Saturday, August 17, 2013

કોને પડી છે ?


                          કોને પડી છે ?

હે માત મારી, ગુજરાત તારી, કરી શી દશા છે કેવા કારભારી ?
જ્યાં ભૂમિનો ભર્તા વસ્યો વિશ્વ કર્તા, એ ભોમકા ને કાં ભીડું પડી છે..

વસે માત મઢમાં રવેચી છે રવ માં, શિવ સોમનાથે ને આબુ અંબા છે
જ્યાં સત ના સરોવર કોટેશ્વર માં હર હર, પીરો ફકીરો ની ફોજું ફરી છે.. 

તુજ ખોળે તો ખુંદ્યાતા નરસિ સુદામા, જલારામ જેવા જ્યાં સંતો થયાં છે
તારા ગાંધી ની આંધીએ આપી આઝાદી, પણ આજ નર્મદ ની ક્યાં ગુર્જરી છે..

ખૂબ પાક્યાં કપૂતો બહુ થોડા સપૂતો, વસુંધરા ના શું વક પણ ગયાં છે ?
જે કરતાં પોતાનું ન જોતાં બીજાનું,  માં ભોમ ની આજ કોને પડી છે...

બની બેઠાં છે મોટાં કરે ખેલ ખોટાં, રડાવે અમોને ને ખુદ તો રળે છે
કરે કૌભાંડ કાળા ધુતારા ના ધાડાં, મારી મચેડી ધન ભેળું કરે છે...

કોઈ વરદી માં પારધી કોઈ ઉદ્વડ અપરાધી, મડદાં ઊપર પણ માતમ કરે છે
હર ખાતા માં ખાતા ખાતેદાર ખાતા, પૈસા કમાતા ક્યાં પર ની પડી છે...

ચાલે યંત્ર મોટાં રચે તંત્ર ખોટાં, રડે ગુજરાતી પર પટારા ભરે છે
આવે હાકેમ હમાલો પર પ્રાંતિ દલાલો, વતન ની વિદ્યામાં શું કંઈ કમી છે...

નથી ત્રાસ અમને ગણું ભાઇ તમને, પણ કાં મુજ ભ્રાતાઓ ભૂખે મરે છે
ચાટે છે પડ આજ પુત્રો અમારાં, પાડોશી કેરાં કાં મેવા જમે છે...

મહા બંદર સમંદર કાપડ કમાણી, જઈ રાજધાની ના ફડચે સમાણી
વહે દુધ નદીઓ ન ખનીજો ની કમીઓ, પણ અમ અભાગી ને ક્યાં કંઈ મળે છે...

સહ્યાં ત્રાસ બો'રા એ અરમાને ગોરા, છે પરદેશી કદી'ક તો જવાના
પણ કરવી હવે રાવ ક્યાં જઈ અમારે, વાડો જ ખુદ આજ ચીભડાં ગળે છે...

હતી સાંભળી એક બચપણ માં ગાથા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા
મને ભાસે છે એ કોઈ ભાખી'તી વાણી, મુજ ભોમ ની અવગતિ એ મળે છે...

"કેદાર" ગીતા ના ગાનાર આવો,  આપેલ વચનો ને શીદને ભુલાવો
કાં તો ભાળી કાબાઓ ને મોહન મૂંઝાણો, કાં લાંચ રિશ્વત માં તું પણ ભાળ્યો છે ?...


સાર:-એક સમય હતો જ્યારે મારા ગુજરાત ની અવદશા જોઇ ને જીવ બળતો, અનાયાસ પ્રભુને પ્રાર્થના થઈ જતી કે નાથ શું આ એજ ગુજરાત છે ? જેના પર તેં મથુરા છોડી ને દ્વારિકા માં રાજધાની બનાવી ? કોઈ આકરાં સમયે મારાથી એક રચના બની ગઈ હતી, જે આજના દિવસે રજૂ કરવા માંગું છું. કારણ કે આજે ગુજરાત કંઈક અલગજ છે,પણ નજીકના સમયમાં ચૂંટણી આવેછે, જો મતદાન કરતી વખતે કોઈ પણ લાલચમાં આવીને યોગ્ય મત નહીં અપાય તો તકલીફ પડશે.(હું કોઈ પક્ષ તરફથી લખતો નથી, યોગ્ય નેતા માટે લખુંછું).
 
જ્યાં માતા રવેચી અને માં આશાપૂરા બિરાજમાન હોય, કોટેશ્વર અને સોમનાથ જેવા સ્થળો માં શિવજી બિરાજમાન હોય, આબુમાં અંબામાં અને રવ માં મા રવેચી, કે ચોટીલામાં મા ચામુંડા બિરાજતી હોય, તેમજ મેકરણ દાદા,નરસિંહ મહેતા,સુદામા જલારામ બાપા અને આપા ગીગા તેમજ બજરંગદાસજી જેવા અનેક સંતો મહંતો આ ધરતી પર જનમ્યા હોય, કે આવી ને વસ્યા હોય, અરે જ્યાં ચેલૈયા જેવા પુત્રો કે જે ભગવાન ને પણ ભોંઠા પાડતા હોય, અને ગિરનારમાં અલૌકિક વેશ ધારી અઘોરીઓ, અને કહેવાય છે કે નવ ચિરંજીવી જેવાકે અશ્વત્થામા,બલિરાજા,વ્યાસજી,હનુમાનજી,વિભીષણ,પરશુરામજી,કૃપાચાર્યજી,નારદજી અને શુકદેવજી જેવા ને પણ લટાર મારવાનું મન થતું હોય, અનેક ધુરંધરો ના ધુણા ધખતા હોય. કેટલા કેટલા નામ ગણાવું ? તો શું આ મા ભોમ પર આપની કૃપા દ્રષ્ટી ઓસરવા લાગી છે કે આજે મારી ગુજરાત નો પ્રભાવ ઘટવા લાગ્યો છે ? એવી એવી ઘણી જ કાકલૂદી બાદ આજે  પ્રભુએ થોડી શાંતિ આપી છે, અહિં પણ કોઈ અણ્ણા જાગે અને પ્રજા સાથ આપે અને જો ભ્રષ્ટાચાર નો ભોરિંગ ને કાળીનાગ ની જેમ નાથી લે તો બેડો પાર થઈ જાય.  હું કોઈ પક્ષ કે પદાધિકારી ની તરફેણ કરવા નથી લખતો, પણ જે મને દેખાય છે તેને કેમ બિરદાવી ન શકું ? આમાં કોઈ એ પોતાના પર ભળતી ટોપી પહેરી ન લેવી એવી મારી વિનંતી છે...આ ફક્ત મારુંજ મંતવ્ય છે.
ફોટો ગુગલના સૌજન્યથી.

No comments:

Post a Comment