વાલી વધ.
ઢાળ= મારા રામ તમે સીતાજીની તોલે ન આવો.....ગવાય છે એવો.
તા. ૫.૩.૨૫
સમદરશીની મોટી શાખ તમારી, ભેદ શાને મનમાં ભરો
કરુણાના સાગર, રઘુકુલ યાદ કરો....
મેં જાણ્યું પ્રભુ ધર્મને કાજે, માનવ દેહ ધરો
સુગ્રીવ સંગે ભલે હેત ઉભરાતું, મુજથી કાં વેર કરો...
વેલ લતાનો આશરો લઈને, સર સંધાન કરો
લાંછન લાગે પ્રભુ રાઘવ કુળને, એવા ન કાર્ય કરો...
હે વાલી મહા પાપ કર્યું તેં, ન્યાય કર્યો મેં ખરો
પુત્રી સમાણી પર નારી હરી તેં, એ થી ન જાય ઊગરો...
મોક્ષ મળે હરી હાથે હણાતા, હવે- એક ઉપકાર કરો
અંગદ સુત મુજ આશરે તમારે, કૃપાનીધી કરુણા કરો
આપ્યું વચન કપિ અરજ સ્વીકારી, નિજ ગતિ પ્રાપ્ત કરો,
"કેદાર" કરુણાના સાગર રામ રીઝે તો, ભવ સાગરને તરો...
ભાવાર્થ:- જ્યારે પ્રભુ રામ સુગ્રીવને સાથ આપીને વાલીને છુપાઈને બાણ મારે છે ત્યારે વાલી કહે છે, હે ભગવંત આપતો સમાન દૃષ્ટિ વાળા રઘુકુલ ભૂષણ, આમ અન્યાય કેમ કરો છો? હું વેરી અને સુગ્રીવ પર પ્રેમ કેમ? ત્યારે ભગવાન રામ કહે છે કે તેં મહા પાપ કર્યું છે, પુત્રવધૂ હોય કે નાના ભાઈની પત્ની અથવા બહેન, પુત્રી સમાન ગણાય, તેં એનું હરણ કર્યું છે, માટે તને મારવામાં જરા પણ દોષ નથી. અને સુગ્રીવ મારો મિત્ર છે, એના કષ્ટનું નિવારણ કરવું મારી ફરજ છે.
ત્યારે વાલી કહે છે કે પ્રભુ, આપના હાથે મરવાથી મારો મોક્ષ ચોક્કસ છે, પણ એક અરજ છે કે આ મારા પુત્ર અંગદને હું આપની સેવામાં સોંપુ છું, એને અન્યાય ન થાય એવી કૃપા કરજો.
ભગવાન શ્રી રામે વાલીને મુક્તિ અને અંગદને યુવરાજ પદ આપ્યું. આમ જેના પર પ્રભુ રામની કૃપા થાય તે ગમે તેવો પાપી હોય તો પણ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.
જય શ્રી રમ.