અરજી
ઢાળ:- પ્રભુ તારા ચરણોમાં અમને તું લેજે- જેવો
જેવો ઘડ્યો છે મુજને એવોજ છું હું દાતા, કરતો રહુંછું કર્મો જે લખિયા વિધાતા.
ન જાણું હું મંત્રો ન શ્લોકો ની સમજણ, ન કીધાં કદી કોઈ યજ્ઞો પારાયણ
જે બોલું હું મુખથી તે મંત્રો ગણી લેજો, અજ્ઞાની મને જાણી સ્વીકારો ઓ તાતા..
કરૂં સર્વે કર્મો ડરીને તમોથી, ન હો ખોટું કદીયે ન તન થી કે મન થી
રહે ચિત મારું તવ શરણે ઓ સ્વામી, વહે શ્વાસે શ્વાસે તુજ સ્તવનો ઓ દાતા..
કર્યા હોય પાપો થોડા ગુણલા પણ ગાયા, ભજ્યાં થોડા ભૂધર ઘણી વળગી છે માયા
રહે અંત વેળા તુજ રટણા હૃદય માં, કરો કરુણા ની વૃષ્ટિ કૃપાળુ ઓ દાતા...
કરૂં પ્રાર્થના નિત મનથી તમારી, સુણો વિશ્વ ભરતા આ અરજી અમારી
આપો અધિક સુખ ભક્તિનું ભગવન્, વિનવું સદા નાથ તમને ઓ તાતા...
કોઈ પત્તું ન હલતું વિણ મરજી તમારી, તો શાને છે કર્મોની ભીતિ અમારી
કરું કાર્યો તેના ન લેખાં કોઈ લેજો, હો સારું કે નરસું તમારું ઓ તાતા...
કરૂં ગાન ત્યારે મન તારામાં લાગે, માયામાં મોહી ના જ્યાં ત્યાં કદી ભાગે
છે " કેદાર " કેરી આ વિનતિ પ્રભુજી, સ્વીકારો દીન જાણી આ અરજી ઓ દાતા..
સાર:- હે ભગવન્, આપે મને જેવો બનાવીને આ જગતમાં મોકલ્યો છે, અને વિધાતાએ જેવા મારા લેખ લખ્યા છે, એવાજ કર્મો હું કરૂં છું.
મંત્રોની કે શ્લોકો ની સમજણ કે યજ્ઞ યાગ જાણતો નથી, માટે જે કાલા વાલા કરૂં તેજ મંત્રો ગણી લેજો.
હે ઈશ્વર હું જે કંઈ કરું તેમાં આપનો ડર સદા મારા દિલમાં રહે જેથી હું કોઈ ખોટું કાર્ય ન કરું,બસ સદા તારું રટણ મનમાં રહે. તારા આ સંસારની માયા મને લાગીછે તો ક્યારેક પાપ પણ કર્યા હશે, પણ સાથે સાથે તારા ગુણલા પણ ગાયાછે, માટે હિસાબ બરોબર કરીને મારા અંત કાળે તારું રટણ રહે એવી વિનંતીછે. તારી વંદના કરીછે તો મને તારી ભક્તિનું સુખ આપજે. પણ આમ છતાં એક વાત સમજાતી નથી, સંતો મહંતો કહેછે કે તારી ઇચ્છા વિના એક પત્તું પણ હલતું નથી તો હું જે કંઈ કરું તેતો તારી મરજીથી થ્યું હોય તો એ કર્મનો દોષ મને કેમ નડે? એતો બધું આપેજ કરાવ્યુંછે!
છતાં એક પ્રાર્થના જ્યારે જ્યારે તારું ગાન કરું ત્યારે તારામાંજ મન રહે અને માયામાં ફસાય નહીં એજ અભ્યર્થના.
ફોટો- ગુગલના સહયોગ થી.
No comments:
Post a Comment