Tuesday, September 1, 2015

હીતકારી સંતો



                  હીતકારી સંતો
સંત હૃદય સમતા ઘણી,અવિરત રટણારામ, પર જનની પીડાહરે, એ સાધુ નું કામ.
જટાધરી સાધુ બન્યો, ભગવા પહેર્યાઅંગ, અંતર રંગ લાગ્યોનહીં, રહ્યો નંગ નો નંગ.
જટાધરી જોગી થયો, ભસ્મ લગાવીઅંગ, મોહ માયા ત્યાગીનહીં, રહ્યો નંગ નો નંગ
મુક્તાનંદજી
ઢાળ- અમને અડશોના અભળાશો-જેવો           

                      

જગમાં સંત સદા હીતકારી.
પર દુખ કાજે પંડને તપાવે, આપે શિતલતા સારી...

અમરેલીમાં એક સંત જનમીયા, મુળદાસ  બલિહારી
રાધા નામે એક અબળા ઉગારી, કલંક લીધું શિર ધારી..

જામ નગરનો રાજા રીસાણો, ગુરુ પદ કંઠી ઉતારી
ભરી સભામાં મૃત બિલાડી બચાવી, દિગ્મૂઢ કીધાં દરબારી...

જલારામ વીરપુરના વાસી, પરચા પૂર્યા બહુ ભારી
વીરબાઇ માંગી પ્રભુ પછતાણા, ઝોળી ધોકો આપ્યા સંભારી..

ધાંગધ્રાનો એક જેલનો સિપાહી, ભજન પ્રેમ મન ભારી
"દેશળ" બદલે દામોદર પધાર્યાં, પહેરા ભર્યા રાત સારી... 

સુરદાસ જ્યારે પ્રણ કરી બેઠાં, સંખ્યા પદની વિચારી
હરીએ આવી કાર્ય સુધાર્યાં, સુર શ્યામ બલિહારી...

થયા ઘણાંને હશે હજુ પણ, રહેતાં હશે અલગારી
"કેદાર" કોઈ એક મિલાવીદે, જાણું કરુણા તારી...

સાર-ઉના તાલુકાના આમોદરા ગામમાં લુહાર દંપતીને ત્યાં મુળદાસજીનો જનમ થયો, નાની ઉંમરે વૈરાગ્ય લઈ ઘરેથી નીકળી પડ્યા અને ૧૭૬૮ માં અમરેલીમાં આશ્રમની સ્‍થાપના કરી. તેઓ દ્વારીકાધિશના દર્શન કરીને આવતા હતા ત્‍યારે જામનગરના નરેશને ગુરુજ્ઞાન આપી કંઠી બાંધી.
એક વખત રાધા નામની સ્‍ત્રીને આત્‍મહત્‍યા કરવા જતી જોઈને બાપુએ કારણ પૂછતાં તેણે જણાવ્યું કે બાપુ મારાથી ભૂલ થઈ ગઈ છે અને મારી કુંખમાં બાળકછે, પણ હું આ બાળકના પિતાનું નામ આપી શકતી નથી તેથી, અને આપું તો લોકો મને બદનામ કરી નાંખે તેનાથી મરવું સારું, ત્યારે મુળદાસજીએ એ બાળકના પિતા તરીકે પોતાનું નામ આપવાનું કહીને એ રાધાનું જીવન બચાવ્યું, તેથી અણસમજુ સમાજમાં અપમાનિત થયાં લોકોએ હડધૂત કરી ગધેડે બેસાડી ગામ બહાર કર્યા. જામનગર નરેશે પણ બાપુની કંઠી તોડી નાંખી અને બીજા ગુરુની કંઠી બાંધી લીધી, ત્યારે મુળદાસજીને ખૂબ દુખ થયું, તેઓ એક મરેલી મીંદડી લઈને જામનગર દરબારમાં ગયા અને નરેશને કહ્યું કે સામાન્ય માણસ તો કદાચ ન સમજી શકે પણ તમે પણ મને ન સમજી શક્યા? આમ કહી એ મરેલી મીંદડી લોકો વચ્ચે મુકીને કહ્યું કે નરેશ તમારા નવા ગુરુને કહો આ મીંદડીના બચ્ચા દુધ વિના ટળવળેછે, તેને જીવતી કરે, પણ એ ગુરુતો મુળદાસજી જેવા ક્યાં હતા? ત્યારે મુળદાસજીએ મીંદડીને જીવતી કરી બતાવી.

તેમના દ્વારા બચાવાયેલા રાધાબાઇની કુખેથી જન્મેલું બાળક મોટો થઈને એક મોટા ધર્મનો ધરોહર બન્યો જેને આજે આપણે  "મુક્તાનંદજી" તરીકે યાદ કરીએ છીએ. આમ મહાત્મા મુળદાસજીએ અનેક લોકોના જીવન પરિવર્તન કર્યા અને આપણને એક મહાન સંતની ભેટ આપી.

ધ્રાંગધ્રા માં રા.રા.શ્રી અજીતસિંહજી સાહેબ ગાદી પર બિરાજમાન, અડાબીડ વ્યક્તિત્વ, કંઈ પણ ખોટું સહન ન કરે, આવા રાજાના રાજ્યમાં એક દેશળભાઈ રાજ્યની જેલના સામાન્ય સિપાહી જે "દેશળ ભગત" તરીકે ઓળખાય, ભજન પરાયણ જીવ, જ્યાં પણ ભજન ગાવા બોલાવે વિના વિલંબ પહોંચી જાય.પણ ભક્તિ હોય ત્યાં ભીડ પણ સાથેજ હોય. અનેક ખણ ખોદિયા લોકો મહારાજાને ફરિયાદ કરતા કે બાપુ, આપ દેશળને જાણતા નથી, તે ઘણી વખત ચાલુ નોકરીએ આડો અવળો થઈ જાય છે, આપના રાજ્યની જેલમાં જવાના નામ માત્રથી કેટલાક તો ગુનો કરતાં ગભરાય છે, પણ બાપુ, આ દેશળના પ્રતાપે જો કોઈ કેદી જેલમાંથી ભાગી જશે તો આપની બદનામી થશે, માટે આપ તેના પર જરૂરી નિયંત્રણ રાખો તો સારું રહેશે.

ભજન પરંપરામાં એક નિયમછે કે જો ભજનનું "વાયક" સ્વીકારવામાં આવે તો તેને કોઈ પણ ભોગે પાળવું પડે, તેથી દેશળ ભગત વાયક આવે તો વચન આપવાને બદલે કહેતા કે ભાઈ દ્વારકા વાળો મહેર કરશે તો આવી જાશું.
એક વખત શહેરના કુંભારવાડામાં ભજનનું વાયક આવ્યું, ભગતે જવાબ આપ્યો કે ભાઈ જેવી દ્વારિકા વાળાની મરજી. ભગતની નોકરી તે દિવસે રાતના આઠ થી સવારના ચાર વાગ્યા સુધીની હતી, ભગતે સાથી સિપાહીને કહ્યું કે ભાઈ, ભજનનું વાયક છે, વચન તો નથી આપ્યું પણ જીવ ત્યાંજ બાજ્યોછે, આપ જો થોડીવાર નજર રાખો તો એક ચોહર (ચાર ભજન) કરી આવું, સાથીઓએ કહ્યું કે ભગત તમને ખબર છે? તમારા દુશ્મનો તમારા વિરુદ્ધ બાપુને કાન ભંભેરતા રહેછે, માટે તમે ધ્યાન રાખજો. ભગતે જવાબ આપ્યો કે ભાઈ ધ્યાનતો રાખશે દ્વારિકા વાળો, આપણે શું ધ્યાન રાખવાના? 
પેલા ખણખોદિયાઓ એ મહારાજાને આ બાબતની જાણ કરી ને વિનંતી કરી કે રાજન આજ અપ પોતેજ ધ્યાન આપો તો દેશળની પોલ ખૂલી જાય.
ઘણા સમયની ભંભેરણીથી રાજન ને પણ ખાતરી કરવા વિચાર આવ્યો, તેમણે આ લોકોને કહ્યું કે આજે જ્યારે ભગત બહાર જાય મને જાણ કરજો, હું પોતે આવીને તપાસ કરીશ.

રાત્રિના દશ વાગ્યા એટલે ભગવાનનું નામ લઈને દેશળ ભગત સાથી સિપાહીને ભલામણ કરીને ભજન ગાવા ચાલી નીકળ્યા. લાગ જોઇને પેલા ખણખોદિયાઓ એ મહારાજાને ખબર આપ્યા, ભરોંસો ન આવતો હોવા છતાં ખાતરી કરવા બાપુ જેલમાં પધાર્યા અને દેશળને હાજર થવા કહ્યું. રાજ્યની જેલનો પહેરવેશ પહેરેલા દેશળ ભગત આવીને બાપુને સલામ મારીને વંદન કરતાં ઉભા રહ્યા, બાપુએ જેલની હાજરી ભરવાની ચોપડી મંગાવીને તેમાં સહી કરીને સબ સલામત ની ખતરી કરતાં મહેલમાં પધાર્યા.
પેલા લોકોને નવાઈ લાગી કે આ ભગતડાને જતો તો જોયેલો, તે પાછો કેમ આવી ગયો? શું કોઈએ આપણી યોજનાની જાણ તેને કરી દીધી? પણ ભગત આમંત્રણ આવ્યા પછી જરૂર જાયજ એમ વિચારીને તેઓએ ફરીને થોડા સમય પછી જોયું તો ભગત ન હતા, ફરી બાપુને જાણ કરી, બાપુ પધાર્યા પણ ખરા, પણ પહેલાની જેમજ દેશળ ભગત આવીને ઉભા રહ્યા, ફરી બાપુએ ચોપડીમાં નોંધ કરી અને પાછા ફર્યા. હવે પેલા લોકોને થયું કે નક્કી કોઈક આપણી વાત જાણી ગયુંછે જે દેશળને જાણ કરીદેછે તેથી તે ભજન છોડીને આવી જાયછે, આ વખતે એવું કરો કે બે માણસો કુંભારવાડે જઈને ખાતરી કરે અને સમાચાર આપ્યા પછી પાછા ત્યાંજ ઉભા રહે, અને બે જણા જેલના દ્વાર પાસે રહે જેથી કોઈ પણ સંજોગોમાં એ ભગતડો જેલમાં આવી ન શકે, અને બે જણા બાપુને આ બધું સમજાવીને લઈ આવે જેથી બાપુને ખાતરી થાય.આવી સંપૂર્ણ યોજના સાથે બાપુને બોલાવવામાં આવ્યા, પણ જેવા બાપુએ ભગતને હાજર થવા કહ્યું કે તરત ભગત એજ પ્રમાણે આવીને બાપુને નમન કરીને ઉભા રહ્યા, ફરી બાપુએ ચોપડીમાં નોંધ કરીને પેલા લોકોને ઠપકો આપ્યો કે આવા જૂઠાણા ચલાવીને કોઈને બદનામ કરવાની વ્રતી બાબત સખત ઠપકો પણ આપ્યો.
અહીં દેશળ ભગતને તો આ બાબતની ખબરજ નહતી,સવારના ચાર વાગવાની તૈયારી હતી ત્યારે ભગતને ધ્યાન આવ્યું કે ભારે કરી આજે જરૂર નોકરી જશે, ડરતાં ડરતાં જેલના દરવાજે પહોંચ્યા ત્યારે પાળી બદલવાની તૈયારી ચાલતી હતી, પેલા સાથી સિપાહીએ વાત કરતાં કહ્યું ભગત સારું થયું તમે ભજનમાં ન ગયા નહીંતો આજે મહારાજા ત્રણ વખત પધારીને જે મુલાકાત લઈ ગયા તેમાં ક્યારેક તો પકડાઇજ જાત. ભગતતો અચંબામાં પડી ગયા, વિગતે વાત જાણતા ત્યાંથી સિધ્ધાજ રાજ દરબારમાં પહોંચીને મહારાજાને પગે લાગીને સિપાહીનો ગણવેશ અને પટ્ટો બાપુના પગમાં મૂકીને કહ્યું કે બાપુ, મારા માટે મારી પરીક્ષા લેવા આપને ત્રણ ત્રણ વખત આપના મહેલથી કે જે ફક્ત પંદર મિનિટ ના રસ્તા પર છે ત્યાં પધારવું પડે એ સારું ન લાગતું હોય ત્યાં મારા વહાલાને છેક દ્વારિકાથી આપના સિપાહીનો ગણવેશ પહેરીને આપને સલામ મારવી પડે એવી નોકરી હવે મારે નથી કરવી, હવેતો બસ મારા નાથની નોકરી કરીને જીવન વ્યતીત કરીશ.      
જય દ્વારિકેશ.


સુરદાસજીએ એક ટેક લીધેલી કે હું ઈશ્વરના ચરણોમાં અમુક સંખ્યામાં પદો બનાવીને અર્પણ કરીશ, પણ તેમનું જ્યારે દેહાવસાન થયું ત્યારે તેઓ આ સંખ્યા પૂર્ણ કરી શક્યા ન હતા, પણ ભગવાને તેમના બાકી રહેલા પદો પુર્ણતો કર્યા સાથો સાથ પોતાના પદોનું નામું "સુર શ્યામ" લખીને મહાનતા બક્ષી, જ્યારે સુરદાસજીના નામામાં "સુરદાસ" આવેછે. 

No comments:

Post a Comment