Saturday, August 20, 2016

ભાવ ભજન

ભાવ ભજન-પહાડી.
ઢાળ:- જનમ જે સંતને આપે..

સાખી-
ગાય ભજન જો ભાવથી હરિવર હર્ષિત હોય, ભાવ વિના ભાવે નહી,  કાન ધરે ન કોય.

સાખી-પ્રેમ ન ઊપજે જો પ્રાર્થતાં, ઈશ ન આવે યાદ, બસ વાણી વિલાસ કરે, કોઈ ન આપે દાદ.

સાખી-ગમ વિનાનો ગાંગરે, ભીતર ભૂધર નઈ. આદર કંઈ ઊપજે નહીં, મોલ ટકો એ નઈ .

ભજન જો ભાવ સે હોતા, ભૂધર કો ભી મિલાતા હે
ન આતે હેં જો ખ્વાબો મેં, વો માધવ દૌડ આતા હે...

મીરાં કે મન બસ ગયા મોહન,
દીખાયા નાચ નટવર કો
સમા ગઈ  મુખ મંડલ મેં,       પ્રભુ પ્રેમે પચાતા હે...

ભિખારી જબ ભીખ કે ખાતિર, મચાયે ધૂન માધવ કિ
કરે કૃપા ના  કૃપાલુ,
કૌવે કો ખુદ ખિલાતા હે....

ગંવાયા વ્યર્થ ગજ જીવન,
અંત મેં  હરિ શરન આયા.
પિછાની પ્રેમ પ્રભુ ધાયા,  
પલક મેં ચક્ર ચલાતા હે...

રિપુ જાને રઘુવીર કો,-પર-રાવણ મન હરી શરન રાખે.
ચલાકે બાન રધુ નંદન,   જીવન સે મોક્ષ દિલાતા હે...

ચેત નર રામ રટણ કરલે, ભજનરસ પ્યાલી તું ભરલે.
સુમીરન કેદાર તું કરલે,
અભય પદ આપ દિલાતા હે...

સાર..ભજન-કીર્તન-ગરબા જો ભાવ સાથે ગવાય કે સંભળાય તોજ તેનું સાચું ફળ મળે, જે ક’દિ સ્વપ્ન માં પણ ન આવતો હોય એ ભગવાન ને પણ આવા ગાન સાંભળવા આવવું જ પડે.એવા તો અનેક દાખલા છે કે ભગવાન ભક્તોની પાછળ ઘેલા ઘેલા થઈને ફરતા હોય. 

મીરાંબાઈ એ સર્વે આડંબર ત્યાગ કરી ને નટવર સામે નાચ કર્યા, અને કહેવાય છે કે અંતે દ્વારકા માં ભગવાને તેને પોતાના મુખ માં સમાવી દીધાં અને મૃત્યુનો સામનો ન કરવો પડ્યો. 

ઘણા ભિખારી લોકો આખો દિવસ "હે રામ, હે રામ" નું રટણ કરે છે, પણ તેનો માંહ્યલો તો આવતા જતા લોકો ના હાથે થતા દાન પરજ હોય છે, રામનું નામ છે તેથી રોટલો તો મળે જ, પણ મુક્તિ ભાગ્યેજ મળે,

ગજેન્દ્ર નામના હાથી એ ક્યારેય પ્રાર્થના કરી હોય એવો કોઈ પ્રસંગ મારા ધારવા પ્રમાણે ક્યાંયે મેં નથી સાંભળ્યો, છતાં જ્યારે મગરમચ્છ સાથે યુદ્ધ થયું ત્યારે હાથીએ અંતરથી પ્રાર્થના કરી, અને તેને સુદર્શન ચક્ર વડે વાર કરીને છોડાવ્યો, કારણ તે આર્તનાદ હતો.  

જય અને વિજય ને એવો શ્રાપ મળ્યો હતો કે તે સાત જન્મ સુધી મનુષ્ય જન્મ ભોગવે પછી ભગવાન મળે. પણ જો વેર ભાવ થી ભગવાન ને ભજે તો ત્રણ જ જન્મમાં મોક્ષ મળે.  ભગવાન ના દ્વારપાળ કે જે સદા ભગવાનના દર્શન કરતા હોય તે સાત જન્મ કેમ દૂર રહી શકે? તેથી તેણે ભગવાન ને જલદી થી મેળવવા ત્રણ જન્મ વેર ભાવે ભજવા નું નક્કી કર્યું, ભગવાન ના ભક્તો માટે આ સહેલું નથી, જેના મન માં અહર્નિશ ભગવાન બિરાજતા હોય, સદા એ તેમનું રટણ ચાલતું હોય, તેના થી વેર કેમ થાય? પણ જય અને વિજયે તેમાં સફળતા મેળવી. પણ અંત સમયે તે મનોમન શ્રી રામ ને નમન કરે છે, અને શ્રીરામ તેને બાણ મારી ને પોતાનું ધામ આપે છે.

અહીં એક હમણાંજ સાંભળેલી વાત લખવા મજબૂર બન્યો છું, આપણા ગરવી ગુજરાતના લોક લાડીલાં અભિનેતા અરવિંદ ત્રિવેદી હાલમાં શ્રી રામ ની અનન્ય ભક્તિમાં વધારે પડતા એટલે લીન છે કે તેમણે રામાયણ સીરીયલ માં શ્રી રામ વિષે ઘણાં અપમાન જનક શબ્દો બોલ્યા છે, જોકે આતો તેમના પાત્રનો એક ભાગ હતો, છતાં તેમને આવા શબ્દો રામ વિષે બોલાયા તેનો પસ્તાવો થયો, તેથી એ પાપનું પ્રાયશ્ચિત કરવા માટે તેઓ ક્ષમા યાચના કરી રહ્યા છે. છેને આજના રાવણમાં પણ એજ ભક્તિ કે જે રામાયણના રાવણમાં હતી? અને આપણે ગુજરાતીઓએ પણ ગર્વ લેવા જેવું છેને?  

માટે હે માનવ-હું પણ- રામનું સ્મરણ કર એ તને પાર કરશેજ.. જય શ્રી રામ..

No comments:

Post a Comment