Thursday, May 8, 2014

એવા મંદિરે નથી જાવું.

                  એવા મંદિરે નથી જાવું.


સાખી_ પ્રેમ વશ ભાજી જમે, સુલભા સ્નેહ ને કાજ
        દુર્યોધનના ભોગ તજી, છાલ જમે રસ રાજ
           
        સ્નેહ કાજ તાંદુલ જમે, પગ ધોવે વ્રજરાજ
        પટરાણી ઢોળે વીંજણો, નહીં મોટપ કે લાજ..     
            
પૂજારી મારે એવા મંદિરે નથી જાવું.
ભાવે ભજન કરી પ્રેમે પલાળે એના, અણમોલ આંસુડે નહાવું રે પૂજારી મારે...  

અરબો ને ખરબો કાળા નાણાનું જ્યાં, વરવું રૂપ પથરાતું.
સોના સિંહાસનમાં હીરા જડાવે એમાં, અઢળક ધન ઉભરાતું રે પૂજારી મારે......

અમૂલખ કારમાં આવી અભડાવે મને, કાળું ને ધોળું ત્યાં કરાતું
મોટા મહંત બની ભરે ખજાના એવા, પાખંડીને હાથે ના પૂજાવું રે પૂજારી મારે......

હરી ભક્તોને મારે હડસેલા, બગલા ભગતને બોલાવે
ધૂપને દીપના કરી ધુમાડા મારો, નાહક શ્વાસ છે રૂંધાવેરે પૂજારી મારે.....

છપ્પન ભાતના ભોજન ધરાવે કે, મોંઘાં વાઘા ના વીંટળાવું
ટાઢે ઠૂઠવતાને ઓઢાડે ગોદડી, એવા દાનીને ઘરે જાવુંરે પૂજારી મારે...
                                                           એવાને આંગણે જાવું... 
ભૂખ્યા દુખિયાને જ્યાં મળી રહે રોટલો, એની ઝોંપડીએ જાવું
મળે મફતમાં સેવા ગરીબને,  એવા ઉપચાર ખંડ આવું રે પૂજારી મારે...
                          
દિલથી નાનો એવો દીવડો પ્રગટાવે, હેતે ભજન જ્યાં ગવાતું
ખોરડે ખૂણામાં મારો ફોટો પધરાવીને, આખું ઘર એકઠું થાતું રે પૂજારી મારે 

" કેદાર " કનૈયો એમ કપટે મળે નહીં,  હેતે હરી ગીત ગાવું
પ્રેમને વશ થઈ પ્રભુજી પધારે માટે, ભાવ વિભોર બની જાવું રે પૂજારી મારે...

 સાર- મારા ગુરુ સમાન કવી દાદ ની એક રચનાછે, "ઠાકોરજી નથી થાવું". એવાજ કોઈ વિચાર સાથે મને આ રચના સ્ફુરતાં અહીં રજૂ કરુંછું.
આજ કાલ આપણે સમાચારો કે ટી વી પર મોટા મોટા મંદિરો બનતા હોય તેના પ્રચાર થતા રહેતા હોય તેમ ખબરો આવતી રહેછે, ત્યારે મને વિચાર આવે કે શું ભગવાન આવા આલીશાન મંદિરોમાં રહેવાનું વધારે પસંદ કરતો હશે કે પછી જ્યાં ભાવ સાથે ભજન થતું હોય કે સાદાઈથી પૂજા થતી હોય ત્યાં વસવાનું વધારે પસંદ કરતો હશે?. ઈશ્વરને ધન દોલત કે વૈભવ લોભાવી શકતો નથી, ફક્ત પ્રેમ પ્રેમ અને પ્રેમજ ઈશ્વરને પામવાનો માર્ગછે, દુર્યોધન એક શક્તિશાળી અને વૈભવી  અને ધનાઢ્ય હોવા છતાં ભગવાન શ્રી દ્વારકાધીશ એક બિલકુલ સામાન્ય એવા વિદુરના ધરે તાંદળજાની ભાજી અને સુલભા ના પ્રેમ વશ છોતરાં જમવા પધારેલા જે સર્વ વિદિત છે. તેથી મને લાગે કે....

આપણા શાસ્ત્રો મુજબ ભારતમાં ચાર ધામ, દ્વાદશ જ્યોતિર્લિંગ, શક્તિ પીઠ જેવા સ્થાનો એટલે બાકીના દરેક ધાર્મિક સ્થાનોમાં ઉચ્ચતમ સ્થાન. આ મંદિરોની તોલે બીજા કોઈ પણ સ્થાને ઈશ્વરીય શક્તિ નું ઐશ્વર્ય વધારે હોઈ ન શકે એમ મારું માનવું છે. માટે જ્યારે જ્યારે ધનાઢ્ય લોકો કે કોઈ સંસ્થા બીજા કોઈ મંદિરમાં ધન ખર્ચવા ઇચ્છા કરે ત્યારે મારા મતે તેમણે આવા નિર્વિવાદ ધાર્મિક અને પૌરાણિક મંદિરો માં ખર્ચ કરીને ત્યાંની વ્યવસ્થામાં વધારો કરવો જોઇએં. કેદારનાથ માં આવેલા ભયંકર પૂરે ત્યાંની ચમત્કારિતા મંદિર ને બચાવીને સાબિત કરી છે, આવા સ્થળોમાં લોકો નો વિશ્વાસ અને આસ્થા ચરમ સીમા પર હોય છે, તેથી લોકો ત્યાં શ્રદ્ધા સાથે જાય છે, ત્યાં ખર્ચેલા નાણા સો એ સો ટકા ઈશ્વરના ચોપડે જમા થાય છે, જ્યારે વૈભવ અને મહાનતા બતાવતા મંદિરોમાં ખર્ચેલા નાણા ઐશ્વર્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે ઈશ્વર પર નહિ, મારા મતે તે ધર્મના નામે વ્યય છે. લોકો ત્યાં યાત્રા ને બદલે પર્યટન માટે જતા હોય એવું વધારે લાગે છે. પણ આજ કાલ ભવ્યાતી ભવ્ય મંદિરો નિર્માણ પામે છે ત્યારે ઈશ્વર ક્યાં વસવાટ કરતો હશે? જેની મેં કલ્પના કરીછે કે તે પૂજારીને શું કહેતો હશે ?.

હે પૂજારી મોટા મોટા મહેલો જેવા ભવ્ય મંદિર બનાવી, મૂલ્યવાન હીરા જડિત સોના ના સિંહાસન પર અમૂલ્ય મુકુટ પહેરાવે, મને કિંમતી આભૂષણ પહેરાવે કે કોઈ પણ રીતે લક્ષ્મીજીનું અપમાન થાય તેવું વર્તન થતું હોય ત્યાં મને કેમ ફાવે?
પાછાં એ મંદિરના કહેવાતા મારા સેવકો, પૂજારી, કે ટ્રસ્ટીઓ કીમતી ગાડીઓમાં આવીને મારા પૂજનના બહાને મારી સમક્ષ કાળા ધોળા કર્મો કરતા હોય, અને મંદિરમાં મારા નામે ધરાતા ધનને કોઈ પણ રીતે ઘર ભેગું કરતા હોય એવા પાખંડી ના હાથે મારે પૂજાવું નથી, પણ ભૂખ્યા લોકોને જ્યાં અન્ન મળતું હોય, કોઈ ગરીબ ઠંડીમાં ઠૂઠવાતો હોય તેને ઓઢવાનું અપાતું હોય કે કોઈ દવાખાનામાં ગરીબને પ્રેમથી મફતમાં સારવાર મળતી હોય, ભલે નાની એવી ઝૂંપડીમાં રહેતો હોય અને એક ખૂણામાં મારો ફોટો પધરાવીને આખું ઘર એકઠું મળીને ( આખું ઘર ત્યાંજ એકઠું થઈ શકે જ્યાં સંપ હોય. ) ભાવથી મારા ભજન કરતા હોય, એવા લોકોને હું સ્વયં ગોતીને ત્યાં પહોંચી ને આનંદ પામું છું. એવા લોકોના આમંત્રણની હું પ્રતીક્ષા નથી કરતો, હું ત્યાં દોડતો પહોંચુ છુ.
માટે કોઈ પણ કપટ વિના ભાવ સહિત ભજન કરો, હરી દોડતો આવશે.
જય શ્રી રામ.  
ફોટો-ગુગલ ના સહયોગ થી

No comments:

Post a Comment