Saturday, November 5, 2016

એટલું માંગી લવ

એટલું માંગી લવ

વ્હાલાજી હું એટલું માંગી લવ
તારા ચરણ કમળ માં રંવ...

આ સંસાર અસાર છે કેછે પણ, હું કેમ માંની લઉં
હરિનું બનાવેલું હોય મજાનું,     એને સમજી લઉં...

મુક્તિ કેરો મોહ નથી ભલે, અવિરત જનમો લઉં
પણ ભવે ભવે હું માનવ થઈ ને, ગોવિંદ ગાતો રવ...

બાલા વય માં બ્રહ્મ ના વિસારૂં, કૃષ્ણ લીલા રસ લઉં
દીન દુખી ને આપું દિલાસા, પીડા પર ની હરી લઉં...

દીન " કેદાર " ની એક જ અરજી, તારી નજરમાં રવ
શ્વાસે શ્વાસે સમરણ કરતાં, અંત ઘડી ને માણી લઉં....

સાર-માનવ માત્ર કેટલો પણ ધનવાન હોય, કેટલો પણ આત્મ નિર્ભર હોય, કેટલો પણ સંતોષી હોય, છતાં ભગવાન પાસે કંઈ ને કંઈ માંગ્યા વિના રહી શકતો નથી. ભલે પછી એ માંગણી અલગ પ્રકારની કેમ ન હોય.

મોટા મોટા સંતો, મહંતો અને જ્ઞાનીઓ પણ કહે છે કે આ સંસાર અસાર છે, નર્કની ખાણ છે. સહજ છે કે મારામાં એટલી ઊંચાઈની સમજ તો નજ હોય, પણ મને એમ થાય કે શું ઇશ્વરે બનાવેલી કોઈ પણ રચના ખરાબ કે નબળી હોય શકે ખરી? મારા મતે કદાચ આપણે એને સમજી ન શકતા હોઈએ એવું પણ બને. નરસિંહ મહેતાએ ગાયું છે કે "હરિના જનતો મુક્તિ ન માંગે" મુક્તિ મળ્યા પછી શું થતું હશે શું ખબર? પણ માનવ જન્મ મળે અને પ્રભુ કૃપા કરે તો ભજન થાય એતો ખબરજ છે, તો શા માટે માનવ જન્મ ન માંગવો? હા સાથે સાથે હરિ ભજન ની અપાર લગની રહે એ જરૂર માંગી લેવું. અને એ પણ બાળપણ થીજ, જેથી જીવનનો એક પણ દિવસ હરિ ભજન વિનાનો ખાલી ન જાય. સાથો સાથ બીજાને ઉપયોગી થઈ શકીએ તો જીવન ધન્ય બનીજાય. 

અને એક બીજી અરજ, સંસારમાં રહેતાં હોઈએ એટલે સાંસારિક કાર્યોમાં ક્યારેક તારા ભજન માં થોડો વિક્ષેપ પણ પડે, પણ હે નાથ ત્યારે તું મારા પર નજર રાખજે અને મને મારો અંત સમય તારા સ્મરણ થકી સુધરી જાય તેનું ધ્યાન રાખજે.

જય શ્રી રામ.

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ

No comments:

Post a Comment