Wednesday, August 26, 2015

માં


                               માં

જેનો જગમાં જડે નહિ જોટો..
ઉપકાર કર્યો બહુ મોટો, કેવી મીઠડી માં તેં બનાવી....

નવ માસ તેં ભારને માણ્યો, સહિ પીડ અતિ જગ આણ્યો
પય પાન કાજ ઉર તાણ્યો....કેવી...

મને પાપા પગલી ભરાવી, પડિ આખડી મુજ ને બચાવી
જીવનની રાહ બતાવી....કેવી..

જ્યાં હું આવું રોતો રોતો, થોડો સાચો થોડો ખોટો
ત્યાં તો આવે દેતી દોટો..કેવી...

જ્યારે યૌવન મદ ભરી આવ્યું, ધિંગા મસ્તી તોફાન લાવ્યું
પ્યારી ટપલી મારી ટપાર્યો...કેવી...

ભલે માનવ બનું હું મોટો, ધન ધાન્ય રહે નહિ તોટો
તો એ માને મન ઘાણી ખોટો...કેવી..

પ્રભુ " કેદાર " કરુણા તારી, બસ એક જ અરજી મારી
ભવે ભવ હું બનું એનો બેટો...કેવી..


કુદરત નો કાયદો


                           કુદરત નો કાયદો

રાગ-કાગ બાપુનું ભજન જગમાં એકજ જનમ્યો રે જેણે રામ ને રૂણી રાખ્યા.....

કુદરત નો કાયદો એવો રે, એ તો હારે જે મદ ને રાખે,,  હોય ભલેને ભૂપ ચમરધર, પળમાં પટકી નાખે... કુદરત નો...

જપ તપ તીરથ સેવ્યાં શંભુ ને, કર કૈલાસ જે રાખે,  દશ દશ મસ્તક શિવને ચડાવ્યાં તોએ, રાવણ રોળાયો રાખે..કુદરત નો...

વાલી જેવા વાનર મોટા, લંકેશ કાંખ માં રાખે ,  કંસ ચારૂણ ગયા અભિમાને, વેદ પુરાણ ની શાખે...કુદરત નો...

ડુંગર ઉપર દેવો બિરાજે પણ, નજરું નીચી રાખે,  માળ બે માળ જ્યાં માનવ ચડે ત્યાં, અવર થી ઊંચો ભાખે..કુદરત નો...

મોટા મોટા માર્યા ગયા, અભીમાની રોળાયા ખાખે,  ચાર દિવસનું ચાંદરડું આ, મનખો મદ બહુ રાખે..કુદરત નો...

દીન "કેદાર" પ્રભુ કરુણા કરજો, દ્વેષ ન દિલમાં દાખે,  નિર્મળ દેહે નિર્વાણ હું પામું, કોઈ વિઘન નહીં નાંખે..કુદરત નો...

Tuesday, August 25, 2015

એવા મંદિરે નથી જાવું.

                      
                               એવા મંદિરે નથી જાવું.

સાખી_ પ્રેમ વશ ભાજી જમે, સુલભા સ્નેહ ને કાજ
        દુર્યોધનના ભોગ તજી, છાલ જમે રસ રાજ
           
        સ્નેહ કાજ તાંદુલ જમે, પગ ધોવે વ્રજરાજ
        પટરાણી ઢોળે વીંજણો, નહીં મોટપ કે લાજ..     
            
પૂજારી મારે એવા મંદિરે નથી જાવું. 
ભાવે ભજન કરી પ્રેમે પલાળે એના, અણમોલ આંસુડે નહાવું રે પૂજારી મારે...
                                                               મારે હીરા મોતીડે ના તોળાવું  

અરબો ને ખરબો ઓલા કાળા નાણાનું જ્યાં, વરવું રૂપ પથરાતું.
સોના સિંહાસનમાં હીરા જડાવે એમાં, અઢળક ધન ઉભરાતું રે પૂજારી મારે......

અમૂલખ કારમાં આવી અભડાવે મને, કાળું ને ધોળું ત્યાં કરાતું
મોટા મહંત બની ભરે ખજાના એવા, પાખંડીને હાથે ના પૂજાવું રે પૂજારી મારે......

હરિ ભક્તોને મારે હડસેલા ઓલા, ઠગોને માન બહુ દેવાતું
ધૂપને દીપના કરી ધુમાડા મારું, નાહક નાક છે રૂંધાતું રે પૂજારી મારે.....

છપ્પન ભાતના ભોજન ધરાવે કે, મોંઘાં વાઘા ના વીંટળાવું
ટાઢે ઠૂઠવતાને ઓઢાડે ગોદડી, એવા દાનીને ઘરે મારે જાવું રે પૂજારી મારે...
                                                            
ભૂખ્યા દુખિયાને જ્યાં મળી રહે રોટલો, એની ઝોંપડીએ જાવું
મળે મફતમાં સેવા ગરીબને,  એવા ઉપચાર ખંડ આવું રે પૂજારી મારે...
                          
દિલથી નાનો એવો દીવડો પ્રગટાવે, હેતે ભજન જ્યાં ગવાતું
ખોરડે ખૂણામાં મારો ફોટો પધરાવીને, આખું ઘર એકઠું થાતું રે પૂજારી મારે 

" કેદાર" કનૈયો એમ કપટે મળે નહીં,  હેતે હરિ ગીત ગાવું
પ્રેમને વશ થઈ પ્રભુજી પધારે માટે, ભાવ વિભોર બની જાવું રે પૂજારી મારે...




કુદરત નો ખેલ




                    
                                                   કુદરત નો ખેલ

કુદરત નો ખેલ ન્યારો, એનો જોટો ન કંઈ જડે છે, હાથી ને દેતો હારો,    કોઈ માનવ ભૂખે મરે છે...

મૃગ જળ બતાવી રણમાં,   હંફાવી દે હરણ ને
                                                                         તરસ્યા ને પણ કદી’ક તો,  વીરડા રણે મળે છે...

પરણે બધા એ તેને,   પત્ની મળે જીવન માં, 
                                                                               પણ હોય ભાગ્યશાળી,  અર્ધાંગિની મળે છે...

અઢળક અપાવી કોઈ ને,   સંતાપે રોગ આપી, 
                                                                        પણ કોઈ ભૂખ્યા ગરીબ ને,  સંતોષ ધન મળે છે..

આતો કરુણા કરી અનેરી,  આપ્યું અધિક છે મુજ ને, 
                                                             નહિતર આ " કેદાર " માં,  એવી ભક્તિ ક્યાં કંઈ મળે છે...

ઝૂંપડીએ જંગ


            ઝૂંપડીએ જંગ

ઝૂંપડીએ જંગ લાગ્યો, જીવડા તારી....

કાયાને કદી કાટ ન લાગે આતો, અકળ અચંબો આવ્યો
ઘાસ ફૂસ જેવું ભાતું ભર્યું તેં, દેહમાં દવ છે લગાવ્યો...

દેવો ને પણ દુર્લભ એવો, મનખો માનવનો લાધ્યો
પરખી શક્યો નહીં પ્રભુની કૃપાને, મોહ માયા વશ ભાગ્યો...

ભૂધર કેરી ભક્તિ કરી નહીં, સમરણ સ્વાદ ન ચાખ્યો
કામ ક્રોધ મદ મોહ તજ્યા નહીં, મારગ અવળે રાચ્યો...

વાગ્યા જ્યારે ગેબી નગારાં, અવસર અંતનો ભાસ્યો
યમ દૂતો જ્યારે દ્વારે દરશાયા ત્યારે, ભય ભયંકર લાગ્યો..

ગજને બચાવ્યો ગરુડ ચડીને, ગણિકા પોપટ પાઠ્યો  
ટિટોડી ના ઈંડા ઉગાર્યા, " કેદાર " ભરોંસો કેમ ના’વ્યો...

  સાર;-આપણા શાસ્ત્રો મુજબ જીવ ચોરાસી લાખ યોનિમાં ભટકી ભટકીને અંતે મોક્ષ પામવાનું છેલ્લું દ્વાર માનવ શરીર પામેછે. માનવ દેહ દેવોને પણ દુર્લભ છે એમ કહેવામાં આવે છે, અનેક ઉપકારો પછી જીવને માનવ દેહ મળે છે, પણ જીવ જન્મ પછી એ બધું યાદ રાખી શકતો ન હોઇને ક્યારેક અવળા રસ્તે ચાલવા લાગે છે.

હાડ ચામની બનેલી કાયાને ક’દિ કાટ ન લાગે પણ અહીં કલ્પના કરવામાં આવી છે કે આ કેવો અચંબો છે કે ઈશ્વરે આ જીવને મંદીર સમાન માનવ દેહ આપ્યો કે જેમાં વસવાટ કરીને જીવ સત કર્મો કરે તો શિવત્વ પામી શકેછે.પણ તેં અકર્મો કરીને ઘાસ ફૂસ જેવો કચરો કાયામાં ભરીને કાયાને એવી ભ્રષ્ટ કરીછે કે તેમાં જાણે કાટ લાગવા માંડ્યો છે.
તને આ અમૂલ્ય અવસર સંસાર સાગરને પાર કરવા માટે આપેલો પણ તેં એ મોકો ગુમાવી દીધો અને અવળા રસ્તે ચાલ્યો. પણ જ્યારે ઉમર થવા લાગી, દર્દોએ ઘેરો ઘાલ્યો અને મૃત્યુ નજીક દેખાવા લાગ્યું ત્યારે હવે ડર લાગવા માંડ્યો.
હે જીવ હાથીની છેલ્લી ઘડીની એકજ પોકાર કે પોપટને રામ નામ પઢાવતી ગણિકા અગરતો યુદ્ધના મેદાનમાં પડેલા ટિટોડીના ઈંડાને ઉગારનાર હજાર હાથ વાળો હજાર હાથે રખેવાળી કરે છે પણ છતાં તને ભરોંસો કેમ ન અવ્યો?
જો જીવ એક ક્ષણ પણ અંતરના ઊંડાણથી આર્તનાદ સાથે ઉપર વાળાને ભજે તો તે ક્યારેય સહાય કરવાનું ચૂકતો નથી.
જય નારાયણ.

પ્રભુની મહેર


                     
                  પ્રભુની મહેર
સકળ આ સંસારમાં અમૂલખ માનુષ તન, મહેર કરી મુજને મળ્યું ધન્ય ધન્ય ભગવન્
મહેર કરી મહારાજ તેં, આપ્યું અમને અન્ન, વાયુ જળ વસુંધરા આપી થઈને પ્રસન્ન 

પ્રભુજી તારી મુજ પર મહેર ઘણી,
માનવ કેરો દેહ  મળ્યો મને, ધન્ય ધન્ય ધરણિ ધણી...

ખબર નથી હું ક્યાં ક્યાં ભટક્યો, યોની ન જાય ગણી
જીવ જંતુ કે કીડી મકોડી,  અનહદ તુચ્છ ઘણી...

લખ ચોરાસી જીવ રગડાયો , સુખ નહીં સોઈ ની અણી
નારાયણ ની નજરું પડી ગઈ, મેં તો કદિ’એ ન ભક્તિ ભણી...

દેવો ને પણ દુર્લભ એવી, કાયા મળી મનખા તણી
અમૂલખ અવસર લાધ્યો આ મુજને,  આપ્યો ગરીબ ગણી... 

શ્વાસે શ્વાસે પ્રભુ સ્મરણ કરું હું, રટણા રામ તણી
સુમતિ આપો હરી સન્મુખ ભાળું,  ભટકું ન ભ્રમણા ભણી...

રંગે ચંગે હું આવું તારે દ્વારે, એવી આશા મનમાં ઘણી
"કેદાર" કરજો કૃપા કરુણાકર દેજો, રજ તવ ચરણો તણી...  

વિટંબણા


                                          વિટંબણા                 

ભાવના ભક્તની કેવી, બને પાગલ પ્રભુ કાજે
                        વિરહમાં ભાન ભૂલેછે, રડે સેવકાઈ ને કાજે..
જ્યાં વાગે હાંક હનુ કેરી, દિક્પાળ ડરી જાતા
                   ચરણ રજ ચૂમવા કાજે, મારુતિ વ્યગ્ર થઈ જાતા..        


માતા મને યાદ અતિશય આવે,
યાદ અતિશય આવે એતો મારા મનને ખૂબ રડાવે... માતા મને...

કિષ્કિંધા માં લક્ષ્મણજી જ્યારે,  પાવન પાવલાં દબાવે
એક ચરણે સેવા હું કરતો,       મારે હૈયે આનંદ  આવે...માતા મને...

સેંથીમાં માતા સિંદૂર પૂરતા, કહેતાં રામ મન ભાવે
આખા શરીરે થયો સિંદૂરી -હું-, મારું મનડું રામ રિઝાવે...માતા મને...

અવધમાં હવે આવી સ્વજન સૌ,  સેવા કરે બહુ ભાવે
મર્યાદા ભંગ કેમ કરૂં હું,       મારગ મનમાં ન આવે... માતા મને...

સમદૃષ્ટિ અતિ આનંદ પામ્યા,  પીડ  કપિની જાણે
આદર સાથે અંજની સુતને,     ચપટી ચાળે ચડાવે..માતા મને...

જ્યારે વાગે કપિની ચપટી ,     રામ ઉબાસી આવે
આનંદી બની નાચે મારુતિ-તો-,  હરિને હેડકી આવે...માતા મને..

દીન " કેદાર "નો હરિ હેતાળો,  કરજ કોઈ ન ચડાવે 
સેવા સૌને સરખે ભાગે,  ઊણપ કોઈને ન આવે...માતા મને...

સાર:- ભગવાન રામ સીતાજી ની શોધ કરતાં કરતાં જ્યારે ભક્ત હનુમાનજી ને મળ્યા અને હનુમાનજીએ સુગ્રીવ સાથે મિત્રતા કરાવી અને શ્રીરામ ભાઇ ભરત સાથે કિષ્કિંધામાં રોકાયા ત્યારે દર રોજ રાત્રે રામજી જ્યારે વિશ્રામ કરવા પધારે ત્યારે લક્ષ્મણજી રામજીના ચરણો દબાવતા, લક્ષ્મણજીતો બચપણથીજ રામજીના ચરણોની સેવા કરતા, અને તેમને એક એવી આદત પણ હતી કે રામજીના પગનો અંગૂઠો મોંમાં લઈને ચૂસે ત્યારેજ નીંદર આવે, લક્ષ્મણજીની સેવા જોઇને હનુમાનજી પણ પ્રભુના ચરણોની સેવા કરવા લાગ્યા.  પછીતો બન્નેને એવો આનંદ આવતો કે ક્યારેક તો મીઠો ઝગડો પણ થવા લાગ્યો કે કોણ કયો પગ દબાવે. સમય જતાં હનુમાનજીની આ સુટેવ એવીતો પરાકાષ્ઠા પર પહોંચી કે જો રામજીના ચરણની સેવા કરવા ન મળે તો હનુમાનજી એકદમ વ્યાકુળ બની જતાં. પણ જ્યારે લંકા વિજય કરીને રામજી સિતાજી સાથે અયોધ્યા પધાર્યા ત્યારે હનુમાનજી પર જાણે મહા સંકટ આવી પડ્યું, લક્ષ્મણજીનો તો રાજ દરબારમાં વાસ, ક્યારેક ક્યારેક ચરણ સેવાનો લાભ મળી જાય, પણ હનુમાનજીને તો મર્યાદામાં રહેવાનું, રામજીના કક્ષમાં કેમ જવાય? બસ જ્યારે જ્યારે રામજીના ચરણો નિરખવા મળે ત્યારે ત્યારે આંખ ભીની થઈ જાય, રામજી ભક્તની આ પીડા સમજી ગયા, અને એકાંતમાં એક રસ્તો બતાવ્યો, "જો હનુમાન હું તારી પીડા સમજુંછું, પણ મારાથી કોઈને ના ન પડાય, પણ તું એક કામ કર, જ્યારે જ્યારે તને મારી સેવાની પ્રબળ ઇચ્છા થાય ત્યારે તારે ચપટી વગાડવી, હું બગાસાં ખાવા લાગીશ અને કહીશ કે આ હનુમાન ચપટી વગાડેછે તેથી મને બગાસાં આવેછે, જ્યાં સુધી તને અંદર ન બોલાવે ત્યાં સુધી હું બગાસાં ખાતો રહીશ." સામાન્ય ભક્તને કદાચ પ્રભુ સેવાની ઇચ્છામાં અલગ અલગ પ્રમાણ હશે પણ હનુમાનજીની તો સદાએ પ્રબળ ઈચ્છાજ હોય, બસ લાગે નાચવા અને ચપટીનાતો ધોધ નીકળે, અને વચન મુજબ ભગવાનના બગાસાં ચાલુજ રહે,  કંઈક ઉપાયો કર્યા પણ ઇલાજ કેમ શક્ય બને?  બગાસાં ખાઈ ખાઈને રામજી પણ કંટાળ્યા, અને સાથે હવેતો પાછી હીચકી પણ ચાલુ થઈ ગઈ, બધાને બોલાવીને ભગવાને કહ્યું કે હનુમાનને મારી સેવા કરવીછે એટલે નાચેછે, એ ચપટી વગાડેછે તેના નાદથી મને આ બગાસાં અને હીચકી આવેછે, તમો તેને સેવાનો સમય ફાળવો નહીંતો મને પણ આરામ કરવા નહીંદે, અને હું આમજ બગાસાં ખાતો રહીશ તો તમે પણ સેવા કેમ કરશો? 



માતાજી સમજી ગયા કે આમાં મારા રામની પણ ઇચ્છા લાગેછે, નહીંતો બજરંગી આટલા ધમ પછાડા નકરે. ત્યારબાદ હનુમાનજીને પણ યથાયોગ્ય સમય ફાળવીને રાજી કરવામાં આવ્યા.  

જય શ્રી રામ. 





માં



                                                 માં


જેનો જગમાં જડે નહિ જોટો..,  ઉપકાર કર્યો બહુ મોટો, કેવી મીઠડી માં તેં બનાવી....

નવ માસ તેં ભારને માણ્યો, સહિ પીડ અતિ જગ આણ્યો,  પય પાન કાજ ઉર તાણ્યો....કેવી...

મને પાપા પગલી ભરાવી, પડિ આખડી મુજ ને બચાવી,  જીવનની રાહ બતાવી....કેવી..

જ્યાં હું આવું રોતો રોતો, થોડો સાચો થોડો ખોટો,  ત્યાં તો આવે દેતી દોટો..કેવી...

જ્યારે યૌવન મદ ભરી આવ્યું, ધિંગા મસ્તી તોફાન લાવ્યું,  પ્યારી ટપલી મારી ટપાર્યો...કેવી...

ભલે માનવ બનું હું મોટો, ધન ધાન્ય રહે નહિ તોટો,  તો એ માને મન ઘાણી ખોટો...કેવી..

પ્રભુ " કેદાર " કરુણા તારી, બસ એક જ અરજી મારી,  ભવે ભવ હું બનું એનો બેટો...કેવી..