Friday, January 13, 2017

ખોટો નાતો

ખોટો નાતો

સાખી-માનવ ભજી લે રામ ને,
શાને તું ઝોકા ખાય છે.  
ખબર ક્યાં છે ઉમર તારી,
કઈ પળ થી પૂરી થાય છે..

સાખી-કરી લે રટણ શ્રી રામ નું,
ફોગટ ના ફેરા ખા નહી.  
ભજી લે ભાવથી ભૂધર,
અવર સંગ આવે નહી..

જેને રામ થકી નહી નાતો,
           મૂર્ખ જન ફોગટ ફેરા ખાતો..

કાવાદાવા થી કરતો કમાણી,
મનમાં મેલ ન માતો
પદ મેળવવા પર ને પીડતો,
લેશ નહી એ લજાતો...

ભક્ત જનોના ભાવ ન જાણે,
અવળાં કરે ઉત્પાતો
સંત સભામાં આતંક આણી,
                   ફૂલણશી છે ફુલાતો...

ધર્મ ના નામે ધતિંગ રચીને,
અવળો અવરથી થાતો
મીઠી મધુરી વાણી વદી ને,
             ઠગતો જગત ના ઠગાતો..

ખબર નથી રઘુનાથની પાંસે,
પળ પળ પાડો મંડાતો
ભૂત બનીને પડશે ભટકવું,
               મુક્તિ માર્ગ ના કળાતો...

ચેત ચેત નર સંત સેવા કર,
કર નારાયણ નાતો
દીન " કેદાર " દામોદર ભજી લે,
                    શીદ ભમે ભટકાતો..

No comments:

Post a Comment