Friday, June 27, 2025

લંપટ નેતાને જાણો

    લંપટ નેતાને જાણો            
તા. ૨૨.૬.૨૫.
અવદશા આજ આ કેવી, નેતા થઈ જનને લૂટે છે
સેવા કે સાદગી નામે,  કમાણી કરવા આવે છે...

બનાવી મંડળી મોટી, શપથ લઈ ઈશની ખોટી
વાણીમાં પ્રેમ વરસાવે, પ્રજાને  મૂર્ખ માને છે

પહેરી દેખાવની ખાદી, કરે છે ખૂબ બરબાદી
ભલે હો દેશની હાની, તિજોરી તર એ રાખે છે... 

બનાવે બંગલા મોટા, કરીને ખેલ સૌ ખોટા
ખજાનો ખૂબ ભરવાનો, ઇરાદો એ જ રાખે છે... 

કહું કર જોડી મતદાતા, વિચારો રાખી મન સાતા
ના ખોટા ભ્રમમાં ભટકાતા, ભારત માતા તમારી છે...

હજુ છે હાથમાં બાઝી, ના કરશો લાલસા જાજી
"કેદાર" ના ટળશે બરબાદી, ટાણું ક્યાં રોજ આવે છે...

ભાવાર્થ:-મિત્રો,ભારતમાં ક્યાંક ને ક્યાંક ચૂંટણી ચાલતીહે છે, એટલે લખાયું કે ભારતનું બંધારણ કેવું છે ? તમે પોતે તમારા રાજા નિયુક્ત કરી શકો છો, અને એ પણ પાંચ વરસ માટે, જો એ બરાબર ન લાગે તો પછી પાછા બીજાને લાવી શકો. પણ છતાં ભ્રષ્ટ, અયોગ્ય નેતા કેમ ચૂંટાઈ આવે છે? અને આપણે છાજિયાં લેતા રહીએ છીંએ, આ ભૂલ કોની છે? અમુક તો છાપેલ કાટલાં, દેશ વિરોધી કાર્યો કરે, જાહેર મંચ પર દુશ્મનોને સાથ આપવાની વાતો કરે, ગુંડાઓ છાકટા બનીને ફરે, આપણને દબાવીને પૈસા પડાવે, બહેન દીકરીઓની લાજ ખુલ્લે આમ લૂંટાય, પાછા એમના સંતાનો એનાથી પણ સવાયા દાદાગીરી કરે અને આપણે રડીએ કે આ દેશ હવે રહેવા જેવો રહ્યો નથી. અરે ભાઈ આ બધું મત આપતાં પહેલાં કેમ ન વિચાર્યું? થોડી લાલચમાં કે ભ્રમમાં કેમ ફસાયા? સૌથી પહેલાંતો તમે જવાબદાર છો. તમે દેશ દ્રોહી છો, આજે ઈમાનદાર લોકો રાજકારણમાં આવતા નથી કે ચૂંટાતા નથી, ચૂંટાય તો ભ્રષ્ટ લોકો સુખે કામ કરવા દેતા નથી. જો ઇમાનદાર લોકો ચૂંટાશે તો સરકારી નોકરો પણ ફરજિયાત ઈમાનદાર બનશે, અત્યારેતો લાંચ લેતા પકડાય તો લાંચ આપીને છુટી જાય એવો તાલ છે. આ બધા દુખનું કારણ આપણે મતદાતા છીંએ. બાકી જ્યાં રામ-કૃષ્ણ જેવાને અવતાર લેવા માટે ભારતમાં આવવું પડતું હોય એ ભૂમી રહેવા માટે યોગ્ય ન હોય?    


 

કળિયુગનો જોગી

      કળિયુગનો જોગી
તા. ૨૬.૬.૨૫.
પહેર્યા ભગવા બન્યો જોગી, નીયત તો જગ ઠગવાની છે
બચીને ચાલજો મિત્રો, ઘોર કળિયુગ આવ્યો છે...

સાચા કોઈ શાસ્ત્ર ના જાણે, જીવે જોગવાઈ પરમાણે
થોડા મંત્રોમાં ભરમાવી, જગતમાં જાળ નાખે છે...

લજાવે વ્યાસ ગાદીને,  સંગે તકસાધુને લઈને
ભજનનો ભેદ ના જાણે, ફકત બુમરાણ આદરે છે...

શોધીને લાલચુ જનને, બનાવી મૂર્ખ માનવને
ચાલાકી હાથની કરીને, ચમત્કારો બતાવે છે...
 
અગર મોકો મળે મોટો, બની બેસે મુનિ મોટો
ન રાખે ધન તણો તોટો, અજબ આદેશ આપે છે...

સંદેશો યમ તણો આવે,  કારી હવે કોઈ ના ફાવે     
"કેદાર" પોતેતો ડૂબે છે, અન્યને પણ ડુબાવે છે... 

ભાવાર્થ:-મિત્રો, અત્યારે હળાહળ કળિયુગ ચાલે છે, પહેલાં કોઈ પ્રશ્ન હોય તો ગુરુ કે સંતો પાસે એનું સમાધાન-સાંત્વના લેવા જવાતું, પણ અત્યારે તો એવા ઘણાં બાવા ફાટી નીકળ્યા છે કે "બાવો" શબ્દ સાંભળીને પણ આદર આવતો નથી. કોઈ તપ નહીં, કોઈ સાધના-અભ્યાસ નહીં બસ દેખાવ એવો કરે જાણે જ્ઞાનનો ભંડાર હોય. પાંચ પચીસ શબ્દો ગોખીને અને હાથ ચાલાકી અજમાવીને લોકોને ઠગવાનો ધંધો કરી બેઠાં છે. જો કોઈ મોકો મળી જાય તો ધન-દોલત કમાવામાં કોઈ પરહેજ ન રાખે, ભલે પછી એ કોઈ પણ માર્ગે આવતી હોય. આવા લોકોથી બચવાની જરૂર છે. 
   પણ ઈશ્વરના દરબારમાં પાઈ-પાઈ કે એક એક પળનો હિસાબ થાય છે, અને સજા પણ થાય છે, આપણાં દુર્ભાગ્ય છે કે એ સજા દેખાતી નથી એટલે ડર લાગતો નથી. આમાં હું પણ એટલોજ જવાબદાર છું, સાચા સંતો બધું સમજાવે છે, પણ આ માયાને સમજાવવી ખૂબ અઘરી છે. 
જય શ્રી રામ.  


 

ધરતીનો ઉમંગ

 ધરતીનો ઉમંગ
તા. ૨૭.૬.૨૫-અષાઢી બીજ.
આવી આવી આવી અષાઢી બીજરે, વાલમિયો મારો વરસી પડ્યો રે લોલ
હૈયે મારે ઊઠ્યો અનેરો આનંદરે, ભીંજાયો મારો આતમા રે લોલ... 

બાર બાર મહિનાથી તરશ્યું આ અંતર મારું, તૃપ્તિ પામ્યું છે આજે પ્યાસું આ હૈયું મારું  
કોરી મારી ચૂંદલડી ભીંજાઈરે, વાલમિયો મારો વરસી પડ્યો રે લોલ...

કાળી કાળી વાદળીમાં વીજલડી ચમકે, હૈયું હરખાયું મારું મનડું છે હરખે  
અંતરમાં મારા ફૂટ્યા ઉમંગના બીજરે, વાલમિયો મારો વરસી પડ્યો રે લોલ...

ટહુકે મોરલિયોને થનગન છે નાચે, નાચે છે ધરતી પુત્રો આનંદમાં રાચે  
ભરાશે હવે ધન ધાન્યના ભંડારરે, વાલમિયો મારો વરસી પડ્યો રે લોલ...

વસુંધરામાં હવે ફોરમ ફેલાશે, ઊભરાશે નદીઓ નાળા સરોવર લહેરાશે
"કેદાર" કીધા મેઘરાજાએ મંડાણરે, વાલમિયો મારો વરસી પડ્યો રે લોલ...