Friday, January 27, 2017

ડેરો

ડેરો

ફંદે ફસાયો હો  
પડ્યો ડેરો છે ડોક માં,  
મોહ માયા નો હો  
        પડ્યો ડેરો છે ડોક માં...

જૂઠું બોલ્યા વિના જગમાં જીવાય નહિ,  
ખોટું લીધા વિના   ખરચો કઢાય નહિ
નાણું ભેગું થાય નહિ હો... 

નગદ નારાયણ નું નામ મુખ થી જાય નહિ, નર નારાયણ નું ભજન સુખે થાય નહિ
પણ-સમય વેડફાય નહિ હો...

દાન પુણ્ય દક્ષિણા ખર્ચા બધા ખોટા,     આપે ભૂખ્યા ને અન્ન હરિવર છે મોટા     આમાં વચમાં પડાય નહિ હો...

પાપ પુણ્ય કર્મ દોષ હરિ ને હવાલે,       જનની જોરૂ પિતા પુત્ર સોંપ્યા ઉપર વાલે
એને છોડાય નહિ હો...

ક્રોધ જો ન કરીએ તો સતાવે સંસારી,   સીધા સદા રહીએ તો ભીડ પડે ભારી
જગ માં જીવાય નહિ હો...

સુખ માં સંઘરી લો દુ:ખે કામ આવે,   હોય ગાંઠ નાણું લોક દોડી દોડી આવે
લક્ષ્મી વપરાય નહિ હો...

સત્ય વચન સત્ય કર્મ સત યુગ માં શોભે,    
કળિયુગ માં કર્મ બધાં કરવા સંજોગે
મોકો ચુકાય નહિ હો....

સ્વર્ગ નરક કોણે દીઠાં ભ્રાંતિ છે
ખોટી,          
શાસ્ત્ર વેદ મંત્ર બધાં વાતો કરે મોટી
ભ્રમ માં પડાય નહિ હો...

પામ્યો મનુષ્ય દેહ એજ સ્વર્ગ સાચું, બંગલા મોટર નોકર ચાકર સુખ માં સદા રાચું
સ્વર્ગ બીજું હોય નહિ હો..

પછી- આવે બુઢાપો ધોળી ધજાયું ફરુકે,              
તૂટે ખુમારી ને કેડ વાંકી ઝુકે
હવે- પાછું વળાય નહિ હો...

આવે જ્યારે યમ ના તેડા સમજણ સૌ આવે,
જીવન બધું એળે ખોયું સત્ય સમજ આવે
પણ - તૂટ્યું સંધાય નહિ હો...

આપે પ્રભુજી જો અવસર એક આવો, રામ નામ રટણ કરી લઉં જીવન નો લહાવો
ભૂલ આવી થાય નહિ હો...

આવી જગત માં જીવ ફરી થી ફસાતો,
" કેદાર " કરુણા એજ ભૂત ભૂલી જાતો
આમ ચોરાશી તરાય નહિ હો...

રચયિતા :
કેદારસિંહજી મે. જાડેજા
ગાંધીધામ  -કચ્છ
www.kedarsinhjim.blogspot.com
kedarsinhjim@gmail.com
dinvani.wordpress.com
મોબાઈલ: +૯૧ – ૯૪૨૬૧૪૦૩૬૫

No comments:

Post a Comment