Wednesday, November 9, 2016

કહેવી કોને વાતો

કહેવી કોને વાતો

કહેવી કોને વાતો
સાખી-સખા શ્રી કૃષ્ણનો કેવો,
ન માંગ્યું ટેક ના તોડી,  
મહેલો હેમ ના પામ્યો,
સુદામા શાખ ના છોડી 

સાખી-પ્રેમ ન ઊપજે જો પ્રાર્થતાં
ઈશ ન આવે યાદ,  
બસ વાણી વિલાસ કરે,
કોઈ ન આપે દાદ. 

સાખી-ગમ વિનાનો ગાંગરે,
ભીતર ભૂધર નઈ,  
આદર કંઈ ઊપજે નહીં,
મોલ ટકો એ નઈ . 

સાખી-ગાય ભજન જો ભાવથી
હરિવર હર્ષિત હોય,  
ભાવ વિના ભાવે નહી,  
કાન ધરે ન કોય.
----------------------------------
ઢાળ-અમને અડશોના

પ્રભુજી હવે કહેવી કોને વાતો

દુરિજન કેરા મારથી મારો મનવો ખૂબ મુંજાતો...

પાખંડીઓનો પાર રહ્યો નહીં, ભોળો ભરમાઈ જાતો
ભગત બનીને જગને ઠગતો, નગદ નારાયણ નાતો...

સાધુ બનીને સંપતી જમાવે, માલ મલીદા ખાતો
બંડી વાળો કોઈ બાવો બતાવો, પર દુખે જે પીડાતો...

દેવી બની પૂજાવે પંડને, ધન ભંડાર ભરાતો
મીરાં જેવી મહા રાણી બતાવો, નૂપુર નાદ નિત થાતો...

ધર્મના નામે ધન સંઘરીને, મહંત બનીને ફુલાતો
સુદામા સરખો અજાચી ઓળખાવો, હતો નારાયણ નાતો...

સંત વાણીનો મર્મ ભુલીને, અવળું સવળું ગાતો
ગૌધન નામે કરી ડાયરા, આખલો ઓળવી જાતો...

કેદાર કૃપાળુ કૃપા કરીને, પાછો નારાયણ નિપજાવો
ભાવ ભક્તિથી ભજન કરે જે, ગિરિધર ગુણલા ગાતો...

સાર- હે પ્રભુ,આજનો જમાનો કેવો આવ્યો છે? લોકો કેવાં કેવાં કામ કરી રહ્યા છે? આ બધું જોઇને મારું મન મુંજાય છે, પણ આની ફરિયાદ મારે કોને કરવી?
આજે પાખંડીઓનો પાર રહ્યો નથી, જેમાં ભોળા લોકો ભરમાઇ જાયછે, મહાન ભક્ત જેવો જણાતો કોઈ માણસ ફક્ત પૈસા ખાતર આ બધા પાખંડ કરતો હોય અને જગતને ઠગતો હોય એવું પણ બનતું હોય તો વિશ્વાસ કોના પર કરવો?

સાધુ કે સંત જેવા ભગવા વસ્ત્રો પહેરીને ભક્તિનો ઢોંગ કરતો હોય કે કથા કીર્તન કરતો હોય, અનેક ચેલાઓ જેની પાખંડ લીલામાં સાથ આપીને તેને મહાન ગણાવીને લોકોને છેતરીને ધનના ભંડાર ભરતા હોય, ત્યારે મને આપ કોઈ સાદી બંડી અને પોતડી પહેરેલો કોઈ પારકી પીડાને પોતાની ગણીને પીડાતો હોય એવો સાચા અર્થમાં સેવક બતાવો કે જેના માર્ગદર્શન પર હું ચાલી શકું.

હે પ્રભુ આજે અનેક એવી સ્ત્રીઓ પોતાને કોઈ દેવીનો અવતાર બતાવીને પૂજાવતી હોય અને પોતાનો અલગ પંથ બતાવીને નાચગાન કરતી હોય, ચિત્ર વિચિત્ર પહેરવેશ પહેરીને અસભ્ય વર્તન પણ કરતી હોય છતાં આવી પાખંડી મહિલાઓના એજંટો લોકોને ફસાવીને અઢળક પૈસા કમાઈને એશો આરામમાં જીવતા હોય ત્યારે મારી વિનંતી છે કે મને કોઈ મીરાંબાઈ જેવી દેવી બતાવો કે જે મહારાણી હોવા છતાં પગમાં ઘૂઘરા બાંધીને મોરલીમનોહર પાસે નાચતી હોય અને સદા શ્યામના ભજનોની રમઝટ બોલતી હોય.

કોઈ કોઈ પૂજારી કે મોટા મોટા મંદિરોના મહંતો જ્યાં ફક્ત ધન કમાવા માટે ધતિંગ કરીને અવળા સવળા બહાના બનાવી માયા ભેળી કરતા હોય, ત્યારે સુદામા જેવો કોઈ અજાચી બતાવો કે જેનો દ્વારિકાનો નાથ જેવો પરમ મિત્ર હોવા છતાં, અને પોતાનો પરીવાર ભૂખે દિવસો વિતાવતો હોવા છતાં ક્યારેય કોઈ આશા ન રાખી, પત્નીના આગ્રહ વશ દ્વારિકા આવવા છતાં,અને તેનું ભવ્ય સ્વાગત થયું હોવા છતાં કંઈ ન માંગ્યું.
આજે ભજન માં આધુનિકતા આવીછે, અનેક પ્રકારના સંગીતનાં સાધનોનો ઉપયોગ લોકોને આનંદિત કરવા અને સંતોની વાણીને લોકો સુધી પહોંચાડવામાં મનોરંજન સાથે ભક્તિ પણ વહાવે છે, ત્યારે અમુક લાલચુ ગાયકો સંત વાણી ના નામે એલ ફેલ ગાયનો ભેળવીને તેનો ઉપયોગ ફક્ત ધન કમાવા માટે કરી રહ્યા છે, અમુક લોકો ગૌચરા ના નામે રાખેલ કહેવાતી સંત વાણીનો કાર્યક્રમ પણ ભોળા ભક્તોએ ગાયોના નામે આપેલા અઢળક નાણાથી પોતાના ગજવા ભરેછે અને પાછા પોતાને મહાન ભજન ગાયક માનેછે. ત્યારે હે ઈશ્વર મારી પ્રાર્થના છે કે પાછો કોઈ નારાયણ સ્વામી જેવો ભજન ગાયક ને અવતાર આપો કે જે સાચા અર્થમાં સંતવાણીનો જાણકાર હોય, ભક્ત હોય સંગીત ન ભણ્યો હોય છતાં સંગીત વિશારદ હોય.

બસ પ્રભુ આ એકજ મારી વિનંતી છે.

રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ

No comments:

Post a Comment