્યો બોલ ઉઠાવતો હોય તો પત્ની અર્ધાંગની બની ને રહે છે. પણ ભાગ્ય વશ નાણાભીડ આવે, માગણીઓ સંતોષી શકાય નહિ, તો પછી એજ પત્ની કર્કશા નારી બનીને ઘરને નરક બનાવીદે છે.
૪-જમાઈ એવો મળ્યો હોય કે પોતાની પુત્રીના પડ્યા બોલ પાળતો હોય, સ્વાસ્થ્ય બગડે તો સારવાર કરવામાં કોઈ કચાશ રાખતો ન હોય, તો આવા જમાઈ મળવા બદલ ભગવાન નો પાળ માને છે.પણ જો આજ લક્ષણ પુત્રમાં દેખાય, તો પત્ની નો ગુલામ ગણી ને ઉતારી પાડવામાં આવે છે.
૫-પણ હે પ્રભુ, આવી કોઈ પણ સ્વાર્થ ની ભાવના મારામાં ન આવે, નિઃસ્વાર્થ ભાવે જગત ને જોઇ ને તારા ગુણગાન કરતો રહું એજ આશા રાખું છું.                    

ફોટો ગુગલના સહયોગથી સાભાર.

Tuesday, February 11, 2014

                                         શીદ ને ફૂલાય ?


શીદ ને ફરે ફૂલાય ને, હું હું કર્યા કરે
આપેલ સઘળું ઈશ નું, મારું મારું કર્યા કરે...

આપી બુદ્ધિ અધિક છે, કે ભાવે ભજન કરે.   પણ-અવળિ કરે આરાધના, ભાવિ ભૂલ્યા કરે...

દીધેલી વાણી વિઠ્ઠલે, તો એ હરિ ના ભજ્યા કરે.  ભસતો ફરે છે ભાષણો,   જગને ઠગ્યા કરે...

ધન દોલત સુખ સાયબી, આપ્યાં હરિવરે.   કહેતો કમાણી હાથ ની, એવા ભરમે ભમ્યા કરે...

રડતાં હજારો બુદ્ધિ જન, કોઈ મુરખા મજા કરે.    ધનવાનો ના ધામ માં, ક્યાંક નિર્ધન ફૂલ્યા ફરે...

જલચર સ્થલચર નભચરો, નિજ નિજ ની ક્રિયા કરે.  પણ-કહેવું પડે છે માનવી ને,  કે-માનવ બન્યા કરે..

આપ્યું અધિક કાં એક ને, શું કુદરત કપટ કરે ?    પણ તેને-બનવું પડે છે માનવી,  ત્યારે નડ્યા કરે..

આપે અધિક જો ઈશ તું, આ દીન પર દયા કરી. તો  "કેદાર" કેરી કામના, તને પલ પલ ભજ્યા કરે..


સાર- ઇશ્વરે માનવીને દેવતાઓ ને પણ દુર્લભ એવો માનવ દેહ તો આપ્યો, પણ સાથે સાથે એટલું બધું આપ્યું છે કે જેનો 
આપણને ખ્યાલ પણ નથી આવતો.  અને આમે માનવ સ્વભાવ છે કે જે સરળતાથી મળે તેની કિંમત સમજાતી નથી. 

ઇશ્વરે આપણને બાકીના જીવો કરતાં અનેક ગણી બુદ્ધિ આપી છે, જેના પ્રતાપે માનવ અવકાશ, આકાશ પાતાળ અને ભૂમિના કોઈ પણ ભાગમાં ભમવા લાગ્યો છે, મોટાં મોટાં યંત્રો બનાવતો થયો, સૂક્ષ્મ ચિપ્સ બનાવીને તેની પાસેથી મોટાં મોટાં કામ લેતો થયો છે. આટ આટલી શક્તિ હોવા છતાં ઈશ્વર ની આરાધના કરવામાં સાવ ઊણો ઊતર્યો છે.

ઈશ્વરે ફક્ત અને ફક્ત માનવીને વાણી પ્રદાન કરીને એક અણમોલ ભેટ આપી, કે જેના વડે તે ઈશ્વરના ભજન કરીને પાર થઈ શકે, પણ મોટા ભાગે માનવી ભજન કરવાને બદલે તેનો દુરુપયોગ કરી ને બિજાને છેતરવામાં આ ભેટને વેડફી નાંખે છે.

ઈશ્વરે ધન દોલત બુદ્ધિ સાથે સાથે અનેક પ્રકારની સુખ સુવિધા માનવીને આપી છે, પણ જો તેનો સાચા રસ્તે ઉપયોગ ન કરવામાં આવે તો ઈશ્વરને ગમે ખરું? અને તેથીજ ઈશ્વર તેની સજા રૂપે દર્દો, નિર્ધનતા અને એવા અનેક પ્રકારના દુઃખોથી પીડા આપે છે, જ્યારે ઘણા ધનિકો ના આવાસમાં માલિક કરતાં તેના નોકરો નિર્ધન હોવા છતાં સુખ સાહ્યબી ભોગવતા હોય છે.

ઈશ્વરે અનેક જાતના અને અનેક પ્રકારના જીવો બનાવ્યા, જેમાં જલમાં રહેનાર, જમીન પર રહેનાર અને આકાશ માં વિહરનારા વિધ વિધ ભાતના જીવો બનાવ્યા છે જે દરેક પોત પોતાની રીતે જીવન જીવ્યા કરે છે, પણ એક માનવી ભાન ભૂલીને આડા અવળાં કામ કરતો રહે છે જેથી તેને કહેવાનું મન થઈ આવે કે ભાઈ માણસ થા.

ક્યારેક એવો પણ વિચાર આવે કે ઈશ્વરે ફક્ત માનવી પર આટલી બધી દયા શા માટે વરસાવી હશે? પણ મને લાગે છે કે ઈશ્વરે અમુક અપવાદ સિવાય મોટા ભાગે અવતાર ફક્ત માનવ રૂપે જ ધર્યા છે, અને ત્યારે આ બધી સુવિધાઓ ભોગવવા મળે એમ વિચારીને જ આ કૃપા કરી હોય એમ લાગે છે.

હે ઈશ્વર તેં મારા પર દયા કરી ને મને અઢળક આપ્યું છે, પણ હજુ મારી એક કામના છે કે મને એવી સમજણ આપજે કે હું તને શ્વાસે શ્વાસે તારું ભજન કર્યા કરૂં અને મારા જીવનની હર એક પળ તારા ગુણ ગાન ગાવા માં વિતાવું.
જય શ્રી રામ.

Monday, February 10, 2014

                                માળા જપી લે


ઢાળ-એકલાં જવાના (૨) સાથી વિના સંગી વિના...ને લગતો

જપી લે જપી લે માળા હરિ હર ના નામ ની
                                           હરિ વિના કોણ ઉતારે ગઠડી તારા ભાર ની...

જનમી જગત માં આવ્યો, ચોરાશી ફરી ને.  અવસર ના મળશે આવો, ફરી રે ફરી ને
                                          જગત ની છે માયા જૂઠી, નથી કોઈ કામ ની..

આરે સંસાર કેરું, સુખ નથી સાચું .  માયાના બંધના ખોટાં, જીવન છે ટાંચું
                                  ભજીલે ભજીલે ભૂધર, રટણા કર રામ ની...

સોના રૂપા ને હીરલા, સંઘર્યે શું થાશે.   કોને ખબર છે ક્યારે, આતમ ઊડી જાશે
                                           પૈસા ની ભરેલી પેટી, પડી રહેવા ની...

માટે-શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, પલ પલ ભજ રામ ને.  જીવન ની ઝંઝટ સઘળી, સોંપી દો શ્યામ ને
                                                            ખટપટ તું ખોટી ના કર, મોભા કે માન ની...

"કેદાર" કરુણા નો સાગર, આવે જો ઉર માં.   મહેકે જીવન ની વાડી, આનંદ ભરપૂર માં
                                                  ફરૂકે ધજાયું તારી, ભક્તિ કેરા ભાવ ની..

સાર-આપણા શાસ્ત્રો મુજબ જીવ શિવ તત્વ થી છૂટો પડીને ચોરાસી લાખ યોનિમાં જન્મ લે છે, નિમ્ન કક્ષા થી શરૂઆત કરીને જેમ જેમ શુભ કર્મો કરતો જાય તેમ તેમ ઉચ્ચ કોટી ની યોની પ્રાપ્ત કરતાં કરતાં અંતે દેવતાઓને પણ દુર્લભ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરે છે કે જેના વડે આ ચોરાસીના ચક્ર માંથી છુટકારો મેળવીને ફરીથી શિવ તત્વ માં વિલીન થઈ શકાય છે. ચોરાસી લાખ યોની પાર કર્યા પછી માનવ દેહ મળે છે, અને દેવોને પણ દુર્લભ આ દેહ નર માંથી નરેન્દ્ર(સ્વામી વિવેકાનંદ) જેવા સંતો બની શકે છે. ઈશ્વરે આ સંસાર અતિ સુંદર બનાવ્યો છે. પણ સાથો સાથ એમાં જીવને લપટી જવા માટેનાં ઘણા બધા પ્રલોભનો પણ આપ્યા છે. મારા મતે તો આ એક સાપ સીડી જેવો કુદરત નો ખેલ છે, કેમકે શાસ્ત્રો એમ પણ કહે છે કે ઈશ્વરની ઇચ્છા વગર એક પાંદડું પણ હલી શકતું નથી, તો પછી જીવને પોતાને કર્મો કરવાની છૂટ ક્યાંથી હોય? અને તો પછી કર્મોના ફળ જીવને કેમ ભોગવવાના? આ બધા ઊપર વાળા ના ખેલ સમજવા અધરા છે, એ આંટી ઘૂંટી માં પડવા કરતાં હરિ ભજન કરતાં રહેવું, અને બનેતો જરૂરતમંદો ને મદદરૂપ થતું રહેવું, એના જેવું બિજું કોઈ ઉત્તમ કામ મારા મતે લાગતું નથી.

સંગ્રહખોરી ની જીવ માત્રને લાલચ હોય છે, એના પુરાવા આપણે મધ માખી, કીડી જેવા જીવો ખોરાક સંઘરતાં નજરો નજર જોઈ શકીએ છીએ, પણ માનવ?  આના જેવો સંગ્રહખોર બીજો કોઈ જીવ મેં ભાળ્યો તો નથી પણ સાંભળ્યોએ નથી, ખોરાક સિવાયની પણ અનેક વસ્તુ માનવ સંઘરે છે અને સંગ્રહ કરવા માટે કોઈ પણ સારું નરસું કાર્ય કરવામાં પાછી પાની કરતો નથી, પણ જ્યારે ઊપર વાળાનું તેડું આવે છે ત્યારે સિકંદરની જેમ ખાલી હાથે અને કર્મો ની સંગાથે ચાલ્યો જાય છે.

મારા જેવા દંભી લોકો બીજા પાસેથી સાંભળેલું આ બધું કહે, લખે અને બીજાને પ્રવચનો આપે, પણ એના બદલે હરી ભજન જીવનમાં ઊતારીને સર્વે કાર્યો ઉપરવાળાને સોંપીને બસ ભજન કરતાં રહીએ તો આ જીવન નો બાગ સદાય મહેકતો રહે.
જય શ્રી કૃષ્ણ.       

Sunday, February 9, 2014

                                 માનવ દેહ


માનવ કેરો દેહ મળ્યો છે, ચોરાશી તરવા તને
માયામાં જો મોહી રહ્યો તો, મુક્તિ ક્યારે મળશે તને...

બચપણ મહીં માં બાપની, માયા તને વળગી રહી
ભણ્યો તું ભાવ થી ભેરુ, ભગવાન ને જાણ્યો નહી
પછી આવી યુવાની, થઈ ને દીવાની, મદ થકી મળવા તને...

મળ્યા છે માન ને દોલત, મળ્યા નોકર અને ચાકર
નથી દુખી કોઈ વાતે, રહે છે મહેલ માં જાકર
મળ્યું છે મોટું નામ તુજને, ભક્તિ ક્યારે મળશે તને...

થઈ જ્યારે ઉમર તારી, થયો નિવૃત તું તન થી 
સંસાર કેરા સુખ માં, ચીટકી રહ્યો મનથી
યાદ ન આવી ઈશ કેરી, ભૂલી ગયો ભગવાન ને...

અવસર તને આપ્યો હતો, કરવાને ભક્તિ ભાવ થી 
સમજી શક્યો નહી સાન માં, મોકો ગુમાવ્યો હાથ થી
"કેદાર" પારખ કોક નીકળે, જાણી લે જે જગ તાત ને...


સાર-સંતો, મહંતો, શાસ્ત્રો અને વેદો પણ કહે છે કે જીવ ચોરાસી લાખ યોની માં ભટકતો ભટકતો, અનેક કષ્ટો ભોગવતો ભોગવતો જ્યારે ભગવાન ને અનેક રીતે રિઝાવે છે, મનાવે અને પ્રાર્થનાઓ કરે છે,  ત્યારે પ્રભુ દયા કરીને આ દેવો ને પણ દુર્લભ માનવ દેહ આપે છે. સંતો, મહંતો અને યોગીઓ પોતાના તપ ના બળે પોતાના પૂર્વ જન્મોનું જ્ઞાન મેળવીને આ ઘટના ચક્રની વાતો જાણી લે છે, અને બીજાને પણ જણાવીને યોગ્ય જીવન જીવવાનું માર્ગ દર્શન આપે છે. અને માનવીને મોક્ષ મેળવવા શું શું પ્રયત્નો કરવા તે બતાવતા રહે છે, જો માનવી એ ઉપદેશોનું પાલન કરે અને પ્રભુને ભાવ સહિત ભજતો રહે તો જરૂર મોક્ષ પામે છે. પણ ઘણા મહા માનવો નરસિંહ મહેતાની જેમ "હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જનમો જનમ અવતાર રે.." ની રાહે ફરી ફરી જન્મો માંગીને હરી ભક્તિ કરવાની નેમ રાખતા હોય છે.  માનવ દેહ એટલાં માટે દુર્લભ છે કે ફક્ત આ દેહ માંજ વિચારવાની શક્તિ, વાણી, અને અનેક કર્મો કરવાની આવડત મળે છે. જેમાં સારા કે ખરાબ કોઈ પણ કર્મો કરી શકાય છે. આ દેહ થકી સ્વર્ગ પણ મેળવી શકાય છે, અને નરક પણ મેળવી શકાય છે. મોક્ષ પણ મેળવી શકાય છે, અને પાછો ચોરાસી નો ફેરો પણ મેળવી શકાય છે. માટે સંતો, મહંતોએ આપેલા જ્ઞાન નો લાભ લઈને મોહજાળમાં પડ્યા વિના મુક્તિના માર્ગે ચાલવું.
બચપણમાં મા બાપની માયા લાગે, પછી ભણતરથી જ્ઞાન મેળવવાનો સમય આવે, ત્યાર બાદ યૌવન અને લગ્ન, અને માયાના બંધન આવે ત્યારે ભગવાનની પ્રાર્થના કરવાનો સમય ન રહે.
પછી કામ ધંધો, માન મર્તબો, નોકર ચાકર, ગાડી બંગલા માં જીવ એવો અટવાઈ જાય કે ભક્તિ કરવાનું યાદ પણ ન રહે અને સમય પણ ન રહે, હા ક્યારેક સમાજમાં દેખાવ કરવા ખાતર અને પોતાને મોટા ભક્ત બતાવવા માટે હોમ હવન અને યજ્ઞનો દેખાવ કરીને પ્રદર્શન કરવા પડે. 
ત્યાર બાદ ઉમર થતાં શરીર થોડું ઘસાય, કમજોરી આવે, નજર નબળી પડે ત્યારે નોકરી ધંધામાંથી તો નિર્વૃતિ લઈલે, પણ મન તો સદાય માયાને વળગેલુંજ રહે, માયાપતી યાદ ન આવે.
આવો રૂળો અમૂલ્ય અવસર ઈશ્વર આપે પણ તેની જાણ જીવને ત્યારે પડે છે, જ્યારે વૃદ્ધાવસ્થા આવે, બિમાર પડે, યમના દૂતો નજર સામે દેખાવા લાગે, શ્વાસની શરણાઈ વાગવા લાગે, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોવાથી આ સમજણ નકામી નીવડે છે. પણ એવા પણ જીવાત્મા આ જગતમાં જન્મે છે કે જે જન્મથીજ ગર્ભમાં ઈશ્વરને આપેલા કોલ ને યાદ કરીને પોતે તો તરીજાય છે, બીજાને પણ તારતો જાય છે.
ઈશ્વર આ સમજ સર્વે જીવ માત્રને આપે એજ અભ્યર્થના સહ. 
જય શ્રી રામ.   

ફોટો ગુગલના સહયોગથી સાભાર.

Saturday, February 8, 2014

                          


                                                 અવસર 

ઢાળ:- કાફી જેવો


                                      -સાખીઓ-
રાખ ભરોંસો રામ પર, કરશે તારાં કામ.  હેતે ભજી લો રામ ને, એક જ છે સુખ ધામ

પલ પલ ભજી લે રામ ને, છોડ જગત ની માયા.  સઘળા કાર્ય સુધારશે,    કંચન કરશે કાયા

રામ રામ બસ રામ જપ, રામ જપ બસ રામ.  શીદ ને સડે સંસાર માં, મિથ્યા જગત નું કામ..


અવસર આ અણમોલ મલ્યો છે, ભજી લે ને ભગવાન ને
જાણ નથી ક્યારે જમડા આવે,   સેવી લે સુંદર શ્યામ ને...

માતા તણા ઉદર નહિ ભગવાન ને ભજતો હતો. કીધો ભરોંસો ભૂધરે, અવતાર તુજ આપ્યો હતો
પરવશ જાણી માને પ્રેમ આપ્યો, સમજી લે જે તારી સાન ને...

ભૂખ્યો ન રાખે ભૂધરો, સોંપીદો સઘળું શ્યામ ને. રાખો ભરોંસો રામ પર, કરવાદો સૌ કિરતાર ને
જેણે બનાવ્યો એજ જિવાડે, ગાવ એના ગુણ ગાન ને...    

આપેલ સઘળું ઈશ નું, માનવ થકી મળશે નહી.  મોકો ન ભૂલજે માનવી, જીવન આ જડશે નહી
મહેર પામો માધવ કેરી, રટીલો રાધે શ્યામ ને...

પલ પલ રટણ કર રામનું, માળા મોહન ના નામ ની.  ભજી લે ભાવથી ભૂધર, કળા એક જ આ કામ ની
દીન "કેદાર" પર દયા દરશાવો, ભાળું અંતે ભગવાન ને...

સાર-સંતો મહંતો એમ કહે છે કે માનવ દેહ દેવતાઓને પણ મળવો કઠિન છે, આપણા શાસ્ત્રો પણ કહે છે કે જ્યારે જ્યારે ભગવાને અવતાર ધારણ કર્યો છે, ત્યારે ત્યારે મોટા ભાગે મનુષ્યનો દેહજ ધર્યો છે. આવો અણમોલ માનવ દેહ આપણને મળ્યો છે, અને એ ખબર નથી કે તે કેટલા સમય માટે મળ્યો છે, જો આપણને આપણા જીવન ની અવધી ખબર હોય તો આપણે એ પ્રમાણે આયોજન કરી શકીએ, પણ એકતો ખબર છેજ કે ક્યારેક ને ક્યારેક તો યમના તેડા આવવાનાંજ છે. માટે ઉપર વાળા એ આપેલ આ અમૂલખ માનવ જીવનનો ઉપયોગ કરીને હરિનાં એવા ગુણગાન કરી લઈએ કે ભગવાને આપણને ફરી ફરીને માનવ દેહ આપવોજ પડે, બાકીતો અન્ય પામર કીડા મકોડા પણ જીવન તો જીવેજ છે.

જ્યારે જીવ માતાના ઉદરમાં પ્રવેશ કરે, ત્યારે સંતો મહંતો ના કહેવા મુજબ તેને બધી સમજ હોય છે.  અને તેથી તે ભગવાન ને અરજ કરે છે કે મને આ કેદ થી જલદી છોડાવો, હું આપનાં ભજન કરીને મારું જીવન સાર્થક કરીશ. પણ આપણને બનાવનારો બરાબર જાણે છે, જન્મની સાથેજ આપણી વાણી છીનવી લે છે, તે જ્યારે આગલાં જન્મની સ્મૃતિ જતી રહે પછી મળે છે. તેથી આગળના કોઈ સંબંધ કે હિસાબ કિતાબ માં ફસાયા વિના પ્રભુ ભજન કરે. પણ આ ત્રુટી ને ટાળવા હરિએ માને એવી દૃષ્ટિ આપિછે કે બાળક ના એક એક ઇશારાને મા સમજી જઈને બાળક નું જતન કરે છે. 

આપણે કોઈ જાનવર ને પાળીએ તો તેનું દરેક પ્રકારે પાલન પોષણ કરીએ છીએ. તો જગતનો પાલનહાર આપણને કેમ ભુખ્યો રાખે? બસ એના પર ભરોંસો રાખીને એના ગુણ ગાન કરતા રહીએ.

આપણે આપણી કોઈ પણ જરૂરત માટે બીજા કોઈ પર નિર્ભર ન રહેતાં બધું ઊપર વાળાને સોંપીને હર પળ હર ક્ષણ ભજન કરતું રહેવું, અને એવું જીવન જીવવું કે આ જીવન સફળ બની જાય, બાકી કોઈ પણ કારસો કામ આવતો નથી. પણ આ સંસારની માયા એવી લાગે છે કે આ બધું કરવું સહેલું નથી રહેતું, એના માટે પણ આપણે બધું ઊપર વાળાને સોંપી દેવું, જય શ્રી રામ.    
ફોટો ગુગલના સહયોગથી સાભાર.

Friday, February 7, 2014

એટલું માંગી લઉં

મિત્રો મારા ગુરુ સમાન સ્નેહી શ્રી કવી "દાદ" ની એક રચના ટી વી પર શ્રીમાન ભિખુદાનભાઈ રજૂ કરી રહ્યા હતા, "તું આપે એટલું લંવ" પણ તેના સીધા સાદાં શબ્દો થી દાદજીએ એવીતો રચના કરી કે ફક્ત બે વખત સાંભળતાં મને કંઠસ્થ થઈ ગઈ, અને તેની પ્રસ્તુતિ કરનાર ભીખુદાનભાઈની શૈલી પછી કેમ યાદ ન રહે? તે અહીં મૂકવા પ્રેરાયોછું. કારણ કે આ રચના સાંભળીને મારા દિલમાં અવાજ આવ્યો કે આતો "દાદ", એને ઉપરવાળાને કોઈ દાદ {ફરિયાદ} કરવાની ન હોય, ઉપરવાળો તેની જરૂરિયાત પોતેજ પુરી કરતો હોય, પણ હું ? મારી દાદ એમ કોઈ સાંભળે નહીં, અને હુંતો સદાએ તેનો ભિખારી, કેમ ન માંગું. તેથી એક "શું માંગું" રચના કરવા છતાં "એટલું માંગી લવ" લખાઇગયું. જે અહીં રજૂ કરૂંછું, પણ પહેલાં મારા "દાદ"ની સાધારણ શબ્દોમાં અસાધારણ રચના, આપ પણ માણો એવી આશા રાખુંછું.

વ્હાલાજી તું આપે એટલું લવ, એમાં ઓછું વધુ નહીં કંઉ....

આ સંસારમાં તારી સમૃદ્ધિના,    ભંડાર ભર્યાછે બઉ

પણ મુખમાં સમાઇજાય એટલું માંગું, નહી ઊડળમાં લઉં...

મોંઘાં ભલે પણ મોતી ખવાય નહીં, ખાય સૌ બાજરો ને ઘઉં

મીલના માલિક તાકા પહેરે નહીં,     સવા ગજ પહેરેછે સઉ...

સમદર પીવાથી પ્યાસ બૂજે નહીં,   થઈ જાય અપચો બઉ

મીઠડું મજાનું ઝરણું મળેતો,            અમૃત ઘુટડા લઉં....

ઘરના ખૂણામાં ઘનશ્યામ મળેતો, ચાલું શીદ ગાઉ ના ગાઉ
"દાદ" કહે પ્રભુ તારી દુનિયામાં,          તું રાખે એમ રઉ...

ઊડળ=બથ ભરીને.




                     એટલું માંગી લઉં

વ્હાલાજી હું એટલું માંગી લવ
                            તારા ચરણ કમળ માં રંવ...

આ સંસાર અસાર છે કેછે પણ, હું કેમ માંની લઉં

હરિનું બનાવેલું હોય મજાનું,     એને સમજી લઉં...

મુક્તિ કેરો મોહ નથી ભલે, અવિરત જનમો લઉં

પણ ભવે ભવે હું માનવ થઈ ને, ગોવિંદ ગાતો રવ...

બાલા વય માં બ્રહ્મ ના વિસારૂં, કૃષ્ણ લીલા રસ લઉં

દીન દુખી ને આપું દિલાસા, પીડા પર ની હરી લઉં...

દીન "કેદાર" ની એક જ અરજી, તારી નજરમાં રવ

શ્વાસે શ્વાસે સમરણ કરતાં, અંત ઘડી ને માણી લઉં....

સાર-માનવ માત્ર કેટલો પણ ધનવાન હોય, કેટલો પણ આત્મ નિર્ભર હોય, કેટલો પણ સંતોષી હોય, છતાં ભગવાન પાસે કંઈ ને કંઈ માંગ્યા વિના રહી શકતો નથી. ભલે પછી એ માંગણી અલગ પ્રકારની કેમ ન હોય.
મોટા મોટા સંતો, મહંતો અને જ્ઞાનીઓ પણ કહે છે કે આ સંસાર અસાર છે, નર્કની ખાણ છે. સહજ છે કે મારામાં એટલી ઊંચાઈની સમજ તો નજ હોય, પણ મને એમ થાય કે શું ઇશ્વરે બનાવેલી કોઈ પણ રચના ખરાબ કે નબળી હોય શકે ખરી? મારા મતે કદાચ આપણે એને સમજી ન શકતા હોઈએ એવું પણ બને. નરસિંહ મહેતાએ ગાયું છે કે "હરીના જનતો મુક્તિ ન માંગે" મુક્તિ મળ્યા પછી શું થતું હશે શું ખબર? પણ માનવ જન્મ મળે અને પ્રભુ કૃપા કરે તો ભજન થાય એતો ખબરજ છે, તો શા માટે માનવ જન્મ ન માંગવો? હા સાથે સાથે હરી ભજન ની અપાર લગની રહે એ જરૂર માંગી લેવું. અને એ પણ બાળપણ થીજ, જેથી જીવનનો એક પણ દિવસ હરી ભજન વિનાનો ખાલી ન જાય. સાથો સાથ બીજાને ઉપયોગી થઈ શકીએ તો જીવન ધન્ય બનીજાય. 
અને એક બીજી અરજ, સંસારમાં રહેતાં હોઈએ એટલે સાંસારિક કાર્યોમાં ક્યારેક તારા ભજન માં થોડો વિક્ષેપ પણ પડે, પણ હે નાથ ત્યારે તું મારા પર નજર રાખજે અને મને મારો અંત સમય તારા સ્મરણ થકી સુધરી જાય તેનું ધ્યાન રાખજે.
જય શ્રી રામ.



Thursday, February 6, 2014

                               
                                  શું માંગું ?

હવે પ્રભુ શું માંગું કિરતાર જી.  હરિ તેં તો આપ્યું અપરંપાર...

મહેર કરીને માનવ કુળ માં,  આપ્યો તેં અવતાર જી.
પોષણ કાજે પ્રભુ તેં આપ્યું, અન્ન અન્ન દાતાર..

જલ તેં આપ્યું સ્થલ તેં આપ્યું, વસુ નો કેવો વેપાર જી.
મેઘ રાજાની મહેર આપી તેં, વાયુનો રૂડો વહેવાર...

મુખ દીધું તેં માનવી ને, પણ એમાં એ ઉપકાર જી.
વાણી આપી વનમાળી તેં, રીઝવવા કિરતાર...

કીડી નો કરતા હાથી નો ભર્તા, વિશ્વેશ્વર તું વિરાટ જી. 
મુજ ગરીબની ગરજ કેટલી, શાને કરૂં હું ઉચાટ..

આપે અઢળક અમને કે પછી આપે તું ઉત્પાત જી
તારી પ્રસાદી માની પ્રભુજી, સ્વીકારી લઉં સરકાર...

એક અરજી સાંભળ હરજી, આ દીન ની દીન"કેદાર" જી.  
હરપળ હર ક્ષણ હરિ ભજી લંવ, એટલો કર ઉપકાર...

સાર-માનવી જો ઈશ્વરે જે આપ્યું છે તેનું મૂલ્ય સમજવા લાગે તો ક્યારેય ભગવાન પાંસે કશુજ માંગશે નહીં. દેવતાઓને પણ દુર્લભ માનવ દેહ, અને તેના ભરણ પોષણ માટે અન્ન,જલ અને વાયુ આપ્યા, વળી અન્ન  જલ અને વાયુ ના ઉત્પાદન અને સંગ્રહ માટે વાતાવરણ, ધરતી અને સમુદ્ર. અને તે પણ નિયંત્રિત રીતે.વારે વારે વાવાઝોડાં આવતા હોય તો? વારે વારે અતિ વૃષ્ટિ થતી હોય તો? વારે વારે સુનામી આવતી હોય તો?  ના, બધુંજ નિયંત્રણમાં, હા આ ક્રમમાં આપણે વિક્ષેપ કરીને સમતોલન બગાડીએ છીએ. વાયુના પરિભ્રમણથી વાદળા બને અને વરસાદ આવે, જમીનમાં એક બીજ વાવો હજારોની સંખ્યામાં ઉત્પન્ન થાય, મોટાભાગની વનસ્પતિ તો કુદરતજ ઉત્પન્ન કરે, વાવવી ન પડે. અને આ ઉત્પન્ન થયેલા પોષક દ્રવ્યોને ઉદર સુધી પહોંચાડવા માટે મુખ,તેમાં દાંત, પછી તેમાં પાચન રસ ભેળવીને ઊર્જા ઉત્પન્ન કરીને શક્તિ પેદા કરવી. અરે આમાંથી એકાદ અવયવ ન હોવાની માત્ર કલ્પનાતો કરો? હા જે કુદરતે સહજ આપ્યું છે તેની કદર નથી થતી.
મુખતો દરેક જીવને ભગવાને આપ્યુંજ છે, પણ માનવી માટે એક અનેરો ઉપકાર કરીને વાણી આપી, કે જેથી આપણે ભગવાનનાં ભજન કરી શકીએ. પણ કેટલા ટકા આ ઉપકારને સાર્થક બનાવીને તેનો બદલો વાળવાની કોશિશ કરીએ છીએ? કીડીને કણ આપનારો હાથીને મણ મોઢે ભોજન આપેછે.  એ વિરાટ પાસે મારા જેવા એક પામર ની એકજ માંગછે કે હે પ્રભુ, બસ હર પલ હર ક્ષણ મને તારા નામનું ભજન શ્વાસે શ્વાસે ચાલતું રાખજે એજ અભ્યર્થના. 
ફોટો ગુગલના સહયોગથી સાભાર.

Wednesday, February 5, 2014


                                 આનંદ

મને અનહદ આનંદ આવે,  હરિને હૈયે હેત કેવું આવે..

સેવક કાજે સરવે સરવા,   વિધ વિધ રૂપ ધરાવે
પણ પોતાનું જાય ભલે પણ, ભક્ત ની લાજ બચાવે...

પિતા પ્રભુના પાવળું પાણી,   પુત્ર ના હાથે ન પામે
પણ- અધમ કુળ નો જોયો જટાયુ,  જેની ચિત્તા રામજી ચેતાવે...

ભીષ્મ પિતામહ ભક્ત ભૂધરના, પ્રણ પ્રીતમ એનું પાળે
કરમાં રથ નું ચક્ર ને ગ્રહતાં,   લેશ ન લાજ લગાવે..

સખુ કાજે સખુ બાઈ બની ને, માર ખાધો બહુ માવે
ભક્ત વિદુર ની ઝૂંપડી એ જઈ,  છબીલો છોતરાં ચાવે...

નરસિંહ કાજે નટખટ નંદન,  વણિક નો વેશ બનાવે
હૂંડી હરજી હાથ ધરીને,   લાલો લાજ બચાવે..

ગજને માટે ગરુડ ચડે ને,  બચ્ચા બિલાડી ના બચાવે
ટિટોડી ના ઈંડા ઊગારી, "કેદાર" ભરોંસો કરાવે... 


સાર:- મને એક આનંદ થાયછે, કે ઈશ્વર ને પોતાના ભક્તો પર કેટલો પ્રેમહોય છે? જેના માટે પ્રભુ કંઈ પણ કરવા તત્પર રહેછે. ભલે પોતાનું વચન-ટેક જાય પણ ભક્તની લાજ જવા ન દે.

૨-રામના પિતા દશરથનું જ્યારે મૃત્યુ થયું ત્યારે રામ પિતાજીના મુખમાં પાણી પાઈ શક્યા ન હતા, પણ એજ રામ જ્યારે સીતાજીના રક્ષણ ખાતર ઘાયલ થયેલા જટાયુ ને જોયો ત્યારે તેને પોતાના ખોળામાં લઈને પોતાની જટાથી તેની ધૂળ સાફ
કરી, અને અંતે તેની ચિતા પણ રામેજ ચેતાવી.

૩-મહાભારતના યુદ્ધ વખતે જ્યારે અર્જુન અને દુર્યોધન બન્ને કૃષ્ણ પાસે તેમને યુદ્ધમાં સહભાગી બનાવવા માટે આવ્યા, ત્યારે ભગવાને કહ્યું કે મારે બન્ને ની માગણી સ્વીકારવી જોઇંએ, પણ આ યુદ્ધમાં હું હથિયાર હાથમાં લેવાનો નથી, તો તમે માંગો, એક બાજુ હું રહીશ અને બીજી બાજુ મારી અક્ષૌહિણી સેના રહેશે. ( જેમાં ૨૮૧૭૦ રથ, ૬૫૬૧૦ ઘોડેસવાર, ૧૦૯૩૫૦ પાયદળ સૈનિકો અને ૨૧૮૭૦ હાથીઓ હોય છે. )ત્યારે દુર્યોધને હથિયાર વિનાના ભગવાનને બદલે સૈન્ય ની માગણી કરી. અર્જુનને તો કૃષ્ણજ જોઇતા હોય ને?
મહા ભયંકર યુદ્ધ થયું, ભગવાનના માર્ગદર્શન થકી અર્જુનનું સૈન્ય બળવત્તર બનતું જોઇ, એક દિવસ ભીષ્મ પિતા પણ પ્રતિજ્ઞા લેછે કે આજે હું કૃષ્ણને હથિયાર ઊપાડવા મજબૂર કરીને તેની ટેક ભંગાવીશ, જેથી તેમનું બળ ક્ષીણ થાય. ભીષ્મ પિતા ખૂબ લડ્યા, જ્યારે ભગવાનને લાગ્યું કે હવે ભીષ્મ પિતાજી થાકી જશે, અને પોતે લીધેલી ટેક પાળી નહીં શકે, ત્યારે ભગવાન એક તૂટેલા રથનું પૈડું લઈને દોડ્યા, એ જોતાંજ ભીષ્મ પિતાએ હથિયાર મૂકી દીધાં, કે મેં મારું પણ પુરૂં કર્યું છે. ભગવાને રથનું ચક્ર હથિયાર ન ગણાય એવી એવી દલીલો કરી, પણ ભીષ્મ પિતામહ સમજી ગયા, કે હે કેશવ, મારા પણ ખાતર તેં તારા વચનને આ રીતે તોડ્યું છે. આમ ભગવાન પોતાનાં ભક્તોનાં પણને-ટેકને પાળવા માટે ક્યારેક પોતાના વચનને કોઈ અન્ય સ્વરૂપ આપીને છોડીદે છે.

સખુબાઇ માટે પ્રભુએ સખુનું રૂપ ધર્યું, અને સખુના સાસુ સસરા નો માર પણ ખાધો.  વિદુરની ભાજી ખાધી, નરસિંહ મહેતા ના અનેક કાર્યો કર્યા. હાથીને મગર થી બચાવ્યો, નીંભાડા માંથી બિલાડીનાં બચ્ચાંને બચાવ્યા, યુદ્ધ ભૂમિમાં પડેલાં ટિટોડીનાં ઈંડાને ઊગાર્યાં. આમ કેટલાં કેટલાં કાર્યો બતાવું? બસ એના પર ભરોંસો રાખી એનું ભજન કરતા રહેવું, જરૂર સાંભળશે, અને આપણને પણ સંભાળશે.
જય શ્રી દ્વારકેશ.

ફોટો ગુગલના સહ્યોગથી સાભાર.

Tuesday, February 4, 2014

               એક અરજી

નંદ લાલા એક અરજ તું સાંભળ મારી
નિશ દિન તારાં નામ જપું હું સેવા કરૂં તમારી..

પ્રાત:સમય જ્યાં જાગું નીંદરથી, લેજો શરણ લગાડી
ગોવિંદ ગોવિંદ ગાન કરૂં હું,   પ્રીતમ પાય પખાળી...

માયા માં મન રહે ભટકતું,    રાગ દ્વેષ લત લાગી
મોહ વશ મારી મતિ મૂંઝાણી, લેજો હવે તો ઉગારી... 

દીન દુ:ખી ને આપું દિલાસા, સમજુ પીડ પરાઈ
જાણે અજાણે કોઈના દિલ ના દુભાવું, રાખો શુભ મતિ મારી...

સાચું ખોટું તું જ સુઝાડે, ભય લાગે તો એ ભારી
સર્વે કર્મો મારાં અર્પણ તુજ ને, માટે-કરજો વાત વિચારી...

અંત સમય જ્યારે મારો આવે, મનમાં નાચે મોરારી 
વિઠ્ઠલ વિઠ્ઠલ જપતાં પડજો, કાયા "કેદાર" મારી...

સાર-હે ઈશ્વર, સવાર સવારમાં મારી આંખ ખૂલે, ત્યાં આપ મારા મનને આપના સ્મરણમાં લીન કરીને આપના ભજનમાં પરોવી દેજો. પ્રભુ આપે એવી મોહ માયા સંસારમાં બનાવી છે કે મારું મન સદા તેમાં ભટકતું રહે છે, પણ મારી મતિને સદ માર્ગે વાળજો. કોઈ દીન દુખિયાની તકલીફ સમજીને તેને કામ આવું, અજાણતાં પણ કોઈના દિલને ઠેંસ ન પહોંચાડું, એવી સદ્બુદ્ધિ આપજો. જોકે પ્રભુ માનવ જે કંઈ પણ કરે છે, તે તો આપનીજ ઈચ્છા થી થાય છે, આપજ બધું કરાવો છો, આપની ઇચ્છા વિનાતો પાંદડું પણ હલતું નથી, માટે હે ઈશ્વર હવે આપ મારા દ્વારા જે કંઈ કરાવો તેની જવાબદારી પણ આપેજ લેવી પડશે, માટે સમજી વિચારીને મને કર્મો કરાવજો પ્રભુ.
પણ એક ખાસ વિનંતી, જ્યારે મારો અંત સમય આવે ત્યારે હું અવિરત આપના જાપ કરતો કરતો આ જન્મ પૂરો કરું અને ફરીને માનવ અવતાર મેળવું, ફરી ને તારો ભક્ત બનું એજ અભ્યર્થના.  
ફોટો ગુગલના સહ્યોગથી સાભાર.

Monday, February 3, 2014

                           
                                                      ગૌરી નંદ ગણેશ

                                                           --સાખીઓ--
સૌથી પહેલાં સમરીએ, ગિરજા નંદ ગણેશ.  દીન "કેદાર" ની વિનતિ, રહો હૃદય માં હંમેશ

ગણ નાયક ગણ ઈશ તું, ભજે ભક્ત ગણ દેવ.  દીન "કેદાર" દિન દિન ભજે, કરે તમારી સેવ

ગાઉં ગુણલા ગણેશ ના, રટું નિરંતર નામ.  કરો કૃપા "કેદાર" પર,   સમરૂં ઠામો ઠામ         

ગૌરી નંદ ગણેશ.
રૂપ તમારું મન હરનારું, સમરે શેષ સુરેશ...

ભાલ વિશાલ નયનો નાના,  બેઠાં બાળે વેશ
શિવ શંકરજી લાડ લડાવે,  કાપો સઘળા ક્લેશ...

મોદક મિસરી માત જમાડે, મુખડું નિરખે મહેશ
રિદ્ધિ સિદ્ધિ પાય પખાળે,  વંદે દેવ દિનેશ...

શિવ સનકાદિક અરુ બ્રહ્માજી, પ્રથમ સમરે ગણેશ
દીન "કેદાર" પર દયા દરશાવો, ગાઉ ગુણલા હંમેશ..

ફોટો ગુગલના સહ્યોગથી સાભાર.

Sunday, February 2, 2014

મિત્રો, એક સ્નેહીજનની મદદથી હું કોમ્પ્યુટર નો ઉપયોગ આવા શુભ કાર્ય માટે શીખ્યો અને આ માધ્યમથી મારી રચનાઓ અહીં મૂકવા લાગ્યો, ત્યાર બાદ ઘણા સમય પછી પણ મિત્રો જોડાયા જેમને પહેલાં મૂકેલી રચનાઓ વિષે જાણ ન હોઈને તે વાંચવા ન મળી હોઈ તેઓ માટે પણ આજથી મારી ભજનાવલી
 "દીન વાણી" ના આરંભથી અહીં નવેસરથી રચનાઓ અને લખાણો મૂકવા જઈ રહ્યો છું ત્યારે આપનો સહકાર અને પ્રોત્સાહન ની આશા રાખું છુ.
૧.૨.૧૪
                                                             બે બોલ

સુજ્ઞ મિત્રો અને સ્નેહીઓ, 
માતાજી ની અસીમ કૃપાથી આપના હાથમાં આ "દીન વાણી" મૂકતાં હર્ષ અનુભવું છું, છતાં હું મારી જાત ને કવિ રૂપે આપની સમક્ષ રજૂ કરવા નથી માંગતો. કરણ કે "રામ ચરિત માનસ" જેવા મહા ગ્રંથ ના રચયિતા, સંત શિરોમણિ તુલસીદાસજી મહારાજ પણ લખતા હોય કે "કવિ હું ન મેં ન ચતુર કહાવું, મતી અનુરૂપ હરિ ગૂન ગાઉ" તો પછી મારી શી વિસાત ? છતાં માતાજી ની કૃપા થી મારા થકી જે કંઈ લખાયું છે તે આપના હાથમાં ભક્તિ ભાવ સાથે ધરતાં આનંદ અનુભવું છું.

બચપણ થી મને ગાવા નો શોખ, રાજકોટ આકાશવાણી પર પણ મારાં શિક્ષક મનુભાઇ રાવળ ના નેતૃત્વ હેઠળ ગાયેલું, અને સ્કૂલ કૉલેજો માં ફિલ્મના ગીતો પણ સ્ટેજ પરથી ગાયેલા, પરંતુ મારા માતુશ્રી ના ભક્તિ ભાવે મને ગરબાઓ તરફ વાળ્યો. પણ મારા કાવ્ય લેખન ની શરૂઆત અનોખી રીતે થઈ.

ઘણા વખતથી હું ગાંધીધામ માં ઓસ્લો સોસાયટી ના "નવદુર્ગા ગરબી મંડળ માં ગરબાઓ ગવડાવતો. (માનદ સેવા આપતો) જ્યારે ગરબા ની રંગત જામે ત્યારે ઘણા ફાસ્ટ લય ના શોખીનો તરફ થી હાલાજી તારા હાથ વખાણું જેવા શૌર્ય ગીતો અને અર્થ વિનાના જોડકા જેવા ગરબાઓ ગાવાની ફરમાઇશ થતી. પરંતુ મને માતાજી ના ગરબાઓ માં આવી ભેળસેળ કરવાનું રુચતું નહિ, છતાં સર્વે શ્રોતાઓ ને ખુશ કરવા ખાતર મેં એજ ઢાળ પર "શું વખાણું" કાવ્ય જેવું જોડકણું બનાવી ને રજૂ કર્યું, જે ફાસ્ટ લય ના શોખીનો ને લય અને ઢાળ ના હિસાબે ગમ્યું, પરંતુ જે  જ્ઞાની લોકો શબ્દો માં પણ ભારોભાર રસ લેતાં હતાં તેમને પણ ગમ્યું. એમાં એ આ મંડળ ના પ્રમુખ અને ભક્તિ ભાવ થી ભરેલા શ્રી મોહનભાઇ ઠક્કરે આ રચના ના એક એક શબ્દ ને તોલ્યો, માપ્યો અને માણ્યો, સાથોસાથ મને પ્રોત્સાહન પણ આપ્યું.

આ હતી "દીન વાણી" ની શરૂઆત. ત્યાર બાદ તો એક પછી એક રચના બનતી ગઈ અને આ મંડળમાં રજૂ થતી રહી, અને હવે જોડકા મટીને ગરબા બનતા રહ્યા અને ગવાતા ગયા,  અને તેથી મારા ગરબાઓ માં "નવદુર્ગા ચોક"નો ઉલ્લેખ વારંવાર થતો રહે છે.
ગરબાઓ ની રચના કરતાં કરતાં મને ભજનો ની રચના કરવાની પ્રેરણા મળી અને "શું માંગું ?" થી શરૂઆત કરી.

મારી આ સફળતા માં ત્રણ વિભૂતિઓ નો ફાળો છે, જેમનો હું ઋણી છું.

પ્રથમ તો મારાં માતુશ્રી, જેમના માટે હું કોઈ પણ શબ્દ નો પ્રયોગ કરૂં તે નાનો પડશે.

બીજા છે પ. પૂ. શ્રી નારાયણ નંદ સરસ્વતી, જેઓ ભજન ગાયકી માં ભારત અને ભારત બહાર પણ એટલાંજ લોકપ્રિય છે, જેમના ગળામાં જાણે સાક્ષાત્ સરસ્વતીજી બિરાજમાન છે, એવા નારાયણ બાપુએ જ્યારે મારી રચનાઓ વાંચી ત્યારે મને પોતાના આશ્રમે તેડાવ્યો અને પ્રેમથી મારાં ભજનો સાંભળ્યા અને મને આશીર્વચન ની ભેટ સાથે પ્રોત્સાહિત કર્યો.

અને ત્રીજા છે લોક લાડીલાં કવિ શ્રી "દાદ" જેણે "કૈલાસ કે નિવાસી, અને કાળજા કેરો કટકો મારો" જેવી અમૂલ્ય રચનાઓની ભેટ આ સમાજ ને આપી છે. 
આમતો કવિ શ્રી સાથે મારે જુનો પરિચય પરંતુ ૧૯૯૧ માં કવિ શ્રી અમારું આમંત્રણ સ્વીકારી ને ૫૧૨ ગુજ. હાઉ. બોર્ડ, કે જ્યાં હું ત્યારે રહેતો, ત્યાં ગરબા ની રસ લહાણ કરવા પધાર્યા,  ત્યારે એક જ મંચ પરથી પોત પોતાની રચનાઓ રજૂ કરવાનો અમૂલ્ય મોકો મળ્યો, અને તે પણ લગાતાર નવ નવ દિવસ સુધી, એ સમય દરમ્યાન કવિશ્રીએ મારી રચનાઓ નો અભ્યાસ કર્યો. અને મને માર્ગદર્શન સાથે પ્રોત્સાહન ની અમૂલ્ય ભેટ આપી. સાથોસાથ મારી રચનાઓ પ્રકાશિત કરવા નું સૂચન પણ કર્યું.
આવા મહાન કવી શ્રી ના પ્રોત્સાહન ને લીધે જ આજે "દિન વાણી" ("દીન" મેં મારું તખલ્લુસ રાખ્યું છે.)હું પ્રકાશિત કરી શક્યો છું. જેમાં મેં પ્રભુ ના નામના પ્રચાર અને પ્રસારની આશા રાખી છે, જે આપને ભગવાન ના ભજન અને સ્મરણ કરવામાં મદદ રૂપ થશે તો હું મારી જાત ને ધન્ય ગણીશ.

એજ 
કેદારસિંહજી મે. જાડેજા
"દીન" ના જય માતાજી
ગાંધીધામ
તા.૨૫.૮.૯૨