Friday, March 6, 2015

ઈર્ષા

               ઈર્ષા 


આવે જ્યારે ઈર્ષા ઉરની માંય, 
આવે ઉર ની માંય પછી એમાં સત્ય સુજે નહિ કાંઈ....

લક્ષ્મીજી બ્રહ્માણી  સંગે સમજે રુદ્રાણી માત,
 અમ સમાણી કોઈ પતિવ્રતા નહિ આ અવની માંય......

નારદજી એ આ ભ્રમણા ભાંગવા કર્યો એક ઉપાય,
 અનસૂયા ની ઓળખ આપી મહા સતીઓ ની માંય...

ત્રણે દેવી ઓ હઠે ભરાણી સ્વામી કરો ને કંઈક ઉપાય,
 લો પરીક્ષા સૌ સંગે મળીને અવર ન સમજીએ કાંઈ...

બ્રહ્મા, વિષ્ણુ મહાદેવ મળીઓ ને આવ્યા સતી ને ત્યાં,
 આપો ભિક્ષા અંગ ઉઘાડે અવર ના કોઈ ઉપાય...

સતી સમજ્યા અંતર મનથી કર્યો તર્ક મન માંય, 
આદરથી એક અંજલિ છાંટી બાળ બનાવ્યા ત્યાં...

ત્રણે દેવી ઓ મનમાં મૂંઝાણા પૂછે નારદજી ને વાત,  
પ્રભુ તમારા ઝૂલે પારણિએ અનસૂયા ને ત્યાં....

કર જોડી કરગરે દેવી ઓ આપો અમારા નાથ,
બાળ બન્યા મુજ બાળ થઈ આવે અવર ન માંગુ કાંય...

ત્રણે દેવો એક અંસ બની ને ધર્યું દત્તાત્રેય નામ,
 " કેદાર " ગુણલા નિત નિત ગાતો લળી લળી લાગે પાય... 

સાર:-અત્રિ રૂષિ ના પત્ની અનસૂયા માતા ના પતિવ્રત ધર્મ ની પ્રતિષ્ઠા થી ઈર્ષા પામી ને બ્રહ્માણી, લક્ષ્મીજી અને રુદ્રાણી એ  બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને તેમની પરીક્ષા લેવા મજબૂર કર્યા.  તેથી ત્રણેય દેવો બ્રહ્મચારીનું રૂપ ધારણ કરીને અનસૂયા માતા પાસે પધાર્યા. તે સમયે અનસૂયાજી એકલાં જ હતાં,  ત્રણેય દેવો એ એવી આકરી શરત મૂકી કે નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપો તો જ ભિક્ષા લઈશું નહિ તો પાછા જઈશું. જો અતિથિ  ખાલી હાથે પાછો ફરે તો સતિત્વ ધર્મ લાજે. આથી માતા અનસૂયા એ હાથમાં પાણીની અંજલિ ભરીને સંકલ્પ કર્યો કે ‘જો મારી સ્વામી ભક્તિ અચળ હોય તો આ ત્રણેય ભિક્ષુકો આ જ ક્ષણે બાળક સ્વરૂપ ને પામે’. અંજલિ નો સ્પર્શ થતાં જ જગતના સર્જક પ્રજા પિતા બ્રહ્મા, પાલનહાર વિષ્ણુ અને સંહાર ના દેવ મહાદેવ નાના બાળક બની ગયા. માતા અનસૂયા એ ત્રણેય બાળકોને પારણા માં પધરાવી દીધાં. બ્રહ્મલોક, વૈકુંઠ અને કૈલાસ ત્રણેય લોક ઉપર ત્રણેય દેવી ઓ ચિંતિત થઈ કે ત્રણેય દેવો ક્યાં અદૃશ્ય થઈ ગયા. તે સમયે નારદજી એ કહ્યું કે સતીના પારખાં લેવા જતાં ત્રણેય દેવો બાળક બનીને માતા અનસૂયા ના પારણે ઝૂલી રહ્યાં છે. ત્રણેય દેવી ઓએ માતા અનસૂયા ની માફી માંગી અને પોતાના પતિની માગણી કરી ત્યારે માતા અનસૂયા એ તેમનો સત્કાર કરીને જણાવ્યું કે તમારા સ્વામી પારણા માં સૂતા છે. ઓળખીને લઈ જાવ. ત્યારે ત્રણેય દેવી ઓ મૂંઝાઈ ગઈ અને અનસૂયા માતા ને વિનંતી કરીને કહ્યું કે અમે અજ્ઞાની ઓળખી ના શક્યા. આપ જ અમારા સ્વામી ને ઓળખાવો ત્યારે માતા અનસૂયા એ ફરીથી પાણીની અંજલિ છાંટીને ત્રણેય દેવો ને પૂર્વવત્ સ્થિતિમાં લાવી દીધા. ત્રણેય દેવો એ વરદાન માટે કહ્યું ત્યારે અનસૂયા માતા એ કહ્યું કે તમે ત્રણેય દેવો મારા પુત્ર સ્વરૂપે પધારો અને અમને ધન્ય કરો. આથી ત્રણેય દેવો એ અત્રિ ઋષિ અને સતી અનસૂયા માતા ને ત્યાં આદ્ય ગુરુ દત્તાત્રેય સ્વરૂપે પ્રગટ થયા.
ફોટો ગુગલના સહયોગથી સાભાર

No comments:

Post a Comment